Wednesday 5 June 2019

After Nehru-Sardar, Now Modi-Shah

નેહરુ-સરદારની જોડી પછી દેશમાં મોદી-શાહની જોડી પ્રભાવ પાથરશે
ડૉ.હરિ દેસાઈ
·         ગુજરાતમાંથી વલ્લભભાઈ, નંદા, હીરુભાઇ, આડવાણી પછી ગૃહમંત્રી તરીકેની જવાબદારી અમિત શાહને
·         ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત  બનેલા નરેન્દ્ર મોદીએ વિપક્ષ અને સત્તાપક્ષની બેઉ જવાબદારીનું વહન કરવાનું છે
·         ભાજપ છોડીને મોદીવિરોધી મંચ પર જઈને સ્વહિત કાજે સ્વગૃહે પાછા ફરનારાઓનો ફાલ ખૂબ જ વધ્યો 
·         ભાજપને ૨૩ કરોડ જેટલા (૩૭.૩૬%) મત મળ્યા તો સામે પક્ષે કૉંગ્રેસને ૧૨ કરોડ જેટલા (૧૯.૪૯%) મત
·         સ્થિતિ જે નિર્માણ થઇ છે એ જોતાં કયો પ્રાદેશિક પક્ષ ક્યારે એનડીએ સાથે ઘર માંડશે  એ કહેવું મુશ્કેલ છે

આખરે ૩૦ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતની કૅબિનેટના તમામ સભ્યોએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા અને ૩૧ મેના રોજ કેન્દ્રના કુલ ૫૮ પ્રધાનોનાં ખાતાંની ફાળવણી થઇ ગઈ એટલે હવે ભારત સરકાર કામે વળી ગઈ છે. ગુજરાતના પનોતા-પુત્ર અને વારાણસીથી લોકસભામાં ચૂંટાયેલા મોદીની સરકારમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ગૃહમંત્રી બન્યા એનું સવિશેષ મહાત્મ્ય છે. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડી હતી એવી જ જોડી મોદી અને શાહની ગણી શકાય. એમ તો જનસંઘ-ભાજપની અટલબિહારી વાજપેયી અને લાલકૃષ્ણ આડવાણીની જોડી પણ કેટલાક દાયકાઓ સુધી ભારતીય રાજકારણમાં છવાયેલી રહી. પ્રથમ ગૃહમંત્રી વલ્લભભાઈ પછી ગુજરાતના જ સાંસદ ગુલઝારી લાલ નંદા, હીરુભાઈ (એચ.એમ.) પટેલ અને આડવાણી દેશના ગૃહમંત્રી રહી ચૂક્યા છે, પણ ભારત સરકારમાં પહેલીવાર જોડાઈને ગૃહમંત્રી બનનારા અમિતભાઈ ગુજરાતમાં મોદી સરકારમાં પણ ગૃહ રાજ્યમંત્રી રહ્યા છે. બંને વચ્ચે સમજણના સેતુ પણ છે. અગાઉ ગુજરાતથી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં જોડાયેલા  ગૃહમંત્રી પાંચ વર્ષની મુદત પૂરી કરી શક્યા નથી, પણ શાહ પાંચ વર્ષની મુદત પૂરી કરે એવું જરૂર લાગે છે. ગૃહમંત્રી રાજનાથ સિંહ હવે સંરક્ષણ મંત્રી, વિદેશ સચિવ રહેલા ડૉ.સુબ્રમણ્યમ જયશંકર વિદેશમંત્રી બન્યા અને સંરક્ષણ મંત્રી રહેલાં નિર્મલા સીતારમણ નાણા અને કોર્પોરેટ બાબતોનાં પ્રધાન થયાં છે. બહુબોલા ડૉ.સુબ્રમણિયન સ્વામીના  નાણા મંત્રી થવાના અભરખા પર પાણી ફરી ગયું છે. 
