Wednesday 24 April 2019

Prime Ministers from Gujarat


વડાપ્રધાનોમાં ગુજરાતનાં વહૂ અને બેટાનો ય સમાવેશ!
ડૉ.હરિ દેસાઈ
ગુજરાતે ભારતને કેટલા વડાપ્રધાન આપ્યા? હાજરજવાબી બિરબલોનો ઉત્તર “માત્ર બે” હોય એ સ્વાભાવિક છે: મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદી. જોકે આ ઉત્તર સાવ સાચો નથી. અત્યારના વડાપ્રધાન  મોદી વાસ્તવમાં દેશના ૧૪મા વડાપ્રધાન છે. મે ૨૦૧૯ પછી ઓછી બહુમતીએ પણ એ વડાપ્રધાન રહેવાની શક્યતા છે. ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ (ફૂલપુરના સાંસદ) અને વર્તમાન વડાપ્રધાન મોદી (વારાણસીના સાંસદ) આમ તો ઉત્તરપ્રદેશના જ પ્રતિનિધિ ગણાય. નેહરુ-સરદાર યુગનાં વિરાટ વ્યક્તિત્વો પારસ્પરિક ગરિમા જાળવીને મતભિન્નતા છતાં રાષ્ટ્રહિતને કેન્દ્રસ્થાને રાખીને સાથે મળીને કામ કરતાં હતાં. ભારતને ૧૯૪૭માં આઝાદી મળી અને ૧૯૫૦માં નાયબ વડાપ્રધાન સરદાર પટેલનું નિધન થયું હતું. સમયાંતરે નેહરુ પછી વડાપ્રધાનપદે કોણ આવશે, એવો પ્રશ્ન સતત પૂછાતો રહ્યો હતો. નેહરુની સરકારમાં ઘણા વરિષ્ઠો હતા : જગજીવન રામથી લઈને મોરારજી દેસાઈ જેવા મહારથી હતા. મોરારજી પોતાને નેહરુના અનુગામી ગણાવવા માંડ્યા હતા. જોકે ૧૯૬૨ના ચીન સાથેના યુદ્ધમાં નાલેશીભરી હારને પગલે નેહરુને લકવો પડ્યો. ૧૯૬૪માં જયારે નેહરુનું અવસાન થયું ત્યારે એમનાં પુત્રી અને કૉંગ્રેસનાં અધ્યક્ષ રહી ચૂકેલાં ઇન્દિરા ગાંધીને બદલે નેહરુ-નિષ્ઠ લાલબહાદુર શાસ્ત્રી (અલાહાબાદના સાંસદ) વડાપ્રધાન વરાયા.
નેહરુ અને શાસ્ત્રીના નિધન પછી  તેર-તેર દિવસ માટે હંગામી વડાપ્રધાન તરીકે વરાયેલા  ગુલઝારીલાલ નંદા (સાબરકાંઠાના સાંસદ) વડાપ્રધાનના હોદ્દે કન્ફર્મ થાય એ માટે ઉત્સુક હતા,પણ ઘણી બધી ધાર્મિક વિધિઓ છતાંય નસીબે તેમને યારી આપી નહીં. છેવટે શાસ્ત્રીની કૅબિનેટમાં માહિતી અને પ્રસારણ મંત્રી રહેલાં શ્રીમતી ઇન્દિરા ગાંધી (રાયબરેલીનાં સાંસદ) અને મોરારજીભાઈ વચ્ચે સ્પર્ધા થઇ. મોરારજી હાર્યા. જોકે તેમને નાયબ વડાપ્રધાન અને નાણામંત્રી તરીકે  રહેવા સમજાવી લેવામાં આવ્યા. આખરે ૧૯૬૯માં રાષ્ટ્રપતિની ચૂંટણીના મુદ્દે કૉંગ્રેસમાં ભંગાણ પડ્યું. ઇન્દિરા કૉંગ્રેસ અને સંસ્થા કૉંગ્રેસ અસ્તિત્વમાં આવી. મોરારજી દેસાઈ (સુરતના સાંસદ)ની વડાપ્રધાન થવાની મહેચ્છા ઇન્દિરા ગાંધીએ લાદેલી ઈમરજન્સી દરમિયાન  જેલવાસ પછી છેક માર્ચ ૧૯૭૭માં બર આવી તો ખરી,પણ પૂર્ણ મુદત માટે એ હોદ્દે રહી શક્યા નહીં. મોરારજીભાઈ કાયમ દક્ષિણ ગુજરાતની બેઠક પરથી જ લોકસભા માટે ચૂંટણી લડ્યા અને ગુજરાતની બેઠક પરથી જ વડાપ્રધાન થયા હતા. એમના વડપણ હેઠળની જનતા  પાર્ટીની સરકારના બે નાયબ પ્રધાનોમાંથી એક ચૌધરી ચરણ સિંહ (બાગપતના સાંસદ) છૂટા થયા અને કૉંગ્રેસના ટેકે વડાપ્રધાન થયા તો ખરા,પણ એકપણ દિવસ માટે લોકસભાનો મુકાબલો કર્યા વિના ૧૭૦ દિવસ વડાપ્રધાન રહ્યા.
૧૯૮૦ની ચૂંટણીમાં ભારે બહુમતી સાથે કૉંગ્રેસનાં શ્રીમતી ગાંધી (મેડક– હવેના તેલંગણનાં સાંસદ) સત્તામાં પાછાં ફર્યાં. જોકે ભિંડરાણવાલે કાંડને પગલે ઓપરેશન બ્લ્યૂ-સ્ટાર હેઠળ અમૃતસરના પવિત્ર સુવર્ણ મંદિર સંકુલમાં લશ્કર મોકલવાના કેન્દ્રના પગલાના પ્રત્યાઘાતરૂપે ઑક્ટોબર ૧૯૮૪માં વડાપ્રધાન નિવાસ પર જ તેમના સુરક્ષા કર્મચારીઓએ ઇન્દિરા ગાંધીને ગોળીએ દીધાં એટલે એમના પુત્ર રાજીવ ગાંધી (અમેઠીના સાંસદ) વડાપ્રધાન થયા. બોફૉર્સની હોવિત્ઝર તોપોની ખરીદીમાં ૬૪ કરોડ રૂપિયાની દલાલીના મુદ્દે રાજીવ સરકાર ડૂલ થઇ અને વી.પી.સિંહ (ફતેહપુરના સાંસદ) વડાપ્રધાન બન્યા. એમની સરકાર આવી અને ગઈ. એ પછી તો “આકસ્મિક” વડાપ્રધાનોની જાણે કે વણઝાર ચાલી. ક્યારેક જનતા પાર્ટીના પ્રમુખ રહીને મોરારજી સરકારમાં જોડાવાનો ઇનકાર કરી દેનારા ચંદ્રશેખરે (બલિયાના સાંસદ) કૉંગ્રેસના  ટેકે ૨૨૩ દિવસ વડાપ્રધાનપદ ભોગવ્યું. મે ૧૯૯૧માં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજીવ ગાંધીની હત્યા થતાં કૉંગ્રેસના નેતા પી.વી.નરસિમ્હા રાવ (નાડ્યાલ-તેલંગણના સાંસદ)ની લઘુમતી સરકાર પાંચ વર્ષ ચાલી. એ  પછી તેર દિવસ માટે ભાજપી નેતા અટલ બિહારી વાજપેયીની ૧૩ દિવસની સરકાર આવી અને ગઈ. એટલે એચ.ડી.દેવેગૌડા (રાજ્યસભામાં કર્ણાટકના સાંસદ) અને આઈ.કે.ગુજરાલ (રાજ્યસભામાં પંજાબી સાંસદ) અલ્પજીવી સરકારના “આકસ્મિક” વડાપ્રધાન બન્યા.
ઑક્ટોબર ૧૯૯૯થી વડાપ્રધાન રહેલા વાજપેયી ૨૦૦૪માં “ઇન્ડિયા શાઈનિંગ”ના રથ પર આરૂઢ થઈને ફરી વડાપ્રધાન બનવા ઈચ્છુક હતા ત્યારે એમનો એનડીએ મોરચો હાર્યો. કૉંગ્રેસના નેતૃત્વવાળો મોરચો સત્તામાં આવ્યો. યુપીએનાં અધ્યક્ષ સોનિયા ગાંધીની પસંદથી વડાપ્રધાનપદે ડૉ.મનમોહન સિંહ (રાજ્યસભામાં આસામના સાંસદ) આવ્યા. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં અગાઉની વાજપેયી સરકારના નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ આડવાણી (ગાંધીનગરના સાંસદ)ને વડાપ્રધાનપદ માટે આગળ કરીને ભાજપના વડપણવાળો મોરચો લડ્યો,પણ ફરીને કૉંગ્રેસના વડપણવાળો મોરચો જીત્યો. ડૉ. સિંહ ફરી વડાપ્રધાન થયા. વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે આગળ કરીને ભાજપી મોરચો લડ્યો અને વિજયી બન્યો. જોકે વડોદરા અને વારાણસી બંને બેઠકો પરથી લડેલા મોદીએ વડોદરાની બેઠક પરથી રાજીનામું આપીને, ૧૯૯૬માં અટલજીએ ગાંધીનગર છોડીને લખનઊ બેઠક જાળવી હતી તેમ, ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવાનું પસંદ કર્યું. ૨૦૧૯માં તો મોદી વારાણસી બેઠક પરથી લડી રહ્યા છે. એટલે એ  ગુજરાતના પનોતા પુત્ર ખરા પણ બંને વાર પ્રતિનિધિ તો ઉત્તર પ્રદેશના જ ગણાય. આ જ ફોર્મ્યૂલા કામે લગાડીએ તો મૂળ પંજાબમાં જન્મેલા પણ સાબરકાંઠાના સાંસદ રહેલા નંદા  ઉપરાંત ઉત્તરપ્રદેશનાં કે અત્યારના તેલંગણનાં સાંસદ રહેલાં “ગુજરાત કી બહૂ” ઇન્દિરા ગાંધી અને અમેઠીના સાંસદ અને ગુજરાતના ભરૂચના “લાલ” રાજીવ ગાંધી પણ ગુજરાતી પરિવારના હોવાને કારણે ગુજરાતને વડાપ્રધાનપદનું ગૌરવ અપાવનાર ગણાવી તો શકાયને? નેહરુ-ગાંધી પરિવારનાં કૉંગ્રેસી નેતા સોનિયા ગાંધી (રાયબરેલીનાં સાંસદ), રાહુલ (અમેઠીના સાંસદ) અને પ્રિયંકાની જેમ જ ભાજપી નેતા મેનકા સંજય ગાંધી (કેન્દ્રીય મંત્રી) અને એમના પુત્ર ફિરોઝવરુણ ગાંધી (બંને ઉત્તરપ્રદેશનાં સાંસદ) પણ ગુજરાતનાં જ ગણાય કે નહીં? મૂળે કાશ્મીરી પંડિત એવા અલાહાબાદના નેહરુ પરિવાર અને ભરૂચના પારસી કે જરથોસ્ત્ર એવા ગાંધી પરિવારના કૌટુંબિક સંબંધ કોઈ નકારી શકે  નહીં.
ઇ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment