Wednesday 16 May 2018

The controversy about the portrait of Jinnah in AMU Hall raises unpleasant questions


Dr.Hari Desai’s Column in Gujarat Samachar (London), Gujarat Times ( New York), Sanj Samachar (Rajkot), Hamlog (Patan), Gandhinagar Samachar (Gandhinagar), Sardar Gurjari (Anand) and  Gujarat Guardian (Surat). You may read the full text here  and comment.

અલીગઢમાં ઝીણાની છબિના વિવાદે ફણગાવેલા અણિયાળા સવાલો : ડૉ.હરિ દેસાઈ
·         વસિયતનામામાં મુંબઈ અને અલીગઢ મુસ્લિમયુનિવર્સિટી સહિતની શિક્ષણસંસ્થાઓને માતબર દાન
·         જસ્ટિસ ચાગલા થકી યુનિવર્સિટીઓનાં નામમાંથી મુસ્લિમઅને હિંદુશબ્દને દૂર કરાવવાની કોશિશ
·         આજેય ઝીણાના દોહિત્ર નસલી વાડિયા(બૉમ્બે ડાઈંગવાળા) અને બહેનોના પરિવાર મુંબઈમાં વસે છે
·         કૉંગ્રેસીઓ જેલમાં હતા ત્યારે ભાજપના આસ્થાપુરુષો મુસ્લિમ લીગ સાથે અંગ્રેજનિષ્ઠ સરકારોમાં હતા 

ભારતની રાજધાની નવી દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા પાકિસ્તાનના હાઈકમિશનમાં તેમના દેશના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી ઝીણાની ભવ્ય તસવીરોની સાક્ષીએ યોજાતી ઉજવણીઓમાં વર્તમાન ભારત સરકારના મંત્રીઓ પ્રકાશ જાવડેકર, જનરલ વી.કે.સિંહ, ગજેન્દ્રસિંહ શેખાવત સહભાગી થાય છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર વેબસાઈટ પર પાકિસ્તાનના વડા પ્રધાન સાથેની એમની એકથી વધુ તસવીરો ઝળકે છે એટલું જ નહીં, લાહોર જઈને તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફને જન્મદિનની મુબારકબાદી આપવાના પ્રસંગે બંને દેશના વડા પ્રધાનોની છબિઓ સામે ભાગ્યેજ કોઈ ઉહાપોહ થાય છે. જોકે ઉત્તર પ્રદેશમાં અલીગઢમાં આવેલી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી(એઍમયુ)ના  વિદ્યાર્થી ખંડમાં ૧૯૩૮માં મૂકાયેલી બૅરિસ્ટર મોહમ્મદ અલી ઝીણાની તસવીરના મુદ્દે પેટ ચોળીને શૂળ ઊભું કરાઈ રહ્યું છે. ઇતિહાસના વિવાદો તાજા કરીને વર્તમાનની સમસ્યાઓથી લોકોનું ધ્યાન અન્યત્ર હટાવવાની રાજકીય તરકીબો પ્રજાને મૂરખ બનવાની કવાયતથી વિશેષ નથી.બુધવાર, ૯ મે ૨૦૧૮ના રોજ એઍમયુના કુલપતિ તારીક મન્સૂર  કેન્દ્રના ગૃહ મંત્રી રાજનાથ સિંહને મળ્યા અને તેમણે ૧૯૩૮થી લાગેલી ઝીણાની છબિને નિરર્થક મુદ્દો ગણાવ્યો. કુલપતિએ  કૅમ્પસમાં અશાંતિ ફેલાવવા અને પોલીસ લાઠીચાર્જ થવાના મુદ્દે અદાલતી તપાસની માંગણી રાજ્ય સરકાર સમક્ષ કરી હોવાનું જણાવ્યું હતું. એઍમયુમાં જ નહીં, મુંબઈની વળી અદાલત અને અમદાવાદના સાબરમતી આશ્રમમાં પણ ઝીણાની છબિ લગાડેલી હોવાની વાત પણ તેમણે મીડિયાને જણાવી હતી.તેમનો ઈશારો હિંદુવાદી સંગઠનો અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કૅમ્પસમાં અશાંતિ ફેલાવી રહ્યાં હોવા ભણી હતો.

