Sunday, 21 May 2023

Conflict between Judiciary and Executive

 પરાપૂર્વથી ન્યાયતંત્ર સાથે સરકારનો ટકરાવ

કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ
કિરણ રિજીજુ થકી ન્યાયાધીશોની અવમાનના
ચીફ જસ્ટિસને વશ કરવાના નુસખાનું ચલણ
વાજપેયીએ જેઠમલાણીને દૂર કરવા પડ્યા’તા
Dr.Hari Desai writes weekly column 'Kaaran-Raajkaaran' for Mumbai Samachar's Sunday Supplement UTSAV.21 May,2023.
દેશના ન્યાયતંત્ર અને કોલેજિયમ અંગે બેછૂટ નિવેદનો કરતા રહેલા કેન્દ્રના કાયદા પ્રધાન કિરણ રિજીજુ પાસેથી હમણાં આ મંત્રાલય લઈ લઈને એકાએક રાજસ્થાન કેડરના સનદી અધિકારીમાંથી વર્તમાન સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી બનેલા અર્જુન રામ મેઘવાળને સોંપવામાં આવતાં રાજકીય વર્તુળોમાં ખાસ્સી ચર્ચા જાગી છે. રિજીજુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનગડ બેઉ ધારાશાસ્રી હોવા છતાં  ન્યાયતંત્ર વિશે બેફામ નિવેદનો કરવા માટે જાણીતા છે. દેશના મુખ્ય ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચૂડ વર્તમાન હોદ્દે આવ્યા ત્યારથી એવી છબી ઉપસી છે કે એ સરકારના કહ્યાગરા બનીને રહે તેવા નથી.વળી, એ નવેમ્બર, ૨૦૨૪ સુધી એટલે કે લોકસભાની ચૂંટણી પછી પણ વર્તમાન હોદ્દે રહેવાના હોવાને કારણે હવે કેન્દ્ર સરકાર એમની સાથે મધુર સંબંધ જાળવવા માંગતી હોવાના સંકેત કિરણ રિજીજુને અન્ય મંત્રાલયમાં પાઠવાયા એ પગલામાંથી મળે છે.  જસ્ટિસ ચંદ્રચૂડના પુત્રને એમણે ક્યારેક ફેવર કર્યાના આક્ષેપો થયા હતા, પણ એમાં કોઈ તથ્ય જણાયું નહોતું. આ મુખ્ય ન્યાયાધીશ નોખી માટીના હોવાની ચર્ચા છે. અગાઉ છેક શ્રીમતી ઇન્દિરા ગાંધીના યુગથી  વર્તમાન મોદી યુગ સુધી  કેટલાક મુખ્ય ન્યાયાધીશો અને બીજા  ન્યાયાધીશો સરકારને કે નેતાગીરીને વહાલા થવાની વેતરણમાં રહીને નિવૃત્તિ પછી રાજ્યપાલ કે રાજ્યસભામાં નિયુક્તિ કે પછી અન્ય સરકારી હોદ્દા  મેળવતા રહ્યા છે.  સામાન્ય રીતે કેન્દ્ર સરકાર અને દેશના મુખ્ય ન્યાયાધીશ વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધ જળવાઈ રહે એવી અપેક્ષા કરાય છે, પરંતુ ન્યાયતંત્રની સ્વતંત્રતા સરકારમાં બેઠેલાઓને કાયમ કઠતી હોય છે. દેશના મોટા ગજાના ધારાશાસ્ત્રી રહેલા રામ જેઠમલાણી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં કાયદા પ્રધાન હતા. એ જૂના સાથી હોવા છતાં દેશના એ વખતના મુખ્ય ન્યાયાધીશ આદર્શ સેન આનંદના મધ્યપ્રદેશના કથિત જમીન કૌભાંડ અંગે જેઠમલાણીએ જાહેરમાં કરેલાં નિવેદનો  અને તોછડી ભાષામાં જસ્ટિસ આનંદને લખેલા પત્રોના વિવાદને પગલે વાજપેયીએ પોતાના અનન્ય સાથીને સરકારમાંથી છૂટા કરવા પડ્યા હતા. 
નામ ભલે બ્યૂરોક્રસી કે જ્યુડિશીયરીને સ્વતંત્રતા આપવાના પક્ષધર સરદાર પટેલનું આલાપાતું હોય, પરંતુ વર્તમાન સહિત તમામ શાસકોને કહ્યાગરી નોકરશાહી અને કહ્યાગરું ન્યાયતંત્ર ખપે છે. ક્યારેક પોતાને અનુકૂળ નિર્ણય કે ચુકાદા ના આવે ત્યારે એને કેમ કરીને વશ કરવામાં આવે એવી ગોઠવણો કરવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ કે પછી  ગુપ્ત માર્ગો અપનાવાય છે.
મોરારજી અને જસ્ટિસ ચાગલા 
મુબઈ રાજ્યના મુખ્યમંત્રી મોરારજી દેસાઈ અને મુંબઈ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એમ.સી.ચાગલા વચ્ચે અનેક બાબતે મતભેદ હતા. બેઉ ગુજરાતી અને પોતપોતાના ક્ષેત્રમાં નિષ્ણાત હોવા છતાં એમના વિચારોમાં જે ભિન્નતા હતી એ બાબત એ બંને એકમેકને લખીને કે ભોજન પર મળીને મતભેદમાંથી માર્ગ કાઢી લેતા હતા.જસ્ટિસ ચાગલાની આત્મકથા “રોઝીઝ ઇન ડિસેમ્બર”માં તેમણે મોરારજી સાથેના મતભેદ ઉપરાંત તેમની વચ્ચેનો પત્રવ્યવહાર પણ પ્રકાશિત કર્યો છે.  જસ્ટિસ ચાગલા તો મોરારજી સરકારની દારૂબંધીનીતિના જાહેરમાં ટીકાકાર હતા, પરંતુ પારસ્પારિક સન્માન જળવાતું હતું. જસ્ટિસ ચાગલા કે મોરારજી કોમવાદી નહોતા. એક સહાયક જજની નિમણૂક અંગે બંને વચ્ચે મતભેદ હતા. જસ્ટિસ ચાગલા મુસ્લિમ હોવા છતાં એક હિંદુ મહાસભાના સભ્ય રહેલા ધારાશાસ્ત્રીને જજ તરીકે નિમણૂક આપવાના પક્ષે હતા. મોરારજીભાઈ એના વિરોધમાં હતા. જોકે ચાગલાએ એ હિંદુ મહાસભાવાદી ધારાશાસ્ત્રીના  કાયદાકીય જ્ઞાન અને આવડતને કારણે તેમનો આગ્રહ રાખ્યો હતો. એ સારા જજ પૂરવાર થયા હતા. જસ્ટિસ ચાગલાએ સુપ્રીમ કોર્ટના જજ કે દેશના મુખ્ય ન્યાયાધીશ થવાની તક જવા દીધી હતી. જોકે એ પંડિત નેહરુ અને શ્રીમતી ઇન્દિરા ગાંધીની સરકારમાં કેબિનેટ પ્રધાન જરૂર રહ્યા અને અમેરિકામાં ભારતના રાજદૂત પણ. આમ છતાં, જયારે શ્રીમતી ગાંધીએ ઈમરજન્સી જાહેર કરી ત્યારે એનો વિરોધ કરવામાં એ અગ્રેસર હતા એટલું જ નહીં, ભાજપના સ્થાપના અધિવેશનમાં રામ જેઠમલાણી એમને લઈ આવ્યા હતા અને તેમણે ભાજપને આશીર્વાદ આપતાં  ભવિષ્યની પાર્ટી ગણાવી હતી. 
જસ્ટિસ ભગવતીથી  જસ્ટિસ ગોગોઈ 
દેશના ન્યાયતંત્ર ભણી હજુ પણ સામાન્ય માણસને શ્રદ્ધા છે એવા ન્યાયાધીશો આપણે ત્યાં થયા છે. જોકે બધા જ જજીસ આવા બરના જ હોય એવું નથી. જસ્ટિસ પી.એન.ભગવતી મુખ્ય ન્યાયાધીશ હતા ત્યારે શ્રીમતી ગાંધી ૧૯૮૦માં ફરી ભવ્ય બહુમતી સાથે સત્તામાં આવ્યાં ત્યારે એમને અભિનંદન આપતો પત્ર લખીને જાણે કે હરખપદુડા થયાનો એહસાસ કરાવ્યો ત્યારે મુંબઈ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહેલા જસ્ટિસ વી.ડી. તુલઝાપુરકરે જાહેરમાં એમની ટીકા કરી હતી. હમણાં નિવૃત્ત થયેલાં સુપ્રીમના ન્યાયાધીશ એમ.આર.શાહે તો જજ હતા ત્યારે જ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કરવામાં પાછું વળીને જોયું નહોતું. દેશના મુખ્ય ન્યાયાધીશ કે અન્ય ન્યાયાધીશોએ  તો પોતાના વાણી વર્તનમાં સંયમી રહેવું ઘટે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ શાસનના યુગમાં ઘણો લાંબો સમય એડવોકેટ જનરલ રહેલા અરવિંદ બોબડેના પુત્ર શરદ બોબડે દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા પછી જે પ્રકારે બેછૂટ નિવેદનો કરતા રહ્યા છે અને આરએસએસના સ્વયંસેવક હોય એ રીતે વર્તન દાખવતા રહ્યા છે એ શોભાસ્પદ ના જ લેખાય. જસ્ટિસ રંજન ગોગોઈ દેશના મુખ્ય ન્યાયાધીશ થયા ત્યારે એમની સામે તેમની જ મહિલા કર્મચારી થકી  જાતીય સતામણીનો કેસ થયો એ હકીકતમાં તેમણે બ્લેકમેઈલ કરવા માટે હતો કે સાચો હતો એ આજ લગી રહસ્ય જ રહ્યું છે. જસ્ટિસ ગોગોઈ વિવાદાસ્પદ રહ્યા. એમની કેન્દ્ર સરકારે રાજ્યસભામાં નિયુક્તિ કરી અને પેલી કથિત પીડિત મહિલાને નોકરીમાં પરત લેવામાં આવી હતી. એવું નથી કે અગાઉ મુખ્ય ન્યાયાધીશ રાજ્યસભા કે અન્ય હોદ્દે નિયુક્ત ના થયા હોય. જસ્ટિસ આર.એસ.પાઠક રાજ્યસભામાં નિયુક્ત થયા હતા. જસ્ટિસ રંગનાથ મીશારા, જસ્ટિસ જે.એસ.વર્મા, જસ્ટિસ પાલનીસામી સથશિવમ વગેરે નિવૃત્તિ પછી કેન્દ્રનાં આયોગ કે રાજ્યપાલના હોદ્દે નિયુક્ત થયા ત્યારે તેમના ચુકાદા વિવાદાસ્પદ રહ્યાની ચર્ચા જરૂર થઇ હતી. 
આંધ્રના મુખ્યમંત્રીઓની ફરિયાદો 
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીઓની તો પરંપરા રહી છે કે પોતાને અનુકૂળ ચુકાદા નહીં અપાનારા ન્યાયાધીશો સામે પત્ર યુદ્ધ ચલાવવું. આંધ્રના મુખ્યમંત્રી ડી.સંજીવૈય્યાએ ૧૯૬૧માં ૯ પાનાંનો પત્ર કેન્દ્રના ગૃહમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને લખીને ન્યાયાધીશો અંગે ફરિયાદો કરી હતી. જોકે એ વેળા પરિપક્વતા દાખવીને શાસ્ત્રીએ મામલો થાળે પાડ્યો હતો. જસ્ટિસ એન.વી.રામન્નાનો દેશના મુખ્ય ન્યાયાધીશ થવાનો વારો આવ્યો ત્યારે ૬ ઓક્ટોબર,૨૦૨૦ના રોજ દેશના એ વખતના મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડે ને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ જસ્ટિસ રામન્ના સામે ગંભીર આક્ષેપ કરતો પત્ર લખ્યો અને એને જાહેરમાં મૂક્યો હતો. ઘણો વિવાદ થયો છતાં જસ્ટિસ રામન્ના મુખ્ય ન્યાયાધીશ બન્યા. આજકાલ  દેશના મુખ્ય ન્યાયાધીશને દબાવવા કે વશ કરવા માટે વિવિધ નુસખાઓ અજમાવાય છે. કેટલાક એને વશ થતા હશે અને કેટલાક આવા નુસખાઓ છતાં પોતાની રીતે સ્વતંત્રપણે કામ કરતા રહે છે. આપણે ત્યાં સામાન્ય પ્રથા એવી છે કે સૌથી સિનિયર હોય એ ન્યાયાધીશને દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરાય છે. જોકે સત્તાધીશોને પ્રતિકૂળ ચુકાદા આપ્યા હોય તેવા  ન્યાયાધીશોને સુપ્રીમ કોર્ટમાં નિમણૂક આપવાની બાબતમાં વિલંબ કરીને સિનીયોરીટી ડૂબાડવાના કારસા પણ રચાય છે. કેન્દ્રની મોદી સરકારે ઉત્તરાખંડ રાજ્યની રાવત સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાદ્યું ત્યારે ત્યાંની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ કે.એમ.જોસેફે કેન્દ્રના રાષ્ટ્રપતિ શાસન લાદવાના નિર્ણયને ગેરબંધારણીય ઠરાવીને કોંગ્રેસની રાવત સરકારને ફરી સત્તારૂઢ કરી હતી. હવે જયારે જસ્ટિસ જોસેફને કોલેજિયમે સુપ્રીમમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક આપવા માટે સરકારને નામ પાઠવ્યું ત્યારે એણે એમની નિમણૂકમાં વિલંબ કરીને એમની સિનીયોરીટી ડૂબાડવાનું કામ કર્યું હતું. પોતાને અનુકૂળ ના લાગે તેવા જજીસની નિમણૂકમાં ગુપ્તચર ખાતાના પ્રતિકૂળ અહેવાલોનો હવાલો આપીને એમની નિમણૂક ટાળવા કે વિલંબમાં નાંખવાની કોશિશ કરાતી હોય છે. કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર પોતાને અનુકૂળને પ્રાધાન્ય આપવાનું પસંદ કરે છે. આ મુદ્દે ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે ટકરાવના સંજોગો જોવા મળે છે. એ ટાળવાની કોશિશ સતત થતી રહે છે.  

ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૨૦ મે,૨૦૨૩)

Sunday, 7 May 2023

BJP Changes Election Agenda to win

 સરદાર પટેલના સ્વપ્નનું શીર્ષાસન • કારણ-રાજકારણ :ડૉ.હરિ દેસાઈ• ઉત્તર કર્ણાટકની માંગને બદલે ધાર્મિક મુદ્દા • નેતાઓને ઠેકાણે પાડવા રાજ્યોનાં વિભાજનો • અખંડ ભારત માત્ર સ્વપ્ન જ રહેવાની ચિંતા

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajakaran” for Mumbai Samachar’s Sunday Supplement “UTSAV”. 06 May,2023. You may read the full text on haridesai.com
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી ખૂબ જ આક્રમક રીતે લડાઈ રહી છે પણ ગત ચૂંટણી પછીના મુદ્દાઓ બદલાયા કર્યા છે. અત્યારે ભાજપની ટોચની નેતાગીરી ઓપરેશન લોટસ થકી ત્રણ વર્ષ પૂર્વે મેળવેલી સત્તા ટકાવવા માંગે છે. સામે પક્ષે કોંગ્રેસ હિમાચલ પ્રદેશના અનુભવને આગળ વધારીને બેંગલુરુના વિધાનસૌધા (વિધાસભા)માં બહુમતી મેળવીને સત્તારોહણ કરવા આતુર છે. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે જેવો ઘાટ છે. ૧૦ મેના રોજ મતદાન પછી ૧૩ મેના રોજ સત્તા કોનાં હાથમાં જાય છે એનું નીરક્ષીર થઇ જશે. આજના તબક્કે ગત વિધાનસભા ચૂંટણી ભણી પણ એક નજર નાંખી લેવાની જરૂર ખરી. મે ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કુલ ૨૨૪માંથી ૧૦૪ બેઠક સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉપસ્યો તો ખરો, પણ છ દિવસની સુલતાની જેવી યેદિયુરપ્પાના વડપણ હેઠળની સત્તા પછી બહુમતી સાબિત કરવાનું અશક્ય બન્યું એટલે વિપક્ષે બેસવું પડ્યું હતું. કોંગ્રેસના ૮૦ અને જનતાદળ (સેક્યુલર)ના ૩૭ સાથે મળીને જેડી (એસ)ના એચ.ડી. કુમારસ્વામીની સરકાર રચી શક્યા હતા. પરંતુ ત્યાં ૧૭ ધારાસભ્યો ખડી પડ્યા અને ઓપરેશન લોટસ કળા કરી ગયું.
પરાજય પછીની ઝુંબેશ
જોકે સીધી ચૂંટણીમાં કર્ણાટક રાજ્યમાં સત્તા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યા પછી “સારા વહીવટ માટે બટુક રાજ્યો”ના સમર્થક ભારતીય જનતા પક્ષ(ભાજપ) દ્વારા ઉત્તર કર્ણાટકને અલગ રાજ્યનો દરજ્જો આપવાની ઝુંબેશ આદરવામાં આવી હતી. ૨ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ભાજપના ધારાસભ્યોની હૂંફ સાથે ૧૩ જિલ્લાના ઉત્તર કર્ણાટક રાજ્યની માંગણીના ટેકામાં ખેડૂત,વિદ્યાર્થી અને અન્ય નાગરિક સંગઠનોએ બંધનું એલાન અપાયું. લિંગાયત પ્રભાવ હેઠળના આ ક્ષેત્રના મઠાધીશોએ પણ આ બંધને ટેકો જાહેર કર્યો હતો. બ્રિટિશ શાસકોએ ૧૯૪૭માં સ્વદેશ જતાં ભારતના વિભાજન ઉપરાંત ૫૬૫ જેટલાં દેશી રજવાડાંને મોકળાં કરી દઈ દેશને ચાળણી જેવો કરી દીધો હતો. નાયબ વડાપ્રધાન અને રિયાસત ખાતાના પ્રધાન સરદાર પટેલ અને એમના ખાતાના સચિવ વી.પી.મેનનના અથાગ પરિશ્રમના પરિણામે દેશી રજવાડાંને ભારતમાં ભેળવીને દેશની એકતાને મજબૂત કરાઈ હતી.
રાજ્યોનાં વિભાજનનો જ્વર
સરદાર પટેલે દેશી રાજ્યોના કરેલા એકીકરણને હવે તમામ રાજકીય પક્ષના શાસકો અને વિપક્ષે બેસનારાઓ પોતાના રાજકીય સ્વાર્થ કાજે ફરી ખંડિત કરીને નવાં નવાં રાજ્યોના નિર્માણ માટે આંદોલનો કરાવે છે. વાત સુશાસનની ભલે કરવામાં આવતી હોય, નજર તો રાજનેતાઓને વિવિધ હોદ્દે થાળે પાડવા ભણી રહે છે. કેન્દ્રમાં કોંગ્રેસના વડપણવાળી ડૉ.મનમોહન સિંહની સરકાર હતી ત્યારે વર્ષ ૨૦૧૪માં છેલ્લે આંધ્ર પ્રદેશના વિભાજનથી આંધ્ર પ્રદેશ અને તેલંગણ એ બંને રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં.એ પહેલાં કેન્દ્રમાં ભાજપના વડપણવાળી અટલબિહારી વાજપેયી સરકાર હતી ત્યારે વર્ષ ૨૦૦0માં ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને બિહારમાંથી ઝારખંડ અલગ રાજ્ય બન્યાં.જમ્મૂ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચી નાંખવા ઉપરાંત બે કેન્દ્રશાસિત પ્રદેશને એક કરી દેવાના ભાજપના નરેન્દ્ર મોદીની સરકારના નિર્ણયથી આજે કુલ ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશો અસ્તિત્વ ધરાવે છે.આવતીકાલોમાં હજુ તો વધુ રાજ્યો માટેની માંગણીઓ ઊભી જ છે એટલે સૌથી વધુ વસ્તી ધરાવતા વિશાળ દેશ ચીન કરતાં પણ ભારતનાં રાજ્યોની સંખ્યા વધી જવી સ્વાભાવિક છે.
ઉત્તર કર્ણાટક રાજ્યનું બ્યૂગલ
કર્ણાટકના મોટાભાગના મુખ્યમંત્રી દક્ષિણ કર્ણાટકમાંથી જ આવ્યા છે. આવા સંજોગોમાં બેળગાંવ, બાગલકોટ, વિજાપુર, બિદર, કલબુર્ગી, યાદગીરી, બળળારી, રાયચૂર, ગડગ,ધારવાડ, હાવેરી, કોપ્પળ અને ઉત્તર કન્નડ એ ઉત્તર કર્ણાટકના ૧૩ જિલ્લા અન્યાયની લાગણી અનુભવે એ સ્વાભાવિક છે. દક્ષિણ કર્ણાટકમાં વોક્કલિંગા સમાજની વસ્તીનો પ્રભાવ છે. ઉત્તર કર્ણાટકમાં લિંગાયત વસ્તીનો પ્રભાવ છે.ઉપરાંત ૨૫ લાખ કરતાં વધુ મરાઠી વસ્તીવાળા બેળગાંવ, કારવાર, બિદર સહિતના પ્રદેશો તો પોતાને મહારાષ્ટ્રમાં સામેલ કરવા દાયકાઓથી આંદોલન કરીને હવે થાક્યા છે.યુવા પેઢી ભાજપ કે કોંગ્રેસ ભણી વળી છે.અહીં અલગ રાજ્યનો મુદ્દો પ્રભાવી બન્યો છે.ભાજપના બોલકા નેતાઓ અલગ રાજ્યની માંગણી કરીને પ્રજાને પોતાની સાથે જોડે છે.બેંગલુરુના વિકાસ માટે જ રાજ્ય સરકારનું બજેટ તૈયાર થતું હોવાની છાપ ઉપસે છે.હુકેરીના ભાજપી ધારાસભ્ય રહેલા અને ગત વર્ષે એટલે કે સપ્ટેમ્બર ૨૦૨૨માં જેમનું મૃત્યુ થયું તે ઉમેશ વિશ્વનાથ કત્તી ઘણી મુદતથી ધારાસભામાં બેસતા હતા.એ પ્રધાન હતા ત્યારે પણ તેમણે અલગ ઉત્તર કર્ણાટક રાજ્યની માંગણી વિધાનસભામાં જ કરી હતી. મુખ્યમંત્રી થવાના આકાંક્ષી એવા આ વિવાદાસ્પદ નેતાએ એક તબક્કે કહ્યું હતું: “રાજ્યમાં કોંગ્રેસના ટેકે રચાયેલી સરકારના દક્ષિણ કર્ણાટકમાંથી ચૂંટાયેલા અને વોક્કલિંગા સમાજમાંથી આવતા મુખ્યમંત્રી કુમારસ્વામીએ આ વખતે ૫ જુલાઈએ આગામી વર્ષ માટે રજૂ કરેલા બજેટમાં ૮૫ ટકા નાણાફાળવણી દક્ષિણ કર્ણાટક માટે કરી છે. ઉત્તર કર્ણાટકને તો માત્ર ૧૫ ટકા રકમ જ ફાળવી છે.” ભાજપના ધારાસભ્યો થકી અલગ કર્ણાટક રાજ્યની રજૂ કરાતી માંગણીનો રાજ્યના પ્રધાન રહેલા અને અત્યારે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર વિરોધ કરીને તેમની એ વેળાની સરકાર અને કોંગ્રેસ પક્ષ અખંડ કર્ણાટક સમર્થક હોવાનું સ્પષ્ટ કરે છે.
