Wednesday 14 February 2018

Desperate Efforts to Control Erosion of Popularity




Dr.Hari Desai’s Weekly Column in Gujarat Samachar (London), Gujarat Guardian (Surat), Jansetu (Palanpur), Hamaloag (Patan) and Gandhinagar Samachar (Gandhinagar). You may read the full-text here  and comment.

લોકપ્રિયતા ટકાવવા માટે નેવાંનાં પાણી મોભે ચડાવવાની મથામણ

ડૉ. હરિ દેસાઈ

  • ઈશાન ભારતનાં અષ્ટલક્ષ્મીમાં મોદીનો જાદુ પાથરીને કર્ણાટક કબજે કરી લેવાના ભગવી પાર્ટીના વ્યૂહ
  • ત્રિપુરાના યુવાન “મહારાજા” પ્રદ્યુત દેવવર્ધનને ભાજપીમુખ્યમંત્રીના ચહેરા તરીકે રજૂ કરવામાં  નિષ્ફળતા
  • એકાએક ડીએમકેના સુપ્રીમોની તબિયતના ખબર કાઢવા જવાયું અને ટુ-જી કૌભાંડ નહીં થયાના વાવડ આવ્યા
  • હવે મોદી સરકારને ઘરભેગી કરવા ૨૩ માર્ચથી રામલીલા મેદાન પર ફરીને અણ્ણા હજારેની  રાજકીયલીલા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નાલેશીભર્યા વિજય અને રાજસ્થાનની બંને લોકસભા બેઠકો તથા એક વિધાનસભા બેઠક પર ભાજપના કરુણ પરાજ્ય પછી ભાજપ ઘાયલ વાઘની સ્થિતિમાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એમનો પક્ષ બમણા જોરથી ઈશાન ભારતનાં ત્રણેય રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયને ભાજપના નેતૃત્વવાળા એનડીએની ઝોળીમાં અંકે કરી લેવા કૃતસંકલ્પ છે. ત્રણેય રાજ્યો ભલે ખોબલા જેવડાં હોય, પણ આવતા દિવસોમાં કૉંગ્રેસ કનેથી કર્ણાટક છીનવીને બૅંગલૂરુમાં ભાજપની યેડિયુરપ્પા સરકાર સ્થાપવી છે. આ માટે ઇશાન ભારતનાં ત્રણ રાજ્યોને કોઈ પણ ભોગે જીતી લેવાં અનિવાર્ય છે. ઈશાનનાં આઠ રાજ્યોમાં મોદી જાદુ છવાયો છે. માત્ર ભાજપ જ નહીં, સમગ્રપણે સંઘ પરિવાર એ સંકલ્પને સાકાર કરવા મેદાને પડ્યો છે. ઈશાન ભારતનાં સિક્કિમ સહિતનાં આઠ રાજ્યોમાંથી આ ત્રણ રાજ્યો પર ભાજપ અને મિત્રપક્ષોનો કબજો થતાં એકમાત્ર મિઝોરમના કૉંગ્રેસી ગઢને ખેરવવાનો રહે છે. એ પણ આવતા વર્ષ દરમિયાન રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીઓ સાથે સર કરવાના વ્યૂહ ઘડાયા છે.
