પરાપૂર્વથી ન્યાયતંત્ર સાથે સરકારનો ટકરાવ
Sunday, 21 May 2023
Conflict between Judiciary and Executive
Sunday, 7 May 2023
BJP Changes Election Agenda to win
સરદાર પટેલના સ્વપ્નનું શીર્ષાસન • કારણ-રાજકારણ :ડૉ.હરિ દેસાઈ• ઉત્તર કર્ણાટકની માંગને બદલે ધાર્મિક મુદ્દા • નેતાઓને ઠેકાણે પાડવા રાજ્યોનાં વિભાજનો • અખંડ ભારત માત્ર સ્વપ્ન જ રહેવાની ચિંતા
Wednesday, 3 May 2023
Karnataka Election
કર્ણાટકમાં પ્રવાહ પલટાશે કે ભાજપ ગોઠવી લેશે એની કશ્મકશ • અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ • તમામ ચૂંટણી સર્વે બેંગલુરુમાં કોંગ્રેસને જ બહુમતી સાથે જીતાડે છે • ચિંતિત ગૃહમંત્રી શાહ અને વડાપ્રધાન મોદીના ડેરાતંબૂ તાણી ધામા • રાહુલ - પ્રિયંકાના ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસને મળતો ભવ્ય પ્રતિસાદ
Tuesday, 17 January 2023
Netaji Subhas Chandra Bose: Torchbearer of Communal Harmony
કોમી એખલાસના પ્રણેતા નેતાજી બોઝ • કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ • પશ્ચિમ બંગાળ જીતવાના વ્યૂહ • સુભાષચન્દ્રનું અનોખું વ્યક્તિત્વ• અસ્થિકુંભનો ડીએનએ ટેસ્ટ નહીં
Wednesday, 2 November 2022
Dramatic Entry of UCC during the Gujarat Election Campaign
ચૂંટણી ટાણે જ સમાન નાગરિક સંહિતાનું વહેતું કરાતું ગતકડું
અતીતથી આજ :ડૉ.હરિ દેસાઈ
·
દાયકાઓથી હિંદુ મતબેંક અંકે કરવા વગાડાતી ડીમડીમ છતાં કોઈ મુસદ્દો ઘડાયો
નથી
·
૧૯૪૮માં બંધારણસભામાં સર્વાનુંમત નહીં સધાતાં રાજ્ય નીતિના માર્ગદર્શક
સિદ્ધાંતમાં
·
ગુજરાત પહેલાં ઉત્તરાખંડમાં પણ ચૂંટણી પૂર્વે સમાન કૌટુંબિક ધારા માટે
સમિતિ રચાઈ’તી
Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj”
for Sardar Gurjari (Anand) and Gujarat Guardian (Surat).
ગુજરાત સરકાર વિધાનસભાની આ વખતની
ચૂંટણીમાં ભીંસમાં જોવા મળે છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથેના ત્રિકોણિયા
જંગમાં સત્તારૂઢ પક્ષ ભારતીય જનતા પક્ષ (ભાજપ) રાજ્યમાં સમાન નાગરિક સંહિતા
(યુનિફોર્મ સિવિલ કોડ) લાગુ કરવા માટે સમિતિ રચવાનો નિર્ણય કરીને “સબ કા સાથ, સબ કા વિકાસ તથા સબ કા વિશ્વાસ”ની વાત
કરનાર ડબલ એન્જિનની સરકારે અંતે તો હિંદુ વોટ બેંક મજબૂત કરવા મુસ્લિમોને કઠે કે
ઉશ્કેરે એવો નિર્ણય કરવો પડ્યો છે. જોકે આ વખતે ઝાઝા મુદ્દા ક્લિક થતા નથી.કોઈપણ
ભોગે ફરી સત્તામાં આવવું પડે તેમ હોવા છતાં ચૂંટણી પરિણામો કેવાં હશે એ કહેવું
મુશ્કેલ છે. ગત ચૂંટણીમાં ૧૮૨ બેઠકોમાંથી ૧૫૦ પ્લસ બેઠકોના દાવા સામે માત્ર ૯૯
બેઠકો મળી હતી. આ વખતે દાવા તો ૧૮૨માંથી ૧૮૨ બેઠકો જીતવાના થયા હતા, પણ શાહે ૧૨૫થી ૧૩૫ બેઠકો મળવાનો દાવો
કરીને અગાઉના દાવાના ફુગ્ગાને ફોડી નાંખ્યો છે. પક્ષાંતર કરાવીને પોતાનું સંખ્યાબળ
વધારવામાં સારા સંકેત જતા નથી. આગામી
લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ ફરી જીતવા કૃતસંકલ્પ હોય ત્યારે વડાપ્રધાન
નરેન્દ્ર મોદી અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહનું ગુજરાત ગુમાવવું કે ઓછી બેઠકો
