Wednesday 10 April 2019

Contesting two seats: Rahul Gandhi and Others


અમેઠી સાથે કેરળના વાયનાડથી રાહુલ ચૂંટણી લડતાં ગરમાટો
ડૉ.હરિ દેસાઈ
·         વાજપેયી,આડવાણી અને મોદી બે બેઠકો લડે તો યોગ્ય,પરંતુ  રાહુલ લડે તો અયોગ્યની ચલાવાતી ફોર્મ્યૂલા
·         વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૨ અને ૧૮ એપ્રિલે દક્ષિણના બટુક રાજ્યમાં ચૂંટણીસભાઓ સંબોધવા માટે જશે
·         આઝાદી પૂર્વે મુસ્લિમ લીગ સાથે સત્તાનાં સહશયન કરનારાઓને હવે લીગ સાથે કોંગ્રેસના જોડાણનો વાંધો
·         કોંગ્રેસ અધ્યક્ષ થકી અમેઠીની પ્રજાનું અપમાન થતું હોવા મુદ્દે એકદમ આકળાં કેન્દ્રનાં મંત્રી સ્મૃતિ ઈરાની 

ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદના ઉમેદવાર મે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી ગુજરાતની વડોદરા ઉપરાંત ઉત્તરપ્રદેશની વારાણસી એ બંને બેઠકો પર લડે તો વાંધો નહીં,પણ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી ઉત્તરપ્રદેશની અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પરથી પણ લડે તો જાણે કે ધરતી રસાતાળ થઇ જવાની હોય, એમ ભાજપના નેતૃત્વવાળા મોરચાના નેતાઓ તૂટી પડે છે. કેન્દ્રના કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ નિવેદન કરે છે કે રાહુલ અમેઠીમાં અસલામતી અનુભવતાં અને જીતવાની બાબતમાં અનિશ્ચિત હોવાથી કેરળની લઘુમતીબહુલ બેઠક લડવા જાય છે. કેન્દ્રનાં કાપડ  મંત્રી સ્મૃતિ ઈરાની વદ્યાં : “આ તો અમેઠીની પ્રજાનું અપમાન છે.” જેડી(યુ) નેતાએ તો રાહુલને હારના ડરથી રણ (અમેઠી) છોડીને ભાગેલા રણછોડરાય કહ્યા. બાકી હતું તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસને મુસ્લિમ લીગના વાયરસથી ગ્રસ્ત ગણાવીને વાતને છેક ૧૮૫૭ના વિપ્લવ કે આઝાદીના પ્રથમ સંગ્રામના ઈતિહાસ સાથે જોડવાની કોશિશ કરી.વાયનાડ બેઠકમાં મુસ્લિમોની બહુમતી હોવાની વાત પણ ભાજપના મીડિયા થકી ગજવવામાં આવી એટલું જ નહીં, વાયનાડમાં ઉમેદવારી નોંધાવતાં રાહુલ-પ્રિયંકાના  રોડ-શોમાં પાકિસ્તાનના ઝંડા ફરકાવાયાની સાવ ખોટી વાતો પણ વહેતી કરાઈ. મુસ્લિમ લીગના ઝંડાને પાકિસ્તાની ગણાવાયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૨ અને ૧૮ એપ્રિલે ચૂંટણી પ્રચાર સભાઓ સંબોધવા કોઝેકોડે અને તિરુઅનંતપુરમ જવાના છે ત્યારે એમને વાયનાડ ખાતે પણ ચૂંટણી સભા  સંબોધવાની પક્ષ તરફથી વિનંતી કરવામાં આવી રહી છે.અહીં કોંગ્રેસને ૪૧ થી ૫૦  % મત સામે સીપીઆઇને ૩૯ % અને ભાજપને માંડ ૯ % મત મળે છે. 
