Wednesday 14 August 2019

Mischievous Design of Pak and China to Internationalize the Kashmir Issue

કાશ્મીરને વૈશ્વિક મુદ્દો બનાવવાના પાક-ચીનના અટકચાળા
ડૉ.હરિ દેસાઈ
·         પોતાનું ઘર સાચવવાને બદલે ઇસ્લામાબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિટલર ગણાવવા મેદાને પડ્યું
·         હવે ખોંખારીને કહેવું જરૂરી છે કે ભારતની આંતરિક બાબતોમાં દખલ દેવાનો અન્યોને અધિકાર નથી
·         સત્તારૂઢ  નેતાઓ જમ્મૂ-કાશ્મીર મુદ્દે વિપક્ષોમાંના મતભેદને ખુલ્લા પાડવાના યોજનાબદ્ધ વ્યૂહમાં સફળ
·         ‘રૉ’ના  પૂર્વ વડા દુલાતના મતે, રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવાતાં આતંકવાદ વકરશે

સામાન્ય રીતે એક જ વિષય પર સતત બીજી કટાર લખવાને બદલે નવા વિષય પર જ લખવાનું ગમે,પણ કાશ્મીરના મુદ્દે દેશ અને દુનિયામાં ગાજવીજ ચાલતી રહી છે અને આગામી દિવસોમાં પણ એ રહેવાની હોવાથી આ મહત્વના વિષયને ફરી આ સપ્તાહે પણ છેડવો પડે છે. ભારતીય નાગરિક તરીકે મારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે મારા દેશના કોઈપણ શાસક કે વિપક્ષના નેતા વિશે જે મત રજૂ કરવો હોય તે રજૂ કરવાનું પસંદ કરું, પણ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પોતાના દેશની રાજકીય અને આર્થિક અવસ્થા ભણી આંખમીંચામણાં કરીને મારા દેશના લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલા વડાપ્રધાન મોદી કે અન્યો વિશે હિટલર કે એવા બીજા શબ્દપ્રયોગો કરે ત્યારે એ સામે વિરોધ જરૂર નોંધાવું. હા, પાકિસ્તાનના વડાપ્રધાન કે ચીનના સત્તાવાળાઓ મારા દેશની આંતરિક બાબતોમાં દખલ દેતા હોય ત્યારે એમનો વિરોધ કરવામાં મારી ભાષા રાજદ્વારી જ રહે એટલે કે સૌજન્યશીલ જ હોય, ગરિમાપૂર્ણ હોય એ વાત પણ એટલીજ સાચી છે. જમ્મૂ-કાશ્મીર રજવાડાના મહારાજા હરિસિંહ થકી, તેમને પ્રાપ્ત અધિકારની રૂએ, તેમના સંપૂર્ણ રજવાડાને મારા ભારતમાં ભેળવવાના વિલયપત્ર પર હસ્તાક્ષર કર્યા હોય, એ ભારતીય પ્રદેશના મોટાભાગના હિસ્સાને ગેરકાયદેસર ગપચાવનાર  પાકિસ્તાન અને ચીન ભારતીય શાસકો અને સંસદના નિર્ણયને પડકારે ત્યારે વિદેશીઓનું વલણ અનૈતિક જ નહીં, એમના માટે અશોભનીય પણ છે. આ તો ચોર કોટવાળને દંડે એવું થયું. જમ્મૂ-કાશ્મીર સંપૂર્ણપણે ભારતનું અવિભાજ્ય અંગ છે એ હકીકત છે. એનાં ઢોલ પીટવાની પણ જરૂર નથી. રાજ્યની ધરતી જ નહીં, પ્રજા પણ ભારતીય છે. એમની સુખાકારી માટે દિલ્હીના શાસકો અને પ્રજાને ચિંતા કરવાનો અધિકાર છે; ઇસ્લામાબાદ કે બીજિંગ જેવા ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલાઓને નહીં. ભારતમાં અમે પારસ્પરિક જે લડવું-ઝગડવું હશે એ ફોડી  લઈશું,પણ કોઈને બે લડતી બિલાડીઓનો ન્યાય તોળવા માટે વાંદરાની ભૂમિકા બક્ષવાની અમારી તૈયારી નથી. એટલે જ સ્તો, ચીન કે સંયુક્ત રાષ્ટ્રને છેટા રહેવાનું સૂચવીને ભારત અને પાકિસ્તાન આપસમાં મામલો ઉકેલી લે એટલી અપેક્ષા જરૂર કરી શકાય.