મનસુખ માંડવિયાનું વજન વધ્યું
ગુજરાતના વરિષ્ઠ નેતા પરસોત્તમ રૂપાલા કરતાં મનસુખ માંડવિયાનું મહત્વ વધ્યું છે. માંડવિયાને વહાણવટાનો સ્વતંત્ર કાર્યભાર સોંપવા ઉપરાંત રસાયણ અને ખાતર વિભાગના રાજ્યમંત્રી બનાવાયા છે. રૂપાલાને કૃષિ અને ખેડૂત કલ્યાણના રાજ્યમંત્રી જાળવવામાં આવ્યા છે. કિરણ રિજીજુ ગૃહ રાજ્યમંત્રી તરીકે હતા તેને બદલે યુવક સેવા અને ક્રીડાનો સ્વતંત્ર કાર્યભાર અને લઘુમતી બાબતોના રાજ્યમંત્રી બન્યા છે. મોદીના વિશ્વાસુ મંત્રીઓમાં સ્મૃતિ ઈરાનીને વસ્ત્રોદ્યોગ ઉપરાંત મહિલા અને બાળ કલ્યાણ ખાતું મળ્યું, પ્રકાશ જાવડેકર પાસેથી માનવ સંસાધન ખાતું લઈને તેમને માહિતી અને પ્રસારણ ખાતા ઉપરાંત પર્યાવરણ,વન અને હવામાન પરિવર્તન ખાતું અપાયું છે. નીતિન ગડકરીને પરિવહન અને મહામાર્ગ ઉપરાંત લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગ ખાતું અપાયું છે. ગુજરાતના બે પ્રધાનો હરિભાઈ ચૌધરી અને જસવંતસિંહ ભાંભોરને બદલે બીજા કોઈને સ્થાન મળ્યું નથી. જોકે હજુ વિસ્તરણ થશે. મોદીના વડપણવાળી સરકારમાં જોડાવું એટલે રોજ પરીક્ષામાંથી પસાર થવા જેવું છે. જે એમની પરીક્ષામાંથી સુપેરે પાર ના ઉતરે એમને પડતા મૂકાયા છે. બીજા કેટલાક બીમાર નેતાઓને પ્રધાન તરીકે ચાલુ રખાયા નથી. ભવ્ય બહુમતી સાથે ભાજપના વડપણવાળો મોરચો ફરી સત્તામાં આવ્યો છે ત્યારે મોદી સાથે વાંકું પડ્યું હોય કે વધુ બેઠકો માગી હોય તેવા પક્ષ કે તેના પ્રધાનોને લેવાયા નથી. શિવસેના અને અકાલી દળના એકએક કૅબિનેટ પ્રધાન તરીકે અનુક્રમે અરવિંદ સાવંત અને હરસીમરત કૌર બાદલ છે. અપના દળનાં અનુપ્રિયા પટેલ કે જેડી(યુ)ના બિહારી મુખ્યમંત્રી નીતીશ કુમારના પ્રતિનિધિ કેન્દ્ર સરકારમાં નથી. એમનો વારો વડાપ્રધાન કાઢી લેશે. તમિળનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ, મણિપુર, સિક્કિમ, મિઝોરમ, નાગાલેંડ, મેઘાલય અને ત્રિપુરાના લોકસભાના પ્રતિનિધિ કેન્દ્રમાં નથી, પણ આવતા દિવસોમાં એમાંથી લોકસભાના સભ્યો કે રાજ્યસભાના સભ્યો સ્થાન મેળવે તેવું બને. પ્રધાનોની સંખ્યા ૮૨ સુધી જઈ શકે છે. 
સત્તાપક્ષ-વિપક્ષ ફરજ બજાવે
ભારતીય બંધારણના ઘડવૈયાઓએ પ્રાચીન ભારતમાં મહાજનપદ અને જનપદ હોવાની વાતને આધારે રાજાશાહીના યુગમાં પણ લોકશાહી ઢબે રાજવીને ચૂંટવાની પરંપરાનો ઉલ્લેખ કર્યો હતો. રાજા નિરંકુશ ના થાય એ માટેની લોકતાંત્રિક વ્યવસ્થા બૌદ્ધકાળમાં કંઇક અંશે હતી. વિશ્વમાં અત્યારના શાસકોમાં લોકશાહીતંત્રમાં પણ “અવતારી શાસકો” વધુ જોવા મળે છે. ભારતમાં લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં  વિપક્ષી મોરચાઓ અને પક્ષોને મહાત આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક અવતારી પુરુષ તરીકે ફરીને ભવ્ય બહુમતી સાથે આવતાં પાંચ વર્ષ માટે સત્તારૂઢ થયા છે. વિપક્ષને બદલે “ખંડિયા રાજાઓ” સમા પ્રાદેશિક સૂબાઓ કે રજવાડાઓ સાથે મોદીયુગ સતત લંબાતો જાય એવી શક્યતા વર્તાય છે. નેતાપદે મોદીનું પ્રભાવી વ્યક્તિત્વ અને પક્ષ તેમ જ સંઘ પરિવારના મજબૂત માળખા થકી ઘર-ઘર સુધીનો સંપર્ક મોદી કે તેમના પક્ષ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ખભે