Wednesday 12 June 2019

Imposing Hindi on South would boomerang

દક્ષિણ ભારતમાં દ્વિભાષાને બદલે હિંદી સહિતની ત્રિભાષા ફૉર્મ્યૂલા બૂમરેંગ થવાનાં જોખમ  
ડૉ.હરિ દેસાઈ
·         સામાન્ય છાપથી વિપરિત દેશની રાષ્ટ્રભાષા હિંદી નથી અને અંગ્રેજીનું ચલણ કડી-ભાષા તરીકે અકબંધ રહ્યું  
·          નેહરુ અને શાસ્ત્રીએ જે કોલ આપ્યો છે તેને વળગી રહી દક્ષિણ ઈચ્છે ત્યાં સુધી અંગ્રેજી ચાલુ રાખવું જોઈએ
·         ક્યારેક હરિયાણામાં “દ્વિતીય સત્તાવાર ભાષા” તરીકે તેલુગુ ભણાવાતું હતું,પણ ૨૦૧૦પછી એ બધું ઉલી ગયું
·         અનેકતામાં એકતાના ભારતીય સ્વરૂપને જાળવવા માટે ઉંબાડિયાં કે અટકચાળાને સવેળા દાબી દેવાની જરૂર
ઉત્તર ભારતનાં રાજ્યોમાં કોઈએ દક્ષિણની કોઈ ભાષા (તમિળ, તેલુગુ,મલયાલમ કે કન્નડ) તો ભણવી કે ભણાવવી નથી અને દક્ષિણનાં રાજ્યોમાં હિંદી સહિતની ત્રિભાષા ફૉર્મ્યૂલા અમલી બનાવી દેવી હોય ત્યારે સ્વાભાવિક છે કે વિરોધનો વંટોળ તો ઊઠવાનો. સામાન્ય રીતે વડાપ્રધાનો ઉત્તર પ્રદેશમાંથી જ આવતા હોય તો દક્ષિણનાં રાજ્યોને અન્યાયની અનુભૂતિ થાય એમાં કશું ખોટું નથી.મહારાષ્ટ્રમાં મુંબઈ રાજધાની હોય અને ઉપ-રાજધાની તરીકે નાગપુર હોય, જમ્મૂ-કાશ્મીરમાં રાજધાની શ્રીનગર હોય અને ઉપ-રાજધાની જમ્મૂ હોય; ત્યારે દક્ષિણનાં રાજ્યોમાં  ભાવ જાગી શકે  કે નવી દિલ્હીથી જ શાસન થાય એને  બદલે બેંગલુરુ કે ચેન્નાઈને પણ ઉપ-રાજધાનીનો હોદ્દો કેમ ના અપાય? ક્યારેક આ અન્યાયના ભડકામાંથી અલગ દ્રવિડનાડુની માંગ ઊઠે તો એને દેશદ્રોહ ગણાવી કાઢવામાં આપણે ક્યાંક ભોંય ભૂલતા હોઈએ એવું સ્વીકારવાની તૈયારી રાખવાની જરૂર ખરી. સામાન્ય છાપ એવી છે કે દેશની રાષ્ટ્રભાષા હિંદી છે. હકીકતમાં આ વાત સાચી નથી. દેશમાં આજે પણ અંગ્રેજીનું ચલણ કડી-ભાષા તરીકે અકબંધ છે,પરંતુ  બંધારણના પરિશિષ્ટ-૮માં સમાવાયેલી હિંદી,ગુજરાતી,બંગાળી,પંજાબી,તમિળ, ઉર્દૂ, નેપાળી સહિતની તમામ ૨૨ પ્રાદેશિક ભાષાઓ દેશની રાજભાષાનું સમાન સ્થાન ધરાવે છે,પણ કેન્દ્રનો સરકારી વહીવટ હજુ અંગ્રેજી અને હિંદીમાં જ થાય છે.  
