Sunday 6 June 2021

National Anthem Controversy

 રાષ્ટ્રગૌરવસમા રાષ્ટ્રગીતના નામે નિરર્થક વિવાદ

ઇતિહાસ ગવાહ હૈ:ડૉ.હરિ દેસાઈ. દિવ્યભાસ્કર ડિજિટલ. રંગત સંગત. જૂન ૨૦૨૧

·         જવાહર, સરદાર, ડૉ.આંબેડકર,શ્યામાબાબુ જેવા મહાનુભાવોએ ઘડેલા બંધારણ વિશે ઉંબાડિયાં

·         પંડિત નેહરુએ જ “વંદે માતરમ્” ને રાષ્ટ્રગીત તરીકે  કોંગ્રેસ અધિવેશનમાં પ્રસ્તાવિત કર્યું હતું

·         સુપ્રીમ કોર્ટનો રાષ્ટ્રગીત ગાવાની ફરજ ના પડવાનો નન્નો,નવું જ સર્વસ્વીકૃત રાષ્ટ્રગીત જરૂરી

વેબ લિંક: https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/vain-controversy-in-the-name-of-national-anthem-128562703.html           

ભારતીય બંધારણસભામાં બિરાજતા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સ્વતંત્ર ભારતના સૂત્રધારોએ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન અંગે ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ અનુક્રમે “જન ગણ મન” (કવિવર રવીન્દ્રનાથ ઠાકુરરચિત) અને “વંદે માતરમ્” (બંકિમચંદ્ર ચટોપાધ્યાયરચિત)ને માન્યતા આપી. બંધારણસભાની ડિબેટના અંતિમ ગ્રંથમાં એની નોંધ પણ છે કે બંને ગીતને સમાન દરજ્જો આપાયો છે. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસત્તાક બન્યો. બંધારણસભામાં ડૉ.રાજેન્દ્ર પ્રસાદ, પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ.બાબાસાહેબ આંબેડકર, ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી, મૌલાના આઝાદ જેવા મહાનુભાવો બિરાજતા હતા. એમણે ઘડેલા બંધારણ, રાષ્ટ્રધ્વજ  અને રાષ્ટ્રગીત અંગે વિવાદો સર્જવામાં આવે ત્યારે વ્યથા થવી સ્વાભાવિક છે. કમનસીબે આજે સાત દાયકા પછી પણ રાષ્ટ્રગીત જ નહીં, બંધારણ વિશે  પણ વિવાદો  સર્જવામાં કેટલાક અટકચાળા મહાનુભાવો પરપીડન વૃત્તિનો આનંદ લેવાનું ચૂકતા નથી. હજુ હમણાં જ ભાજપના સાંસદ ડૉ.સુબ્રમણિન સ્વામીએ ઉંબાડિયું કર્યું અને નેતાજી સુભાષચન્દ્ર બોઝની આઝાદ હિંદ ફોજના રાષ્ટ્રગીતને સ્વીકારવાની વાત વહેતી મૂકી. “જન ગણ મન” જ નેતાજીએ પોતાની ફોજના રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર્યું હતું.  આ પહેલાં પણ રાષ્ટ્રગીત વિશે વિવાદો ચગતા રહ્યા છે. અદાલતોમાં અને જાહેર મંચ પર રાષ્ટ્રગૌરવ સમા રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય વ્યક્તિત્વોને હીણાં દર્શાવવાના પ્રયાસ થયા છે. રાષ્ટ્રગીત એ રાષ્ટ્રના ગૌરવ સમાન ગણાય અને એ સર્વસ્વીકૃત હોવું અનિવાર્ય છે.