લઈને સત્તાના સિંહાસન સુધી લઇ જાય છે. વિપક્ષ કોંગ્રેસ કે અન્ય પક્ષોએ બોધપાઠ અને આત્મનિરીક્ષણ કરવાની અને ૨૦૨૪ની ચૂંટણી માટે અત્યારથી કામે વળગવાની જરૂર ખરી. જો કૉંગ્રેસ સહિતના વિપક્ષો પોતાના નેતા-કાર્યકર્તાઓને સત્તારૂઢ પક્ષ કે મોરચામાં જતા રોકી શકે નહીં, પક્ષનું માળખું રાજધાની દિલ્હીથી ગામડાગામ સુધી તૈયાર ના કરી શકે અને મતદાનનાં બૂથ સુધી પોતાના પક્ષના સક્રિય એજન્ટ પણ મુકાવી ના શકે તો પછી પરાજય માટે ભાજપ કે સત્તામોરચા પર ગેરરીતિઓ આચરવાનો કે ચૂંટણીપંચ પર કે પછી ઇવીએમ સાથે ચેડાં કરાયાની વાત કરવાનો અર્થ નથી. હવે આગામી પાંચ વર્ષ માટે વિપક્ષે અને દેશવાસીઓએ મોદી શાસન પર વૉચડૉગની ભૂમિકા ભજવવા માટે સતર્ક રહેવાની જરૂર ખરી. માત્ર ટીકા ખાતર ટીકા કરવાને બદલે મુદ્દા અને હકીકતોને આધારે સંસદીય ગૃહોમાં  જ નહીં, પ્રજા વચ્ચે જઈને વિપક્ષ જનહિતના મુદ્દા ઉઠાવે અને જનજાગરણ કરે એ અનિવાર્ય બને છે. 
વિપક્ષવિહોણી સુરત મહાપાલિકા  
ગુજરાતમાં ૧૯૭૩માં વિદ્યાર્થીઓનું નવનિર્માણ અંદોલન થયું અને એ વેળાની ચીમનભાઈ પટેલની કૉંગ્રેસ સરકારે જવું પડ્યું હતું. આંદોલનકારીઓમાંના મનીષી જાની જેવા જૂજ નેતાને બાદ કરીને મોટાભાગના નવનિર્માણ આંદોલનના વિદ્યાર્થીનેતા સમયાંતરે કૉંગ્રેસ અને ભાજપ સાથે જોડાઈને સત્તા સાથે સંવનન કરવાનું પસંદ કરતા રહ્યા હતા.એટલે સુધી કે “ચીમન ચોર”નો નારો ગજવનારા ભાજપ-સંઘ-અભાવિપના નેતા-કાર્યકર્તાઓ પણ. મોરારજીનિષ્ઠ બાબુભાઈ જશભાઈ પટેલે પણ ચીમનભાઈના પક્ષ કિમલોપના ટેકે  ૧૯૭૫માં જનતા મોરચા સરકાર રચી હતી. ૧૯૯૦માં ચીમનભાઈની જનતાદળ-ભાજપની સંયુક્ત સરકાર હતી. ૧૯૯૫માં ભાજપને એકલેહાથે વિધાનસભામાં બહુમતી મળી ત્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. આ જ વર્ષમાં સુરત મહાનગરપાલિકાની ૯૯ બેઠકોની ચૂંટણી થઇ હતી. એમાં ૯૮ બેઠકો ભાજપને અને એક તેના બળવાખોર એવા અપક્ષ ઉમેદવાર પ્રકાશ દેસાઈને મળી હતી. ભાજપના નેતા કાશીરામ રાણાના નિષ્ઠાવંત ફકીરભાઈ ચૌહાણ એ વેળા મેયર થયા હતા. આ તબક્કે એ વેળાના “ગુજરાતના ચાણક્ય” મનાતા ભાજપના મહામંત્રી (સંગઠન) નરેન્દ્ર મોદીને અમે પૂછેલા પ્રશ્નનો તેમણે આપેલો ઉત્તર વર્તમાન રાષ્ટ્રીય સંજોગોમાં સાંકેતિક લાગે છે. અમે પૂછ્યું હતું: “વિપક્ષ વિના શાસન કેમ શક્ય બને?” મોદી ઉવાચ : “અમારા માણસો જ વિપક્ષની ભૂમિકા ભજવશે.” ઑક્ટોબર ૨૦૦૧થી ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત (મુખ્યમંત્રી અને વડાપ્રધાન) બનેલા નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્તરે પોતાના પક્ષના જ વિપક્ષ અને સત્તાપક્ષની બેઉ જવાબદારીનું વહન કરે એવી જ લગભગ સ્થિતિ નિર્માણ કરી છે. વિપક્ષ હતાશ અને નિરાશ છે અને પોતાને સત્તામોરચા સાથે જોડાવા આતુર છે. સુરતના  ફકીરભાઈ જ નહીં, કેશુભાઈ અને ગોરધન ઝડફિયા સહિતના ભાજપ છોડીને મોદીવિરોધી રાજકીય મંચ પર જઈને ફરી સ્વગૃહે પાછા ફરી મોદીના જયજયકારમાં જ સ્વનાં હિત જોવા માંડ્યા એટલે સ્વાભાવિક છે કે વિપક્ષો પણ મોદી નામના વાવાઝોડા કે સુનામીથી બચવા સત્તા મોરચા સાથે જોડાવા આકુળવ્યાકુળ જોવા મળે છે. 
