Thursday 14 September 2017

Vrundavan Samanvay Baithak of RSS and Future Agenda

ભાજપ શાસનથી ખુશ માતૃસંસ્થા આરઆરએસનો ભાવિ એજન્ડા
અતીતથી આજ : ડૉ. હરિ દેસાઈ
·         વૃંદાવનની સમન્વય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરી પર સંઘના “અધિકારીઓ” વારી ગયા
·         વાતો સ્વદેશી તથા મેઈક ઈન ઈન્ડિયાની થાય ત્યારે  વિદેશી મૂડીરોકાણ પરનું  અવલંબન કઠતું  લાગ્યું 
·         બે કરોડ બાંગલાદેશી ઘૂસણખોરોમાંથી ભાજપ સરકારે  માત્ર ૩૦ ઘૂસણખોરોને એમના દેશમાં પાછા કાઢ્યા !
·         ડોકલામ વિવાદ અને બ્રિક્સ દેશોની શિખર પરિષદમાં દિલ્હીનો હાથ ઉપર રહ્યાથી સંઘની નેતાગીરી રાજી
·         આવતીકાલના એજન્ડામાં સીમા સુરક્ષા અને  ઈશાન ભારત, કેરળ તથા જમ્મૂ- કાશ્મીર કેન્દ્રસ્થાને રહ્યાં

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાના રાજકીય ફરજંદ ભારતીય જનતા પાર્ટીથી પ્રસન્ન છે. આપણે ત્યાં કહેવત છે કે વરને વરની મા વખાણે’. કેન્દ્ર અને રાજ્યોમાં ભારતીય જનતા પક્ષની સરકારો કાર્યરત છે ત્યારે એની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) સમયાંતરે સરકારની કામગીરીની સમીક્ષા કરે છે. હમણાં મથુરાના વૃંદાવનમાં માધવ કુંજ ખાતે દેશભરમાંથી સંઘ પરિવારનાં ૩૫ સંગઠનોના પ્રતિનિધિઓની સમન્વય બેઠક ત્રણ દિવસ ચાલી. સંઘની કામગીરી માત્ર રાજકીય ક્ષેત્રમાં જ નથી, પ્રત્યેક ક્ષેત્રમાં કાર્યરત સંગઠનોના પ્રતિનિધિ થકી અહેવાલ આપવામાં આવ્યા, અપેક્ષાપૂર્તિ કેટલી થઈ એની ચર્ચા થઈ અને હવે પછીના કાર્યક્રમો પર ભાર મૂકાયો. સંઘની સમન્વય બેઠકમાં કેન્દ્રની ભાજપ સરકાર થકી  ડોકલામ વિવાદ મુદ્દે ચીનને પાઠ ભણાવવા બદલ સરાહના કરવામાં આવી. સાથે જ એકંદરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની કામગીરીથી સંઘના હોદ્દેદારો પ્રસન્ન હોવાનું અનુભવાયું. જોકે, જ્યાં જે નેતાઓને ટપારવાની જરૂર હતી તેમને ખાનગીખૂણે સાફ શબ્દોમાં સુણાવવાનું કામ પણ સંઘના અધિકારીઓથકી થયું છે. કાશ્મીરનો મામલો ત્રણ-ત્રણ વર્ષથી કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં થાળે નહીં પડતો હોવા બાબત સંઘની નેતાગીરી ચિંતિત હોવાનું જણાયું. જમ્મુ-કાશ્મીરના યુવકોને માટે રોજગારીની તકો નિર્માણ કરીને એમને મુખ્ય ધારામાં લાવવાની અનિવાર્યતા પણ પ્રતિપાદિત કરાઈ. ત્રિદિવસીય સમન્વય બેઠકને અંતે સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવતના વડપણ હેઠળ સંઘનાં સંગઠનોને જવાબદારી સોંપાઈ, તેમાં મુખ્યત્વે ઈશાન ભારત, કેરળ અને કાશ્મીર કેન્દ્રસ્થાને રહ્યાં છે.સંઘની બેઠકમાંથી અખિલ ભારતીય પ્રચારપ્રમુખ ડૉ. મનમોહન વૈદ્ય મારફત સમાચાર માધ્યમો જોગ પ્રસારિત કરાતી બાબતોમાં સકારાત્મક બાબતો વધુ હોવા છતાં સમન્વય બેઠકની ચર્ચામાં સંઘના સંગઠનોની કાર્યવાહીની સમીક્ષા કરતી વેળા કડવી-મીઠી બધી બાબતોને આવરી લેવામાં આવી. સંઘ ભાજપની માતૃસંસ્થા હોવાથી અહીં માથું ટેકવવા આવનારાઓમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહથી લઈને વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનો, પ્રધાનો, ભાજપના અન્ય હોદ્દેદારોનો સમાવેશ હોવાથી મીડિયામાં એના રાજકીય ચિત્રને ઉપસાવવાના પ્રયાસ થયા.
ત્રિદિવસીય બેઠકમાં સ્વદેશીના વિચારના આચરણની બાબતમાં સારી એવી ટીકાત્મક ચર્ચા પણ થઈ. અમારું લક્ષ્ય ઈન્ટિગ્રલ હોલિસ્ટિક લાઈફછે એટલે કે ભારતીય વ્યવસ્થા માત્ર ભૌતિકવાદી નથી, એમાં એક પ્રકારની પવિત્રતા પણ હોવાની બાબત પર ભાર મૂકાય છે.સંઘની સંસ્થા સ્વદેશી જાગરણ મંચ તથા ભારતીય મજદૂર સંઘ એકંદરે કેન્દ્ર અને રાજ્યોની ભાજપી સરકારોની નીતિરીતિથી સંતુષ્ટ નહીં હોવાની બાબત પણ બેઠકમાં ઝળકવી સ્વાભાવિક છે. રોજગારીની તકો તથા કામદાર સુરક્ષાની બાબતો જોખમમાં મૂકાઈ રહ્યાની વાસ્તવિક્તા ભણી આ બંને સંગઠનો ઉહાપોહ મચાવતાં રહ્યાં છે. વાતો સ્વદેશી તથા મેઈક ઈન ઈન્ડિયાની થાય છે, પણ વિદેશી મૂડીરોકાણ પરનું અવલંબન વધી રહ્યાની હકીકત ભણી આંખમિચાંમણાં કરવાનું શક્ય નહીં હોવાની બાબત પણ મંથનમાં સ્પષ્ટ થતી હતી.
દેશભરમાં સૌથી વધુ શાખાઓ ચલાવાતી હોવા છતાં કેરળમાં ભાજપનો રાજકીય પ્રભાવ નહીંવત્ રહ્યો છે. વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં વડા પ્રધાન મોદીએ ખૂબ જોર માર્યું છતાં ૧૪૦ બેઠકોની વિધાનસભામાંથી માત્ર એક જ બેઠક પર ભાજપનો વિજય થયો હતો. હવે સંઘ-ભાજપ સાથે મળીને પ્રભાવ-વિસ્તરણ માટે આક્રમક આંદોલન જગાવવાનું આયોજન કરવાનું  સમન્વય બેઠકમાં નક્કી થયું. છેલ્લા કેટલાય દાયકાઓથી કેરળમાં સંઘ અને માર્ક્સવાદીઓ વચ્ચે પારસ્પારિક હત્યાઓ અને વેરની વસૂલાતના દોર ચાલે છે. કેરળની માર્કસવાદી મોરચાની સરકાર સામે દેશભરમાં સંઘ પરિવાર તરફથી જનમત કેળવવાની કોશિશ થઈ રહી છે અને આવતા દિવસોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની  આડશે કેરળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા તરફના સંજોગો આકાર લે એવું લાગે છે.