Sunday 18 July 2021

When the Maharaja of Bikaner had to threaten to join Pakistan

 હિંદુ રજવાડું અમરકોટ (હવેનું ઉમરકોટ) ભારતને બદલે પાકિસ્તાનમાં જોડાવામાં પોતાનું હિત નિહાળતું હતું. ભારતમાંથી અંગ્રેજ શાસકો ઉચાળા ભરે એવી જાહેરાત કરનારા વડાપ્રધાન ક્લેમન્ટ એટલીના પુરોગામી વિન્સ્ટન ચર્ચિલ તો વાસ્તવમાં ભારતને આઝાદી આપવાના પક્ષે નહોતા અને ભારતને સ્વતંત્ર કરવામાં આવે તો બ્રિટિશ ઈન્ડિયા અને અંગ્રેજ શાસકો સાથે જોડાયેલાં દેશી રજવાડાંના પ્રદેશને ત્રણ ભાગમાં વહેંચી નાખવાના પક્ષધર હતા. ભારત, પાકિસ્તાન અને દેશી રજવાડાંના પ્રિન્સીસ્તાન એમ ત્રણ ભાગલા પડે અને સંયુક્ત આરબ અમિરાત (UAE) કે મલયેશિયાના મોડેલ પર પ્રિન્સીસ્તાન બને એવો પ્રબળ અંગ્રેજ મત હોવાનું ચિત્રાલના રાજવી પરિવારના ફતેહ-ઉલ-મુલકે પણ નોંધ્યું છે. સ્વયં મહારાજા સાદુલ સિંહની જીવનકથા લખનાર હગ પુર્સેલે નોંધ્યું છે: 'મહારાજા સાદુલ સિંહે પાકિસ્તાનમાં જતા ગંગા કેનાલના ફિરોઝપુરના વિસ્તારો પાકિસ્તાનને આપતા રેડક્લિફ ચુકાદાને બદલીને સીમારેખા ભારતના હિતમાં ફરી દોરવામાં નહીં આવે તો પાકિસ્તાન સાથે જોડાવાની ધમકી ઉચ્ચારીને રેડક્લિફ સરહદ રેખા બદલાવીને જ બિકાનેરના રજવાડાને ભારતમાં આણ્યું હતું.' જોધપુરના મહારાજા હણવંત સિંહ સમક્ષ ઝીણાએ કોરા કાગળ પર સહી કરી આપીને પાકિસ્તાનમાં જોડાવા માટેની શરતો ભરવા કહ્યું હતું પણ જેસલમેરના મહારાજકુમારની હાજરજવાબી થકી જોધપુરને પુનઃવિચાર કરવાની ફરજ પડી હતી. બિકાનેર મહારાજા પ્રજા માટેના જળના અધિકારોના મુદ્દે પાકિસ્તાનમાં જોડાતાં અટક્યા હતા. અન્ય રાજાઓની ભારતમાં જોડાવાની રસપ્રદ કહાણીઓ રહી છે. કેટલાકને વ્યક્તિગત સ્વાર્થ હતા તો કેટલાકને પોતાની પ્રજાના હિતની ચિંતા હતી.

haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)

No comments:

Post a Comment