સંઘની વિભાજન ભૂમિકા
કાંઈક અણધાર્યું થવાનાં એંધાણ હતાં અને સોમવાર, ૫ ઑગસ્ટ ૨૦૧૯ના દિવસે ભારતના મુગટમણિ સમાન જમ્મૂ-કાશ્મીર રાજ્યના વિશેષ દરજ્જાને સમાપ્ત કરીને એને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેરવી નાંખવામાં આવ્યું. છેક ૧૯૮૯થી આતંકવાદગ્રસ્ત આ રાજ્યની આવી શસ્ત્રક્રિયા કરવામાં કેટલાંક જોખમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે વહોર્યા છતાં એમના પગલાને દેશભરમાંથી વ્યાપક આવકારો મળ્યો છે. રાજ્યમાં અમરનાથ યાત્રા થંભાવી દઈને પ્રવાસીઓ અને અન્ય રાજ્યોના લોકોને રાજ્ય છોડી દેવા ફરમાવાયું.  ઉપરાંત, વધુ હજારો સૈનિકોની કુમક પાઠવવાનો ભારત સરકારે નિર્ણય કર્યો, ત્યારે જ કંઇક નવાજૂની થવાના સંકેત મળી રહ્યા હતા. કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની જમ્મૂ-કાશ્મીરમાં બંધારણના અનુચ્છેદ ૩૭૦ અન્વયે જે વિશેષાધિકાર એને પ્રાપ્ત હતો તેને સમાપ્ત કરવાની ભૂમિકા ઉપરાંત વર્ષ ૨૦૦૨માં કુરુક્ષેત્રમાં મળેલી સંઘની પ્રતિનિધિસભામાં પસાર કરાયેલા ઠરાવ મુજબ, રાજ્યના ત્રણ મુખ્ય પ્રદેશોમાંથી  જમ્મૂ અને કાશ્મીરને અલગ અલગ રાજ્ય અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની ભૂમિકા લેવામાં આવી હતી. ભાજપની સહોદર વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ) થકી ૨૦૦૨માં જ કશ્મીરી પંડિતો માટેના અલાયદા કરિડોર સહિત રાજ્યના ત્રિભાજનને બદલે  ચતુર્ભાજનની ભૂમિકા લેવાઈ હતી. મોદી-શાહની જોડીએ કર્યું એ સાવ નોખું જ રહ્યું.
વડાપ્રધાનનું દેશને સંબોધન
વડાપ્રધાન મોદીએ જમ્મૂ-કાશ્મીર અંગે કડવા પણ જરૂરી એ નિર્ણય કરવા પડ્યા. એ પછી ૮ ઑગસ્ટે દેશવાસીઓ જોગ સંબોધનમાં જે મુદ્દાઓ તેમણે છેડ્યા એમાં રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચ્યા પછી ફરીને જમ્મૂ-કાશ્મીર પ્રદેશના રાજ્યના સ્વરૂપને બહાલ કરવા તેમજ વિકાસનો એજન્ડા રજૂ કરવાનો પ્રયાસ કર્યો. હકીકતમાં મોદીનું આ સંબોધન દેશવાસીઓ માટે તો હતું જ, પણ પારકી પંચાત કરનારાઓ માટે સવિશેષ હતું. એમનો સંદેશ પાકિસ્તાન,ચીન અને ઇસ્લામી રાષ્ટ્રો માટે હતો. સાથે જ  અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર માટે પણ હતો. ભારતની આંતરિક બાબતોમાં દખલ દેવાનો કોઈને અધિકાર નથી, એ ખોંખારીને કહેવું જરૂરી હતું. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ઍન્ટોનિઓ ગુતરેસના દીર્ઘ નિવેદન, પાકિસ્તાન થકી સમજૌતા ઍક્સપ્રેસ અને થાર ઍક્સપ્રેસ બંધ કરવા, ભારતીય હાઈકમિશનરને ઈસ્લામાબાદમાંથી ઉચાળા ભરાવવા, દ્વિપક્ષી વેપાર બંધ કરવાની એકપક્ષી જાહેરાત કરવી અને યુદ્ધ સુધીની ધમકીની ભાષા ઉચ્ચારવી, ચીન થકી આક્સાઈ ચીનના ભારતીય પ્રદેશને ખાલી કરવાના વિરોધમાં ઉકળાટ, ઇસ્લામાબાદ-બીજિંગના  સુરક્ષા પરિષદમાં ભારતને સાંકડે લેવાના ઉધામા; છતાં ભારત ધીરગંભીર રીતે આગળ વધી રહ્યાથી વિરોધીઓ મૂંઝાયેલા છે. ઘરઆંગણે સત્તારૂઢ ભાજપની સત્તાલાલસાએ સર્જેલા વિરોધાભાસોનો વિરોધ કરવામાં આવે તો પણ સરહદ પારથી દેશની સુરક્ષાને માથે જોખમ હોય ત્યારે સમગ્ર દેશ એક હોવાની અનુભૂતિ થવી સ્વાભાવિક છે.
ગઈકાલના સાથીઓ કેદમાં  
જમ્મૂ-કાશ્મીરના આજના રાષ્ટ્રઘાતક ગણાતા નેતાઓ સાથે મળીને હજુ ગઈકાલ સુધી ભાજપે શાસન કર્યું હતું. મુખ્યમંત્રી રહેલાં મહેબૂબા મુફ્તી (પીપલ્સ ડૅમોક્રૅટિક પાર્ટી-પીડીપી), ત્રાસવાદીમાંથી રાજનેતા થઇ મંત્રી રહેલા સજ્જાદ લોન (જમ્મૂ કાશ્મીર પીપલ્સ કૉન્ફરન્સ) ઉપરાંત વાજપેયી સરકારમાં વિદેશ રાજ્ય મંત્રી રહેલા શેખ અબદુલ્લા પરિવારના ઓમર અબદુલ્લા (નેશનલ કૉન્ફરન્સ) અત્યારે ભ્રષ્ટાચારી અને ભાગલાવાદી ગણાય છે. એમના સહિતના કાશ્મીરી નેતાઓને પહેલાં નજરબંધ રખાયા અને પછી તેમની ધરપકડ કરાઈ. રાજ્યસભામાં વિપક્ષના નેતા અને જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી રહેલા ગુલામ નબી આઝાદને પોતાના રાજ્યમાં પ્રવેશવા દેવામાં ના આવે ત્યારે સ્થિતિ એટલી સામાન્ય નથી એ વાત તો સ્પષ્ટ થઇ જ જાય છે. સ્થિતિ સ્ફોટક બને એ પહેલાં આગોતરાં પગલાં કેન્દ્ર સરકારે લીધાં. રાજ્યસભામાં ઉતાવળે જમ્મૂ-કાશ્મીર અંગેના પુનર્ગઠન વિધેયકને ૧૨૫ વિરુદ્ધ ૬૧ મતથી પસાર કરાવી દેવાયું, લોકસભામાં પણ તે ૩૭૦ વિરુદ્ધ ૭૦ મતથી પસાર થયું.આ સંદર્ભમાં સરકારી કવાયત તો ઘણી વહેલી આદરવામાં આવી હશે. કાશ્મીરી નેતાઓને ઑગસ્ટનો પહેલો સોમવાર કાળો દિવસ લાગ્યો, પણ દેશ માટે કેન્દ્રના આ પગલાની કાનૂની કે બંધારણીય આંટીઘૂંટી કરતાં વિશેષ ભાવનાત્મક સમર્થન સહજ બન્યું. કેન્દ્રશાસિત જમ્મૂ-કાશ્મીર અને કેન્દ્રશાસિત લદ્દાખને માટે ગૃહમંત્રી શાહે રાજ્યસભામાં જે પ્રકારે શાંતિ અને વિકાસનું ચિત્ર બતાવ્યું, એનાથી પ્રજા રાજી થવી સ્વાભાવિક છે. પાકિસ્તાન આ પ્રકરણમાં ખાબકવાની કોશિશ કરે  એ અપેક્ષિત હતું, છતાં મોદી-શાહની જોડીની કવાયતને દેશમાંથી જે વ્યાપક સમર્થન મળ્યું એ પછી ઇસ્લામાબાદ માટે કાગારોળ મચાવવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. અમેરિકી ખીલે નાચતું અને ચીનનું ઓશિયાળું પાકિસ્તાન ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દાને ગજવે એ સ્વાભાવિક છે. જોકે સમગ્ર મામલામાં અમેરિકા અને ઇઝરાયલની રહસ્યમય ભૂમિકામાં ભારત સાથે પોતાના સ્વાર્થને સાધી લેવાનો હેતુ વધુ જણાય છે.