મળે એવા સંજોગો જોખમી છે. અગાઉ ઉત્તરાખંડમાં પણ સમાન નાગરિક સંહિતાના અમલ માટે
ચૂંટણી પહેલાં જ સમિતિ રચવામાં આવી હતી, પણ હજુ મહિનાઓ પછી પણ એનો અહેવાલ આવ્યો નથી. વળી, આ મુદ્દો તો છેક દાયકાઓથી ચલાવાતો રહ્યો
છે. કેન્દ્રમાં આઠ વર્ષથી અને રાજ્યમાં ૨૭ વર્ષથી ભાજપની સરકારો રહ્યા પછી હવે એ
મુદ્દાનું સ્મરણ થાય એ મતદારોને ઝાઝા પ્રભાવિત કરી શકે તેમ નથી. ઓછામાં પૂરું, ભલે મૈત્રીપૂર્ણ લડત કે ગાંધીનગર
મહાપાલિકા પેટર્ન પર મદદ માટે પણ આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી હોય; પણ એના થકી મતદારોમાં નવજાગૃતિ આવેલી અવશ્ય
જણાય છે. સત્તાધીશોની જાહેરસભાઓમાં પાંખી હાજરી પણ એમના માટે સવિશેષ ચિંતાનું કારણ
બન્યું છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારને સત્તા
બંધારણસભામાં ૨૩ નવેમ્બર, ૧૯૪૮ની ચર્ચામાં સમાન નાગરિક સંહિતા અંગે
મુસ્લિમ સભ્યોના સખત વિરોધ અને ડૉ.બી.આર. આંબેડકર અને ક.મા.મુનશી જેવા સભ્યોએ
મુસ્લિમ દેશોમાં પણ સમાન કૌટુંબિક કાયદા
અમલમાં હોવાનાં ઉદાહરણ આપ્યા છતાં
સર્વાનુમત સધાયો નહોતો. એટલે બંધારણમાં
અનુચ્છેદ ૪૪ તરીકે “ભારતમાં સમગ્ર રાજ્યક્ષેત્રમાં નાગરિકોને સમાન કૌટુંબિક કાયદો
પ્રાપ્ત કરવા રાજ્યે (State) પ્રયત્નો કરવા
જોઈએ (shall).”નો સમાવેશ કરાયો હતો. મુનશીએ તો મુસ્લિમ
બહુમતીવાળા ઈજિપ્ત અને તુર્કી સહિતના
દેશોમાં સમાન નાગરિક ધારાના અમલ તેમ જ યુરોપીય દેશોમાં પણ એવું જ હોવાની વાત મૂકી
હતી. ડૉ.આંબેડકરે ૧૯૩૭ સુધી ભારતમાં પણ
મુસ્લિમો હિંદુ કાયદા હેઠળ આવતા હતા. સર્વોચ્ચ અદાલતે વારંવાર સમાન નાગરિક
સંહિતાનો અમલ કરવાનું સૂચવ્યું છે પરંતુ એ કાયદો સંસદના માધ્યમથી કેન્દ્ર સરકાર જ
ઘડી શકે એવી ભૂમિકા સ્પષ્ટ કરાઈ છે. કૌટુંબિક કાયદાઓ માટે એટલે કે લગ્ન, છૂટાછેડા અને વારસાઈ જેવા મુદ્દે રાજ્ય
સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને એ માટેનો અધિકાર બંધારણે આપ્યો છે. મુસ્લિમોની
ખફગી વહોરવી ના પડે એટલા માટે એકસાથે આવા સમાન નાગરિક કાયદાનો અમલ તમામ સરકારો
ટાળતી રહી છે. ટ્રિપલ તલાકના મુદ્દે મોદી સરકારે કાયદો કર્યો પરંતુ એ માટે સુપ્રીમ
કોર્ટના ચુકાદાનો આધાર લેવામાં આવ્યો હતો. સમાન નાગરિક સંહિતા સંદર્ભે મોદી સરકારે
સુપ્રીમમાં જે સોગંદનામું કર્યું છે તેમાં કેન્દ્ર સંસદને આવો કાયદો બનાવવા માટે
નિર્દેશ આપી ના શકે એવું જણાવીને હાથ ઊંચા કરી દીધા છે. વળી, મોદી સરકારે જ નિયુક્ત કરેલા લો કમિશનને
૨૦૧૬માં સમાન નાગરિક સંહિતા અંગે મત આપવા માટે કામગીરી સોંપી હતી. કમિશનને ૭૫,૦૦૦ પ્રતિભાવો મળ્યા અને બે વર્ષમાં એના
અભ્યાસ પછી લો કમિશને ૨૦૧૮માં જે ૧૮૫ પાનાંનો અહેવાલ આપ્યો તેમાં બહુ જ સ્પષ્ટ
જણાવ્યું છે કે આવો કાયદો અત્યારના સંજોગોમાં જરૂરી પણ નથી અને ઇચ્છનીય પણ
નથી.”કેન્દ્ર સરકાર પોતે કોઈ નિર્ણય કરવાની જવાબદારીમાંથી છટકે છે, પણ મુદ્દો જીવતો રાખીને માત્ર
ચૂંટણીલક્ષી ગતકડાં કરવાનું ચાલુ રાખે છે. હકીકતમાં આવો કાયદો ઘડવા માટે તમામ
સંબંધિતો સાથે ચર્ચાવિચારણા કરીને સર્વાનુમત કેળવવો અનિવાર્ય બને છે; અન્યથા સમાજમાં નવાં વિભાજનો સર્જાઈ શકે
છે.