બેળગાંવમાં વિધાનસભાનું ભવન
કર્ણાટક સરકારે દોઢેક દાયકા પહેલાં બેળગાંવમાં વિધાનસભાનું ભવન બાંધ્યું છે.એની પાછળનો હેતુ આ પ્રદેશને મહારાષ્ટ્રમાં જતાં અટકાવવાનો હોવા ઉપરાંત ભવિષ્યમાં અલગ રાજ્ય આપવાનો હોવાનું અહીંના મરાઠી સમાજના અગ્રણી અને અખબાર સમૂહના સંચાલક કિરણ ઠાકુરે આ લેખકને જણાવ્યું હતું. આ વિસ્તારમાંથી મહારાષ્ટ્ર એકીકરણ સમિતિના સાત-સાત ધારાસભ્યો ચૂંટાતા હતા.છેવટે એ સંખ્યા ઘટતી ગઈ.આજે એકેય ધારાસભ્ય ચૂંટાતો નથી.ક્યારેક મહારાષ્ટ્ર એકીકરણ સમિતિના અધ્યક્ષ રહેલા ઠાકુર કહે છે કે અમે તો મહારાષ્ટ્રમાં જોડાવા આતુર છીએ, પણ મહારાષ્ટ્રની નેતાગીરીને હવે અમને લેવામાં જાણે કે રસ રહ્યો નથી.
રાજ્યોની ભાષાવાર પુન:રચના
ભારત સરકારે વર્ષ ૧૯૫૩માં વિવિધ રાજ્યોની રચના અંગેના જનાક્રોશને ઠારવા માટે ત્રણ સભ્યોના રાજ્ય પુનર્રચના આયોગની નિમણૂક કરી હતી.એમાં જસ્ટિસ ફાઝલ અલી, કે.એમ.પણ્ણિકર અને એચ.એન.કુંજરુની નિયુક્તિ કરી હતી.વર્ષ ૧૯૫૫માં એનો અહેવાલ આવ્યો તો ખરો પણ ભાષાવાર પ્રાંત રચના સહિતની એમની ભલામણો અમલમાં મૂકવામાં ફરીને નવા ભડકા થયા.એ પંચે કરેલી ભલામણો રાજકીય શાસકોની અનુકૂળતા મુજબ અમલી બની. કેટલીક હજુ આજ દિવસ સુધી અમલમાં મૂકાઈ નથી. દા.ત. વિદર્ભ નામક અલગ મરાઠીભાષી રાજ્ય કરવાની ભલામણ એમણે કરી હતી,પણ પોતાના ચૂંટણી ઢંઢેરામાં વિદર્ભ અને તેલંગણ અલગ રાજ્યોની રચનાની ખાતરી આપનાર ભાજપના વાજપેયીના સમયગાળામાં વિદર્ભ અને તેલંગણની રચના થઇ શકી નહોતી.કારણ એ વેળા તેમના મિત્રપક્ષો અનુક્રમે શિવસેના અને તેલુગુ દેશમ પાર્ટીનો એ રાજ્યો આપવા સામે વિરોધ હતો. ટીડીપીના વિરોધ છતાં કોંગ્રેસની કેન્દ્ર સરકારે ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી જીતવા માટે તેલંગણ રાજ્યની રચના કરી હતી.જોકે આંધ્ર અને તેલંગણ બંને રાજ્યોમાં કોંગ્રેસ પરાજિત થઇ હતી.ભાજપ ફરીને કેન્દ્રમાં સત્તામાં આવ્યા છતાં વિદર્ભનો પ્રશ્ન હજુય લટકે છે.
ઉ.પ્ર.– મહારાષ્ટ્રનાં વિભાજન
વર્ષ ૨૦૧૧માં એટલે કે ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી માયાવતીએ વિધાનસભામાં ઉ.પ્ર.ના ચતુર્ભાજનનો ઠરાવ મંજૂર કરાવ્યો હતો પૂર્વાંચલ,બુંદેલખંડ,અવધ પ્રદેશ અને પશ્ચિમ પ્રદેશ એમ ચાર રાજ્યોની રચનાનો તેમનો ઈરાદો હતો.તેમણે આ દાવ પણ રાજકીય લાભ ખાટવા માટે જ ખેલ્યો હતો,પણ એમના રાજકીય શત્રુ મુલાયમ-અખિલેશની યાદવ પાર્ટી એટલેકે સમાજવાદી પાર્ટીને સત્તાલાભ મળ્યો.મુલાયમ-પુત્ર અખિલેશ મુખ્યમંત્રી બન્યા. અત્યારે ભાજપી નેતા મહંત યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી છે.લોકસભાની ચૂંટણી પહેલાં ઉત્તર પ્રદેશનાં સૂચિત ચાર રાજ્યો રચવા અંગે કેન્દ્ર કોઈ નિર્ણય કરીને ભાજપ લાભ ખાટી શકે છે.વાત આટલે અટકતી નથી.ભાજપની માતૃસંસ્થા આરએસએસની વર્ષ ૨૦૦૨માં કુરુક્ષેત્રમાં મળેલી પ્રતિનિધિ સભા (સંસદ)માં જમ્મૂ-કાશ્મીરના ત્રિભાજનનો ઠરાવ થયો હતો.વચ્ચે મુફ્તી સાથે “ઉત્તર-દક્ષિણ ધ્રુવ” જોડાણ સાબિત થયેલી પીડીપી અને ભાજપની સંયુકત સરકાર રહી ત્યાં લગી આ વાતને તડકે મૂકાઈ.પ્રતિનિધિ સભાના એ ઠરાવ મુજબ, જમ્મૂ અને કાશ્મીર ખીણ પ્રદેશ એ બંને અલગ રાજ્યો બને અને લડાખ એ કેન્દ્રશાસિત રહે. કેન્દ્રના ગૃહમંત્રી લાલકૃષ્ણ આડવાણી હતા ત્યારે એમણે સંઘની પ્રતિનિધિ સભાના ઠરાવને ફગાવ્યો હતો, પરંતુ મોદી સરકારે રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત જરૂર કર્યું.
ડૉ.આંબેડકરની તર્કબદ્ધ છણાવટ
જોકે મહારાષ્ટ્રમાંથી અલગ ચાર રાજ્યો બનાવવાની ડૉ.બાબાસાહેબ આંબેડકરની તર્કબદ્ધ ભલામણ પાછળ નવરચિત રાજ્યોની આર્થિક સદ્ધરતા સહિતના મુદ્દાઓની છણાવટ થયેલી છે. હવે તો અલગ રાજ્યોની માંગણીઓ આવા અભ્યાસ અને તર્કને બદલે ભાવનાત્મક મુદ્દા ઊઠાવીને આંદોલન થકી કેન્દ્ર સરકારને માનવા ફરજ પાડવામાં આવે છે. બીજું રાજ્ય પુનર્રચના આયોગ નિયુક્ત કરવાનો વખત પાકી ગયા છતાં રાજકારણપ્રેરિત અને પ્રદેશ-સમાજને લગતા મુદ્દા ઉછાળીને નવાં રાજ્યોમાં સત્તા મેળવાય છે. અંતે તો ભાર કન્યાની કેડે જ એટલે કે પ્રજાને માથે જ આવાં રાજ્યો ચલાવવા માટેનું આર્થિક અને સામાજિક ભારણ આવે છે. શાસન આર્થિક શિસ્તને કડકાઈપૂર્વક અનુસરે એવી ગુજરાત સહિતનાં રાજ્યોને “કેગ”ના અહેવાલોમાં સલાહ અપાયા પછી પણ શાસકોની આંખ ઊઘડતી નથી.
મુનશીની સલાહ ગૂંજે બાંધીએ
ભાષાવાર પ્રાંતો કે રાજ્યોની રચનાનો સિદ્ધાંત ભારતમાં પ્રથમ રાજ્ય પુનર્ગઠન આયોગની ભલામણોથી સ્વીકારવામાં આવ્યો. એને પગલે અલગ અલગ રાજ્યોની રચના થતી રહી. મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય અલગ થયાં. છેક છેલ્લે તો અન્યાયને નામે એક જ તેલુગુ રાજ્ય આંધ્ર પ્રદેશમાંથી તેલંગણ અલગ પડ્યા સુધી આપણે ગતિ કરી છે. હિન્દીભાષી ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ ઉપરાંત ચાર રાજ્યોની રચનાની વાત તો ઊભી જ છે. હજુ પણ આંદોલનો થકી નોખાં રાજ્ય મેળવવાનાં રાજકારણ દેશને નવાં વિભાજનો ભણી લઇ જાય એ જોખમી સમય આવી પહોંચ્યો છે. આવા સમયે સરદાર-નેહરુના અનન્ય સાથી એવા ગરવા ગુજરાતી ક.મા.મુનશીએ “કુલપતિના પત્રો”માં નોંધેલા શબ્દોનું સ્મરણ થાય છે : “આપણી સંસ્કૃતિ અને ભાષાઓને જરૂર વિકસવા દો, પરંતુ તે રાષ્ટ્રને ભોગે નહીં.એકેએક ભાષાજૂથ, સંપ્રદાય ને સંસ્કૃતિ એકમ એ કદી ન ભૂલે કે ભારત એક ને અવિભાજ્ય છે.ભાષાવાર રાજ્યો ભલે રહે,પરંતુ ભાષાકીય અભિમાન ને ગાંડપણનો સર્વનાશ કરવો જ પડશે; નહીં તો આપણા સ્વપ્નનું મહાન,સમૃદ્ધ,ગૌરવભર્યું, એક ને અખંડ ભારત માત્ર સ્વપ્ન જ રહેશે.” ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૬ મે,૨૦૨૩)