આઝાદનો કાળો દિવસ
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામનબી આઝાદે પાંચમી ઑગસ્ટને કાળો દિવસ લેખાવ્યો. કૉંગ્રેસના જ એમના સાથી અને કેન્દ્રના પૂર્વ મંત્રી સી. ચિદંબરમે જ નહીં, હજુ હમણાં જ આંતરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં ભારત સરકાર વતી પાકિસ્તાનમાં જાસૂસી અને ભાંગફોડના આરોપસર ફાંસીની સજા પામેલા કુલભૂષણ જાધવને જીવતદાન અપાવવામાં સફળ થયેલા ધારાશાસ્ત્રી હરીશ સાળવેએ પણ કાનૂની કે બંધારણીય દ્રષ્ટિએ જે પ્રકારે આ રાજ્યનું સ્વરૂપ બદલી નાંખવામાં આવ્યું એ સામે વાંધો ઉઠાવ્યો. પંજાબના કૉંગ્રેસી મુખ્યમંત્રી અને પતિયાળાના “મહારાજા” કૅપ્ટન અમરિંદર સિંહે પણ કેન્દ્ર સરકારે જે રીતે જમ્મૂ-કાશ્મીરનું સ્વરૂપ બદલી નાંખ્યું એને ગેરબંધારણીય ગણાવ્યું છે. જોકે કૉંગ્રેસના જ જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નેતાઓ પોતાના પક્ષના નેતા રાહુલ ગાંધીની વાતથી વિપરીત કેન્દ્રના ૩૭૦ અને ૩૫ (એ)ને સમાપ્ત કરવાના સમર્થક રહ્યા. રાજ્યમાં ભાજપ સાથે ત્રણ-ત્રણ વર્ષ રાજ કરનાર પીડીપીના સાંસદોએ તો ગૃહમાં વિરોધ નોંધાવવા પોતાના ઝભ્ભાને ફાડવા સુધી જવું પડ્યું. બેશક જમ્મૂ-કાશ્મીરના સ્વરૂપને બદલવામાં ઉતાવળ કરવામાં આવી છે, પણ મોદી સરકાર માટે રાજ્યમાં આતંકને ખાળવાનું અશક્ય બન્યું હતું ત્યારે લશ્કરી પગલાં લેવા ઉપરાંત આગામી ચૂંટણી જીતવા માટે આ અનિવાર્ય હતું. દેશભરની જનભાવના પણ આ રાજ્યને વિશેષ દરજ્જો સમાપ્ત કરીને મુખ્યધારામાં લાવવાના પક્ષે હતી.