જોકે સંઘનાં સૂત્રો જણાવે છે કે ઇન્દિરા ગાંધીએ ૧૯૫૯માં કૉંગ્રેસપ્રમુખ તરીકે જે ભૂલ કરી તે ભાજપની નેતાગીરી નહીં કરે. કેરળમાં ખાસ કરીને વિશ્વ હિંદુ પરિષદને આંદોલનમાં વધુ સક્રિય બનાવાય એવું લાગે છે. મથુરાના વૃંદાવનની સમન્વય બેઠકનું મહાત્મ્ય “સીમા જાગરણ મંચ” નામક નવા સંગઠનની રચનાના નિર્ણય સાથે સવિશેષ વધશે. ડોકલામ વિવાદે સંઘ પરિવારને સીમા સુરક્ષા બાબત જાગૃતિના પ્રયાસ વધુ મજબૂત કરવા માટે પગલાં લેવાશે.એ માટે પ્રજાને અને સત્તાવાળાઓને  પ્રેરવા આ સંગઠન દેશના સીમાડાઓ પર વધી રહેલી આતંકવાદી ઘટનાઓને રોકવામાં સરકારી પ્રયાસોમાં સહયોગ કરતું રહેશે. ડોકલામ વિવાદ બે મહિનાથી વધુ લાંબો ચાલ્યો અને એ પછી બ્રિક્સ શિખર પરિષદ પૂર્વે જ ભારત અને ચીન બંનેએ પોતાનાં દળો પાછાં ખેંચી લેવાનું નક્કી કર્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી શિયામેન ખાતે બ્રિક્સ દેશોની શિખર પરિષદમાં હાજરી આપવા ગયા અને સંઘ થકી એ મુદ્દે ભારતનો હાથ ચીન સામે ઉપર રહ્યો હોવાનું જણાવાયું છે. ભારતના સીમાડાઓ સુરક્ષિત રહે એ રાષ્ટ્રના હિતમાં અનિવાર્ય છે. ઉત્તર પ્રદેશમાં ભાજપની યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી સરકાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં ભરે એવો સંદેશ ઉત્તર પ્રદેશમાં મળેલી આ સમન્વય બેઠકનો હતો. બેઠકમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને તેમના બે નાયબ મુખ્ય પ્રધાન ડૉ. દિનેશ શર્મા અને કેશવપ્રસાદ મૌર્ય પણ હાજર રહ્યા હતા. આંતરિક સુરક્ષાની સાથે જ આતંકવાદને નાથવા માટે કેન્દ્ર સરકાર પણ જરૂરી પગલાં ભરે, એવો આગ્રહ સંઘ તરફથી કરવામાં આવ્યો છે. બાંગલાદેશી ઘૂસણખોરો તથા મ્યાનમારના રોહિંગ્યાસની સમસ્યા અંગે પણ ચિંતા વ્યક્ત કરાઈ હતી. નવાઈ એ વાતની છે કે દેશમાં બે કરોડ બાંગલાદેશી ઘૂસણખોરો વસતા હોવાનું કેન્દ્રના ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજીજુએ સંસદમાં જણાવ્યા છતાં કેન્દ્ર અને આસામની ભાજપ સરકાર માત્ર ૩૦ ઘૂસણખોરોને એમના દેશમાં પાછા કાઢી શકી છે, એવું આસામ વિધાનસભામાં  જણાવવામાં આવ્યું હતું ! માંડ અઢી હજાર બાંગલાદેશી ઘૂસણખોરોને ઓળખી શકેલી ભાજપ સરકાર બે કરોડને પાછા મોકલે એ ભગીરથ કામ ઊભું છે ત્યાં તો હજારો રોહિંગ્યાસને તગેડવાનો મામલો આવી પડ્યો છે.કૉંગ્રેસમાંથી ભાજપમાં આવીને ઇશાન ભારતમાં “ભાજપના મૅકિયાવેલી” તરીકે જાણીતા  આસામના પ્રધાન હિમન્તા બિસ્વા સરમા જે મંચ પરથી મ્યાનમ્યારના મુસ્લિમ રોહિંગ્યાસને તેમના દેશમાં પાછા કાઢવા આગ્રહ કરી રહ્યાં હતા એ જ મંચ પરથી  ઇશાન ભારતનાં રાજ્યોમાં ભાજપના મુખ્ય મંત્રીઓના સમારંભોમાં મંચસ્થ આર્ટ ઑફ લિવિંગના પ્રણેતા રોહિંગ્યાસને શરણાર્થી તરીકે સુવિધા આપવાનો આગ્રહ કરતા હતા !
અયોધ્યામાં રામમંદિર નિર્માણનો મુદ્દો સંઘ પરિવારના એજન્ડામાં કેન્દ્રસ્થાને હોવા છતાં એ સુપ્રીમ કોર્ટમાં હજુ વિચારાધીન હોવાને કારણે સમન્વય બેઠકમાં એ વિશે હાથ ધરાયેલા ચિંતન વિશે ઝાઝી ચર્ચા મીડિયા સાથે કરવામાં આવી નહોતી. આમ છતાં સંઘ અને ભાજપ તેમજ વિશ્વ હિંદુ પરિષદ એ વિશે સત્વરે મંદિર નિર્માણની કાર્યવાહી હાથ ધરાય એ બાબતે વિશ્વાસ ધરાવે છે. વિહિંપના સુપ્રીમો ડૉ. પ્રવીણ તોગડિયા પણ આ બેઠકમાં હાજર હતા અને રામમંદિર તેમજ કેરળ સહિતના મુદ્દે વિહિંપ કાર્યક્રમો આપશે એવું અનુમાન છે. ભારત સરકારની નોટબંધી યોજના વિશે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. એકંદરે આ ત્રિદિવસીય ચિંતન રાજકીય પાંખ ભાજપની સરાહના અને સહયોગની દિશામાં હતું. ભારત હવે સુપરપાવર-મહાશક્તિની ભૂમિકામાં આગળ વધે એવું સમન્વય બેઠકમાં અપેક્ષિત મનાયું છે. ચીન સાથેના તાજા ટકરાવમાં ભારતની ભૂમિકા મજબૂત રહ્યા પછી હવે સામાજિક અને આર્થિક ક્ષેત્રે ભારત વિશ્વમાં અગ્રણીની ભૂમિકા નિભાવે એવા સંકેત મળી રહ્યા છે. સંઘે જોકે, ભારતના શાસકોને ચેતવ્યા પણ છે કે વિશ્વમાં મહાશક્તિની ભૂમિકા અદા કરવા જતાં ભારતીયતાની મૂળ ભાવના અને ઓળખને અભેરાઈએ ચડાવી ના દેવાય એ જરૂરી છે. ગ્રામીણ અર્થવ્યવસ્થા પર ભાર મૂકીને સ્વરોજગાર નિર્માણ કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. પ્રત્યેક ક્ષેત્રમાં માત્ર સ્વદેશીના નામનું રટણ કરવાને બદલે વસ્તુ વપરાશમાં તથા ભાષા, વેશભૂષા અને સંસ્કૃતિમાં પણ સ્વદેશીના જતન પર ભાર મૂકવાનો આગ્રહ બેઠકમાં સેવવામાં આવ્યો હતો.   ઈ-મેઈલ : haridesai@gmail.com


No comments:

Post a Comment