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની સરકારોનાં પરાજ્યની ગણતરી ખરી. જોકે, લોકસભાની ચૂંટણી ડિસેમ્બર ૨૦૧૮માં કરી લઈને પક્ષ અને કેન્દ્ર સરકારની કથળતી જતી સ્થિતિ વચ્ચે ફરીને નરેન્દ્ર મોદીના પુનઃ સત્તારોહણનાં આયોજન ખરાં. ઉત્તર ભારતનાં રાજ્યોમાં મે ૨૦૧૪માં ભાજપને મળેલી બેઠકોમાં સંભવિત ઘટાડો તમિળનાડુમાં દ્રમુક સાથેના જોડાણ થકી સરભર કરી લેવા માટે વડા પ્રધાન એકાએક કરુણાનિધિના ખબરઅંતર પૂછવા ગયા. એ પછી કરુણાનિધિના પક્ષના એ. રાજા તથા કરુણાનિધિ-પુત્રી કળિમોળી ટુ-જી કૌભાંડમાં નિર્દોષ છૂટી ગયાના વાવડ આવ્યા. અત્યાર લગી ભારે ઊધામા છતાં કેરળ અને તમિળનાડુમાં ભાજપને વિધાનસભા તથા લોકસભામાં માંડ સમ ખાવા પૂરતી એકાદ બેઠક મળતી રહી છે. સંયોગ તો જુઓ કે યુપીએ સરકારનું ટુ-જી કૌભાંડ નહોતું થયું, એ સમાચાર સાથે જ ગોવામાં ભાજપી શાસનમાં ૮૮ ખાણોના કૉન્ટ્રાક્ટ આપવામાં ૩૫,૦૦૦ કરોડ રૂપિયાનું કથિત કૌભાંડ થયાના મુદ્દે સર્વોચ્ચ અદાલતે એ ખાણોની લીઝ રદ કર્યાના વાવડ પણ આવ્યા.
૨૦૧૯માં નિર્ધારિત લોકસભાની ચૂંટણીને છ મહિના વહેલી યોજવાનો જુગાર ખેલી લેવામાં ૨૦૦૪ના ઈન્ડિયા શાઈનિંગનું વરવું પુનરાવર્તન કરીને ભાજપની સ્થિતિ કફોડી ના થાય, એ માટે છાસ પણ ફૂંકીને પીવાનું મોદી-શાહની જોડી પસંદ કરે છે. આવતા દિવસો એમના નેતૃત્વ માટે તલવારની ધાર પર ચાલવાના સંજોગોનાં એંધાણ આપે છે, છતાં વિપક્ષની એકતાનો સંકલ્પ સાકાર થાય એ પહેલાં જ રાહુલબાબાના ગઢમાં પડાય એટલાં ગાબડાં પાડીને વધુ પાંચ વર્ષ માટે કેન્દ્રમાં શાસનને અંકે કરી લેવા મોદી ઉતાવળા છે.
વિપક્ષી એકતાના ખરતા કાંગરા
વિપક્ષી એકતામાં એક સાંધવા જતાં તેર તૂટવાના સંજોગો છે. વડા પ્રધાનપદના વિપક્ષી ઉમેદવાર તરીકે રાહુલ ગાંધી સર્વમાન્ય નથી. રૂસણે બેસતા ભાજપી મિત્રો શિવસેના, તેલુગુ દેશમ્ અને પીડીપીની ચોટલી અંતે તો કેન્દ્ર સરકારના હાથમાં છે. સીબીઆઈ અને ઍન્ફોર્સમૅન્ટ ડિપાર્ટમૅન્ટ (ઈડી)નો દંડૂકો કે પોપટ સાઉથ બ્લૉક (વડા પ્રધાન કાર્યાલય) અને નૉર્થ બ્લૉક (ગૃહ મંત્રાલય) ઈચ્છે તે રીતે ગતિ કરવા માટે જાણીતો છે. આવા સંજોગોમાં વિપક્ષી એકતાનો સંઘ કાશીએ એટલે કે સાઉથ બ્લૉકની આસપાસ પહોંચવા થાય એ પહેલાં જ એની એકતાને છિન્નભિન્ન કરી દેવાના વ્યૂહ ૧૧, અશોક રોડ (ભાજપી મુખ્યાલય)માં ઘડાઈ ચૂક્યા હોય છે. આવી સ્થિતિમાં કશું કાચું કપાય નહીં એની તકેદારી સ્વયં વડા પ્રધાન મોદી રાખે એ સ્વાભાવિક છે. સત્તામાં આવ્યા છતાં વિપક્ષની આંદોલનાત્મક છબિ ભાજપની નેતાગીરીએ બરકરાર રાખી છે. મોદી વ્યૂહનો કૉંગ્રેસને અણસાર આવે એ પહેલાં તો અમલ થઈ ચૂક્યો હોય છે.
ઈશાન ભારતનાં ત્રણ રાજ્યોમાં ૧૮ અને ૨૭ ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાય એ પહેલાં ભાજપશાસિત આસામમાં રોકાણકારોની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાય છે, અંબાણી અને ટાટા ટ્રસ્ટ થકી એમાં ઈશાન ભારતમાં ભારે મૂડીરોકાણની જાહેરાત કરે છે અને હજારોને રોજગારી આપવાની ખાતરી અપાય છે. સાથે જ વડા પ્રધાન મોદી ઈશાન ભારતનાં આ આઠ રાજ્યોને અષ્ટલક્ષ્મીજાહેર કરીને એમને ભારતના વિકાસયંત્ર માટે ચાવીરૂપ લેખાવે છે. અગાઉનાં વર્ષોમાં કૉંગ્રેસી શાસકોએ કરેલી ભૂલો કે જેમને દુભવ્યા છે એ બધાને ભાજપી પારસમણિથી પવિત્ર કરીને, પોતાની સાથે જોડીને, મોદીનો અશ્વમેધ આગળ વધી રહ્યો છે, એ વાત તો એમના વિરોધીઓએ પણ કબૂલ રાખવી પડશે.
મોદી થકી ભાજપી સરકારો સ્થાપવામાં કોઈ પણ પક્ષના નેતાઓનો સાથ કોઈ પણ છોછ વિના લેવામાં જરાય મણા રાખવામાં આવતી નથી. એક વાર રાજ્યમાં સત્તા મેળવ્યા પછી જે તે આયાતી નેતાઓ પર રિમોટ તો મોદી-સેનાનો ચાલે એ સ્પષ્ટ છે. એટલે ક્યારેક મોદીના સાથીદાર રહેલા વિશ્વ હિંદુ પરિષદના સુપ્રીમો ડૉ. પ્રવીણ તોગડિયા ભલે કહેતા હોય કે આસામમાં દસમાંથી નવ પ્રધાન કૉંગ્રેસ અને અહોમ ગણ પરિષદ (એજીપી)માંથી આવ્યા છે, સત્તા મેળવ્યા પછી એમને યોગ્ય નર્તન કરાવવું જરૂરી છે.
માર્કસવાદી ત્રિપુરા અને વિપક્ષી એકતા
માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના સાદગીથી જીવતા નેતા માણિક સરકાર છેલ્લાં વીસ વર્ષથી ત્રિપુરામાં મુખ્ય પ્રધાન તરીકે શાસન કરે છે. છેક ૧૯૯૩થી આ રાજ્યમાં કૉંગ્રેસ વિપક્ષમાં છે. ત્રિપુરાના મહારાજાપ્રદ્યુત દેવવર્ધન ઉર્ફે પીકેબી માણિક્ય પણ કૉંગ્રેસમાં હોવા છતાં કૉંગ્રેસના મોટા ભાગના ધારાસભ્યો પણ વાયા તૃણમૂલ કૉંગ્રેસ ભાજપ સાથે ઘર માંડતા થયા છે. આ યુવા મહારાજાને મુખ્ય પ્રધાનપદના ભાજપી ઉમેદવાર તરીકે આગળ કરીને માર્ક્સવાદી શાસનનો અંત આણવા સહિતની વ્યૂહરચનાઓ ભાજપ-સંઘ થકી વિચારાઈ, પણ ભગવી પાર્ટીને એમાં સફળતા મળી નથી. જોકે, અહીં માર્ક્સવાદી મુખ્ય પ્રધાન માણિક સરકારનાં અમારી સાથે વખાણ કરનારા સંઘના અધિકારીઓહવે એમને ઘરભેગા કરવા મેદાને પડ્યા છે. આ વખતે ભાજપની સરકાર અગરતલામાં સ્થપાય એવાં એંધાણ મળી રહ્યાનાં ઢોલ ભલે પીટાય, પણ પ્રદ્યુત દેવવર્ધને શનિવાર, ૧૦ ફેબ્રુઆરીએ આ લખનાર સાથેની વાતચીતમાં, એને માત્ર ભાજપ થકી તૈયાર કરાયેલી આભાસી છાપ ગણાવી હતી.આવતી સરકાર ભલે માર્ક્સવાદી સરકાર હોય, પણ કૉંગ્રેસ યુવા નેતાગીરીને આગળ કરીને ભવિષ્યની તૈયારી કરતી હોવાનું ગુજરાતના કચ્છ અને દેવગઢબારિયાના રાજવી પરિવાર સાથે પારિવારિક સંબંધ ધરાવતા ત્રિપુરા કૉંગ્રેસના કાર્યાધ્યક્ષ એવા યુવા નેતા કહે છે.”મારા દાદા મહારાજા વીર વિક્રમ કિશોર દેવવર્મનના નામ સાથે  અગરતલાના ઍરપોર્ટને જોડવાની વાત ભાજપ કરે છે, પણ મારા દાદા તો સૅક્યુલર હતા, ભાજપની જેમ કોમવાદી નહોતા.રાજ્યની પ્રજા ભાજપને  બરાબરનો પાઠ ભણાવશે.”