વિધાનસભાનું પુનર્ગઠન
કેન્દ્રશાસિત જમ્મૂ-કાશ્મીરમાં વિધાનસભાની બેઠકોનું પુનર્ગઠન થતાં પ્રદેશમાં હવે જમ્મૂ-કેન્દ્રિત રાજકારણનો યુગ બેસવાનો. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના મિલન સમી પીડીપી-ભાજપની સરકારના સમારંભમાં મુખ્યમંત્રી મુફ્તી મહમ્મદ સઈદ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રધ્વજ સાથે જ રાજ્યના ધ્વજની સાક્ષીએ બેસવું પડ્યું હતું. હવે માત્ર રાષ્ટ્રધ્વજ ફરકશે. જમ્મૂ-કાશ્મીરની ૮૭ વિધાનસભા બેઠકોને હવે ૧૧૪ સુધી લઇ જવાઈ છે. અત્યાર લગી રાજ્યના લદ્દાખની ૪ વિધાનસભા બેઠકો સહિત ૮૭ બેઠકોની ચૂંટણી થતી હતી. એમાં બહુમતી બેઠકો કાશ્મીર ખીણ પ્રદેશની હતી.પાકિસ્તાને ગપચાવેલા જમ્મૂ-કાશ્મીરની ૨૪ બેઠકો ખાલી રાખવામાં આવતી રહી છે. નવી વ્યવસ્થામાં પણ ૨૪ બેઠકો ખાલી રહેશે. વિધાનસભાની મુદત ૬ વર્ષને બદલે પાંચ થશે અને કેન્દ્રશાસિત જમ્મૂ-કાશ્મીરને કાયદો અને વ્યવસ્થા તેમજ પોલીસ વિષયક કાયદા ઘડવાનો અધિકાર નહીં રહે. અત્યાર લગી ભારત સરકારના અમુક કાયદા રાજ્યની વિધાનસભા મંજૂર કરે તો જ લાગુ પડતા હતા,પરંતુ હવે ભારતના તમામ કાયદા અહીં સીધા જ લાગુ પડશે. જમ્મૂ-કાશ્મીરના અલગ બંધારણની સમાપ્તિ થકી રાજ્યને મુખ્યધારામાં લાવવાનું શક્ય બનશે, એવું અપેક્ષિત મનાય છે. વાજપેયી સરકારના કાશ્મીર બાબતોના સલાહકાર અને ભારતીય ગુપ્તચર એજન્સી ‘રૉ’ના વડા રહેલા એ.એસ.દુલાતનું કહેવું છે કે રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવાતાં આતંકવાદ વકરશે.
રાજવી પરિવારનો મત
મહારાજા હરિસિંહના કુંવર અને રાજ્યના સદર-એ-રિયાસત તેમજ રાજ્યપાલ રહેલા કૉંગ્રેસી નેતા ડૉ.કર્ણસિંહની વર્તમાન કેન્દ્ર સરકારને જમ્મૂ-કાશ્મીરની બાબતમાં કોઈ ઉતાવળિયું પગલું નહીં ભરવાની સલાહ હતી. જોકે ડૉ.સિંહે  નવા ફેરફારોને સાવધાનીપૂર્વક આવકારીને રાજ્યનો દરજ્જો શક્ય એટલો જલદી બહાલ કરવા ઉપરાંત ધરપકડ કરાયેલા નેતાઓને છોડી મૂકવાની માંગણી કરી છે. પોતે છેક ૧૯૬૫માં લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના સમર્થક હોવાનું જણાવ્યું છે. વર્ષ ૨૦૧૬માં તેમણે રાજ્યસભામાં કરેલા ભાષણમાં જમ્મૂ-કાશ્મીરના સ્વરૂપને કોઈપણ રીતે બદલવાનો વિરોધ કર્યો હતો. જમ્મૂ-કાશ્મીર ત્રણ પ્રદેશ નથી પણ એક જ પ્રદેશ છે, એ વાત પર એમણે ભાર મૂક્યો હતો. કશ્મીરિયત સાથે જ જમ્મૂઇયત અને લડાખીઝ સંગઠિત છે. સ્વાભાવિક છે કે મહારાજાના પરિવાર માટે તો પાકિસ્તાને કે ચીને ગપચાવેલો રાજ્યનો પ્રદેશ પણ પોતીકો જ છે. મહારાજા હરિસિંહ થકી ૨૬ ઑક્ટોબર ૧૯૪૭ના રોજ ભારત સાથેના