રાષ્ટ્રભાષા સંસ્કૃતનો આગ્રહ
મહાત્મા ગાંધી, સરદાર પટેલ કે પંડિત નેહરુ સહિતના નેતાઓ હિંદી-હિંદુસ્તાનીને રાષ્ટ્રભાષા કરવાના આગ્રહી હતા. ડૉ.બાબાસાહેબ આંબેડકર સાથે બંધારણસભાના કેટલાક દક્ષિણ ભારતીય અને મુસ્લિમ સભ્યોએ સંસ્કૃતને રાષ્ટ્રભાષા તરીકે પ્રસ્તાવિત કરી હતી. ડૉ.રામમનોહર લોહિયા જર્મનીમાં પોતાનો પીએચ.ડી.નો મહાનિબંધ જર્મનમાં લખ્યા પછી ય  હિંદીમાં જ સરકારી કામકાજના આગ્રહી રહ્યા. મુલાયમ સિંહ યાદવ જેવા એમના શિષ્યો પણ. સાક્ષરવર્ય અને બંધારણસભાના સભ્ય ક.મા.મુનશી તો હિંદી અને અંગ્રેજીના વિવાદમાં અંગ્રેજીના પક્ષે સકારણ હતા.તેમણે સપ્ટેમ્બર ૧૯૬૭માં નોંધ્યું હતું : “હિંદીને આપણે ચાહીએ છીએ કારણ કે એ એકતાવાચક પરિબળ છે.પરંતુ જો એને આપણે અણગમતી રીતે લોકો પર લાદીશું તો એ ખંડનાત્મક પરિબળ બની જશે.આમાં એકમાત્ર માર્ગ સમજૂતીનો છે,કાયદાનો નહીં. આ દેશના પૂરતા ભાગલા પડી ચૂક્યા છે.જવાહરલાલ નેહરુ અને લાલબહાદુર શાસ્ત્રીએ જે કોલ આપ્યો છે તેને વળગી રહેવાનો આપણે પ્રામાણિક નિરધાર કરવો જોઈએ કે જ્યાં સુધી દક્ષિણ ઈચ્છે ત્યાં સુધી અંગ્રેજી ચાલુ રાખવું જોઈએ.” જોકે ઈઝરાયલમાં મૃત ભાષા હિબ્રુને જીવંત કરી રાષ્ટ્રભાષા કરાઈ,પણ ભારતમાં આઝાદીના સાત દાયકા વીત્યા છતાં ના તો દેશનું કોઈ યોગ્ય નામકરણ થઇ શક્યું છે કે ના રાષ્ટ્રભાષા નક્કી થઇ છે. સ્વદેશી શાસનકાળમાં હજુ હિંદી રાષ્ટ્રભાષા થઇ શકી નથી. દેશનું નામ પણ “ઇન્ડિયા ધેટ ઈઝ ભારત”માંથી ભારત થઇ શક્યું નથી. બંધારણના પરિશિષ્ટ-૮માં સમાવાયેલી દેશની ૨૨ ભાષાઓ માત્ર રાજભાષાઓ હોવા છતાં વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ તો પોતાનાં ભાષણોમાં હિંદીને રાષ્ટ્રભાષા ગણાવે છે!
હરિયાણામાં તેલુગુના અખતરા 
મહાત્મા ગાંધીએ ૧૯૧૮માં સ્થાપેલી  દક્ષિણ ભારત હિંદી પ્રચારિણી  સભાએ આઝાદી પહેલાં જ નહીં, પછીના શરૂઆતના દાયકાઓમાં દક્ષિણનાં રાજ્યોમાં હિંદીના પ્રચારનું સારું કામ કર્યું હતું. દક્ષિણ ભારતના હૃદયસમા મદ્રાસ (હવેના ચેન્નાઈ)માં હિંદીના સર્વપ્રથમ પ્રચારક તરીકે મહાત્મા ગાંધીના પુત્ર અને સી.રાજગોપાલાચારીના જમાઈ દેવદાસ ગાંધી હતા.પાછળથી તેઓ દિલ્હીના બિરલા જૂથના અંગ્રેજી દૈનિક “હિંદુસ્તાન ટાઈમ્સ”ના તંત્રી થયા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીથી લઈને રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ઉપરાંત વડાપ્રધાનો લાલબહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને પી.વી.નરસિંહરાવ સહિતના એ સંસ્થાના પ્રમુખ રહ્યા.એ પછી તો ન્યાયાધીશો એના પ્રમુખ રહ્યા,પણ હિંદી વિરોધના માહોલ વચ્ચે ૧૯૬૪માં સંસદના કાયદાથી રાષ્ટ્રીય મહત્વની જાહેર કરાયેલી આ સંસ્થાનું મહત્વ પછીથી ઘસારો અનુભવતું રહ્યું. ઉત્તરમાં ક્યારેક હરિયાણામાં પોતાના રાજ્યની “દ્વિતીય સત્તાવાર ભાષા” તરીકે તેલુગુ ભણાવાતું હતું,પણ પછી તો એ બધું ઉલી ગયું. તેલુગુ શિક્ષકોને છૂટા કરાયા કે અન્ય વિષયો ભણાવવાનું કામ તેમને સોંપાયું હતું. ભાજપના સાંસદ રહેલા તરુણ વિજયે સપ્ટેમ્બર ૨૦૧૩માં તમિળ ભાષાને દેશની “દ્વિતીય સત્તાવાર ભાષા” જાહેર કરીને ઉત્તરનાં રાજ્યોમાં ભણાવવાનો આગ્રહ કર્યો ત્યારે ભારે ઉહાપોહ મચ્યો  હતો. હજુ ફેબ્રુઆરી ૨૦૧૯માં હરિયાણાના મૂળ પંજાબી એવા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે હરિયાણામાં પોંગલ ઉત્સવ ટાણે અસ્ખલિત તમિળમાં ભાષણ આપીને બધાને આશ્ચર્યમાં ગરકાવ કર્યાં હતા. રા.સ્વ.સંઘના પ્રચારક રહેલા ખટ્ટરે ચાર દાયકા પહેલાં તમિળ શીખી હતી. જોકે વર્ષ ૨૦૧૦ સુધી હરિયાણામાં તેલુગુ “દ્વિતીય સત્તાવાર ભાષા” હતી. પંજાબમાંથી ૧૯૬૬માં હિંદીભાષી હરિયાણા છૂટું પડ્યું હોવાથી પંજાબીને “દ્વિતીય સત્તાવાર ભાષા”નો દરજ્જો આપવા અંગે આળી જનભાવનાને ધ્યાને રાખીને મુખ્યમંત્રી બંસીલાલે દક્ષિણના આંધ્ર પ્રદેશ સાથે વિશેષ સંબંધ જોડતાં તેલુગુને “દ્વિતીય સત્તાવાર ભાષા” તરીકે અપનાવી હતી. પાછળથી મુખ્યમંત્રી ભૂપીન્દર સિંહ હુડ્ડાના વખતમાં વર્ષ ૨૦૧૦માં પંજાબીને “દ્વિતીય સત્તાવાર ભાષા”નો દરજ્જો આપવા પાછળ પણ રાજકીય લાભના ગણિતની બાજી ચિપવામાં આવી હતી.
સરકારનાં પારોઠનાં પગલાં
ક્યારેક અતિઉત્સાહ ઘાતક સાબિત થાય છે: હમણાં કેન્દ્રમાં નવી સરકાર આરૂઢ થતાંની સાથે જ અગાઉની સરકારના  માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે તૈયાર કરાવેલા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદ્દાને આ જ વિભાગના નવા મંત્રી ડૉ.રમેશ પોખરિયાલ “નિશંક” થકી જાહેર કરાયો. એક તો ડૉ.પોખરિયાલ પોતાની માનદ્ પીએચ.ડી. અને ડી.લિટ. પદવીઓ વિશે વિવાદમાં હતા અને એમાં આ  મુસદ્દામાં દક્ષિણ ભારતનાં રાજ્યોમાં હિંદી ભાષા દાખલ કરવા સહિતની ત્રિભાષા ફૉર્મ્યૂલાએ તો ભારે સંકટ ઊભું કરી દીધું. હજુ ગયા વર્ષે જ દક્ષિણનાં રાજ્યોને અન્યાયની વાત આગળ કરીને ફરીને અલગ દ્રવિડનાડુનો રાગ આલાપવાનું પસંદ કરનાર દ્રમુકના સુપ્રીમો એમ.કે.સ્ટાલિન જ નહીં, કેન્દ્રના નાણામંત્રી રહેલા પી.ચિદંબરમ, કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી અને કેરળના સાંસદ શશી થરૂરે પણ હિંદીના સંવેદનશીલ મુદ્દાને ઊઠાવી ભારે ઉહાપોહ મચાવવાનું શરૂ કર્યું.