કેરળમાં માર્ક્સવાદી મોરચાની સરકાર આવતાં વડા પ્રધાન મોદી આડા હાથ દઈ શક્યા નથી. પશ્ચિમ બંગાળમાં છેક ૧૯૭૭થી રાજ કરતા માર્ક્સવાદી મોરચાને બંગાળની વાઘણગણાતાં મમતા બેનરજીએ ૨૦૧૧માં પરાસ્ત કરવામાં સફળતા મેળવી હતી. અહીં મમતા દીદીને પછાડવા ભાજપ થકી ભારે ઉધામા મારવામાં આવ્યા, અનેક કૌભાંડોના ખટલાઓમાં તૃણમૂલના નેતાઓને ગિરફ્તાર કરવામાં આવ્યા, છતાં ભાજપને રાઈટર્સ બિલ્ડિંગ પર કબજો મેળવવામાં સફળતા મળી નથી. હવે માર્ક્સવાદી મોરચાના ત્રિપુરા ગઢને તોડ્યા પછી કેરળનો ગઢ ધ્વસ્ત કરવાની ભાજપી યોજના છે.વિપક્ષી એકતામાં મમતા બેનરજી, નવીન પટનાયક, અરવિંદ કેજરીવાલ, અને રાહુલબાબા વચ્ચે સમજૂતી સધાય નહીં એ માટે ભાજપી સેના સુરંગો મૂકતી જાય છે. મોદી-સેના જાગતી સેના છે. જોકે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં એને અપેક્ષિત સફળતા મળી નથી. ઉપરાંત વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને રાહુલ-બ્રિગેડના બીજા કોંગ્રેસી નેતાઓએ રૂપાણી સરકારને ભીંસમાં લેવાનું ચાલુ કર્યું છે. આવું પ્રત્યેક રાજ્યમાં કૉંગ્રેસ અને વિપક્ષ કરે, એવા સંજોગોનો મુકાબલો કરવા માટે પણ ભાજપની નેતાગીરીએ કમર કસવાની છે.
રાજભવનમાં સંઘનિષ્ઠોઃ સત્તા માટે જોડાણો
ઈશાન ભારતનાં રાજ્યોમાં રાજ્યપાલની નિયુક્તિઓ તો કેન્દ્રમાં મોદી સરકાર થકી કરાયેલી છે. ત્રિપુરામાં રાજ્યપાલ તરીકે પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ રહેલા સંઘનિષ્ઠ તથાગત રાય છે. નાગાલૅન્ડમાં રાજ્યપાલપદે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અગ્રણી અને ઈશાન ભારતમાં વર્ષોથી કાર્યરત રહેલા મુંબઈકર પદ્મનાભ આચાર્ય છે. મેઘાલયમાં નાગપુરના હિતવાદ અખબાર સમૂહના મોભી અને અગાઉ કૉંગ્રેસી અને પછીથી ભાજપી સાંસદ રહેલા સંઘના લાડકા બનવારીલાલ પુરોહિત છે. ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની બેઠકો ૬૦-૬૦ છે. ત્રિપુરા હિંદુબહુલ છે, પણ મેઘાલય અને નાગાલૅન્ડ ખ્રિસ્તીબહુલ છે. જોકે, ભાજપ જેવો દેશ તેવો વેશ કરવામાં નિષ્ણાત છે. ભારતમાં અન્યત્ર ગોમાંસ વિરોધી ઝુંબેશ ચલાવનાર ભાજપને અહીં ગોમાંસ ભક્ષણ સામે વાંધો નથી.