અપપ્રચારથી વિપરીત હકીકતો
હકીકતમાં રાહુલે ચૂંટણી ક્યાંથી લડવી એ તેમનો અને એમના પક્ષનો પ્રશ્ન છે. અમેઠી બેઠક પર રાહુલ મોદી-વાવાઝોડામાં પણ જીત્યા હતા. તેમણે ઈરાનીને હરાવ્યાં હતાં. ફરી ઈરાની આ વખતે પણ રાહુલ સામે ટકરાય છે. મુખ્યમંત્રી બન્યા પછી આદિત્યનાથ પોતાની લોકસભા બેઠક પણ બચાવી શક્યા  નહોતા. છેક ૧૮૫૭ના ઈતિહાસને ફંફોસે છે અને મુસ્લિમ લીગના વાયરસની વાત કરે છે ત્યારે એટલું જરૂર કહેવું પડે કે ૧૮૫૭માં રાણી લક્ષ્મીબાઈ અને નાનાસાહેબ પેશવા સહિતના હિંદુ શાસકો મુઘલ બાદશાહ બહાદૂરશાહ ઝફરના નેતૃત્વમાં અંગ્રેજો સામે લડ્યાં હતાં. ૧૯૪૭માં આઝાદી પહેલાં કોંગ્રેસના આગેવાનો ગાંધી-નેહરુ-સરદાર જયારે ૧૯૪૨ના હિંદ છોડો આંદોલનને કારણે જેલમાં હતા ત્યારે વિ.દા.સાવરકર અને ડૉ.શ્યામાપ્રસાદ મુકરજીની હિંદુ મહાસભાના નેતાઓ બંગાળ, સિંધ અને વાયવ્ય પ્રાંતમાં પાકિસ્તાનવાદી મોહમ્મદ અલી ઝીણાના મુસ્લિમ લીગી નેતાઓની સાથે સરકારો ચલાવતા હતા અથવા તો વાઇસરોયની કારોબારીમાં હતા! આઝાદી પછી તો કેરળમાં તો દાયકાઓથી દેશી મુસ્લિમ લીગ (પાકિસ્તાનવાદી નહીં) અને કોંગ્રેસનું દાયકાઓથી જોડાણ છે. કેરળમાં ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, ૫૪.૭૩% હિંદુ, ૨૬.૫૬ % મુસ્લિમ અને ૧૮.૩૮ % ખ્રિસ્તીઓ વસે છે. વાયનાડ લોકસભા બેઠકમાં ૪૯.૫ % હિંદુ,૨૮.૫% મુસ્લિમો અને ૨૧ % ખ્રિસ્તીઓ છે. ધાર્મિક ધોરણે બેઠકોનું વિશ્લેષણ કરવામાં આવે તો હિંદુ બહુમતી ધરાવતાં અને ૯૦ % કરતાં વધુ હિંદુ વસ્તીવાળાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં હજુ હમણાં જ જીતીને કોંગ્રેસ સરકારો બની છે. વાયનાડ બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસની બેઠક છે. ૨૦૦૯ અને ૨૦૧૪માં આ બેઠક જીતેલા એમ.આઈ.શાનાવાસનું ૨૧ નવેમ્બર ૨૦૧૮ના રોજ નિધન થતાં તે ખાલી પડી હતી. કેરળની કુલ ૨૦ લોકસભા બેઠકોમાંથી બહુમતિ બેઠકો કોંગ્રેસ અને મિત્ર પક્ષો  પાસે છે.એક નામનિયુક્ત એંગ્લો-ઇન્ડિયન સાંસદ પ્રા.રિચર્ડ હે ભાજપના છે. રાજ્યમાં અત્યારે માર્કસવાદી પક્ષના વડપણવાળી  ડાબેરી મોરચાની સરકાર છે.
મોદી બનારસ તો રાહુલ વાયનાડ
સામાન્ય રીતે ઉત્તર પ્રદેશના અમેઠી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને સંસદસભ્ય ચૂંટાતા રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ૧૭મી લોકસભાની ચૂંટણી અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પરથી પણ લડવાનો નિર્ણય કર્યો. ૩૧ માર્ચે કોંગ્રેસના મુખ્યાલયમાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી .કે.એન્ટોની અને મિડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ કરેલી જાહેરાતમાં સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ)ના નેતાઓને કેન્દ્રનાં મંત્રી અને ગુજરાતમાંથી  હજુ ઓગસ્ટ ૨૦૧૭માં વર્ષ માટે રાજ્યસભામાં ચૂંટાયેલાં સ્મૃતિ ઈરાની સામે રાહુલની અમેઠીમાંથી હાર દેખાઈ. રાહુલને રણછોડરાય પણ કહ્યા. અગાઉ ચાંદનીચોક બેઠક પર હારેલાં ભાજપી ઉમેદવાર શ્રીમતી ઈરાની મે ૨૦૧૪માં અમેઠીમાં કોંગ્રેસના રાહુલ સામે  હારી ચૂક્યાં હતાં. દક્ષિણનાં ત્રણ રાજ્યો કર્ણાટક, કેરળ અને તમિળનાડુમાંથી રાહુલ ચૂંટણી લડે એવી માંગને પગલે કોંગ્રેસ અધ્યક્ષે નિર્ણય લીધો. કોંગ્રેસની પરંપરાગત વાયનાડ બેઠક કેરળ, કર્ણાટક અને તમિલનાડુના ત્રિભેટે હોવાની વાત એન્ટોનીએ કરી હતી. પ્રશ્ન કરાયો કે અમેઠીમાં રાહુલની સ્થિતિ ખરાબ હોવાથી નવો વિકલ્પ કોંગ્રેસ શોધી રહી છે?સુરજેવાલાએ પ્રતિપ્રશ્ન કર્યો :  ભાજપે જવાબ કેમ નથી વાળ્યો કે મોદીજી ગુજરાત છોડીને (વડોદરા લડવા ઉપરાંત .પ્ર.) કેમ ભાગ્યા હતા? બનારસ ગયા, એનો મતલબ ગુજરાતમાં સ્થિતિ ખરાબ હતી?