ભાજપમિત્ર અન્નાદ્રમુકની ચોખવટ
સંયોગ પણ કેવો કે તમિળનાડુમાં પગદંડો જમાવવા ભારતીય જનતા પક્ષે મુખ્યમંત્રી જે. જયલલિતાના નિધન પછી બે ફાડિયાંમાં વિભાજિત તેમના અન્નાદ્રમુકને પુનઃ એકત્ર કરીને એનું વાલીપણું સ્વીકાર્યા પછી પણ દ્રમુક અને કૉંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં અન્નાદ્રમુક-ભાજપ યુતિનાં તળિયાંઝાટક કરી નાખ્યાં. એટલી હદે કે કન્યાકુમારીની જે બેઠક ભાજપને મળતી હતી એ પણ આ વખતે કૉંગ્રેસે છીનવી. આવા સંજોગોમાં મૂળ તમિળનાડુનાં જ  કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે તત્કાળ બંબાવાળા તરીકે ધસી આવવું પડ્યું. તેમણે દક્ષિણનાં રાજ્યોની પ્રજાને ખાતરી આપવી પડી કે હિંદી ભાષા તેમના માથે ઠોકી બેસાડવાનો કોઈ પ્રયાસ નવી શિક્ષણ નીતિના મુસદ્દામાં નથી. કેન્દ્રના મુખ્ય સત્તારૂઢ પક્ષના તમિળનાડુના મિત્રપક્ષ અન્નાદ્રમુકના  નેતા અને નાયબ મુખ્યમંત્રી  ઓ.પનીરસેલ્વમે કહ્યું કે અમારી  સરકાર તમિળનાડુમાં હિંદી સહિતની ત્રિભાષી ફૉર્મ્યૂલા સ્વીકારતી નહીં હોવા ઉપરાંત માત્ર અંગ્રેજી અને તમિળની દ્વિભાષી ફૉર્મ્યૂલાને  જ ચુસ્તપણે વળગી રહે છે. 
હિંદીવિરોધી હિંસક રાજકારણ
છ દાયકા પહેલાં મદ્રાસ પ્રાંતમાં કૉંગ્રેસની સરકારના હિંદીના આગ્રહે હિંસક અથડામણો અને રાજકીય ઉથલપાથલ પેદા કરી હતી. ૧૯૬૭ પછી આ રાજ્યમાં કોઈપણ રાષ્ટ્રીય પક્ષને બદલે દ્રવિડ પક્ષો જ વારાફરતાં સત્તામાં આવતા રહ્યા છે. એ જોતાં કેન્દ્ર સરકારે તાત્કાલિક રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદ્દામાંની “બિન-હિંદીભાષી રાજ્યોમાં વિદ્યાર્થીઓને પ્રાદેશિક ભાષા ઉપરાંત હિંદી અને અંગ્રેજી એમ ત્રિભાષા ફૉર્મ્યૂલા દાખલ કરાશે” એવી દરખાસ્ત સુધારીને “વિદ્યાર્થી ઈચ્છે તે ત્રણ ભાષા છટ્ઠા કે સાતમા ધોરણમાં ભણાવાશે” એવો સુધારો કરવો પડ્યો. હિંદીવિરોધી હિંસક આંદોલન માટે જાણીતા બનેલા આ પ્રદેશના મિજાજને જોતાં નવી શિક્ષણ નીતિના મુસદ્દામાં કરાયેલા સુધારા દ્વારા ત્રિભાષી ફૉર્મ્યૂલામાં સંકેત આપવાનો પ્રયાસ થયો કે દક્ષિણની તમિળ ઉપરાંત બીજી કોઈ ભાષા એટલે કે તેલુગુ, કન્નડ કે મલયાલમ વિકલ્પે ભણવા વિદ્યાર્થી પસંદ કરી શકે. મુસદ્દામાં આ સુધારો કરાતાં સૌથી પહેલાં જાણીતા સંગીતકાર એ.આર.રહેમાને તમિળમાં ટ્વિટ  કરીને સૌને જાણ કરી કે “તમિળ (નાડુ)માં હિંદી હવે ફરજિયાત નથી.મુસદ્દો સુધારાયો.”
સૂતા સાપ જગાડવાનાં જોખમ
મામલો બહુ શાંત પડે તેમ નથી. ત્રિભાષી ફૉર્મ્યૂલાએ સૂતા સાપ જગાડવાનું કામ કર્યું છે. એની આગની ઝાળ દક્ષિણનાં રાજ્યોમાં જ નહીં, છેક મહારાષ્ટ્રમાં પણ અનુભવાઈ. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ફાયરબ્રાન્ડ વડા રાજ ઠાકરે પણ આ વિવાદમાં કૂદી પડ્યા છે: “હિંદી અમારી માતૃભાષા નથી.એટલે અમારી પર લાદીને ઉશ્કેરશો નહીં.” વિદેશમંત્રી જયશંકરે કેન્દ્ર સરકાર તમામ ભાષાઓનો આદર કરે છે એવી સ્પષ્ટતા કર્યાં પછી પણ દક્ષિણનાં રાજ્યો પર અને ખાસ કરીને તમિળનાડુ પર હિંદી લાદવામાં આવ્યાનો ઉહાપોહ છે. અભિનેતા અને રાજનેતા કમલ હાસન પણ હિંદીના વિરોધમાં મેદાનમાં આવી ગયા છે. આંધ્ર પ્રદેશ, કેરળ અને તમિળનાડુમાંથી ભાજપને લોકસભાની એકપણ બેઠક ના મળે એ વાત મોવડીમંડળને કઠવી સ્વાભાવિક છે. જે બેઠકો હતી એ પણ ગઈ એટલે ઉત્તરનાં રાજ્યોના ભવ્યાતિભવ્ય વિજય પછી ય આ વાતનો ખટકો રહે જ. હિંદીનો મુદ્દો નવા વિવાદ સર્જે છે. એની પાછળ ભાજપ-આરએસએસની યોજના જોવામાં આવે છે. પશ્ચિમ બંગાળ પર ભગવો લહેરાવવાનો સંકલ્પ કરનાર ભાજપ દક્ષિણમાં મૂળ મરાઠી એવા તમિળ સુપરસ્ટાર રજનીકાંત (શિવાજીરાવ ગાયકવાડ)ને મનાવીને  કે તેમનો સાથ લઈને બમણા જોરથી અશ્વમેધ આદરવા માંગે છે. દેશમાં ૧૨૧ ભાષાઓ બોલાય છે. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, મુખ્ય ભાષાઓ અને એ ઘરમાં બોલનાર લોકસંખ્યાના આંકડા આ મુજબ છે: હિંદી: ૫૨.૮૩ કરોડ, બંગાળી: ૯.૭૨ કરોડ, મરાઠી: ૮.૩૦ કરોડ, તેલુગુ: ૮.૧૧ કરોડ, તમિળ: ૬.૯૦ કરોડ, ગુજરાતી: ૫.૫૪ કરોડ, કન્નડ: ૪.૩૭ કરોડ, ઓડિયા: ૩.૭૫ કરોડ,મલયાલમ: ૩.૪૮ કરોડ અને અંગ્રેજી માત્ર ૨,૫૯,૬૭૮. દેશમાં ભાષાવાર પ્રાંત રચના અને ભાષા ભણાવવાના મુદ્દે હિસક આંદોલનોનો ઈતિહાસ જોતાં અનેકતામાં એકતાના ભારતીય સ્વરૂપને જાળવવા માટે નાહકનાં ઉંબાડિયાં કે અટકચાળા ટાળવા અને તેમને સવેળા દાબી દેવાની જરૂર ખરી,અન્યથા રાજકીય હૂંસાતુંસીમાં ફરી એકવાર દેશની એકતાને માથે ખતરો સર્જાઈ શકે.                   ઇ-મેઈલ :haridesai@gmail.com

No comments:

Post a Comment