આ એજ અલીગઢ છે જ્યાંથી ચૂંટાયેલા ભાજપી ધારાસભ્ય કલ્યાણસિંહ અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બન્યા હતા અને અત્યારે રાજસ્થાનના રાજ્યપાલ છે.તાજેતરમાં જ અલીગઢના ભાજપી સાંસદ સતીશ ગૌતમ છાત્ર સંઘના ખંડમાં ઝીણાની તસવીર કેમ છે,એવો પ્રશ્ન કરીને સમગ્ર વિવાદને વકરાવે છે.આવા અટકચાળા કરવા પાછળ દેશની વિશ્વ વિખ્યાત શિક્ષણ સંસ્થામાં વાતાવરણને ધાર્મિક વિભાજન ભણી ધકેલવાની બાલીશ કોશિશ છે.કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો થાય છે.હકીકતમાં ૧૯૩૮માં એટલેકે આઝાદી પહેલાં  એક છબિ મૂકાઈ હતી,એને કેમ મૂકાઈ એનો  તર્ક શોધવાને બદલે વાતાવરણ કોમી રંગ પકડે છે. રાષ્ટ્રવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિના આક્ષેપ-પ્રતિઆક્ષેપ થવા માંડે છે.જે ખંડમાં ઝીણાની તસવીર છે,એમાં જ મહાત્મા ગાંધી,સી.રાજગોપાલાચારી, ડૉ.રાજેન્દ્ર પ્રસાદ,જવાહરલાલ નેહરુ,મૌલાના આઝાદ  સહિતના આજીવન સભ્ય એવા નેતાઓની પણ તસવીરો છે. ઝીણાની છબિ દૂર કરવાના મામલાને હિંસક અથડામણ સુધી લઇ જવાને બદલે સમજદારીથી અને સંવાદથી ઉકેલવાની જરૂર હતી.

ઝીણાનો એઍમયુ સાથે શો સંબંધ?

છેક ૧૮૭૭માં સર સૈયદ એહમદ ખાં થકી ઑક્સફર્ડની ભૂમિકા પર, રાજા જય કૃષ્ણના જમીનદાનથી, અલીગઢમાં મુસ્લિમોને આધુનિક શિક્ષણ મળે એ હેતુસર સ્થપાયેલી મુહમ્મદન ઍંગ્લો ઓરિએન્ટલ  કૉલેજ સમયાંતરે ૧૯૨૦માં એઍમયુમાં રૂપાંતરિત થઇ. આઝાદી પછી ભારત સરકાર એનું સૂત્રસંચાલન કરતી રહી છે. મહામના પંડિત મદન મોહન માલવિયાએ ૧૯૦૪માં કાશીનરેશ વિષ્ણુ નારાયણ સિંહ અને દરભંગા નરેશ રામેશ્વર સિંહ સહિતના નાના-મોટા દાતાઓના પ્રારંભિક સહયોગથી અને એની બૅસન્ટની સૅન્ટ્રલ હિંદુ કૉલેજ પંડિત માલવિયાને સુપરત કરાતાં ૧૯૧૬માં બનારસમાં સ્થાપેલી બનારસ હિંદુ યુનિવર્સિટી (બીઍચયુ) પણ ઑક્સફર્ડ અને કૅમ્બ્રિજની ભૂમિકા પર વિશ્વમાં પ્રસિદ્ધ એવી શિક્ષણ સંસ્થા બની. આઝાદી પછી ભારત સરકાર એનું સંચાલન કરતી રહી છે.નેહરુ સરકારમાં શિક્ષણ મંત્રી રહેલા અને દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(જેઍનયુ)ના સંસ્થાપક એવા જસ્ટિસ મોહમ્મદ કરીમ ચાગલાએ યુનિવર્સિટીઓને ધર્મનિરપેક્ષ સ્વરૂપ આપવા માટે એઍમયુ અને બીઍચયુના નામમાંથી “મુસ્લિમ’ અને “હિંદુ” શબ્દને દૂર કરાવવાની સંસદમાં કોશિશ કરી જોઈ હતી,પણ એમાં એમને સફળતા મળી નહીં હોવાનું જસ્ટિસ ચાગલાએ પોતાની આત્મકથા “રોઝીઝ ઇન ડિસેમ્બર”માં વિગતે નોંધ્યું છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીની સરકારમાં પણ  મંત્રી રહ્યા છતાં ૧૯૭૫-’૭૭ની તેમની ઇમર્જન્સીના કટ્ટર વિરોધી એવા મૂળ કચ્છના જસ્ટિસ ચાગલાએ ૧૯૮૦માં મુંબઈમાં ભારતીય જનતા પક્ષના પ્રથમ અધિવેશનમાં નવરચિત પક્ષને આશીર્વાદ આપ્યા હતા. કમનસીબે  હજુ આજે પણ એઍમયુ અને બીઍચયુ ધાર્મિક ધોરણે વિભાજિત રાજકારણનો અખાડો બની રહી છે.

ઝીણાએ મુંબઈમાં “ઝીણા હાઉસ” તરીકે જાણીતા પોતાના નિવાસસ્થાનમાં બેસીને ૧૯૩૯-’૪૦માં તૈયાર કરેલા વસિયતનામામાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સહિતની શિક્ષણસંસ્થાઓને પોતાની સંપત્તિમાંથી માતબર રકમના દાનની જોગવાઈ રાખી હતી,એ વાતને વર્તમાન વિવાદમાં ભાગ્યેજ કોઈ યાદ કરે છે.ઝીણાએ એઍમયુ ઉપરાંત મુંબઈ યુનિવર્સિટી અને મુંબઈની અંજુમન-એ-ઇસ્લામ સ્કૂલ  જેવી આજની પ્રતિષ્ઠિત સંસ્થાને પણ માતબર દાન આપ્યું હતું.બીજી શિક્ષણ સંસ્થાઓ જેવીકે કરાંચીસ્થિત સિંધ મદરેસા (જ્યાં ઝીણા ભણ્યા હતા),પેશાવરની ઇસ્લામિયા કૉલેજ અને દિલ્હીની ઍરેબિક કૉલેજને પણ તેમણે પોતાના વસિયતનામામાં આર્થિક યોગદાન કરવાની જોગવાઈ રાખી હતી. એ પ્રમાણે ભારતના ભાગલા પડ્યા પછી પણ દાનની રકમ ભારતની જે તે શિક્ષણ સંસ્થાને ફળવાયાનું જણાવાય છે.લંડનની લિંકન્સ-ઈનમાંથી ઝીણા બૅરિસ્ટર થયા અને ત્યાં પણ એમની તસવીર રાખવામાં આવી છે,છતાં ત્યાં કોઈ વિવાદ થયાનું જાણ્યું નથી.

મુંબઈમાં આજેય હયાત ઝીણા હાઉસ અને ઝીણા હૉલ

અલીગઢમાં ઝીણાની એક તસવીર નિમિત્તે  વિવાદ કરીને આખી યુનિવર્સિટીને રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિનો અડ્ડો જાહેર કરવાના અટકચાળા કરવામાં આવતા હોય તો મુંબઈમાં તો ઝીણાનું ભવ્ય નિવાસસ્થાન આજેય ઊભું છે.વળી, ભડકમકર માર્ગ (અગાઉના લૅમિંગટન રોડ) પર આવેલા કૉંગ્રેસ હાઉસમાં ઝીણા હૉલ પણ ઊભો છે.ઝીણા અને એમનાં પારસી પત્ની રતનબાઇ ઉર્ફે રુટીના એકમાત્ર સંતાન એવી દીના વાડિયાના દીકરા અને બૉમ્બે ડાઈંગ મિલના માલિક એવા નસલી વાડિયા અને તેમનો પરિવાર પણ મુંબઈમાં રહે છે.ઝીણાની બહેનોના પરિવાર પણ મુંબઈમાં વસે છે.મૂળ સૌરાષ્ટ્રના મોટી પાનેલીના હિંદુ લોહાણા પરિવારના વંશજ એવા મેમદ (મોહમ્મદ) ઝીણાભાઈ પૂંજાભાઈ વાલજીભાઈ ઠક્કર સમયાંતરે પાકિસ્તાનના સર્જક અને બ્રિટિશ ઇન્ડિયાના ભાગલાનું નિમિત્ત બન્યા.એમના દાદાએ ઇસ્લામ કબૂલ્યો હતો અને પરિવાર કરાંચી સ્થાયી થયો.મેમદનો જન્મ કરાંચીમાં ૨૦ ઑક્ટોબર ૧૮૭૫ના રોજ થયાનું તેમની પ્રથમ શાળા સિંધ મદરેસા-તુલ-ઇસ્લામના રજિસ્ટરમાં નોંધાયું છે,જોકે વેપાર માટે મેમદ લંડન ગયા પછી બૅરિસ્ટરીનું ભણવા લિંકન્સ-ઈનમાં જતાં નામ અને અટક સાથે જ જન્મતારીખ પણ બદલીને ઍમ.એ.ઝીણાએ નાતાલથી પ્રભાવિત થઇ  ૨૫ ડિસેમ્બર ૧૮૭૬ને પોતાની જન્મતારીખ નોંધાવી.