હિંદુ સંપ્રદાયોનોય વિરોધ
ગોવામાં પોર્ટુગીઝ સમયથી સમાન નાગરિક
સંહિતાનો અમલ છે એવું નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ શરદ અરવિંદ બોબડેએ કહ્યું ત્યારે
બંધારણ નિષ્ણાત કુલપતિ ફૈઝાન મુસ્તફાએ એ વાત બરાબર નહીં હોવાનું તર્કબદ્ધ રીતે
દર્શાવ્યું હતું. હા, ગોવાના કોંગ્રેસી
નેતા અને કેન્દ્રના કાયદા પ્રધાન રહેલા રમાકાંત ખલાપે દેશભરમાં સમાન નાગરિક
સંહિતાના અમલની તરફેણ કરી છે, પરંતુ એ દિશામાં
ખૂબ ગંભીરતાથી પ્રયાસો હાથ ધરવાની જરૂર દર્શાવી છે. મુનશીએ બંધારણ સભામાં સમાન નાગરિક સંહિતાની
તરફેણ કરવાની સાથે માત્ર મુસ્લિમો જ નહીં, પણ હિંદુઓના વિવિધ સંપ્રદાયો પણ
એનો વિરોધ કરે એ વાત મૂકી હતી. વળી, ભારતમાં હિંદુ ઉપરાંત શીખ, જૈન અને પારસી પણ હિંદુ કાયદા
હેઠળ આવે છે. કેરળ અને બંગાળના હિંદુ જીવન પદ્ધતિ અને પરંપરાઓ સમાન કાયદાને
સ્વીકારશે કે કેમ એ પ્રશ્ન તો ઊભો જ છે. રામકૃષ્ણ મિશને સુપ્રીમ કોર્ટમાં પોતે
હિંદુ નથી એવું સોગંદનામું કર્યું હત્ય અને એ૩ જ રીતે લિંગાયત અલગ ધર્મ છે એ વાત
પણ કહેવામાં આવે છે. આવા સંજોગોમાં ફોજદારી ધારા કે સંહિતા હેઠળ તમામ નાગરિકો માટે
સમાન જોગવાઈઓ અમલી બનાવી શકાય છે તેમ બધાને માટે સમાન કૌટુંબિક ધારાનો અમલ કાયદો કરીને કરાવી દેવાનું
એટલું સરળ નથી. હકીકતમાં ચૂંટણી પૂર્વેનાં સમાન નાગરિક સંહિતા અંગે સમિતિ રચવા કે
જાહેરાતો કરવાની બાબતને ગંભીરતાથી લેવાની જરૂર નથી.વચ્ચે ભાજપી સાંસદ સુશીલકુમાર
મોદીના વડપણ હેઠળની એક સમિતિએ ગોવાની મુલાકાત લઈને સમાન નાગરિક સંહિતા વિષયક
અભ્યાસ કર્યો,પણ એ પછી એની પ્રગતિ બાબત કોઈ માહિતી નથી.
એ દિશામાં આગળ વધવા માટે ગંભીર પ્રયાસો હાથ ધરીને તમામ સંબધિતો (સ્ટેકહોલ્ડર્સ)ને
વિશ્વાસમાં લઈને જ સર્વાનુમત સાધવા આગળ વધવું હિતકર લેખાશે.
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ:૩૧ ઓક્ટોબર,૨૦૨૨)
Wednesday, 28 September 2022
The Indian Constitution and Secularism
લોકનિકેતનમાં દ્વિદિવસીય બંધારણ શિબિરમાં જનજાગૃતિચિંતન
અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ
·
પ્રા. અશ્વિન કારીઆ અને ગિરીશ સુંઢિયાનું અંધશ્રદ્ધાનિવારણ અભિયાનની
આગેકૂચ
·
બંધારણઘડતરથી લઈને વર્તમાન સુધીના ખટમીઠા ઘટનાક્રમનું મોકળામને મંથન
·
જસ્ટિસ કારીઆ અને સાંસદ ડૉ.અમી યાજ્ઞિકની હાજરીમાં સ્તક ત્રિવેણીનું
લોકાર્પણ
Dr.Hari
Desai writes weekly column “Ateetthee Aaj” for Sardar Gurjari (Anand) and
Gujarat Guardian (Surat).