જન ગણ મનનો ઈતિહાસ 

ભારતીય બંધારણના ઘડવૈયાઓએ ભારતીય રાષ્ટ્રગીત તરીકે ર૪ જાન્યુઆરી ૧૯પ૦ના રોજ જન ગણ મનને માન્યતા આપી છે અને ભારતીય સ્વાતંત્ર્ય ચળવળમાં ઐતિહાસિક યોગદાન કરનાર વંદેમાતરમ્ને સમાનસ્તરે મૂકીને આદર આપવાનું જાહેર કરાયું હતું.  કોલકાતામાં ર૬-ર૮ ડિસેમ્બર ૧૯૧૧ દરમિયાન મળેલા કૉંગ્રેસના અધિવેશનમાં ર૭મીએ સવારે બાર વાગે સૌપ્રથમ જન ગણ મનગીત ગવાયું હતું. ગીત વિશેના વિવાદ સંદર્ભે વિશ્વભારતીના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી પુલિન બિહારી સેનને પ્રત્યુત્તર વાળતાં રવીન્દ્રનાથે ર૦ નવેમ્બર ૧૯૩૭ના રોજ લખ્યું હતું : ‘‘ વર્ષે (૧૯૧૧માં) ભારતના સમ્રાટના આગમનનું આયોજન થયું હતું. સરકારમાં અગ્રસ્થાને બિરાજેલા મારા એક મિત્રે સમ્રાટના આગમન વખતે એક જયગાન લખવાનો મને ખાસ આગ્રહ કર્યો. સાંભળીને આશ્વર્ય થયું હતું. તે આશ્વર્ય સાથે ભારે ખેદ પણ થયો હતો. તેની પ્રબળ પ્રતિક્રિયાના ધક્કાથી મેંજન ગણ મન અધિનાયકગીતમાં તે ભારત ભાગ્યવિધાતાની જયઘોષણા કરી, જે વતન અભ્યુદયના ખાડાટેકરાવાળા રસ્તે યુગયુગથી દોડી રહેલા યાત્રીઓના ચિરસારથિ છે, જે જન ગણના અંતર્યામી પથપરિચાયક છે, તે યુગયુગાન્તરના માનવભાગ્યરથના ચિરસારથિ કોઈ પાંચમા કે છઠ્ઠા જયોર્જ કદી પણ હોઈ શકે તે વાત પેલા રાજભક્ત મિત્ર સમજી શક્યા હતા.’’ 

 

સમ્રાટનું સ્તુતિગાન નથી

સ્વયં રવીન્દ્રનાથ ઠાકુરની આટલી સ્પષ્ટતાને સ્વીકારી નહીં શકનારા સંઘ પરિવારવાળાઓના અગ્રણી એવા કલ્યાણસિંહ પાછા કહે છે કે મને રવીન્દ્રનાથ ઠાકુર માટે માન છે. ૧૯૧૧ના કોલકાતાના કૉંગ્રેસ અધિવેશનમાં રવીન્દ્રનાથના જન ગણ મનઉપરાંત સમ્રાટ જયોર્જ પંચમના માનમાં હિંદીમાં રામભુજ ચૌધરીરચિત સ્તુતિ ગાન ગવાતાં અંગ્રેજી મીડિયાએ કરેલા ગોટાળાથી જનગણમનને ભૂલથી સમ્રાટનું સ્તુતિગાન ગણી લેવાયું! અપપ્રચારને પાંખો ખૂબ ફૂટતી હોય છે. ૧૯૧૩માં જેમને ગીતાંજલિમાટે નોબેલ પારિતોષિક મળે છે અને જેમણે રચેલું આમાર સોનાર બાંગલાઆજે પણ બાંગલાદેશનું રાષ્ટ્રગીત છે એ રવીન્દ્રનાથ ભણી આદર વ્યક્ત કરવાની સંઘપરિવારની નીતિરીતિ નોખી છે. સંઘ પરિવારનો આગ્રહ છે કે વંદેમાતરમ્ને જ રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવામાં આવે. આ તબક્કે ઉલ્લેખ કરવા જેવો છે કે ૧૮૮રમાં બંકિમ ચેટરજીલિખિત આનંદમઠનવલમાં પ્રકાશિત વંદેમાતરમ્ને ૧૯૦પમાં વારાણસીના કૉંગ્રેસના અધિવેશનમાં રાષ્ટ્રગીતતરીકે સ્વીકારવામાં આવ્યું અને સૌપ્રથમ રવીન્દ્રનાથ ઠાકુરે જ ૧૮૯૬ના કોલકાતા અધિવેશનમાં ગાયું હતું! એ પહેલાં તેમણે બંકિમબાબુ સમક્ષ પણ એનું ગાન કર્યું હતું. વંદેમાતરમ્સામે મૂર્તિપૂજાના મુદ્દે પાછળથી મુસ્લિમોમાં વિરોધ ઊઠ્યો, પણ રવીન્દ્રનાથે ૧૮૯૬ના કૉંગ્રેસના જે અધિવેશનમાં એ ગાયું તેના અધ્યક્ષપદે એક ગુજરાતી મુસ્લિમ અગ્રણી નામે, રહીમતુલ્લાહ સાયાની હતા. ૧૯૦પના વારાણસીના કૉંગ્રેસના અધિવેશનમાં એને રાષ્ટ્રગીત તરીકે ગોપાળકૃષ્ણ ગોખલેના અધ્યક્ષપદે માન્યતા મળી અને એ વેળા મોહમ્મદઅલી ઝીણા પણ કૉંગ્રેસ કારોબારીમાં હતા. ૧૯૦૬માં મુસ્લિમ લીગની સ્થાપનાને એમણે દેશને તોડવાનો કારસો ગણાવવાનું પસંદ કર્યું હતું. એ જ ઝીણાએ મુસ્લિમ લીગનું નેતૃત્વ લીધું અને ૧૯૩પમાં વંદેમાતરમ્નો જોરદાર વિરોધ કરવા ઉપરાંત ૧૯૪૭ની ૧૪ઑગસ્ટે અલગ પાકિસ્તાન મેળવ્યું! ૧૯૩૮માં મુસ્લિમ લીગની ૧૧ માંગણીઓમાં વંદેમાતરમ્ને રાષ્ટ્રગીત તરીકે પડતું મૂકવાનો આગ્રહ પણ હતો. એ વેળા કૉંગ્રેસે એક સમિતિ નીમી, જેમાં મૌલાના અબુલ કલામ આઝાદ, જવાહરલાલ નેહરુ, સુભાષચંદ્ર બોઝ અને નરેન્દ્ર દેવ હતા. સમિતિએ રવીન્દ્રનાથની સલાહ લઈને એક રાષ્ટ્રીયગાન (નૅશનલઍન્થમ) નક્કી કરવાનું હતું. સમિતિનો ઠરાવ નેહરુનો હતો. વંદેમાતરમ્ને રાષ્ટ્રગીત તરીકે તેની પ્રથમ બે કડી સ્વરૂપે સ્વીકારવામાં આવ્યું. આ બધા જ તબક્કે કૉંગ્રેસમાંના મુસ્લિમ નેતાઓને પણ એ માન્ય હતું.

બંકિમબાબુ તો બ્રિટિશ નોકર

૧૮૮રમાં બ્રિટિશ સરકારના વરિષ્ઠ અધિકારી બંકિમચંદ્ર ચેટરજી-ચટોપાધ્યાયની નવલકથા આનંદમઠસૌપ્રથમ પ્રકાશિત થઈ હતી. જોકે વંદેમાતરમ્ગીત તેમના પરિવારના સામાયિક બંગદર્શનમાં ૧૮૮૦માં પ્રગટ થયું હતું. તેમાં આનંદમઠ હપ્તાવાર પ્રગટ થઈ હતી. બંગભંગવિરોધી આંદોલન(૧૯૦પ) વખતે વંદેમાતરમ્પ્રત્યેક બંગાળી ગાવા માંડ્યો. અહીં હિંદુ-મુસ્લિમનો ભેદ નહોતો. બંકિમબાબુએ પોતાની બ્રિટિશ નોકરી બચાવવા માટે આનંદમઠમાં અનેકવાર ફેરફાર કર્યા અને સૌપ્રથમ આવૃત્તિમાં બ્રિટિશઅને અંગ્રેજશબ્દહતા. એ રાજદ્રોહની કાર્યવાહી ખાળવા માટે પાંચમી આવૃત્તિ સુધીમાં મુસલમાન’ ‘યવન’ ‘વિધર્મી  થતા રહ્યા. નવલકથાનો મુખ્ય સ્વર અંગ્રેજ શાસકો વિરુદ્ધનો રહ્યા છતાં રાષ્ટ્રદ્રોહના ખટલાથી બચવા બંકિમબાબુએ એને મુસ્લિમ વિરુદ્ધનો ઓપ  આપવાનો પ્રયાસ કરવો પડ્યો. એના જ પરિણામે આનંદમઠનવલે મુસ્લિમસમાજનો વિરોધ વહોરવો પડ્યો. સંઘ પરિવારને મુસ્લિમવિરોધ માફક આવવો સ્વાભાવિક છે. 