કયા મહારથી કેટલી બેઠકો લડ્યા ?
વડાપ્રધાન રહેલા હરદનહલ્લી દોદેગૌડા દેવેગોવડાના શાસનકાળમાં ઓગસ્ટ ૧૯૯૬થી કોઈપણ ઉમેદવાર બેથી વધુ બેઠકો પરથી ચૂંટણી ના લડી શકે, એવી કાનૂની જોગવાઈ લોકપ્રતિનિધિ ધારા,૧૯૫૧ અન્વયે અમલી બનાવાઈ હતી. ઓગસ્ટ ૧૯૯૬ પહેલાં તો જનસંઘ-ભાજપના નેતા અને સદગત વડાપ્રધાન  અટલ બિહારી વાજપેયી કે તેલુગુ ફિલ્મોના સુપરસ્ટારમાંથી અવિભાજિત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી બનેલા નંદમુરિ તારક રામારાવ પણ ત્રણ-ત્રણ કે એથી વધુ બેઠકો પરથી ચૂંટણી લડી ચૂક્યા હતા.૧૯૫૭માં અટલજી બલરામપુરથી જીત્યા હતા, લખનઊમાં બીજાક્રમે રહ્યા અને મથુરામાં તેમની ડિપોઝિટ જપ્ત થઇ હતી. રામારાવ ૧૯૮૫માં ગુડીવાડા, હિન્દુપુર અને નાલગૌંડા વિધાનસભા બેઠકો લડ્યા. બધી જીત્યા,પણ હિન્દુપુર રાખી બીજી બે પરથી રાજીનામું આપ્યું હતું. વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી ૧૯૭૭માં રાયબરેલી બેઠક હાર્યા પછી ૧૯૮૦માં રાયબરેલી અને મેડક (હવે તેલંગણમાં) બંને બેઠકો જીતીને ફરી સત્તામાં આવ્યાં હતાં. ૧૯૯૧માં વાજપેયી વિદિશા અને લખનઊ લોકસભા લડ્યા અને જીત્યા હતા. વર્ષે આડવાણી નવી દિલ્હી અને ગાંધીનગર લોકસભા લડ્યા અને જીત્યા હતા. ૧૯૯૬માં વાજપેયી ગાંધીનગર અને લખનઊ પર જીતીને ૧૩ દિવસ માટે વડાપ્રધાન થયા હતા. ૧૯૯૯માં સોનિયા ગાંધી બેલ્લારી અને અમેઠી લોકસભા લડ્યાં અને જીત્યાં હતાં. ૧૯૮૯માં રાજસ્થાનની સીકર અને હરિયાણાની રોહતક બેઠક જીતી નાયબ વડાપ્રધાન થયેલા દેવીલાલ ૧૯૯૧માં સીકર અને રોહતક લોકસભા બેઠક હાર્યા એટલું નહીં, હરિયાણાની જીરાય ( હિસ્સાર) વિધાનસભા બેઠક પરથી પણ હાર્યા હતા. વર્ષ ૨૦૧૪માં મુલાયમસિંહ યાદવ આઝમગઢ અને મૈનપુરી લોકસભા લડ્યા અને જીત્યા. તેમજ ૨૦૦૯માં લાલુ પ્રસાદ સારણ અને પાટલીપુત્ર લોકસભા બેઠક લડ્યા અને જીત્યા હતા. ભારતીય લોકપ્રતિનિધિ ધારામાં તો એવી જોગવાઈ છે કે અમુક નિર્ધારિત સમયગાળામાં વધુ બેઠકો પર ચૂંટાયેલી વ્યક્તિ એક સિવાયની બીજી બેઠક પરથી રાજીનામું આપે નહીં તો એણે જીતેલી બધી (હવે બંને) બેઠકો પરની તેની ચૂંટણી રદબાતલ થઇ જાય.