હમણાં ૨૪-૨૫ સપ્ટેમ્બર,૨૦૨૨ દરમિયાન પાલણપુર પાસેના રતનપુરની લોકનિકેતન સંસ્થાના સંકુલમાં ૭૭ વર્ષીય ગુરુનામ ગુરુ પ્રાચાર્ય અશ્વિન કારીઆની પ્રેરણા થકી દ્વિદિવસીય બંધારણ શિબિરમાં બંધારણ, અદાલતો, ચુકાદાઓ અને લોકતંત્રની વર્તમાન સ્થિતિ તેમ જ ભારતના નાગરિકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કઈ રીતે સ્વીકાર્ય બને, એનું અમૂલ્ય મંથનમાં ભાર વિનાનું ભાથું મળ્યું. માનવમૂલ્યો અને સચ્ચાઈની જીવંત સંસ્થા લોકનિકેતનમાં કુદરતી વાતાવરણને ખોળે કિરણભાઈ અને ચૌલાબહેનનું સહજ યજમાનપદ અને આતિથ્ય સમગ્ર ગુજરાતના શિબિરાર્થીઓએ માણ્યું.વિવિધ વિષયો અંગેનાં સત્રો અને પ્રશ્નોત્તરીમાં યુવા પેઢી અને વડીલોએ એકસાથે વિશાળ સંખ્યામાં ઉત્સુકતાથી સહભાગી થવાનું પસંદ કર્યું. બંધારણ અને ન્યાયતંત્ર વિષયક ચર્ચા માત્ર સભાખંડમાં જ સીમિત નહોતી, પરંતુ ભોજન વિરામ પછી પણ સંકુલમાં વિવિધ જૂથો વચ્ચે પણ ચર્ચાઓ ચાલતી રહી. નિષ્ણાતો દ્વારા બંધારણ અને ન્યાયતંત્ર વિષયક ચર્ચા સાથે જ ત્રણ પુસ્તકોનું લોકાર્પણ પણ આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના આ વર્ષે જ નિવૃત્ત થયેલા જસ્ટિસ બિપીનકુમાર એન.કારીઆ અને રાજ્યસભા સાંસદ તથા ધારાશાસ્ત્રી ડૉ.અમીબહેન યાજ્ઞિકની ઉપસ્થિતિમાં થયું. એ પુસ્તકત્રિવેણીમાં પ્રિ.અશ્વિન ન. કારીઆના “બંધારણીય અને સંસદીય શબ્દકોશ”, તથા “ધર્મનિરપેક્ષતા (યાને બિનસાંપ્રદાયિકતા)શું છે?” અને હિદાયતખાન પરમારના “સાયબર ક્રાઈમ માર્ગદર્શિકા”નો સમાવેશ હતો. બંધારણ શિબિરો અને અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમો વધુને વધુ યોંજાવા જોઈએ અને સામાન્ય પ્રજામાં એ સંદર્ભે જાગૃતિ આવે એ આવકાર્ય ગણાય. ગોધરા અને પાલણપુરની લો કોલેજના વર્ષો સુધી આચાર્ય રહેલા પ્રા. કારીઆ અને ગિરીશ સુંઢિયાના નેતૃત્વમાં આ દિશામાં ચલાવાતાં અભિયાનને વેગ મળે એવી અપેક્ષા ઉપસ્થિતોએ વ્યક્ત કરી હતી. શિબિરમાં સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી ડૉ.એમ.આર.ગોસાઈ, હાઇકોર્ટના ધારાશાસ્ત્રી હર્ષ રાવલ, વરિષ્ઠ પત્રકાર ડૉ.હરિ દેસાઈ, નિવૃત્ત સનદી અધિકારી ડંકેશ ઓઝા, કર્મશીલ મનીષી જાની વગેરે વક્તાઓ ઉપસ્થિત હતા.
સેક્યુલર -ધર્મનિરપેક્ષની સમજણ
પ્રિ.કારીઆએ પોતાની નવપ્રકાશિત પુસ્તિકામાં ભારત પ્રજાસત્તાક બન્યું ત્યારથી સેક્યુલર હોવાની વિશાળ છણાવટ કરી છે. એના અંશો અહીં મૂકવા જેવા છે: “બંધારણીય સુધારા પૂર્વે શું ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય હતું? બંધારણના ૪૨મા સુધારાથી આમુખમાં ‘ધર્મનિરપેક્ષ’, ‘સમાજવાદ, તેમજ 'અખંડિતતા' એમ ત્રણ શબ્દો ઉમેરવામાં આવ્યા છે. આથી કેટલાક વિચારકોનું માનવું છે કે ૧૯૭૬માં થયેલા આ બંધારણીય સુધારા બાદ જ ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય બન્યું છે. વાસ્તવમાં આ માન્યતા ભૂલભરેલી છે. તેનું કારણ એ છે કે બંધારણ સભામાં બંધારણ ઘડતર સમયે ભારત પાકિસ્તાન વિભાજનના કારણે કોમી હૂતાશનની આગ ખાસ કરીને સરહદી વિસ્તારોમાં ફેલાયેલી હતી. લાખો નિર્દોષ નાગરિકોની કતલ થઇ, તેને અનુલક્ષીને બંધારણ સભામાં પણ કેટલાક સભ્યોએ ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની માગણી ઉઠાવેલ હતી, પરંતુ તેનો સ્વીકાર થયો ન હતો. કારણ કે કોઇ પણ અથવા દરેક બંધારણમાં નાગરિકો વચ્ચે પક્ષાપક્ષીનો નકાર અને સમાનતાનો સ્વીકાર તેના પાયામાં હોય છે. આ ૪૨મા સુધારા અગાઉ ભારતનું બંધારણ ધર્મ નિરપેક્ષતાને વરેલું જ છે.કારણ કે આ શબ્દ ઉમેરાયા અગાઉ બંધારણના વિવિધ અનુચ્છેદોમાં ધર્મનિરપેક્ષ નીતિ પ્રગટ થયેલી છે.જેમકે (A) અનુચ્છેદ-૧૪ માં રાજ્ય તરફથી વ્યક્તિને સમાનતાનો (equality)નો અધિકાર અપાયેલ છે. એટલે કે ભારતની નિવાસી દરેક વ્યક્તિને ધર્મના કોઇપણ જાતના ભેદભાવ વિના કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણની બાંયધરી અપાયેલ છે. (B) અનુચ્છેદ-૧૫ અને ૧૬માં ધર્મ, જાતિ, વર્ણ, લિંગ કે જન્મસ્થાન પર ભેદભાવ કરવા સામે મનાઈ ફરમાવવામાં આવેલ છે. (C) અનુચ્છેદ-૧૯ (૧)(A) હેઠળ દરેક નાગરિકને ધર્મના ભેદભાવ વિના વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર અપાયેલ છે. (D) અનુચ્છેદ-૨૫ થી ૨૮માં દરેક વ્યક્તિને ધર્મસ્વાતંત્ર્ય અધિકાર, તેમજ ધાર્મિક સંસ્થાનોના વહીવટનો મૂળભૂત અધિકાર અપાયેલ છે. (E) અનુચ્છેદ-૪૪ થી સમાન નાગરિક સંહિતા (uniform civil code) પડવાની રાજ્યની ફરજ નિયત કરવામાં આવેલ છે. (F) ભારતના બંધારણમાં ધારાસભ્ય, મુખ્ય પ્રધાન સહિત દરેક પ્રધાન, વડી અદાલત, તેમજ સર્વોચ્ચ અદાલતના દરેક ન્યાયમૂર્તિ, દરેક કેન્દ્રિય પ્રધાન, તેમજ રાષ્ટ્રપતિએ, પોતાનો હોદ્દો ગ્રહણ કરતાં અગાઉ બંધારણ તરફ વફાદારીના શપથ લેવાના હોય છે. શપથ ઇશ્વરના સોગંદ લઇને અથવા ઇશ્વરમાં માનતા ન હોય તેમણે સત્યપ્રતિજ્ઞા અનુસાર હોદ્દાના શપથ લેવાના હોય છે. આ વિકલ્પનો અર્થ એ થાય છે કે ભારત ૪૨મા બંધારણીય સુધારા અગાઉ પણ ધર્મનિરપેક્ષ રાજ્ય હતું, (G) ‘લોકપ્રતિનિધિત્વ ધારો', (Representative of People Act.) ૧૯૫૧. કલમ-૧૨૩ જણાવે છે કે ચૂંટણીમાં કોઇપણ ઉમેદવાર ધર્મના નામે મત માંગી શકો નહીં. પ્રચાર કરી શકશે નહીં. જો કોઇપણ ઉમેદવાર તેમ કરતાં પકડાય તો ચૂંટાયેલા ધારાસભ્યને પણ ગેરલાયક ઠરાવવાની આ કાયદામાં જોગવાઇ કરવામાં આવી છે, આમ ૪૨ મા બંધારણીય સુધારા અગાઉ ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય ન હોવાની દલીલ આધારભૂત નથી.”
ધર્મ, ધર્મ રાજ્ય અને ધર્મ નિરપેક્ષતા
“ધર્મની સેંકડો પરિભાષાઓ અપાયેલ છે. આપણે એ જાણવું જોઇએ કે ભારતના બંધારણમાં ‘ધર્મનિરપેક્ષતા’ શબ્દમાં ‘ધર્મ' કયા અર્થમાં પ્રયોજવામાં આવેલ છે. આપણે ધર્મની અનેક પરિભાષાઓમાં ઉત્તરવાને બદલે તેના સૌથી લોકપ્રિય ચાર અર્થો વિશે જાણીએ. ૧.સ્વભાવ ૨.કર્તવ્ય – કરજ ૩. મઝહબ, ૫૫ ૪. આધ્યાત્મિક સાધના.એના પ્રથમ અર્થમાં ધર્મ એટલે સ્વભાવ. જેમકે અગ્નિનો સ્વભાવ બાળવાનો છે. પાણીનો સ્વભાવ તરસ છીપાવવાનો છે. આ પદાર્થના ગુણધર્મની વાત થઇ.બંધારણને આ અર્થ સાથે કોઇ નિસ્બત નથી. તેના બીજા અર્થમાં ધર્મ એટલે માનવીનું કર્તવ્ય અથવા ફરજ. જેમ કે, પિતાની કુટુંબનું ભરણપોષણ કરવાની ફરજ છે. દરેક કર્મચારીની નિષ્ઠપૂર્વક કામ કરવાની ફરજ છે. શિક્ષકની ફરજ ભણાવવાની છે. ડ્રાઇવરની ફરજ સલામતીપૂર્વક વાહન ચલાવવાની છે. આ અર્થમાં પણ ‘ધર્મ’ શબ્દ બંધારણમાં પ્રયોજાયેલ નથી. તેના ત્રીજા અર્થમાં ધર્મ એટલે પંથ અથવા મઝહબ. ભારતમાં મુખ્ય ચાર ધર્મો ઉપરાંત શિવ ધર્મ, સ્વામીનારાયણ ધર્મ, અખાડાપંથ, નિરંકારી પંથ, એવા અનેક પંધો અસ્તિત્વ ધરાવે છે. ભારતનું બંધારણ આ અર્થમાં ધર્મનિરપેક્ષ રાજ્ય છે. રાજ્ય કોઇપણ મઝહબ કે પંથની તરફેણ કરી શકે નહીં, કોઇ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં, અને તેથી ભારતના બંધારણ અનુચ્છેદ-૨૫થી દરેક વ્યક્તિને ધર્મસ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર અપાયો છે. આ ધર્મસ્વાતંત્ર્ય અધિકારમાં પોતાની પસંદગીનો ‘ધર્મ’ પાળવા કે ન પાળવાનો ધર્મનો પ્રસાર, કરવાનો વગેરેનો પણ સમાવેશ થાય છે. ભારતમાં સ્વામી વિવેકાનંદ, જે. કૃષ્ણમૂર્તિ, મહર્ષિ અરવિંદ તેમજ એની બેસન્ટ જેવા વિદ્વાનો ધર્મને ઊંચાઇ પર લઇ ગયા. તેઓ કોઈ પરંપરાગત ધર્મમાં માનવાના બદલે આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં લાગેલા હતા. ભારતીય બંધારણમાં ‘ધર્મનિરપેક્ષતા' શબ્દમાં 'ધર્મ' આ અર્થમાં પ્રયોજાયેલ નથી. આમ, આપણે ધર્મનિરપેક્ષતા' શબ્દમાં ધર્મ કયા અર્થમાં બંધારણમાં પ્રયોજાયેલ છે તે બાબતે સ્પષ્ટ થયા”.
બંધારણના મૂળભૂત માળખાનો ભાગ
“૧૯૬૦ના દાયકામાં મૂળભૂત અધિકારોમાં સુધારો કરવાની સંસદને સત્તા છે કે કેમ તે બાબતે વિવાદ થયો હતો. ગોલકનાથ કૈસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ કે સંસદને મૂળભૂત અધિકારોમાં સુધારો કરવાની સત્તા નથી. પાછળથી કેશવાનંદ ભારતીના કેસમાં સર્વોચ્ચ અદાલતે ગોલકનાથ કેસનો નિર્ણય ઉલટાવી નાખ્યો હતો અને ઠરાવેલ કે સંસદ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે, ઘટાડો ન કરી શકે. વધુમાં સર્વોચ્ચ અદાલતે આ કેસમાં ‘‘મૂળભૂત માળખા''નો સિદ્ધાંત (Doctrine of Basic Structure) સ્થાપિત કરીને ઠરાવેલ કે સંસદ મૂળભૂત માળખામાં તો ક્યારેય ફેરફાર કરી શકે નહીં. આ કેસમાં મૂળભૂત માળખાની વ્યાખ્યા આપવામાં આવી નથી. પરંતુ કેટલાંક તત્વો (elements)ને સર્વોચ્ચ અદાલતે મૂળભૂત માળખાં તરીકે ઠરાવે છે. આ તત્વોમાં લોકશાહી, પ્રજાસત્તાક, કાયદાનું શાસન, પ્રજાસત્તાક સાથે ધર્મનિરપેક્ષતાને પણ મૂળભૂત માળખાને આવશ્યક તત્વ ગણેલ છે. આમ, સર્વોચ્ચ અદાલતના આ નિર્ણય પ્રમાણે ધર્મનિરપેક્ષ મૂળભૂત માળખાનું અગત્યનું તત્વ હોવાથી તેમાં ફેરફાર થઇ શકે નહીં.”
ધર્મનિરપેક્ષતા માનવવાદનો ભાગ
“માનવવાદી વિચારસરણી કદાચ ઘણા માટે નવી વિચારસરણી લાગતી હશે, પરંતુ આ વિચારસરણીનાં મૂળ ઘણાં ઊંડા છે. તેના પાયાના સિદ્ધાંતો એ છે કે માનવવાદ કોઇ દેવી કે ઇશ્વરી તત્વના અસ્તિત્વનો ઇન્કાર કરે છે. કોઇ પણ ધર્મ અને તેના ઉપદેશોની મદદ સિવાય મનુષ્ય નૈતિક, પ્રમાણિક અને સદાચારવાળું જીવન જીવી શકે છે, તેવો દૃઢ વિશ્વાસ ધરાવે છે. આવા વિચારો માનવજાત પાસે હજારો વર્ષોથી છે, પરંતુ તેને માનવવાદ તરીકે વીસમી સદીથી ઓળખવાનું શરૂ થયું. જેમ માનવ સમાજનાં માનવીઓ ઇશ્વર અને દેવી પરિબળોમાં વિશ્વાસ ધરાવેછે તેમ તેમની સાથે જ તે જ સમય અને કાળમાં એવાં મનુષ્યો હતા કે જેઓ ઇશ્વરના અસ્તિત્વ અંગે સંશયવાદી હતા, તેમજ ઇશ્વરી તત્વોના અસ્તિત્વ અંગે વિશ્વાસ ધરાવતા ન હતા. તેઓ આ વિશ્વમાં બનતી ઘટનાઓને કુદરતી નિયમોને આધીન ગણતા હતા. તે રીતે ઘટનાઓનું અર્થઘટન કરી સમજાવતા હતા. ધર્મનિરપેક્ષ વ્યક્તિ માનવીયવ્યવહારોને આધારે માનવ જીવન સારું અને સમૃદ્ધ બની શકે છે. સમગ્ર માનવ ઇતિહાસમાં એવા અસંખ્ય દાખલાઓ છે કે જેમને ઇશ્વરના અસ્તિત્વ અને સત્તાને પડકારતા માનવ મરજીવાઓને ધર્મના ટેકેદારો અને ટેકેદારોએ ખૂબ જ ત્રાસ આપ્યો છે, ફેલાવો અને પડકાર, રંજાડ્યા છે અને મારી નાખ્યા છે, કારણ કે સંશયવાદી અને માનવવાદી વિચારોનો ધાર્મિક, રૂઢિચુસ્તોના સીધા અસ્તિત્વ સાથે સંલગ્ન હતો. આવા લોકોનો ત્રાસ અને
સમાજ ઉપર તેમની પકડ એટલી બધી હતી કે, માનવવાદીઓ ખુલ્લામાં, જાહેરમા પોતાની વાત રજૂ કરતા ડરતા, ફક્ત ખાનગીમાં અંગત કે વ્યક્તિગત પ્રચાર કરતા. આવો સતત જીવનો ભય હોવા છતાં, છેલ્લા પાંચ હજાર વર્ષથી આ વિચારોને ૨૧મી સદી સુધી , માનવોએ ટકાવી રાખ્યા છે.ભારત, ચીન,ગ્રીસ,રોમ તથા મુસ્લિમ દેશોમાં આ વિચારો અસ્તિત્વમાં આવ્યા હતા.તેમજ તેમનો સંગ્રહ થયો હતો. “
ધર્મનિરપેક્ષતા એટલે સર્વધર્મસમભાવ ?
“કેટલાક વિચારકો ધર્મનિરપેક્ષતાનો અર્થ સર્વધર્મ સમભાવ કરે છે. ગાંધીજી સર્વધર્મ પ્રાર્થના કરાવતા હતા. ખાસ કરીને આ બાબતમાં વિનોબાજીના વિચારો જાણીએ. વિનોબા કહે છે. ‘સેક્યુલર' શબ્દ વિશે સ્પષ્ટ સમજ કેળવી લેવાની જરૂર છે. ‘સેક્યુલર’નો અર્થ ધર્મવિહીન એવો તો હોઇ જ ન શકે. તેને ધર્માતીત પણ ન કહી શકાય. ધર્મની બહારનું અથવા ધર્મ સાથે જેને કોઇ સંબંધ નથી, એવું પણ ન કહી શકાય, કેમ કે ધર્મનાં જે અનેક લક્ષણો છે તેના વિના ન તો સમાજનું ધારણ-પોષણ થઈ શકે, ન વ્યક્તિના જીવનની ઉન્નતિ થઇ શકે, 'સેક્યુલર સ્ટેટ' એટલે શું? એના રાજ્યમાં કોઇ ધર્મ જ નહીં હોય? મારું એમ માનવું છે કે ઘણી બધી ગેરસમજો ઊભી થાય છે અને વળી આ કિસ્સમાં તો એક વિદેશી શબ્દને કારણે વધારે ગેરસમજ થઇ છે. આપણે ત્યાં અમુક લોકોનું બધું ચિંતન અંગ્રેજીમાં જ ચાલે છે, તેને આપણી ધરતી સાથે સંબંધ નથી હોતો. પછી તેનો તરજુમો કરવો પડે છે. અને કોઇપણ ભાષાનોતરજુમો બીજી ભાષામાં એકદમ બરાબર થઇ શકતો નથી. એટલે વિદેશી શબ્દ યથાર્થ ભાવ વહન કરી શકતો નથી. આપણી ભૂમિનાં સંતાનોને સમજાવવા માટે આપણી ભૂમિનો જ શબ્દ જોઇએ. કોઈ રાજ્ય જો પોતાને ‘સેક્યુલર’ જાહેર કરશે તો એ રાજ્ય ધર્મ-નિરપેક્ષ રાજ્ય હશે. પરંતુ ‘ધર્મનિરપેક્ષ' એટલે ‘ધર્મહીન’ નહી, માત્ર બિનસાંપ્રદાયિક એટલું જ. એટલે કે તે રાજ્ય કોઇપણ વિશેષ સંપ્રદાય સાથે જોડાયેલું નથી. ધર્મનિરપેક્ષ રાજ્યપણ ખરું જોતાં સમાજનું ધારણ-પોષણ કરનારા ધાર્મિક સિદ્ધાંતોને તો ઉવેખી શકે નહીં. તેથી ‘સેક્યુલર સ્ટેટ' અર્થ ધર્મવિહીન રાજ્ય એવો કદાપિ ન હોઇ શકે. તે બિન- સાંપ્રદાયિક રાજ્ય છે, એટલે કે કોઇ એક સંપ્રદાય સાથે જોડાયેલું રાજ્ય નથી. તેનો કોઇ એક રાજ્યમાન્ય ધર્મ નથી, તેમાં બધા ધર્મોને પૂરી સ્વતંત્રતા છે. આટલો જ
‘સેક્યુલર'નો અર્થ થાય છે. સેક્યુલરીઝમ' એટલે ધર્મહીનતા નહીં પણ પરિશુદ્ધ ધર્મ-ભાવના, ધર્મ-પરામુખતા નહીં પણ સર્વ ધર્મો માટે પોતીકાપણાનો ભાવ. તેથી જ આ બધા ધર્મોનો સમન્વય થયો જોઇએ.વિનોબાજીએ ખરું કહ્યું છે કે ધર્મનિરપેક્ષ રાજ્ય એટલે બિનસાંપ્રદાયિક રાજ્ય. તેમના મતે આવું રાજ્ય કોઇ એક સંપ્રદાય સાથે જોડાયેલું રાજ્ય નથી. તેનો કોઇ રાજ્ય માન્ય ધર્મ નથી. તેમાં બધા ધર્મોને પૂરી સ્વતંત્રતા છે. અહીં સુધી વિચારસરણી બરાબર છે, પરંતુ ધર્મનિરપેક્ષ રાજ્યને સર્વધર્મ સમભાવ સાથે સરખાવવાની વાત બરાબર જણાતી નથી. ધર્મનિરપેક્ષ રાજ્ય ધર્મ તરફ નિરપેક્ષ છે, એટલે કે તટસ્થ છે.”
ભારત ધર્મનિરપેક્ષ કે પંથનિરપેક્ષ ?
“હમણાં હમણાં ધર્મનિરપેક્ષતા (Secularism)નું ભાષાંતર ધર્મનિરપેક્ષતાના બદલે ‘પંથનિરપેક્ષતા’ થવા લાગ્યું છે. એવો પ્રચાર પણ થઇ રહ્યો છે કે ભારત ધર્મનિરપેક્ષ નહીં, પરંતુ પંથનિરપેક્ષ છે. ‘ધર્મનિરપેક્ષતા’ ભાષાંતર બરાબર છે. પંથનિરપેક્ષતાના સમર્થકો એમ પ્રચાર કરવા ચાહે છે કે ભારત ધર્મને વરેલું જ છે. દેશ દરેક ધર્મ તરફ સમભાવ રાખે છે અને તેને પંથ સાથે નિસ્બત નથી. ખરેખર આ પ્રચારકો બંધારણના ધર્મનિરપેક્ષતાનું પોત નબળું બનાવી રહ્યા છે. આમેય, દેશમાં ધર્મનિરપેક્ષતામાં સર્વધર્મ સમભાવના નામે ઘણી ભેળસેળ થઇ રહી છે. આ પ્રચારથી તેને સમર્થન પ્રાપ્ત થાય છે અને ધર્મનિરપેક્ષનીતિમાં ગાબડાં પડી રહ્યાં છે. વાસ્તવમાં ભારત પંથનિરપેક્ષ નહીં, પરંતુ ધર્મનિરપેક્ષ દેશ છે.”
બે દિવસની બંધારણ શિબિરમાં સહભાગી થતાં અમારા પણ કેટલાક ભ્રમોનું નિવારણ પ્રિ.કારીઆ દ્વારા થયું અને સવિશેષ તો સેક્યુલર કે ધર્મ નિરપેક્ષતા સંદર્ભે એમણે એમની પુસ્તિકામાં અને વ્યાખ્યાનમાં રજૂ કરેલી બાબતો પ્રત્યેક નાગરિક માટે ખરા અર્થમાં પાથેય બની રહે એવું અનુભવાયું. આવી બંધારણ શિબિરો વધુને
ઈ-મેઈલ: haridesai@gmail.com
(લખ્યા તારીખ: ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૨)