નાગાલૅન્ડમાં મુખ્ય પ્રધાન ટી. આર. ઝૅલિયાંગના નાગા પીપલ્સ ફ્રન્ટ (ઍનપીઍફ) સાથે છેલ્લાં ૧૫ વર્ષથી ભાજપનું જોડાણ હતું. જોકે, આ વખતે એ તોડીને નાગાલૅન્ડના મુખ્ય પ્રધાન અને સાંસદ રહેલા નેઈફ રિઓના વડપણવાળા પક્ષ નેશનલ ડૅમોક્રૅટિક પીપલ્સ પાર્ટી (ઍનડીપીપી) સાથે ભાજપે ઘર માંડ્યું છે. ૨૭ ફેબ્રુઆરીએ અહીં ચૂંટણી યોજાવાની છે. ૪૦ બેઠકો ઍનડીપીપી અને ૨૦ બેઠકો ભાજપ લડે છે. મેઘાલયમાં કૉંગ્રેસી મુખ્ય પ્રધાન મુકુલ સંગમાને ઘર ભેગા કરવા માટે કૉનરાડ સંગમાની ઍનપીપી સાથે ભાજપ ચૂંટણી લડે છે.
અણ્ણા હજારેનું આંદોલન
અગાઉ રામલીલા મેદાન પર આંદોલન કરીને કૉંગ્રેસની ડૉ. મનમોહન સિંહની સરકારને ઘરભેગી કરવાનું વાતાવરણ તૈયાર કરનાર મહારાષ્ટ્રના સમાજસેવી અણ્ણા હજારે હવે નરેન્દ્ર મોદી સરકારને ઘરભેગી કરવાના સંકલ્પ સાથે આગામી ૨૩ માર્ચથી રામલીલા મેદાન પર ફરીને રાજકીયલીલા આદરવાના છે. જોકે, આ વખતે એમને કેટલો અને કેવો પ્રતિસાદ મળશે એ વિશે શંકાકુશંકાઓ અત્યારથી સેવાઈ રહી છે. ક્યારેક મહારાષ્ટ્રમાં પોતાના ગામ રાળેગણસિદ્ધિને આદર્શ ગામ બનાવવામાં સફળ રહેલા અણ્ણા હજારેના શિષ્યોમાં પાછળથી ઘણાં તડાં પડ્યાં હતાં. અરવિંદ કેજરીવાલ થકી આપની સ્થાપના કરાઈ અને દિલ્હીના મુખ્ય પ્રધાનપદ સુધીની મજલ કાપવામાં આવી એ જ આંદોલનમાંથી નીકળેલાં કિરણ બેદી ભાજપમાં જોડાયાં. ચૂંટણીલક્ષી રાજકારણમાં પરાસ્ત થયાં. હવે નાયબ રાજ્યપાલ છે.મોદી સરકારની ઘસાતી જતી લોકપ્રિયતાને આડા હાથ દેવા પ્રાયોજિત સર્વેક્ષણો અને નંબર વનવાળી જાહેરાતો વચ્ચે લોકસભાની ચૂંટણી છ મહિના વહેલી કરાય તો બહુ આશ્ચર્ય નહીં થાય.
ઈ-મેઈલ : haridesai@gmail.com           

No comments:

Post a Comment