ખંડિયા રાજાઓ જેવા પક્ષો
લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૨૨૯,૦૭૮,૨૬૧ મત મળ્યા તો સામે પક્ષે કૉંગ્રેસને ૧૧૯,૪૯૪,૯૫૨  મત મળ્યા. ૯૦ કરોડ જેટલા મતદારોમાંથી ૬૧૩,૧૩૩,૩૦૦ મતદાન કર્યું. એમાંથી ભાજપને ૩૭.3૬ % અને કૉંગ્રેસને ૧૯.૪૯% મત મળ્યા. ત્રીજા ક્રમે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસને ૨૪,૯૨૮,૯૬૫ (૪.૦૭%) અને એ પછી બાકીના પક્ષોને ઉતરતા ક્રમમાં મત મળ્યા. અપક્ષ ઉમેદવારોને ૪૩,૦૮૧,૯૭૭ (૭.૦૩%) મત મળ્યા. સ્થિતિ જે નિર્માણ થઇ છે એ જોતાં કયો પ્રાદેશિક પક્ષ ક્યારે ભાજપના નેતૃત્વવાળા મોરચા સાથે ઘર માંડશે  એ કહેવું મુશ્કેલ છે. મમતાદીદીએ ૧૯૭૭થી રાજ્ય પર શાસન કરતા ડાબેરી મોરચાને ૨૦૧૧માં મહાત આપી. એ પછી એ સતત વધુ બેઠકો અને મતથી વિજયી થતાં રહ્યાં,પણ હવે  રાજ્ય પર ભગવો લહેરાવવાના સંકલ્પ સાથે ભાજપ અને સંઘ પરિવાર કામે વળ્યો છે. દીદી અગાઉ વાજપેયી સરકારમાં મંત્રી હતાં. જોકે એમના પક્ષના નેતાઓને ભાજપમાં જોડવાની કવાયત જોરશોરમાં છે. રાજ્યમાં ભાજપ માત્ર બે બેઠકોમાંથી આ વખતે ૧૮ સુધી પહોંચ્યો છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં કોલકાતાના રાઈટર્સ બિલ્ડિંગને કબજે કરવાનો ભાજપનો સંકલ્પ છે. ભાજપની નેતાગીરીને કૉંગ્રેસને ઉત્તરનાં રાજ્યોમાંથી દક્ષિણ તરફ ખદેડવામાં સફળતા મળી છે. આગામી થોડા વખતમાં કર્ણાટકમાં જેડી(એસ) અને કૉંગ્રેસની સરકારને તોડીને ભાજપી સરકાર બૅંગલુરુમાં સ્થાપવાની તૈયારી ચાલે છે. જેડી(એસ) અને કૉંગ્રેસનું ધણ ભાજપ ભણી ગતિ કરીને પોતાનાં હિત જાળવવાની કોશિશ કરશે. 