કૉંગ્રેસી ઝીણા મુસ્લિમ લીગની સ્થાપનાના વિરોધી

બૅરિસ્ટર ઝીણા ગાંધીજી કરતાં પણ કૉંગ્રેસના સીનિયર આગેવાન રહ્યા એટલુંજ નહીં તેઓ મોતીલાલ નેહરુ અને બૅરિસ્ટર વિઠ્ઠલભાઈ પટેલના પણ અંગત મિત્ર રહ્યા.૧૯૦૬માં આગાખાન અને ઢાકાના નવાબના પ્રયાસો અને વાઇસરૉયના આશીર્વાદથી મુસ્લિમ લીગની સ્થાપના થઇ ત્યારે એનો વિરોધ કરનાર સૌપ્રથમ નેતા ઝીણા જ હોવાનું અને તેમણે મુસ્લિમ લીગને ભારતના ભાગલા પડાવવાની કુટિલ ચાલનો ભાગ ગણાવ્યો હતો,એ  એમના મંત્રી રહેલા જસ્ટિસ ચાગલાએ પોતાની આત્મકથામાં નોંધ્યું છે.ગાંધીજી જાન્યુઆરી ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકેથી ભારત પાછા ફર્યા ત્યારે મુંબઈમાં તેમનું સન્માન ગૂર્જર સભાના અધ્યક્ષ તરીકે ઝીણાએ જ ગોઠવ્યું હતું. ૧૯૧૬માં લખનઉમાં કૉંગ્રેસ અને મુસ્લિમ લીગના  અધિવેશન ટાણે લખનઉ કરાર થતાં લોકમાન્ય ટિળકે ઝીણાને હિંદુ-મુસ્લિમ એકતાના મસીહા ગણાવ્યા હતા. અગાઉ ટિળક વિરુદ્ધના રાજદ્રોહના ખટલામાં બૅરિસ્ટર ઝીણા લોકમાન્યના ધારાશાસ્ત્રી પણ રહ્યા હતા. ૧૯૧૭માં ગોધરામાં ગુજરાત રાજકીય પરિષદમાં મહાત્મા અને ઝીણા વચ્ચે મતભેદ ઊભા થયા અને ૧૯૨૦માં નાગપુરમાં કૉંગ્રેસના અધિવેશનમાં ઝીણાએ અપમાનિત થવાના સંજોગો અનુભવ્યા.અલી બંધુઓને લઈને ગાંધીજીએ આદરેલા ખિલાફત આંદોલન સામે ઝીણાનો વિરોધ રહ્યો અને બંને વચ્ચે અંતર વધતું ચાલ્યું.જોકે રાષ્ટ્રવાદી ઝીણા પાછળથી મુસ્લિમો માટેના અલગ રાષ્ટ્રના પ્રણેતા બન્યા અને ૧૯૪૭માં પાકિસ્તાન લઈને જ રહ્યા હતા. વિધિની વિચિત્રતા તો જુઓ કે જે ઝીણા ઇસ્લામના સિદ્ધાંતો અનુસરતા નહોતા એમણે ઇસ્લામના નામે અલગ રાષ્ટ્ર મેળવ્યું.એ નિયમિત નમાજ પઢતા નહોતા, શરાબનું સેવન કરતા હતા,ઇસ્લામમાં હરામ એવા ડુક્કરના માંસમાંથી બનતી હૅમ સેન્ડવિચ એમને ખૂબ પસંદ હતી.જોકે એમણે પાકિસ્તાન મેળવ્યા પછી એને ઇસ્લામિક રાષ્ટ્રને બદલે સૅક્યુલર રાષ્ટ્ર બનાવવું હતું,પણ એ ઝાઝું જીવ્યા નહીં.અને પાકિસ્તાન ઇસ્લામિક રાષ્ટ્ર જ નહીં, આતંકવાદની નિકાસ કરનાર રાષ્ટ્ર બન્યું.એનાં દુષ્પરિણામ આજે પણ એણે સહન કરવાં પડે છે.

મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની સંયુક્ત સરકારો

મહાત્મા ગાંધીએ તો ભારતના ભાગલા ટાળવા માટે ઝીણાને અખંડ ભારતના પ્રથમ વડા પ્રધાન બનાવવાની દરખાસ્ત પણ કરી હતી.જોકે ભાગલા અટળ બની રહ્યા અને વિભાજને લાખો લોકોની કત્લેઆમ અને હિજરતના સંજોગો સર્જ્યા હતા. ભારતમાં ઝીણા આજેય ખલનાયક લેખાતા હોવા છતાં ભાગલા માટે ઝીણા ઉપરાંત ઘણા બધા નેતાઓ અને પરિબળો જવાબદાર હતાં.અત્યારે રાષ્ટ્રવાદના ઠેકેદાર તરીકે પોતાને ગણાવનારાઓના પુરોગામીઓ કે આસ્થાપુરુષો  ક્યારેક ઝીણાની મુસ્લિમ લીગ સાથે બ્રિટિશ હકૂમતની કુરનીશ બજાવતા હતા,એ ભૂંડો ઈતિહાસ પણ અનુકૂળતાએ વિસારે પડે છે.જયારે ૧૯૪૨ની “હિંદ છોડો” ચળવળને પગલે મોટાભાગના કૉંગ્રેસી નેતાઓ જેલોમાં બંધ હતા,ત્યારે મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાના નેતાઓ સંયુક્ત સરકારો ચલાવતા હતા. અમદાવાદમાં હિંદુ મહાસભાના અધ્યક્ષ બૅરિસ્ટર વિ.દા.સાવરકરે ૧૯૩૭માં પક્ષના અધિવેશનમાં હિંદુ અને મુસ્લિમ માટે દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત રજૂ કર્યો હતો. માર્ચ ૧૯૪૦માં બંગાળના પ્રીમિયર ફઝલુલ હકે લાહોરમાં ઝીણાની અધ્યક્ષતામાં મળેલા મુસ્લિમ લીગના અધિવેશનમાં પાકિસ્તાન ઠરાવ રજૂ કર્યો અને એ એકી અવાજે મંજૂર થયો હતો. આ જ હકની ૧૯૪૧-’૪૨ની બંગાળ સરકારમાં, હિંદુ મહાસભાના અધ્યક્ષ બૅરિસ્ટર વિ.દા.સાવરકરની સંમતિથી, પક્ષના કાર્યાધ્યક્ષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી નાણા પ્રધાન હતા.એટલું જ નહીં, માર્ચ ૧૯૪૩માં સિંધની પ્રાંતિક ધારાસભામાં પાકિસ્તાન ઠરાવ મંજૂર થયો ત્યારે સિંધમાં મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની સરકાર હતી. ત્રણ હિંદુ પ્રધાનોએ એ ઠરાવનો વિરોધ નોંધાવ્યો,પણ રાજીનામાં આપ્યાં નહોતાં. વાયવ્ય પ્રાંતમાં પણ મુસ્લિમ લીગની સરકારમાં હિંદુ મહાસભા ભાગીદાર હતી.એટલું જ નહીં, હિંદુ મહાસભાના અધ્યક્ષ બૅરિસ્ટર સાવરકરે પંજાબમાં પણ મુસ્લિમ સાથે સરકાર રચવા પોતાના પક્ષને સંમતિ આપી હતી,પણ એ સરકાર રચાઈ નહોતી.અત્યારે ઝીણાના ફોટાનો પણ વિરોધ કરનારા ભાજપના આદ્યપુરુષો ઝીણાના પક્ષની સાથે અને અંગ્રેજો સાથે સત્તાના ભોગવટા કરતા હતા,એ ઈતિહાસને નકારી શકાય એમ નથી.

ઈ-મેઈલ : haridesai@gmail.com                                        
(sHD-Jinnah-AMU 9-5-2018)

No comments:

Post a Comment