Wednesday, 3 May 2023

Karnataka Election

 કર્ણાટકમાં પ્રવાહ પલટાશે કે ભાજપ ગોઠવી લેશે એની કશ્મકશ • અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ • તમામ ચૂંટણી સર્વે બેંગલુરુમાં કોંગ્રેસને જ બહુમતી સાથે જીતાડે છે • ચિંતિત ગૃહમંત્રી શાહ અને વડાપ્રધાન મોદીના ડેરાતંબૂ તાણી ધામા • રાહુલ - પ્રિયંકાના ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસને મળતો ભવ્ય પ્રતિસાદ

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian Daily (Surat) and Sardar Gurjari Daily (Anand). You may read full text on haridesai.com
કર્ણાટકથી ભારતીય જનતા પક્ષનાં વળતાં પાણી થઇ રહ્યાના સંકેત ચોફેરથી મળી રહ્યા છે છતાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી યેન કેન પ્રકારેણ બેંગલુરુમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની સરકાર સ્થાપિત કરવા માટે ડેરાતંબૂ તાણીને દખ્ખણના આ રાજ્યમાં આક્રમક અને કોમી વિભાજનો પ્રેરે એવો પ્રચાર કરી રહ્યા છે. ભાજપ અને સંઘ પરિવારની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. સવિશેષ તો મોદીની છબી હવે જીતાડી શકે તેવી રહી છે કે નહીં, એની અગ્નિપરીક્ષા છે. ગુજરાતમાં ભલે આમ આદમી પાર્ટી અને એમઆઈએમ સાથેની નૂરા કુસ્તી કે સોની કજિયો કરીને ભવ્ય વિજય મળ્યો હોય પણ હિમાચલ પ્રદેશ ગુમાવ્યા પછી સમગ્ર ભાજપમાં રઘવાટ છે. ઓછામાં પૂરું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કશ્મીર સુધીની પદયાત્રા યોજીને સમગ્ર દેશમાં મોદીના શાસનને કુશાસન ગણાવતાં લોકજાગૃતિનો મહાઅધ્યાય આરંભ્યો. મોદીના અંતરંગ સ્વજન ગણાતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથેના સંબંધોને હિંદનબર્ગ અહેવાલને પગલે આક્રમક રીતે રાહુલ સહિતના વિપક્ષી નેતાઓએ ગજવ્યા એટલે મોદી છાવણીમાં સન્નિપાત વધ્યો છે. ઓછામાં પૂરું મોદીનિયુક્ત ભાજપી રાજ્યપાલ સત્યપાલ માલિકે પુલવામા પ્રકરણ અંગે કરેલાં રહસ્યોદ્ઘાટનો ભાજપને માટે ઘણી મૂંઝવણ સર્જે છે. કુસ્તીબાજોનાં જંતર-મંતર પર ભાજપી સાંસદ સામે જાતીય સતામણીના આક્ષેપ સાથેનાં ધરણાં અને સુપ્રીમ કોર્ટે એમાં દખલ દેવી પડી એ મામલો પણ ગંભીર છે.
ભાજપી નેતાઓ કોંગ્રેસ ભણી
ભાજપનાં વળતાં પાણીના સંકેત આપતા સંજોગોમાં જ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી આવી છે. ભાજપના નેતાઓ અને સાંસદો માટે મુશ્કેલીઓ વધતી ચાલી છે. સાગમટે કોંગ્રેસ ભણી હિજરત એવા ભાજપી નેતાઓ કરી રહ્યા છે જે જનસંઘ-ભાજપના સમયથી જોડાયેલા રહ્યા હોય. કર્ણાટક જ નહીં, હવે તો છત્તીસગઢમાં પણ પ્રદેશ ભાજપના અધ્યક્ષ રહ્યા હોય, સાંસદ રહ્યા હોય કે ધારાસભ્ય ચૂંટાતા રહ્યા હોય એવા નેતા પણ કોંગ્રેસ ભણી જવાના સંકેત આપે છે. મધ્યપ્રદેશ અને પછીથી છત્તીસગઢ ભાજપના પ્રદેશ પ્રમુખ, વિધાનસભામાં વિપક્ષના નેતા તેમ જ સાંસદ રહેલા મોટા ગજાના આદિવાસી નેતા નંદકુમાર સાંઈએ ભાજપ સાથેના ચાલીસ વર્ષના સંબંધનો અંત આણી પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. એક બાજુ, મોદી કોંગ્રેસી ગોત્રના મુખ્યમંત્રી નિયુક્ત કરવા ભણી આગળ વધતા રહ્યા છે અને કોંગ્રેસને ભાંડતા રહ્યા છે તો બીજી બાજુ , સંઘ સાથે નાતો ધરાવતા ભાજપી નેતાઓ કોંગ્રેસમાં જઈ રહ્યા છે. મોદી-શાહની નેતાગીરી સામે આ રીતસરનો બળવો છે. એવા સંજોગોમાં ભ્રષ્ટ નેતાના ટેગ ધરાવતા યેદિયુરપ્પા કે ઈશ્વરપ્પા કે પછી બસવરાજ બોમ્માઈ જેવા નેતાઓ સાથે મોદી કર્ણાટકમાં સભાઓ અને રોડ શો યોજવાની મજબૂરી અનુભવે છે. દાવા તો બહુમતીના થાય છે, પરંતુ ભાજપ માટે ફરીને સત્તામાં આવવાનું વાતાવરણ નથી એટલે મતદાનના દિવસ ૧૦ મે સુધીમાં હવામાન બદલવા મોદી મિશન કર્ણાટકમાં રમમાણ છે. જોકે એમના અવાજમાં પણ અમિત શાહ જેટલો પણ વિશ્વાસ અનુભવાતો નથી; છતાં ભાજપની સેના મોદી ભણી આશાભરી નજરે જુએ છે.
ત્રિશંકુ વિધાનસભાની અપેક્ષા
કર્ણાટક જીતવાના ભાજપના મનસૂબા પૂરા કરીને એણે દક્ષિણ ભારતમાં પ્રભાવ પાથરવો છે. હવે કર્ણાટક જ આડા હાથ દે તો એની મહેચ્છા પર પાણી ફરી જાય. ઇશાન ભારતનાં જે ત્રણ રાજ્યોમાં ભાજપે સરકારમાં ભાગીદારી કરી છે એમાં પણ ઝાઝું કશું ઉકાળ્યું નથી. ત્રિપુરામાં એની બેઠકો અનેક સમાધાનો વચ્ચે એટલી ઘટી છે કે માંડ બહુમતી જેટલી જ બેઠકો મળી છે. બીજાં બે રાજ્યોમાં તો એણે જુનિયર પાર્ટનર તરીકે થૂંકેલું ગળીને સત્તા સાથે રહેવું પડ્યું છે. વર્ષ ૨૦૨૩ દરમિયાન હજુ ઘણી વિધાનસભા ચૂંટણીઓ આવશે. કર્ણાટક હારે તો એની અસર અન્ય રાજ્યો પર જ નહીં, આવતા વર્ષની લોકસભા ચૂંટણી પર પડવી અનિવાર્ય છે. આવા સંજોગોમાં કર્ણાટક જીતવું કે તોડફોડ કરીને ગઈ વખતની જેમ સરકાર બનાવવી એ ભાજપની ગરજ છે. એ શક્ય એટલું જોર મારે અને છતાં બહુમતી ના જ મળે અને વિધાનસભા ત્રિશંકુ થાય તો જનતાદળ (સેક્યુલર) સાથે ફરી ઘર માંડવાની પણ એની ગણતરી ખરી. અપક્ષો વધુ ચૂંટાય તો એ પણ મદદ કરે. નાણાંની થેલીઓ અને કેન્દ્રીય એજન્સીઓ કામ લાગે. જોકે અત્યાર લગીના કોઈ ચૂંટણી સર્વેમાં ભાજપને બહુમતી મળતી નથી. કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળે છે. આવા સંજોગોમાં ઓપરેશન લોટસ સફળ થવાની શક્યતા ઓછી થઇ શકે. ૨૨૪ સભ્યોની કર્ણાટક વિધાનસભાની વર્ષ ૨૦૧૮ની ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપ કરતાં મત વધુ મળ્યા હતા છતાં બેઠકો ભાજપને વધુ મળી હતી. ભાજપને બહુમતી મળી નહોતી અને ત્રિશંકુ વિધાનસભા થઈ હતી એટલે ભાજપની સરકાર સ્થાપિત કરવાની કોશિશ નિષ્ફળ જતાં કોંગ્રેસ અને જેડી (એસ)ની સરકાર રચાઈ તો ખરી, પરંતુ ૧૭ જેટલા કોંગ્રેસી અને જેડી(એસ)ના ધારાસભ્યોને પટાવીને ભાજપની નેતાગીરીએ કળા કરી યેદિયુરપ્પા સરકાર રચી હતી. ૨૦૧૮ની ચૂંટણીમાં ભાજપને ૧૦૪, કોંગ્રેસને ૮૦ અને જેડી (એસ)ને ૩૭ બેઠકો મળી હતી. ગત વિધાનસભા ચૂંટણી ટાણે એકાદ સર્વે સિવાયના તમામ સર્વે ત્રિશંકુ વિધાનસભા બનવાનાં તારણો દર્શાવતા હતા. આ વખતે તમામ સર્વે કોંગ્રેસને બહુમતી દર્શાવે છે. જોકે આ વખતે અનેક સમસ્યાઓથી ઘેરાયેલા વડાપ્રધાન મોદી કોઈ ચમત્કાર કરીને જ કર્ણાટકમાં પક્ષને જીતાડી શકે.
હલકી કક્ષાનો ચૂંટણી પ્રચાર
ભાજપમાં મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી રહેલા કે મંત્રી કે ધારાસભ્ય રહેલા અનેક સંઘનિષ્ઠ નેતાઓ ભાજપમાં અપમાનિત થતા હોવાને કારણે કોંગ્રેસમાં જોડાયા છે. આમ પણ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જ નહીં, કોંગ્રેસના ચૂંટાયેલા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તથા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે.શિવકુમાર અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરામૈયા ભાજપને પરાસ્ત કરવા કટિબદ્ધ થઈ સંયુક્ત લડત આપી રહ્યા છે. કોંગ્રેસના અધ્યક્ષ ખડગેએ મોદી કે તેમના પક્ષની વિચારધારાની તુલના ઝેરી સાપ સાથે કરી તો ભાજપના એક નેતાએ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને વિષકન્યા અને પાકિસ્તાન-ચીનનાં એજન્ટ કહ્યાં. પ્રચારનું સ્તર એટલી હલકી કક્ષાએ ગયું છે કે બકારી છૂટે. કોંગ્રેસે તો કેન્દ્રના ગૃહમંત્રી શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે પોલીસમાં એફ.આઈ.આર. નોંધાવી. બંને પક્ષોએ ચૂંટણી પંચમાં પણ ફરિયાદો કરી. જોકે વડાપ્રધાન મોદીએ પોતાને ૯૧ વખત કોંગ્રેસે ગાળ દીધાની વાતથી વિકટીમ કાર્ડ ખેલવાનું શરૂ કરીને સહાનુભૂતિ અંકે કરવાની કોશિશ કરી છે, છતાં કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ વળતો સણસણતો ઉત્તર વળ્યો કે પહેલી વાર કોઈ વડાપ્રધાન જોયા જે પ્રજાના દુઃખ દર્દની વાત કરવાને બદલે પોતાનાં દુઃખડાં રડે છે.મારા પરિવારને મોદીજીએ અને એમના પક્ષે એટલી ગાળો દીધી છે કે પુસ્તકોનાં પુસ્તકો ભરાય! ૧૦ મે સુધી ચૂંટણીનું વાતાવરણ કેવું રહે છે એના પર સૌની નજર છે. ૧૦મીએ ભારે મતદાન થવાની ગણતરી છે. ૧૩ મેના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે. કોંગ્રેસ તેમ જ ભાજપ બંને માટે એ ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧ મે,૨૦૨૩)

Tuesday, 17 January 2023

Netaji Subhas Chandra Bose: Torchbearer of Communal Harmony

 કોમી એખલાસના પ્રણેતા નેતાજી બોઝ • કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ • પશ્ચિમ બંગાળ જીતવાના વ્યૂહ • સુભાષચન્દ્રનું અનોખું વ્યક્તિત્વ• અસ્થિકુંભનો ડીએનએ ટેસ્ટ નહીં