અધિનાયકએટલે કોણ ?

કલ્યાણસિંહ રાજ્યપાલ જેવા અગાઉ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને  રાજસ્થાનના રાજ્યપાલ જેવા બંધારણીય હોદ્દે બિરાજતા હતા છતાં રાષ્ટ્રગીત અંગેના વિવાદથી પર રહી શક્યા નહોતા. ભારતીય રાષ્ટ્રગીતમાં અધિનાયકશબ્દપ્રયોગ અંગ્રેજશાસક એટલેકે સમ્રાટ જયોર્જ પંચમ માટે વપરાયો હોવાથી એને દૂર કરીને એને સ્થાને મંગલશબ્દ મૂકવાનું કલ્યાણસિંહે સૂચવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂંઝવણ વધારવા જેવું પૂર્વ રાજ્યપાલ કલ્યાણસિંહે કર્યું. ઓછામાં પૂરું કલ્યાણસિંહની જેમજ પશ્વિમ બંગાળના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના સ્વયંસેવક અને ત્રિપુરાના રાજ્યપાલ રહેલા તથાગત રૉયે પણ રાષ્ટ્રગીતના વિવાદમાં સામેલ થઈને કર્યું. જોકે પશ્વિમ બંગાળ ભાજપના અધ્યક્ષ રહેલા તથાગત રૉયના મતે, ‘દેશના રાષ્ટ્રગીત તરીકે સ્વીકૃતિ પામેલા જનગણમનમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી.બંગાળમાં રવીન્દ્રનાથ આરાધ્યદેવ  લેખાય છે. સંઘ પરિવારમાં એવી માન્યતા પ્રવર્તે છે કે રવીન્દ્રનાથ ઠાકુર અંગ્રેજ સમ્રાટની ભારતમુલાકાત વખતે એમની પ્રશસ્તિ માટે રચેલું ગીત સ્વતંત્રભારતનું રાષ્ટ્રગીત થઈ શકે નહીં. એને બદલે વંદેમાતરમ્નામક બંકિમચંદ્ર ચેટરજીએ લખેલા ગીતને રાષ્ટ્રગીત તરીકે માન્યતા મળવી જોઈએ. જોકે રખે ભૂલાય કે બંકિમબાબુ તો અંગ્રેજ સરકારના નોકરિયાત હતા. એમની નવલકથાઆનંદમઠના પ્લોટ એકથી વધુ વખત બદલ્યા છે. રાષ્ટ્રગીતમાં અધિનાયકએ કોઈ અંગ્રેજ શાસક  નહીં, પરંતુ દેશની પ્રજાહોવાનું ત્રિપુરાના રાજ્યપાલ રહેલા તથાગત રૉયનું કથન વાસ્તવમાં સાચુંછે. રાષ્ટ્રગીતના ઇતિહાસનો અભ્યાસ કરવાથી અનેક તથ્યો ઉજાગર થાય છે. ઓછામાં પૂરું ડૉ.સુબ્રમણિયન સ્વામીએ સંઘ પરિવારના હિંદુત્વના ઍજન્ડાને અમલી બનાવવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિતશાહ હતા ત્યારે એમને પત્ર લખ્યો અને શાહે એનો ઉત્તર નહીં વાળ્યો એટલે સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આની ફરિયાદ કરી હતી.

અટલ-આડવાણીનો નોખો મત

સત્તામાં હોવું અને વિપક્ષે હોવું એ બે વચ્ચેની ભેદરેખા સંઘ પરિવારમાં ઉછરેલા રાજનેતાઓ ક્યારેક વિસારે પાડે છે. દેશના વડાપ્રધાનપદે સંઘના જ સ્વયંસેવક-પ્રચારક અટલબિહારી વાજપેયી હતા ત્યારે સંઘ પરિવારના સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વતી આવેદનપત્ર અપાયું હતું કે જનગણમનને રાષ્ટ્રગીત તરીકે દૂર કરવામાં આવે. છ વર્ષ વાજપેયીશાસન રહ્યું, પણ એ દિશામાં કોઈ નિર્ણય લેવાનું તેમને વાજબી લાગ્યું નહોતું. હવે મોદી જેવા અટલજી કરતાં વધુ આક્રમક સ્વયંસેવક ગણાતા સંઘ પરિવારના જ પ્રતિનિધિ ભારે બહુમતી સાથે શાસન કરી રહ્યા છે ત્યારે જનગણમન વિશે કાંઈ કાર્યવાહી કરવાને બદલે જૂનો વિવાદ આગળ ધપાવે એના કરતાં રાષ્ટ્રગીતને  બદલવાની ભૂમિકા સ્વીકારે અને સર્વસ્વીકૃત રાષ્ટ્રગીત અપનાવાય જરૂરી છે. અન્ય દેશોમાં બન્યું છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ. સંઘની શાખાઓમાં વંદેમાતરમ્ આખું ગવાય છે. ૧૯૯૯માં ઉત્તરપ્રદેશમાં ભાજપના નેતા કલ્યાણસિંહની સરકાર હતી. વંદેમાતરમ્ના શતાબ્દીવર્ષમાં જ શાળાઓમાં વંદેમાતરમ્ અને સરસ્વતીવંદનાનું ગાન ફરજિયાત કરાયા અંગે વિવાદ થયો હતો. કલ્યાણસિંહ સરકારના શિક્ષણપ્રધાન રવીન્દ્ર શુકલાએ એ વેળા નિવેદન કર્યું હતું કે માયાવતી બહુજન સમાજ પાર્ટી અને ભાજપની સંયુક્ત સરકારનાં મુખ્યમંત્રી હતાં ત્યારથી વંદેમાતરમ્ને રાજ્યની શાળાઓમાં ફરજિયાત બનાવવાનો આદેશ બહાર પડાયો હતો. તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયી અને એમની સરકારના ગૃહમંત્રી લાલકૃષ્ણ આડવાણીએ એ વેળા એવી ભૂમિકા લીધી હતી કે વંદેમાતરમ્ને શાળાઓમાં ગવડાવવાની ફરજ પાડી શકાય નહીં ! વાજપેયી સરકારના માહિતી અને પ્રસારણ પ્રધાન તરીકે મુખ્તાર અબ્બાસ નકવીએ વંદેમાતરમ્નો વિરોધ કરનારાઓને રાષ્ટ્રવિરોધી ગણાવ્યા હતા, પરંતુ કલ્યાણસિંહે પોતાના શિક્ષણપ્રધાન શુક્લાને ગડગડિયું આપ્યું એટલું જ નહીં, શાળાઓમાં વંદેમાતરમ્અને સરસ્વતીવંદનાગાવાનું ફરજિયાત કરતો સરકારી આદેશ રદ કર્યો હતો ! આઝાદી પછી બંધારણસભાએ રાષ્ટ્રગીત તરીકે જનગણમનને માન્યતા આપી અને વંદેમાતરમ્ને એની સમકક્ષ મૂક્યું, છતાં ગુજરાતની વડીઅદાલતે સૌપ્રથમ ચુકાદો આપ્યો કે રાષ્ટ્રગીત ગાવાની કોઈ નાગરિકને ફરજ પાડી શકાય નહીં. કેરળ હાઈકોર્ટે પણ આવો જ ચુકાદો આપ્યો અને છેવટે સુપ્રીમકોર્ટે પણ રાષ્ટ્રગીત ગાવાની કોઈ નાગરિકને ફરજ પાડી શકાય નહીં એવો ચુકાદો આપ્યા છતાં વિવાદ હજુ શમતો નથી.                                                                                                                                          

-મેઈલઃharidesai@gmail.com         (લખ્યાતારીખ: જૂન ૨૦૨૧)

 

No comments:

Post a Comment