પ્રાદેશિક પક્ષો માટેના વ્યૂહ
આંધ્ર પ્રદેશમાં વિજયી મુખ્યમંત્રી જગન રેડ્ડીનો પક્ષ બહારથી મોદી સરકારને ટેકો આપશે. આ રાજ્યમાં ભાજપને એક પણ બેઠક લોકસભામાં મળી નથી. તેલંગણમાં ભાજપને માત્ર ૪ બેઠકો મળી છે. મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવનો પક્ષ પણ મોદી સાથે ચૂંટણી પહેલાંથી ઇલુ-ઇલુ કરતો રહ્યો છે. કેરળમાં ભાજપનું ખાતું ખૂલતું નથી,પણ અહીં ભગવો લહેરાવવાનો સંકલ્પ લઘુમતીઓને સાથે લેવાના વડાપ્રધાનના આગામી એજન્ડાથી સ્પષ્ટ થાય છે. તમિળનાડુમાં ભાજપના મોવડીમંડળ અને રાજભવનના ટેકે અન્નાદ્રમુક સત્તામાં છે. ભાજપને અહીં મળતી કન્યાકુમારીની બેઠક પણ કૉંગ્રેસે છીનવી લીધી છે અને સ્ટાલિનના દ્રમુકને મોટાભાગની બેઠકો મળી. હવે સ્ટાલિન પોતાનાં આર્થિક અને રાજકીય હિત જાળવવા માટે કૉંગ્રેસ સાથે છેડો ફાડે તો ય નવાઈ નહીં. આગામી વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભાજપનું મોવડીમંડળ સુપરસ્ટાર રજનીકાંત (શિવાજીરાવ ગાયકવાડ) સાથે જોડાણ કરે તો બહુ આશ્ચર્ય નહીં થાય.વર્ષ ૧૯૬૭થી આ રાજ્યમાં દ્રવિડ પક્ષોનું જ રાજ ચાલે છે અને દિલ્હીમાં જેનું શાસન હોય તેની સાથે ઘર માંડવાનું તેઓ પસંદ કરે છે. ઇશાન ભારતનાં બટુક રાજ્યોમાં પણ પ્રાદેશિક પક્ષો આવી જ ભૂમિકા અપનાવે છે. ઓડિશામાં ભાજપ સાથે પહેલાં દસ વર્ષ રાજ કરનારા અને ભાજપ સાથે છેડો ફાડીને દાયકો રાજ કરનારા મુખ્યમંત્રી નવીન પટનાયક આવતાં પાંચ વર્ષ ભાજપ સાથે જોડાણ રાખીને પોતાનાં હિત જાળવશે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષના મુલાયમસિંહ અને અખિલેશ યાદવ સામેના સીબીઆઇ કેસમાંથી તેમને પરિણામ પહેલાં જ મુક્તિ અપાવીને મોદીએ પોતાના ભણી વાળી લેવાનો સંકેત આપ્યો હતો.માયાવતી સામે ચાલુ ચૂંટણીએ નવા સીબીઆઇ કેસ નોંધવાનું વલણ દાખવીને ભાજપ સાથે થવા બહુજન સમાજ પાર્ટીને સંકેત અપાયા હતા. 
કૉંગ્રેસની સરકારોનું ભાવિ
હજુ ગયા વર્ષે જ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તારૂઢ થયેલી સરકારોનો ક્યારે ભોગ લેવાશે, એ ભણી સૌની મીટ છે. મુખ્યમંત્રી કમલનાથના મળતિયાઓ અને કર્ણાટકના કૉંગ્રેસી પ્રધાનો છાસવારે આવકવેરા અને એન્ફોર્સમેન્ટના દરોડાના ઝપાટામાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિતના ભણી પરાજય અંગે રોષ પ્રગટ કર્યો છે. કૉંગ્રેસના પ્રદેશપ્રમુખોને પણ ભાજપમાં લઈને મંત્રીપદ આપવામાં આવ્યાના દાખલા મોજૂદ હોવાથી સત્તા કાજે કૉંગ્રેસના ભલભલા નેતાઓ ભાજપ ભણી વળે એવી શક્યતા છે. કૉંગ્રેસમુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરવા જતાં ભાજપ છો કૉંગ્રેસયુક્ત થતો, પણ સત્તાનું એકચક્રી શાસન શક્ય બનતું હોય તો એ સામે ભાજપ અને એની માતૃસંસ્થા આરએસએસને પણ વાંધો નથી. આખરે રાજકારણમાં કોઈ મંજીરા વગાડવા આવતું નથી. આવતાં પાંચ વર્ષ ભારતના રાજકારણમાં નવા જ પ્રકારની આસમાની સુલતાની જોવા મળશે. ભાજપ સાથે સત્તા સંવનન માટેના ધસારામાં કોણ ક્યારે ક્યાં હશે એ કહેવું મુશ્કેલ છે. પાંચ વર્ષ પછી પંચોતેરની નજીક પહોંચવામાં જોવા મળનારા વડાપ્રધાન મોદી કોઈને, એટલે કે અમિત શાહને, અનુગામી તરીકે આગળ કરીને માર્ગદર્શકમંડળમાં સામેલ થશે કે પછી ૮૧ વટાવીને ય વડાપ્રધાન થયેલા મોરારજી દેસાઈને અનુસરશે, એ ભણી સૌની મીટ રહેશે.
ઇ-મેઈલ: haridesai@gmail.com  

No comments:

Post a Comment