વિલયપત્ર પર હસ્તાક્ષર કરાયા પછી એમના સંપૂર્ણ રજવાડાનો પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ છે. સંસદમાં એકથી વધુ વખત સર્વાનુમતે જમ્મૂ-કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ હોવાના ઠરાવ થયેલા છે. નવાઈ એ વાતની છે કે મહારાજાના વંશજો એમના વિરોધી શેખ અબદુલ્લાના પક્ષમાં પણ રહ્યા છે. ડૉ.કર્ણ સિંહના નાના કુંવર “મિયાં” અજાતશત્રુ સિંહ  નેશનલ કૉન્ફરન્સમાં હતા અને ડૉ.ફારુક અબદુલ્લાની સરકારમાં મંત્રી પણ રહ્યા. વર્ષ ૨૦૧૪માં જ તેઓ નેશનલ કૉન્ફરન્સ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. એમના મોટાભાઈ “મિયાં” વિક્રમાદિત્ય સિંહ મુફ્તી મોહમ્મદ સઈદ અને મહેબૂબા મુફ્તીની પીડીપીમાં જોડાયા હતા. બંને ભાઈ વિધાનપરિષદના સભ્યો પણ હતા, પરંતુ પીડીપી-ભાજપ સરકારનાં સમયગાળામાં મહારાજા હરિસિંહના જન્મદિવસને રજા જાહેર કરવાના તેમના ઠરાવને ગૃહની મંજૂરી છતાં તેનો અમલ નહીં કરાતાં વિક્રમાદિત્યે પીડીપી અને વિધાનપરિષદ બંનેમાંથી રાજીનામું આપ્યું હતું. પાછળથી તેઓ પોતાના પિતાની પાર્ટી કૉંગ્રેસમાં જોડાયા હતા. અજાતશત્રુએ તો વિધાન પરિષદમાં કહ્યું પણ હતું કે તમે જમ્મૂ-કાશ્મીરને ચલાવી ના શકતા હો તો અમને પાછું આપી દ્યો.
ઇતિહાસનું વિકૃતીકરણ
જમ્મૂ-કાશ્મીરના નામે પ્રથમ વડાપ્રધાન અને મૂળે કાશ્મીરી પંડિત એવા પંડિત જવાહરલાલ નેહરુને ભાંડવાની ફેશન પૂરબહારમાં ખીલેલી છે. સ્વયં સરદાર પટેલ મુસ્લિમ બહુલ જમ્મૂ-કાશ્મીરના રજવાડું પાકિસ્તાનમાં જોડાય તો પણ વાંધો ના લેવાના પક્ષના હતા, છતાં કાશ્મીરી પંડિત નેહરુની ભાવનાનો આદર કરીને એને ભારતમાં જોડવા કામે વળ્યા હતા. છેક સુધી એ આ પ્રશ્ને નેહરુની સાથે ને સાથે હતા. આમ છતાં ઈતિહાસને વિકૃત કરવામાં રસ ધરાવનારાઓ નેહરુને ભાંડવા માટે જ સક્રિય રહે છે. દીર્ઘદ્રષ્ટા સરદાર થકી જ આ રજવાડાને ભારત સાથે જોડવા અને જાળવવા માટે બંધારણના અનુચ્છેદ ૩૭૦ (મુસદ્દામાં ૩૦૬-એ)ને બંધારણસભામાં મંજૂર કરવાનો તખ્તો ગોઠવાયો હતો. જોકે રાજનેતાઓ પ્રેરિત અનુકૂળતા મુજબના ઈતિહાસને આગળ વધારનારા દરબારી ઈતિહાસકારો અને વિશ્લેષકો તથ્યોને બદલે રાજકીય અનુકૂળતાઓ મુજબના ઈતિહાસ નવી પેઢીને પીરસવાનું પસંદ કરે છે. વારંવાર કહેવામાં આવતાં જૂઠાણાં પણ સત્ય મનાઈ જાય એવી ગૉબેલ્સવાળી નીતિરીતિ કાશ્મીર કોકડાને વધુ ગૂંચવતી રહી છે. હવે નવા સંજોગોમાં કાશ્મીર સમસ્યાનું સમાધાન મળે એવી અપેક્ષા કરીએ.
ઇ-મેઈલ: haridesai@gmail.com                (ગુજરાત ગાર્ડિયન ૧૪ ઑગસ્ટ ૨૦૧૯)




No comments:

Post a Comment