Dr.Hari Desai writes weekly column "Kaaran-Raajkaaran" for Mumbai Samachar's Sunday Supplement UTSAV.15 January, 2023.
પશ્ચિમ બંગાળની ગત વિધાનસભા ચૂંટણીમાં બબ્બેવાર મુખ્યમંત્રી રહેલાં મમતા બેનરજીને પરાસ્ત કરવા કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ ઉધામા માર્યા છતાં તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો ત્રીજી વખત વધુ ભારે બહુમતીથી સરકાર બનાવી શકયાં. આવી રહેલી લોક સભાની ચૂંટણી જીતી કેન્દ્રમાં ફરી સત્તારૂઢ થવા ભારતીય જનતા પક્ષ થકી મરણિયા પ્રયાસ થઇ રહ્યા છે. બંગાળી ઈતિહાસપુરુષો સાથે પોતાને જોડીને તથા સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના જ નહીં, માર્ક્સવાદી નેતાઓને પણ પક્ષાંતર કરાવીને ભાજપ પોતાનો પ્રભાવ વધારી રહ્યો છે. જોકે છેલ્લી વિધાનસભા ચૂંટણી પછી પ્રવાહ પલટાયો છે, પરંતુ મમતાદીદીના સાંસદ ભત્રીજાને માથે જેલવાસની તલવાર લટકતી થઇ ત્યારથી દીદી થોડાં ઢીલાં પડ્યાં છે. ભાજપના પૂર્વ અવતાર જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડૉ. શ્યામાપ્રસાદ મુકરજીની ભોમકા પર ભગવો ફરકાવવા માટે હિંદુત્વનું કાર્ડ ખેલવામાં પણ ઝાઝી પાછી પાની કરાતી નથી. અત્યારે તો માહોલ એવો રચાયો છે કે જાણે આવતીકાલે જ ચૂંટણી છે. જોકે હજુ લોકસભા ચૂંટણી આડે એકાદ વર્ષ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ગૃહપ્રધાન અમિત શાહ સહિતના કેન્દ્રના મહત્વના પ્રધાનો તથા ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિતના નેતાઓ અત્યારે પશ્ચિમ બંગાળ જીતવા જંગે ચડ્યા છે. હમણાં નેતાજી સુભાષચન્દ્ર બોઝ નિમિત્તે વિવિધ કાર્યક્રમો અને ઉજવણીઓની બોલબાલા છે. એમની સંસદસંકુલમાં ભવ્ય પ્રતિમા હતી, પણ વડાપ્રધાન મોદીએ નવી પ્રતિમા સ્થાપિત કરાવીને એમને પોતીકા લેખાવવાની ભરસક કોશિશ કરી છે. પશ્ચિમ બંગાળમાં ૪૨ લોકસભા બેઠકોમાંથી ગત લોકસભા ચૂંટણીમાં ભાજપને ૧૮ બેઠકો મળી હતી. એમાંથી કેન્દ્રીય મંત્રી રહેલા બાબુલ સુપ્રિયોએ ભાજપમાંથી રાજીનામું આપીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ ગયા. એમની બેઠક પર ભાજપની વાજપેયી સરકારમાં મંત્રી રહેલા મોટા ગજાના નેતા કોંગ્રેસમાંથી તૃણમૂલમાં આવ્યા અને આસાનસોલની આ બેઠકની પેટા ચૂંટણી જીત્યા હતા.અત્યારે ભાજપ કને ૧૭ બેઠકો છે. તૃણમૂલ પાસે ૨૩ બેઠકો છે. મમતા વિપક્ષી મોરચામાં ના જોડાય એ માટે કેન્દ્ર સરકારના શાસકો પ્રયત્નશીલ છે.
પરાક્રમ દિવસની ઉજવણી
દેશનાયક તરીકે કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે જે મહાન ભારતીય સપૂતને નવાજ્યા હતા એ નેતાજી સુભાષચંદ્ર બોઝ (૨૩ જાન્યુઆરી ૧૮૯૭. કટક - ૧૮ ઓગસ્ટ ૧૯૪૫. તાઈપેઈ)ના જન્મદિવસ ૨૩ જાન્યુઆરીને દર વર્ષે ‘પરાક્રમ દિવસ’ તરીકે મનાવવાનું કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે. વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ દિવસની ઉજવણી માટે ખાસ કોલકાતા ગયા હતા. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પણ એ દિવસે ભવ્ય કૂચનું આયોજન કરીને ‘દેશનાયક દિવસ’ મનાવ્યો હતો. નેતાજીની ૧૨૫મી જન્મજયંતી વર્ષની ઉજવણીનો સંકલ્પ ભારત સરકાર અને પશ્ચિમ બંગાળ સરકારે કર્યો હતો. નેતાજીના આવા પ્રસંગોની ઉજવણી નિમિત્તે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીમાં રાજકીય લાભ મેળવવાની રાજકીય પક્ષોની હોંશ હોય એ પણ સ્વાભાવિક છે. સામાન્ય રીતે ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા’ તેમ જ ‘ચલો દિલ્હી’ કે પછી ‘જય હિંદ’ના તેમના નારા સાથે જ લશ્કરી પોશાકમાં સજ્જ નેતાજીની તસવીર બાળપણમાં સૌને પ્રભાવિત કરતી હતી, પણ જયારે રાજકીય અન્યાય અને વિસરાયેલા નાયકોને ન્યાય તોળવાને નામે વર્તમાનમાં રાજકીય દ્વંદ્વ ખેલાય ત્યારે ઇતિહાસની શી વલે થાય એ પણ જોવું રહ્યું. વાસ્તવમાં વર્તમાન સમયમાં આઝાદીના લડવૈયા એવા એક નેતાને બીજા નેતા સામે મૂકવાની ગણતરી સાથેની કવાયતો ચાલે છે ત્યારે આપણે તથ્યોનું નીરક્ષીર કરવું અનિવાર્ય થાય છે.
નેતાજી ગાંધીજીની પસંદ
નેતાજી બોઝ ઇન્ડિયન સિવિલ સર્વિસ (આઇસીએસ)માં ચોથા ક્રમે આવ્યા હતા, પણ અંગ્રેજ સરકારની સેવા કરવાને બદલે એ સેવામાંથી રાજીનામું આપીને દેશસેવા કાજે ૧૬ જુલાઈ ૧૯૨૧ના રોજ સ્વદેશ પરત ફર્યા. એ જ દિવસે મુંબઈમાં મહાત્મા ગાંધીને મણિભવનમાં મળવા ગયા હતા. એમણે તેમને કોલકાતામાં ચિત્તરંજન દાસ ‘દેશબંધુ’ને મળવાની સલાહ આપી. દેશબંધુ સાથે જોડાઈને કોલકાતાના મુખ્ય વહીવટી અધિકારી બન્યા અને કોંગ્રેસમાં પંડિત નેહરુના સમાજવાદી વિચારોની જેમ જ ડાબેરી ઝોકના નેતા બન્યા. ક્યારેક ગાંધીજીની નેતાગીરીને નિષ્ફળ ગણાવવાનું યુરોપમાં બેરિસ્ટર વિઠ્ઠલભાઈ પટેલ સાથે ૧૯૩૩માં સંયુક્ત નિવેદન કરનારા સુભાષને મહાત્મા ગાંધીએ જ ૧૯૩૮ માટે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પસંદ કર્યા હતા, એ વાત રખે ભૂલાય. સુરત પાસેના હરિપુરામાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને પંડિત નેહરુ સહિતના તમામ કોંગ્રેસી નેતાઓએ સુભાષનાં ઓવારણાં લઈને તેમના અધ્યક્ષપદે વિઠ્ઠલભાઈ નગરમાં કોંગ્રેસનું અધિવેશન સંપન્ન કર્યું હતું. આ સઘળા આયોજનને સફળ બનાવવામાં સરદાર પટેલનું સવિશેષ યોગદાન હતું. ફરીને ૧૯૩૯ માટે કોંગ્રેસ અધ્યક્ષપદ માટેની ચૂંટણી નેતાજી ના લડે એવા ગાંધીજીના અને સરદાર પટેલ સહિતના નેતાઓના આગ્રહને અવગણીને સુભાષે અધ્યક્ષ બનવા ઉમેદવારી કરી. મૌલાના આઝાદ એમની સામે ચૂંટણી લડવામાં પાણીમાં બેઠા ત્યારે મહાત્મા ગાંધીના પ્રતિનિધિ તરીકે ડો. પટ્ટાભિ સીતારામૈયા લડ્યા અને હાર્યા. ગાંધીજીએ એને પોતાની વ્યક્તિગત હાર લેખાવી, પરંતુ એ વેળા ‘હું બીજાઓનો વિશ્વાસ સંપાદિત કરી શકું, પણ ‘દેશના મહાનતમ વ્યક્તિ’ (મહાત્મા ગાંધી)નો વિશ્વાસ ના પામી શકું તો એ ટ્રેજેડી ગણાય’, એવું નેતાજીએ કહ્યું હતું.
મહાત્માને રાષ્ટ્રપિતા કહ્યા
સમયાંતરે નેતાજી કોંગ્રેસથી વિમુખ થયા. અલગ ડાબેરી પક્ષ ફોરવર્ડ બ્લોક પણ સ્થાપ્યો. જર્મની ગયા. ભારતને અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત કરાવવાના પ્રયાસો આદર્યા. તાનાશાહ હિટલરની મદદ લેવામાં કે જાપાનની મદદ લેવામાં એમને કશું ખોટું લાગ્યું નહોતું. જર્મનીથી ફેબ્રુઆરી ૧૯૪૩માં પોતાના અનન્ય મુસ્લિમ સાથી આબિદ હસન સફરાણી સાથે સબમરીનમાં પ્રવાસ ખેડવાનું પરાક્રમ આદરીને એ વાયા જાપાન સિંગાપુર પહોંચ્યા. ઓગસ્ટ ૧૯૪૩માં જ એમને સિંગાપુરમાં આઝાદ હિંદ ફોજના સરસેનાપતિનો હોદ્દો સંભાળ્યો. જાપાન અને બ્રિટિશ વિરુદ્ધના અન્ય દેશોના સહયોગથી એમણે ભારતમાંથી અંગ્રેજોને ખદેડવા માટે રંગૂન-બર્માથી જંગ આદર્યો. ઇશાન ભારત તથા આંદામાન નિકોબાર સુધી વિજય કૂચ આદરી. જે મહાત્મા ગાંધી સાથે મતભેદ હતા એ જ મહાત્માને ૬ જુલાઈ ૧૯૪૪ના રોજ રંગૂનથી કરેલા રેડિયો પ્રસારણમાં ‘ફાધર ઓફ અવર નેશન’ (રાષ્ટ્રપિતા) તરીકે સૌપ્રથમવાર સંબોધન કરીને દિલ્હીમાં વાઇસરોય હાઉસ પર ત્રિરંગો ફરકાવવાના સંકલ્પને પરિપૂર્ણ કરવા આશીર્વાદ માંગ્યા હતા. કમનસીબે ૧૮ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ નેતાજીનું તાઈપેઈ ખાતે વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. એ વેળા એમની સાથે એમના અત્યંત વિશ્વાસુ સાથી અને એડીસી કર્નલ હબીબુર રહમાન ખાન હતા. એ પછી નેતાજી જીવતા હોવાની માન્યતાઓ ખૂબ પ્રચલિત રહી, પરંતુ જાન પર ખેલનારો અને અનેકવાર જેલવાસ તથા નજરકેદ ભોગવનાર આવો નરબંકો ક્યાંય છૂપાઈને રહે એ માન્યામાં આવતું નથી.
કોમી એખલાસના પ્રણેતા
આઝાદી પછી પંડિત નેહરુ અને સરદાર પટેલે મહાત્માની વાતને કાન દેવાનું બંધ કર્યું હતું ત્યારે બાપુને તેમનો આ ‘બળવાખોર પુત્ર’ (સુભાષ) જરૂર યાદ આવતો હતો. નેતાજીના પરિવારમાં ઓસ્ટ્રીયન મૂળનાં પત્ની એમિલી અને દીકરી અનિતાની કાળજી સરદાર પટેલ અને પંડિત નેહરુએ મળીને લીધાના પત્રવ્યવહાર છતાં નેહરુને ભાંડવાની નીતિરીતિ ચાલતી રહી છે. અનિતા તો હવે પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત છે અને જર્મનીમાં જ રહે છે. સમયાંતરે બોઝ પરિવાર સાથે કોલકાતા આવીને રહે પણ છે. નેતાજીના મોટા ભાઈ સરતચન્દ્ર બોઝના પરિવારજનો અત્યારે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપમાં વહેંચાઇ ગયાં છે. પશ્ચિમ બંગાળમાં ગમે તે પક્ષ જીતે, પણ નેતાજી બોઝ તો સૌ ભારતવાસીઓના હોવાની અનુભૂતિ સદાય રહેશે. વડા પ્રધાન મોદીને નેતાજીના નિવાસનો પરિચય કરાવનાર સુગત બોઝ. એ સરતના દીકરા શિશિરના પુત્ર. સુગત ઓક્સફર્ડમાં પ્રાધ્યાપક છે અને તૃણમૂલના લોકસભાના સભ્ય રહ્યા છે. નેતાજી કાયમ હિંદુ, મુસ્લિમ અને શીખ એકતામાં માનતા અને વ્યવહારમાં આણતા રહ્યા. સમાજમાં ક્યારેય કોઈ કોમ સામે ઘૃણાભાવ જન્માવવાનું એમના સ્વભાવમાં નહોતું. એમના અત્યંત વિશ્વાસુ સાથીઓ હંમેશાં મુસ્લિમો જ રહ્યાનું એમનાં પ્રત્યેક મિશનના સાથીઓ કે દાતાઓ જોતાં અવશ્ય લાગે છે.
ધોરાજી અને રાંદેરના સાથીઓ
નેતાજી સુભાષચન્દ્ર બોઝનો નાતો છેક મહાત્મા ગાંધી, વિઠ્ઠલભાઈ પટેલ, સરદાર પટેલ જ નહીં, બીજા પણ અનેક ગુજરાતીઓ સાથે રહ્યો છે. વિદેશમાં સરદારસિંહ રાણા સાથેના નેતાજીના સંબંધો પણ હજુ વણખેડાયેલા જ છે. મહાત્મા ગાંધીની જેમ જ નેતાજી હિંદુ-મુસ્લિમ-શીખ એકતાના પ્રણેતા જ નહોતા, એમના અનન્ય સાથીઓ અને મદદકર્તાઓમાં પણ તમામ ધર્મના લોકો હતા. નેતાજીનું નામ લઈને હિંદુ વિરુદ્ધ મુસ્લિમનું રાજકારણ ખેલાવાનો પ્રયાસ કરનાર એ વાત વિસરી જાય છે કે નેતાજીની આઝાદ હિંદ બેંક સ્થાપવા માટે ૧૯૪૪માં એક કરોડ રૂપિયાના ભંડોળનું દાન કરનાર મૂળ ધોરાજીના મુસ્લિમ અગ્રણી અને બર્માનિવાસી મેમણ અબ્દુલ હબીબ યુસુફ મારફણી હતા. કમનસીબી તો જુઓ કે દેશભરમાં જ નહીં, દુનિયાભરમાં નેતાજીની ૧૨૫મી જન્મજયંતી મનાવવાની એક બાજુ વડા પ્રધાન મોદી ઘોષણા કરે, પણ બીજી બાજુ ગુજરાત સરકાર ધોરાજીમાં આ મહાન દાતાના નામે રોડનું નામકરણ કરવા માટે અંજુમન-એ-ઇસ્લામ મેમણ જમાત, ધોરાજીના પ્રમુખ હાજી અફરોઝભાઈ લકડકુટ્ટા અને પત્રકાર નયન એચ. કુહાડિયાની ૨૪ નવેમ્બર ૨૦૨૦ની અરજી અંગે કોઈ પગલાં હજુ લેતી નહીં હોવાનું જણાવાય છે. વાત આટલે અટકતી નથી. સુરતના ગુલામ હુસૈન મુસ્તાક રાંદેરી તો નેતાજીના લશ્કરમાં ભરતી અધિકારી તરીકે કાર્યરત રહ્યા છે. નેતાજીના અંતિમ દિવસ સુધી એમની સાથે અત્યંત નિષ્ઠાવાન સાથી તરીકે મુસ્લિમો જ હતા. એ કોલકાતાથી ૧૯૪૧માં અલોપ થઈને પેશાવરમાં પ્રગટ થયા અને જર્મની પહોંચ્યા ત્યાં લગી અને ત્યાં પણ મુસ્લિમો, હિંદુ અને શીખ એમના માટે જાન ન્યોછાવર કરવા તૈયાર હતા. આવા મહાન રાષ્ટ્રપુરુષનો અસ્થિકુંભ હજુ જાપાનના બૌદ્ધ મંદિરમાં છે. એમનાં પુત્રી અનિતાએ વારંવાર માંગણી કર્યા છતાં એનો ડીએનએ ટેસ્ટ કરાવવા માટે હજુ ભારત સરકાર તૈયાર થતી નથી એ વિધિની વિટંબણા જ કહેવી પડે. નેતાજી ૧૯૪૫ની વિમાન દુર્ઘટનામાં માર્યા ગયા નહોતા એવું માનનારાઓ આ ટેસ્ટ ના થાય એવી કોશિશમાં છે.
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ : ૧૪ જાન્યુઆરી, ૨૦૨૩)

Wednesday, 2 November 2022

Dramatic Entry of UCC during the Gujarat Election Campaign

 

ચૂંટણી ટાણે સમાન નાગરિક સંહિતાનું વહેતું કરાતું ગતકડું  

અતીતથી આજ :ડૉ.હરિ દેસાઈ

·         દાયકાઓથી હિંદુ મતબેંક અંકે કરવા વગાડાતી ડીમડીમ છતાં કોઈ મુસદ્દો ઘડાયો નથી

·         ૧૯૪૮માં બંધારણસભામાં સર્વાનુંમત નહીં સધાતાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં

·         ગુજરાત પહેલાં ઉત્તરાખંડમાં પણ ચૂંટણી પૂર્વે સમાન કૌટુંબિક ધારા માટે સમિતિ રચાઈ’તી

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Sardar Gurjari (Anand) and Gujarat Guardian (Surat).

ગુજરાત સરકાર વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં ભીંસમાં જોવા મળે છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથેના ત્રિકોણિયા જંગમાં સત્તારૂઢ પક્ષ ભારતીય જનતા પક્ષ (ભાજપ) રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ) લાગુ કરવા માટે સમિતિ રચવાનો નિર્ણય કરીને “સબ કા સાથ, સબ કા વિકાસ તથા સબ કા વિશ્વાસ”ની વાત કરનાર ડબલ એન્જિનની સરકારે અંતે તો હિંદુ વોટ બેંક મજબૂત કરવા મુસ્લિમોને કઠે કે ઉશ્કેરે એવો નિર્ણય કરવો પડ્યો છે. જોકે આ વખતે ઝાઝા મુદ્દા ક્લિક થતા નથી.કોઈપણ ભોગે ફરી સત્તામાં આવવું પડે તેમ હોવા છતાં ચૂંટણી પરિણામો કેવાં હશે એ કહેવું મુશ્કેલ છે. ગત ચૂંટણીમાં ૧૮૨ બેઠકોમાંથી ૧૫૦ પ્લસ બેઠકોના દાવા સામે માત્ર ૯૯ બેઠકો મળી હતી. આ વખતે દાવા તો ૧૮૨માંથી ૧૮૨ બેઠકો જીતવાના થયા હતા, પણ શાહે ૧૨૫થી ૧૩૫ બેઠકો મળવાનો દાવો કરીને અગાઉના દાવાના ફુગ્ગાને ફોડી નાંખ્યો છે. પક્ષાંતર કરાવીને પોતાનું સંખ્યાબળ વધારવામાં સારા સંકેત જતા નથી.  આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ ફરી જીતવા કૃતસંકલ્પ હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહનું ગુજરાત ગુમાવવું કે ઓછી બેઠકો મળે એવા સંજોગો જોખમી છે. અગાઉ ઉત્તરાખંડમાં પણ સમાન નાગરિક સંહિતાના અમલ માટે ચૂંટણી પહેલાં જ સમિતિ રચવામાં આવી હતી, પણ હજુ મહિનાઓ પછી પણ એનો અહેવાલ આવ્યો નથી. વળી, આ મુદ્દો તો છેક દાયકાઓથી ચલાવાતો રહ્યો છે. કેન્દ્રમાં આઠ વર્ષથી અને રાજ્યમાં ૨૭ વર્ષથી ભાજપની સરકારો રહ્યા પછી હવે એ મુદ્દાનું સ્મરણ થાય એ મતદારોને ઝાઝા પ્રભાવિત કરી શકે તેમ નથી. ઓછામાં પૂરું, ભલે મૈત્રીપૂર્ણ લડત કે ગાંધીનગર મહાપાલિકા પેટર્ન પર મદદ માટે પણ આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી હોય; પણ એના થકી મતદારોમાં નવજાગૃતિ આવેલી અવશ્ય જણાય છે. સત્તાધીશોની જાહેરસભાઓમાં પાંખી હાજરી પણ એમના માટે સવિશેષ ચિંતાનું કારણ બન્યું છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારને સત્તા

બંધારણસભામાં ૨૩ નવેમ્બર, ૧૯૪૮ની ચર્ચામાં સમાન નાગરિક સંહિતા અંગે મુસ્લિમ સભ્યોના સખત વિરોધ અને ડૉ.બી.આર. આંબેડકર અને ક.મા.મુનશી જેવા સભ્યોએ મુસ્લિમ દેશોમાં પણ સમાન  કૌટુંબિક કાયદા અમલમાં હોવાનાં  ઉદાહરણ આપ્યા છતાં સર્વાનુમત સધાયો  નહોતો. એટલે બંધારણમાં અનુચ્છેદ ૪૪ તરીકે “ભારતમાં સમગ્ર રાજ્યક્ષેત્રમાં નાગરિકોને સમાન કૌટુંબિક કાયદો પ્રાપ્ત કરવા રાજ્યે (State) પ્રયત્નો કરવા જોઈએ (shall).”નો સમાવેશ કરાયો હતો. મુનશીએ તો મુસ્લિમ બહુમતીવાળા  ઈજિપ્ત અને તુર્કી સહિતના દેશોમાં સમાન નાગરિક ધારાના અમલ તેમ જ યુરોપીય દેશોમાં પણ એવું જ હોવાની વાત મૂકી હતી. ડૉ.આંબેડકરે ૧૯૩૭ સુધી ભારતમાં પણ  મુસ્લિમો હિંદુ કાયદા હેઠળ આવતા હતા. સર્વોચ્ચ અદાલતે વારંવાર સમાન નાગરિક સંહિતાનો અમલ કરવાનું સૂચવ્યું છે પરંતુ એ કાયદો સંસદના માધ્યમથી કેન્દ્ર સરકાર જ ઘડી શકે એવી ભૂમિકા સ્પષ્ટ કરાઈ છે. કૌટુંબિક કાયદાઓ માટે એટલે કે લગ્ન, છૂટાછેડા અને વારસાઈ જેવા મુદ્દે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને એ માટેનો અધિકાર બંધારણે આપ્યો છે. મુસ્લિમોની ખફગી વહોરવી ના પડે એટલા માટે એકસાથે આવા સમાન નાગરિક કાયદાનો અમલ તમામ સરકારો ટાળતી રહી છે. ટ્રિપલ તલાકના મુદ્દે મોદી સરકારે કાયદો કર્યો પરંતુ એ માટે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આધાર લેવામાં આવ્યો હતો. સમાન નાગરિક સંહિતા સંદર્ભે મોદી સરકારે સુપ્રીમમાં જે સોગંદનામું કર્યું છે તેમાં કેન્દ્ર સંસદને આવો કાયદો બનાવવા માટે નિર્દેશ આપી ના શકે એવું જણાવીને હાથ ઊંચા કરી દીધા છે. વળી, મોદી સરકારે જ નિયુક્ત કરેલા લો કમિશનને ૨૦૧૬માં સમાન નાગરિક સંહિતા અંગે મત આપવા માટે કામગીરી સોંપી હતી. કમિશનને ૭૫,૦૦૦ પ્રતિભાવો મળ્યા અને બે વર્ષમાં એના અભ્યાસ પછી લો કમિશને ૨૦૧૮માં જે ૧૮૫ પાનાંનો અહેવાલ આપ્યો તેમાં બહુ જ સ્પષ્ટ જણાવ્યું છે કે આવો કાયદો અત્યારના સંજોગોમાં જરૂરી પણ નથી અને ઇચ્છનીય પણ નથી.”કેન્દ્ર સરકાર પોતે કોઈ નિર્ણય કરવાની જવાબદારીમાંથી છટકે છે, પણ મુદ્દો જીવતો રાખીને માત્ર ચૂંટણીલક્ષી ગતકડાં કરવાનું ચાલુ રાખે છે. હકીકતમાં આવો કાયદો ઘડવા માટે તમામ સંબંધિતો સાથે ચર્ચાવિચારણા કરીને સર્વાનુમત કેળવવો અનિવાર્ય બને છે; અન્યથા સમાજમાં નવાં વિભાજનો સર્જાઈ શકે છે.

હિંદુ સંપ્રદાયોનોય  વિરોધ

ગોવામાં પોર્ટુગીઝ સમયથી સમાન નાગરિક સંહિતાનો અમલ છે એવું નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ શરદ અરવિંદ બોબડેએ કહ્યું ત્યારે બંધારણ નિષ્ણાત કુલપતિ ફૈઝાન મુસ્તફાએ એ વાત બરાબર નહીં હોવાનું તર્કબદ્ધ રીતે દર્શાવ્યું હતું. હા, ગોવાના કોંગ્રેસી નેતા અને કેન્દ્રના કાયદા પ્રધાન રહેલા રમાકાંત ખલાપે દેશભરમાં સમાન નાગરિક સંહિતાના અમલની તરફેણ કરી છે, પરંતુ એ દિશામાં ખૂબ ગંભીરતાથી પ્રયાસો હાથ ધરવાની જરૂર દર્શાવી છે.  મુનશીએ બંધારણ સભામાં સમાન નાગરિક સંહિતાની તરફેણ કરવાની સાથે માત્ર મુસ્લિમો જ નહીં, પણ હિંદુઓના  વિવિધ સંપ્રદાયો પણ એનો વિરોધ  કરે એ વાત મૂકી હતી.  વળી, ભારતમાં હિંદુ ઉપરાંત શીખ, જૈન અને પારસી પણ હિંદુ કાયદા  હેઠળ આવે છે. કેરળ અને બંગાળના હિંદુ જીવન પદ્ધતિ અને પરંપરાઓ સમાન કાયદાને સ્વીકારશે કે કેમ એ પ્રશ્ન તો ઊભો જ છે. રામકૃષ્ણ મિશને સુપ્રીમ કોર્ટમાં પોતે હિંદુ નથી એવું સોગંદનામું કર્યું હત્ય અને એ૩ જ રીતે લિંગાયત અલગ ધર્મ છે એ વાત પણ કહેવામાં આવે છે. આવા સંજોગોમાં ફોજદારી ધારા કે સંહિતા હેઠળ તમામ નાગરિકો માટે સમાન જોગવાઈઓ અમલી બનાવી શકાય છે તેમ બધાને માટે સમાન  કૌટુંબિક ધારાનો અમલ કાયદો કરીને કરાવી દેવાનું એટલું સરળ નથી. હકીકતમાં ચૂંટણી પૂર્વેનાં સમાન નાગરિક સંહિતા અંગે સમિતિ રચવા કે જાહેરાતો કરવાની બાબતને ગંભીરતાથી લેવાની જરૂર નથી.વચ્ચે ભાજપી સાંસદ સુશીલકુમાર મોદીના વડપણ હેઠળની એક સમિતિએ ગોવાની મુલાકાત લઈને સમાન નાગરિક સંહિતા વિષયક અભ્યાસ કર્યો,પણ એ પછી એની પ્રગતિ બાબત કોઈ માહિતી નથી. એ દિશામાં આગળ વધવા માટે ગંભીર પ્રયાસો હાથ ધરીને તમામ સંબધિતો (સ્ટેકહોલ્ડર્સ)ને વિશ્વાસમાં લઈને જ સર્વાનુમત સાધવા આગળ વધવું હિતકર લેખાશે. 

-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ:૩૧ ઓક્ટોબર,૨૦૨૨)

Wednesday, 28 September 2022

The Indian Constitution and Secularism

 

લોકનિકેતનમાં દ્વિદિવસીય બંધારણ શિબિરમાં જનજાગૃતિચિંતન

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         પ્રા. અશ્વિન કારીઆ અને ગિરીશ સુંઢિયાનું અંધશ્રદ્ધાનિવારણ અભિયાનની આગેકૂચ

·         બંધારણઘડતરથી લઈને વર્તમાન સુધીના ખટમીઠા ઘટનાક્રમનું મોકળામને મંથન

·         જસ્ટિસ કારીઆ અને સાંસદ ડૉ.અમી યાજ્ઞિકની હાજરીમાં સ્તક ત્રિવેણીનું લોકાર્પણ

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Sardar Gurjari (Anand) and Gujarat Guardian (Surat).

હમણાં ૨૪-૨૫ સપ્ટેમ્બર,૨૦૨૨ દરમિયાન પાલણપુર પાસેના રતનપુરની લોકનિકેતન સંસ્થાના સંકુલમાં ૭૭ વર્ષીય ગુરુનામ ગુરુ પ્રાચાર્ય અશ્વિન કારીઆની પ્રેરણા થકી દ્વિદિવસીય બંધારણ શિબિરમાં બંધારણ, અદાલતો, ચુકાદાઓ અને લોકતંત્રની વર્તમાન સ્થિતિ તેમ ભારતના નાગરિકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કઈ રીતે સ્વીકાર્ય બને, એનું અમૂલ્ય મંથનમાં ભાર વિનાનું ભાથું મળ્યું. માનવમૂલ્યો અને સચ્ચાઈની જીવંત સંસ્થા લોકનિકેતનમાં કુદરતી વાતાવરણને ખોળે  કિરણભાઈ અને ચૌલાબહેનનું સહજ યજમાનપદ અને આતિથ્ય સમગ્ર ગુજરાતના શિબિરાર્થીઓએ માણ્યું.વિવિધ વિષયો અંગેનાં સત્રો અને પ્રશ્નોત્તરીમાં યુવા પેઢી અને વડીલોએ એકસાથે વિશાળ સંખ્યામાં ઉત્સુકતાથી સહભાગી થવાનું પસંદ કર્યું. બંધારણ અને ન્યાયતંત્ર વિષયક ચર્ચા માત્ર સભાખંડમાં સીમિત નહોતી, પરંતુ ભોજન વિરામ પછી પણ સંકુલમાં વિવિધ જૂથો વચ્ચે પણ ચર્ચાઓ ચાલતી રહી. નિષ્ણાતો દ્વારા  બંધારણ અને ન્યાયતંત્ર વિષયક ચર્ચા  સાથે ત્રણ પુસ્તકોનું  લોકાર્પણ પણ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના વર્ષે નિવૃત્ત થયેલા જસ્ટિસ બિપીનકુમાર એન.કારીઆ અને રાજ્યસભા સાંસદ તથા ધારાશાસ્ત્રી ડૉ.અમીબહેન  યાજ્ઞિકની ઉપસ્થિતિમાં થયું. પુસ્તકત્રિવેણીમાં પ્રિ.અશ્વિન . કારીઆના બંધારણીય અને સંસદીય શબ્દકોશ, તથા ધર્મનિરપેક્ષતા (યાને બિનસાંપ્રદાયિકતા)શું છે?અને હિદાયતખાન પરમારના સાયબર ક્રાઈમ માર્ગદર્શિકાનો સમાવેશ હતો. બંધારણ શિબિરો અને અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમો વધુને વધુ યોંજાવા જોઈએ અને સામાન્ય પ્રજામાં સંદર્ભે જાગૃતિ આવે આવકાર્ય ગણાય. ગોધરા અને પાલણપુરની લો કોલેજના વર્ષો સુધી આચાર્ય રહેલા પ્રા. કારીઆ અને ગિરીશ સુંઢિયાના નેતૃત્વમાં દિશામાં ચલાવાતાં અભિયાનને વેગ મળે એવી અપેક્ષા ઉપસ્થિતોએ વ્યક્ત કરી હતી. શિબિરમાં સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી ડૉ.એમ.આર.ગોસાઈ, હાઇકોર્ટના ધારાશાસ્ત્રી  હર્ષ રાવલ, વરિષ્ઠ પત્રકાર ડૉ.હરિ દેસાઈ, નિવૃત્ત સનદી અધિકારી ડંકેશ ઓઝા, કર્મશીલ મનીષી જાની  વગેરે વક્તાઓ ઉપસ્થિત હતા.

સેક્યુલર -ધર્મનિરપેક્ષની સમજણ 

પ્રિ.કારીઆએ પોતાની નવપ્રકાશિત પુસ્તિકામાં ભારત પ્રજાસત્તાક બન્યું ત્યારથી સેક્યુલર હોવાની વિશાળ છણાવટ કરી છે. એના અંશો અહીં મૂકવા જેવા છે:  બંધારણીય સુધારા પૂર્વે શું ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય હતું? બંધારણના ૪૨મા સુધારાથી આમુખમાં ધર્મનિરપેક્ષ, ‘સમાજવાદ, તેમજ 'અખંડિતતા' એમ ત્રણ શબ્દો ઉમેરવામાં આવ્યા છે. આથી કેટલાક વિચારકોનું માનવું છે કે ૧૯૭૬માં થયેલા બંધારણીય સુધારા બાદ ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય બન્યું છે. વાસ્તવમાં માન્યતા ભૂલભરેલી છે. તેનું કારણ છે કે બંધારણ સભામાં બંધારણ ઘડતર સમયે ભારત પાકિસ્તાન વિભાજનના કારણે કોમી હૂતાશનની આગ ખાસ કરીને સરહદી વિસ્તારોમાં ફેલાયેલી હતી. લાખો નિર્દોષ નાગરિકોની કતલ થઇ,  તેને અનુલક્ષીને બંધારણ સભામાં પણ કેટલાક સભ્યોએ ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની માગણી ઉઠાવેલ હતી, પરંતુ તેનો સ્વીકાર થયો હતો. કારણ કે કોઇ પણ અથવા દરેક બંધારણમાં નાગરિકો વચ્ચે પક્ષાપક્ષીનો નકાર અને સમાનતાનો સ્વીકાર તેના પાયામાં હોય છે.  ૪૨મા સુધારા અગાઉ ભારતનું બંધારણ ધર્મ નિરપેક્ષતાને વરેલું છે.કારણ કે શબ્દ ઉમેરાયા અગાઉ બંધારણના વિવિધ અનુચ્છેદોમાં ધર્મનિરપેક્ષ નીતિ પ્રગટ થયેલી છે.જેમકે (A) અનુચ્છેદ-૧૪ માં રાજ્ય તરફથી વ્યક્તિને સમાનતાનો (equality)નો અધિકાર અપાયેલ છે. એટલે કે ભારતની નિવાસી દરેક વ્યક્તિને ધર્મના કોઇપણ  જાતના ભેદભાવ વિના કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણની બાંયધરી  અપાયેલ છે. (B) અનુચ્છેદ-૧૫ અને ૧૬માં ધર્મ, જાતિ, વર્ણ, લિંગ કે જન્મસ્થાન પર ભેદભાવ કરવા સામે મનાઈ ફરમાવવામાં આવેલ છે. (C) અનુચ્છેદ-૧૯ ()(A) હેઠળ દરેક નાગરિકને ધર્મના ભેદભાવ વિના વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર અપાયેલ છે.  (D) અનુચ્છેદ-૨૫ થી ૨૮માં દરેક વ્યક્તિને ધર્મસ્વાતંત્ર્ય અધિકાર, તેમજ ધાર્મિક સંસ્થાનોના વહીવટનો મૂળભૂત અધિકાર અપાયેલ છે. (E) અનુચ્છેદ-૪૪ થી સમાન નાગરિક સંહિતા (uniform civil code) પડવાની રાજ્યની ફરજ નિયત કરવામાં આવેલ છે.  (F) ભારતના બંધારણમાં ધારાસભ્ય, મુખ્ય પ્રધાન સહિત દરેક પ્રધાન, વડી અદાલત, તેમજ સર્વોચ્ચ અદાલતના દરેક ન્યાયમૂર્તિ, દરેક કેન્દ્રિય પ્રધાન, તેમજ રાષ્ટ્રપતિએ, પોતાનો હોદ્દો ગ્રહણ કરતાં અગાઉ બંધારણ તરફ વફાદારીના શપથ લેવાના હોય છે. શપથ ઇશ્વરના સોગંદ લઇને અથવા ઇશ્વરમાં માનતા હોય તેમણે સત્યપ્રતિજ્ઞા અનુસાર હોદ્દાના શપથ લેવાના હોય છે. વિકલ્પનો અર્થ થાય છે  કે ભારત ૪૨મા  બંધારણીય સુધારા અગાઉ પણ ધર્મનિરપેક્ષ રાજ્ય હતું,  (G) ‘લોકપ્રતિનિધિત્વ ધારો', (Representative of People Act.) ૧૯૫૧. કલમ-૧૨૩ જણાવે છે કે ચૂંટણીમાં કોઇપણ ઉમેદવાર ધર્મના નામે મત માંગી શકો નહીં. પ્રચાર કરી શકશે નહીં. જો કોઇપણ ઉમેદવાર તેમ કરતાં પકડાય તો ચૂંટાયેલા ધારાસભ્યને પણ ગેરલાયક ઠરાવવાની કાયદામાં જોગવાઇ કરવામાં આવી છે, આમ ૪૨ મા બંધારણીય સુધારા અગાઉ ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય હોવાની દલીલ આધારભૂત નથી.”
ધર્મ, ધર્મ રાજ્ય અને ધર્મ નિરપેક્ષતા

ધર્મની સેંકડો પરિભાષાઓ અપાયેલ છે. આપણે જાણવું જોઇએ કે ભારતના બંધારણમાંધર્મનિરપેક્ષતા શબ્દમાંધર્મ' કયા અર્થમાં પ્રયોજવામાં આવેલ છે. આપણે ધર્મની અનેક પરિભાષાઓમાં ઉત્તરવાને બદલે તેના સૌથી લોકપ્રિય ચાર અર્થો વિશે જાણીએ. .સ્વભાવ .કર્તવ્ય કરજ . મઝહબ, ૫૫ . આધ્યાત્મિક સાધના.એના પ્રથમ અર્થમાં ધર્મ એટલે સ્વભાવ. જેમકે અગ્નિનો સ્વભાવ બાળવાનો  છે. પાણીનો સ્વભાવ તરસ છીપાવવાનો છે. પદાર્થના ગુણધર્મની વાત થઇ.બંધારણને અર્થ સાથે કોઇ નિસ્બત નથી. તેના બીજા અર્થમાં ધર્મ એટલે માનવીનું કર્તવ્ય અથવા ફરજ. જેમ કે,  પિતાની કુટુંબનું ભરણપોષણ કરવાની ફરજ છે. દરેક કર્મચારીની નિષ્ઠપૂર્વક કામ  કરવાની ફરજ છે. શિક્ષકની ફરજ ભણાવવાની છે. ડ્રાઇવરની ફરજ સલામતીપૂર્વક વાહન ચલાવવાની છે. અર્થમાં પણ ધર્મ શબ્દ બંધારણમાં પ્રયોજાયેલ નથી. તેના ત્રીજા અર્થમાં ધર્મ એટલે પંથ અથવા મઝહબ. ભારતમાં મુખ્ય ચાર ધર્મો ઉપરાંત શિવ ધર્મ,  સ્વામીનારાયણ ધર્મ, અખાડાપંથ, નિરંકારી પંથ, એવા અનેક પંધો અસ્તિત્વ ધરાવે છે. ભારતનું બંધારણ અર્થમાં ધર્મનિરપેક્ષ રાજ્ય છે. રાજ્ય  કોઇપણ મઝહબ કે પંથની તરફેણ કરી શકે નહીં, કોઇ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં, અને તેથી ભારતના બંધારણ અનુચ્છેદ-૨૫થી દરેક વ્યક્તિને ધર્મસ્વાતંત્ર્યનો  મૂળભૂત અધિકાર અપાયો છે. ધર્મસ્વાતંત્ર્ય અધિકારમાં પોતાની પસંદગીનો ધર્મ પાળવા કે પાળવાનો ધર્મનો પ્રસાર, કરવાનો વગેરેનો પણ સમાવેશ થાય છે. ભારતમાં સ્વામી વિવેકાનંદ, જે. કૃષ્ણમૂર્તિ, મહર્ષિ અરવિંદ તેમજ એની બેસન્ટ જેવા વિદ્વાનો ધર્મને ઊંચાઇ પર લઇ ગયા. તેઓ કોઈ પરંપરાગત ધર્મમાં માનવાના બદલે આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં લાગેલા હતા. ભારતીય બંધારણમાં ધર્મનિરપેક્ષતા' શબ્દમાં 'ધર્મ' અર્થમાં પ્રયોજાયેલ નથી. આમ, આપણે ધર્મનિરપેક્ષતા' શબ્દમાં ધર્મ કયા અર્થમાં બંધારણમાં પ્રયોજાયેલ છે તે બાબતે સ્પષ્ટ થયા.

બંધારણના મૂળભૂત માળખાનો ભાગ
૧૯૬૦ના દાયકામાં મૂળભૂત અધિકારોમાં સુધારો કરવાની સંસદને સત્તા છે કે કેમ તે બાબતે વિવાદ થયો હતો. ગોલકનાથ કૈસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ કે સંસદને મૂળભૂત અધિકારોમાં સુધારો કરવાની સત્તા નથી. પાછળથી કેશવાનંદ ભારતીના કેસમાં સર્વોચ્ચ અદાલતે ગોલકનાથ કેસનો નિર્ણય ઉલટાવી નાખ્યો હતો અને ઠરાવેલ કે સંસદ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે, ઘટાડો કરી શકે. વધુમાં સર્વોચ્ચ અદાલતે કેસમાં ‘‘મૂળભૂત માળખા''નો સિદ્ધાંત (Doctrine of Basic Structure) સ્થાપિત કરીને ઠરાવેલ કે સંસદ મૂળભૂત માળખામાં તો ક્યારેય ફેરફાર કરી શકે નહીં. કેસમાં મૂળભૂત માળખાની વ્યાખ્યા આપવામાં આવી નથી. પરંતુ કેટલાંક તત્વો (elements)ને સર્વોચ્ચ અદાલતે મૂળભૂત માળખાં તરીકે ઠરાવે છે. તત્વોમાં લોકશાહી, પ્રજાસત્તાક, કાયદાનું શાસન, પ્રજાસત્તાક સાથે ધર્મનિરપેક્ષતાને પણ મૂળભૂત માળખાને આવશ્યક તત્વ ગણેલ છે. આમ, સર્વોચ્ચ અદાલતના નિર્ણય પ્રમાણે ધર્મનિરપેક્ષ મૂળભૂત માળખાનું અગત્યનું તત્વ હોવાથી તેમાં ફેરફાર થઇ શકે નહીં.”
ધર્મનિરપેક્ષતા માનવવાદનો ભાગ

માનવવાદી વિચારસરણી કદાચ ઘણા માટે નવી વિચારસરણી લાગતી હશે, પરંતુ વિચારસરણીનાં મૂળ ઘણાં ઊંડા છે. તેના પાયાના સિદ્ધાંતો છે કે માનવવાદ કોઇ દેવી કે ઇશ્વરી તત્વના અસ્તિત્વનો ઇન્કાર કરે છે. કોઇ પણ ધર્મ અને તેના ઉપદેશોની મદદ સિવાય મનુષ્ય નૈતિક, પ્રમાણિક અને સદાચારવાળું જીવન જીવી શકે છે, તેવો દૃઢ વિશ્વાસ ધરાવે છે. આવા વિચારો માનવજાત પાસે હજારો વર્ષોથી છે, પરંતુ તેને માનવવાદ તરીકે વીસમી સદીથી ઓળખવાનું શરૂ થયું. જેમ માનવ સમાજનાં માનવીઓ ઇશ્વર અને દેવી પરિબળોમાં વિશ્વાસ ધરાવેછે તેમ તેમની સાથે તે સમય અને કાળમાં એવાં મનુષ્યો હતા કે જેઓ ઇશ્વરના અસ્તિત્વ અંગે સંશયવાદી હતા, તેમજ ઇશ્વરી તત્વોના અસ્તિત્વ અંગે વિશ્વાસ ધરાવતા હતા. તેઓ વિશ્વમાં બનતી ઘટનાઓને કુદરતી નિયમોને આધીન ગણતા હતા. તે રીતે ઘટનાઓનું અર્થઘટન કરી સમજાવતા હતા. ધર્મનિરપેક્ષ વ્યક્તિ માનવીયવ્યવહારોને આધારે માનવ જીવન સારું અને સમૃદ્ધ બની શકે છે. સમગ્ર માનવ ઇતિહાસમાં એવા અસંખ્ય  દાખલાઓ છે કે જેમને ઇશ્વરના અસ્તિત્વ અને સત્તાને પડકારતા માનવ મરજીવાઓને ધર્મના ટેકેદારો અને ટેકેદારોએ ખૂબ ત્રાસ આપ્યો છે, ફેલાવો અને પડકાર, રંજાડ્યા છે અને મારી નાખ્યા છે, કારણ કે સંશયવાદી અને માનવવાદી વિચારોનો ધાર્મિક, રૂઢિચુસ્તોના સીધા અસ્તિત્વ સાથે સંલગ્ન હતો. આવા લોકોનો ત્રાસ અને
સમાજ ઉપર તેમની પકડ એટલી બધી હતી કે, માનવવાદીઓ ખુલ્લામાં, જાહેરમા પોતાની વાત રજૂ કરતા ડરતા, ફક્ત ખાનગીમાં અંગત કે વ્યક્તિગત પ્રચાર કરતા. આવો સતત જીવનો ભય હોવા છતાં, છેલ્લા પાંચ હજાર વર્ષથી વિચારોને ૨૧મી સદી સુધી , માનવોએ ટકાવી રાખ્યા છે.ભારત, ચીન,ગ્રીસ,રોમ તથા મુસ્લિમ દેશોમાં વિચારો અસ્તિત્વમાં આવ્યા હતા.તેમજ તેમનો સંગ્રહ થયો હતો. “

ધર્મનિરપેક્ષતા  એટલે સર્વધર્મસમભાવ ?

કેટલાક વિચારકો ધર્મનિરપેક્ષતાનો અર્થ સર્વધર્મ સમભાવ કરે છે. ગાંધીજી સર્વધર્મ પ્રાર્થના કરાવતા હતા. ખાસ કરીને બાબતમાં વિનોબાજીના વિચારો જાણીએ. વિનોબા કહે છે. સેક્યુલર' શબ્દ વિશે સ્પષ્ટ સમજ કેળવી લેવાની જરૂર છે. સેક્યુલરનો અર્થ ધર્મવિહીન એવો તો હોઇ શકે. તેને ધર્માતીત પણ કહી શકાય. ધર્મની બહારનું અથવા ધર્મ સાથે જેને કોઇ સંબંધ નથી, એવું પણ કહી શકાય, કેમ કે ધર્મનાં જે અનેક લક્ષણો છે તેના વિના તો સમાજનું ધારણ-પોષણ થઈ શકે, વ્યક્તિના જીવનની ઉન્નતિ થઇ શકે, 'સેક્યુલર સ્ટેટ' એટલે શું? એના રાજ્યમાં કોઇ ધર્મ નહીં હોય? મારું એમ માનવું છે કે ઘણી બધી ગેરસમજો ઊભી થાય છે અને વળી કિસ્સમાં તો એક વિદેશી શબ્દને કારણે વધારે ગેરસમજ થઇ છે. આપણે ત્યાં અમુક લોકોનું બધું ચિંતન અંગ્રેજીમાં ચાલે છે, તેને આપણી ધરતી સાથે સંબંધ નથી હોતો. પછી તેનો તરજુમો કરવો પડે છે. અને કોઇપણ ભાષાનોતરજુમો બીજી ભાષામાં એકદમ બરાબર થઇ શકતો નથી. એટલે વિદેશી શબ્દ યથાર્થ ભાવ વહન કરી શકતો નથી. આપણી ભૂમિનાં સંતાનોને સમજાવવા માટે આપણી ભૂમિનો શબ્દ જોઇએ. કોઈ રાજ્ય જો પોતાને સેક્યુલર જાહેર કરશે તો રાજ્ય ધર્મ-નિરપેક્ષ રાજ્ય હશે. પરંતુ ધર્મનિરપેક્ષ' એટલે ધર્મહીન નહી, માત્ર બિનસાંપ્રદાયિક એટલું . એટલે કે તે રાજ્ય કોઇપણ વિશેષ સંપ્રદાય સાથે જોડાયેલું નથી. ધર્મનિરપેક્ષ રાજ્યપણ ખરું જોતાં સમાજનું ધારણ-પોષણ કરનારા ધાર્મિક સિદ્ધાંતોને તો ઉવેખી શકે નહીં. તેથી સેક્યુલર સ્ટેટ' અર્થ ધર્મવિહીન રાજ્ય એવો કદાપિ હોઇ શકે. તે બિન- સાંપ્રદાયિક રાજ્ય છે, એટલે કે કોઇ એક સંપ્રદાય સાથે જોડાયેલું રાજ્ય નથી. તેનો કોઇ એક રાજ્યમાન્ય ધર્મ નથી, તેમાં બધા ધર્મોને પૂરી સ્વતંત્રતા છે. આટલો
સેક્યુલર'નો અર્થ થાય છે. સેક્યુલરીઝમ' એટલે ધર્મહીનતા નહીં પણ પરિશુદ્ધ ધર્મ-ભાવના, ધર્મ-પરામુખતા નહીં પણ સર્વ ધર્મો માટે પોતીકાપણાનો ભાવ. તેથી બધા ધર્મોનો સમન્વય થયો જોઇએ.વિનોબાજીએ ખરું કહ્યું છે કે ધર્મનિરપેક્ષ રાજ્ય એટલે બિનસાંપ્રદાયિક રાજ્ય. તેમના મતે આવું રાજ્ય કોઇ એક સંપ્રદાય સાથે જોડાયેલું રાજ્ય નથી. તેનો કોઇ રાજ્ય માન્ય ધર્મ નથી. તેમાં બધા ધર્મોને પૂરી સ્વતંત્રતા છે. અહીં સુધી વિચારસરણી બરાબર છે, પરંતુ ધર્મનિરપેક્ષ રાજ્યને સર્વધર્મ સમભાવ સાથે સરખાવવાની વાત બરાબર જણાતી નથી. ધર્મનિરપેક્ષ રાજ્ય ધર્મ તરફ નિરપેક્ષ છે, એટલે કે તટસ્થ  છે.”

ભારત ધર્મનિરપેક્ષ કે પંથનિરપેક્ષ ?

હમણાં હમણાં ધર્મનિરપેક્ષતા (Secularism)નું ભાષાંતર ધર્મનિરપેક્ષતાના બદલે પંથનિરપેક્ષતા થવા લાગ્યું છે. એવો પ્રચાર પણ  થઇ રહ્યો છે કે ભારત ધર્મનિરપેક્ષ નહીં, પરંતુ પંથનિરપેક્ષ છે. ધર્મનિરપેક્ષતા ભાષાંતર બરાબર છે. પંથનિરપેક્ષતાના સમર્થકો એમ પ્રચાર કરવા ચાહે છે કે ભારત ધર્મને વરેલું છે. દેશ દરેક ધર્મ તરફ સમભાવ રાખે છે અને તેને પંથ સાથે નિસ્બત નથી. ખરેખર પ્રચારકો બંધારણના ધર્મનિરપેક્ષતાનું પોત નબળું બનાવી રહ્યા છે. આમેય, દેશમાં ધર્મનિરપેક્ષતામાં સર્વધર્મ સમભાવના નામે ઘણી ભેળસેળ થઇ રહી છે. પ્રચારથી તેને સમર્થન પ્રાપ્ત થાય છે અને ધર્મનિરપેક્ષનીતિમાં ગાબડાં પડી રહ્યાં છે. વાસ્તવમાં ભારત પંથનિરપેક્ષ નહીં, પરંતુ ધર્મનિરપેક્ષ દેશ છે.”

બે દિવસની બંધારણ શિબિરમાં સહભાગી થતાં અમારા પણ કેટલાક ભ્રમોનું નિવારણ પ્રિ.કારીઆ દ્વારા થયું અને સવિશેષ તો સેક્યુલર કે ધર્મ નિરપેક્ષતા સંદર્ભે એમણે એમની પુસ્તિકામાં અને વ્યાખ્યાનમાં રજૂ કરેલી બાબતો પ્રત્યેક નાગરિક માટે ખરા અર્થમાં પાથેય બની રહે એવું અનુભવાયું. આવી બંધારણ શિબિરો વધુને

 

-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૨)