બે બેઠકોનો કાયદો રદ કરવા દાદ
હમણાં સર્વોચ્ચ અદાલતમાં વધુ એકવાર જાણીતા ધારાશાસ્ત્રી અને ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે જાહેર હિતની અરજી કરીને કોઈપણ ઉમેદવાર માત્ર બે બેઠકો પરથી ચૂંટણી લડી શકે  જોગવાઈ પર અંકુશ લાવીને માત્ર એક બેઠક લડવાની જોગવાઈ માટે દાદ માગી હતી.ગત ૨૭ માર્ચે ન્યાયાધીશો એસ..બોબડે,એમ.એમ.શાંતાનાગોંડર  તથા એસ.અબ્દુલ નઝીરે ઉપાધ્યાયની અરજીને બે સપ્તાહ પછી એટલે કે વર્તમાન લોકસભા ચૂંટણી માટે અરજીપત્રકો ભરવાની મુદત પતે પછી સાંભળવાનું સ્વીકાર્યું છે. જુલાઈ ૨૦૧૮માં ઉપાધ્યાયની જાહેર હિતની અરજીથી મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના વડપણવાળી ખંડપીઠ સમક્ષ બે બેઠકો પરથી એકસાથે ચૂંટણી લડવાની જોગવાઈવાળી લોકપ્રતિનિધિ ધારાની કલમ ૩૩()ને રદ કરવા ઉપરાંત ગેરબંધારણીય જાહેર કરવાની દાદ માંગવામાં આવી હતી.
કાયદા પંચની ભલામણ અભેરાઈએ
જોકે વેળા ભારત સરકારે ઉમેદવારને બે બેઠકો પર લડવાને વ્યક્તિનો અધિકાર લેખાવતાં ઉપાધ્યાયની અરજીનો વિરોધ કર્યો હતો. ચૂંટણી પંચે એપ્રિલ ૨૦૧૮માં પોતાની ૨૦૦૪ની ભૂમિકાને વળગી રહેતાં સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે કોઈપણ ઉમેદવારને એકસાથે બે બેઠકો પરથી લડવાની મંજૂરી આપવામાં ના આવવી જોઈએ.બંને બેઠકો લડવાની જોગવાઈ ચાલુ રખાય અને ઉમેદવાર બંને બેઠકો પરથી જીતે તો તેણે પેટાચૂંટણી યોજવા માટે અમુક નિર્ધારિત ખર્ચ સરકારી તિજોરીમાં જમા કરાવવો.વર્ષ ૨૦૦૪માં ચૂંટણી પંચે વિધાનસભાની ખાલી પડનાર બેઠકની પેટાચૂંટણી માટે પાંચ લાખ રૂપિયા અને લોકસભાની ખાલી પડનાર બેઠકની પેટાચૂંટણી ચૂંટણી માટે ૧૦ લાખ રૂપિયા જમા કરાવવા માટે સૂચવ્યું હતું, રકમમાં પણ યોગ્ય અને પ્રમાણસરનો  વધારો કરવામાં આવે, બાબત સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરી હતી. જસ્ટિસ .પી.શાહના વડપણવાળા દેશના કાયદા પંચે વર્ષ ૨૦૧૫માં કેન્દ્ર સરકારને સુપરત કરેલા ૨૫૫મા અહેવાલમાં પણ એવી ભલામણ કરી હતી કે કોઈપણ ઉમેદવારને એકસાથે યોજાનારી ચૂંટણીમાં માત્ર એક બેઠક પરથી લડવાની છૂટ આપતી કાનૂની જોગવાઈ કરવી જોઈએ. અહેવાલના અનુસંધાનમાં ચૂંટણી પંચે ડિસેમ્બર ૨૦૧૬માં ભારત સરકારને પાઠવેલી ૪૭ દરખાસ્તોમાં પણ કાનૂની રીતે ઉમેદવાર એકસમયે માત્ર એક બેઠક પરથી ચૂંટણી લડી શકે, માટે જરૂરી કાયદાકીય સુધારાનો આગ્રહ સેવ્યો હતો. જોકે મામલો હજુ આવતા દિવસોમાં પણ વ્યક્તિ સ્વાતંત્ર્ય અને નાણાકીય સંસાધનોના બગાડના વિવાદ વચ્ચે હિલોળા લેતો રહેશે.   
ઇ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment