Friday 23 December 2016

Sardar Patel Never Aspire to be PM, was dead against Hindu Rashtra

સરદારને ક્યારેય વડાપ્રધાન થવાની મહત્ત્વાકાંક્ષા નહોતી

ડૅા.હરિ દેસાઇ
----
હિંદુ રાષ્ટ્રના ખ્યાલને પાગલોં કા ખયાલગણાવનાર સરદાર વલ્લભભાઇ પટેલે  કહ્યું  હતું :
જ્યાં લગી ભારતના તંત્ર પર મારું ચલણ છે ત્યાં લગી ભારતને હિંદુરાષ્ટ્ર બનવા નહીં દઉં.
-----
           સરદાર પટેલની વાત આવે ત્યારે મહાત્મા ગાંધીએ વલ્લભભાઇ પટેલને વડા પ્રધાન નહીં બનાવ્યાનો દોષ તેમને દેવાની વૃત્તિ સામાન્યપણે સરદાર પ્રેમીઓમાં જોવા મળે છે. પંડિત જવાહરલાલ નેહરુ ભણીની ભાંડણલીલા પણ ખૂબ પ્રચલિત છે. સરદાર વડાપ્રધાન હોત તો? જેવા પ્રશ્નો સરદારને અન્યાય થયાની વાત રજૂ કરવા જે લોકો આગળ ધરતા રહે છે એ સરદારપુત્રી મણિબહેન પટેલે નોંધેલી વાતને જાણી જોઇને અવગણે છેઃ ‘‘સરદારને ક્યારેય વડાપ્રધાન થવાની મહત્ત્વાકાંક્ષા નહોતી કે બીજા કોઇ ઊંચા હોદ્દાની પણ અપેક્ષા નહોતી.’’મણિબહેને પોતાનાં સંસ્મરણોમાં ક્યાંય સરદારને અન્યાય થયાની વાત નોંધી નથી. સ્વયં સરદારે પણ અન્યાયની લાગણી અનુભવી હોય એવું જોવા મળતું નથી. મણિબહેન તો નેહરુ- સરદાર બેઉને એકમેકના પૂરક લેખે છે. વળી માઉન્ટબેટનની સલાહથી નેહરુ યોર્ક રોડથી તીન મૂર્તિ રહેવા ગયા ના હોત તો એ બેઉ વચ્ચેની ૧,ઔરંગઝેબ રોડ ખાતેની રોજિંદી મુલાકાતો સંભવિત ગેરસમજો દૂર કરત, એવું પણ મણિબહેન નોંધે ત્યારે એમાં શતપ્રતિશત સચ્ચાઇનો રણકો છે. વક્રદૃષ્ટાઓ માઉન્ટબેટનની ભૂમિકા વિશે પણ હેતુઆરોપણ કરતા રહે છે. જોકે સરદાર જ્યારે નેહરુની સરકારમાંથી છૂટા થવા ઇચ્છતા હતા અને ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ ૪ થી ૫ દરમિયાન એ મહાત્મા સાથે મુલાકાત કરીને આ બાબતની ચર્ચા કરવા ગયા ત્યારે ગાંધીજી તો સરદારને પ્રધાનમંડળમાંથી છૂટા કરવાના મત પર આવ્યા હતા, પણ માઉન્ટબેટને સરદારની મહાનતા અને અનિવાર્યતા પીછાણી હતી એટલે એમણે સરદારને છૂટા થવા દેવાનો સખત વિરોધ કર્યો હતો. એ મુલાકાત વખતે ઉપસ્થિત મણિબહેનની આ વાત સાચી માનવી પડે.
                સરદાર ગાંધીજીના શિષ્ય ખરા, પણ આંધળા અનુયાયી નહોતા. વિભાજનના વરવા દિવસોમાં નિહાળેલી કત્લેઆમ અને ૧૬ ઑગસ્ટ ૧૯૪૬ના ડાયરેક્ટર ઍકશન ડેથી લઇને કાશ્મીર કબજે કરવાના કુટિલ ઇરાદે મોહમ્મદ અલી ઝીણાએ અપનાવેલા વ્યવહાર પછી ભારતે પાકિસ્તાનને આપવાના થતા રૂપિયા ૫૫ કરોડની ચુકવણીને વિલંબમાં મૂકવાના નેહરુ પ્રધાનમંડળના નિર્ણયના વિરોધમાં રાષ્ટ્રપિતા  દિલ્હીમાં ઉપવાસ આદરે છે. સરદાર પટેલે વહીવટી જવાબદારીઓ નિભાવવા સૌરાષ્ટ્ર જવું પડે છે ત્યારે એમણે ગાંધીજીને કહેલા શબ્દોમાં રોષ અને ચિંતાના ભાવ કરતાં વેદના વધુ ઝળકતી હતી. વડાપ્રધાન પંડિત નેહરુ આંસુ સારી શકતા હતા, પણ સરદાર વેદનાને મનમાં જ ધરબીને પુત્રવત્‌ નેહરુ જેવાને સાંત્વના આપનાર વડીલની ભૂમિકામાં રહેતા. ગાંધીજી બેઉના નિર્ણાયક અથવા ન્યાયમૂર્તિ હતા. મતભેદો અને તર્કબદ્ધ દલીલો બાપુ સમક્ષ રજૂ કર્યા પછી એમની વાત કે ચુકાદો બેઉએ માન્ય રાખવો પડતો હતો.
                સરદાર પટેલના ૧૯૪૫થી ૫૦ના પત્રવ્યવહારના બેનમૂન દસ ગ્રંથનું સંપાદન કરનાર દુર્ગાદાસ મૂળે તો પત્રકાર હતા. હિંદુસ્તાન ટાઇમ્સના મુખ્ય તંત્રી હતા છતાં સરદારના અત્યંત વિશ્વાસુ અને નિકટની વ્યક્તિ તરીકે એમના માટે ભાવ ધરાવનાર હતા. દુર્ગાદાસસંપાદિત પ્રથમ ગ્રંથ ન્યૂ લાઇટ ઑન કશ્મીરનું અધ્યયન કરનાર એ ભ્રમણામાંથી તો કમસે કમ બહાર નીકળી શકશે કે રિયાસત ખાતાના સરદારના અખત્યારમાંથી કાશ્મીર મામલાને નેહરુએ બહાર કાઢી લઇને વલ્લભભાઇને કાશ્મીરના ઘટનાક્રમથી સાવ જ વિરક્ત બનાવી દીધા હતા. ગાંધીજીને દૂરનું દેખાતું હતું કે આદર્શ સ્વપ્નોની દુનિયામાં રાચનારા જવાહરલાલને ડગલે ને  પગલે વલ્લભભાઇની પરિપક્વ અને વાસ્તવવાદી સલાહનો ખપ પડવાનો છે.
                ‘વર્ષો પૂર્વે ગાંધીજી પછી સરદાર સાહેબ મારા સર્વોચ્ચ નેતા હતાએવા શબ્દો ઉચ્ચારનાર તેમજ ગાંધીજી, પંડિતજી અને સરદારની ત્રિપુટીનો વિશ્વાસ એકી સાથે સંપાદિત કરનાર સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી અને કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેલા ઉ.ન. ઢેબરે યથાર્થ નોંધ કરી છેઃ પંડિત જવાહરલાલ નેહરુ સાથેના તેમના(સરદારના) કહેવાતા મતભેદો અંગે બિનપાયાદાર વાતો થતી હતી. પરંતુ પંડિતજી રાષ્ટ્રનેતા તરીકે દેશને આ નાજુક સમયે જેની ખૂબ આવશ્યકતા હતી તેવું ભાવનાત્મક ઐક્ય પૂરું પાડી રહ્યા હતા, જ્યારે સરદાર સાહેબ તેમના ક્રિયાશીલ વ્યક્તિત્વ દ્વારા ફિલ્ડમાર્શલ-સેનાનાયક તરીકેની ભૂમિકા સફળતાથી અદા કરી રહ્યા હતા.
                સ્વાતંત્ર્ય સંગ્રામની એ ત્રિપુટી વિના ભારતનું છિન્ન ભિન્ન ચિત્ર આપણને વારસામાં મળ્યું હોત, એટલી સાદી સીધી વાત આજની નવી પેઢીએ સમજવાની જરૂર છે. નવી પેઢી પોતાના મનસ્વી ચુકાદાઓ ગાંધીજી, પંડિતજી કે સરદાર વિશે આપીને ભરડવાનું કામ કરે છે, ત્યારે સ્વતંત્રતાની લડતમાં ભારતના નવનિર્માણના આ રાષ્ટ્રનેતાઓના ધ્યેયને સાવ જ અવગણવા જેવું થાય છે. ગાંધીજીને ભાગલા માટે દોષિત ઠરાવવાનો કટ્ટર હિંદુવાદીઓ પ્રયાસ કરે છે ત્યારે ઘોડાના ડાબલા પહેરીને નિહાળવામાં આવતા ઇતિહાસમાં જ તેઓ છબછબિયાં કરતા હોય એવું વધુ લાગે છે.
                સરદાર, નેહરુ અને કાશ્મીરના ભારત સાથેના જોડાણ કે વિલયના ઘટનાક્રમને ઇતિહાસનાં તથ્યો સાથે નવી નજરે નિહાળવાની જરૂર વધારે છે. જમ્મૂ-કાશ્મીરના મહારાજા હરિસિંહની ભારત સંઘ કે પાકિસ્તાન સંઘ સાથે જોડાવાની દ્વિધાની સાથે જ સ્વિટ્‌ઝર્લેન્ડની જેમ સ્વતંત્ર રહેવાની મહેચ્છા થકી જ પાકિસ્તાની કબાઇલીઓ ચઢી આવે ત્યાં લગીનો વિલંબ થયો. બારામુલ્લા સુધી ધસી આવેલા પાકિસ્તાનીઓથી રહ્યા સહ્યા કાશ્મીરને બચાવવા માટે ભારત સાથેના જોડાણખત પર હસ્તાક્ષર કરવા સિવાયનો બીજો કોઇ વિકલ્પ મહારાજા પાસે બચ્યો નહોતો. જમ્મૂ-કાશ્મીરના એ વેળાના ઘટનાક્રમને હિંદુ-મુસ્લિમ ચશ્માં ચડાવીને જોવાને બદલે તથ્યોનાં પરીક્ષણ થકી પીછાણીએ તો કેટલાંક સ્ફોટક રહસ્યો બહાર આવે છે. કશ્મીરીઓ માટે જ કશ્મીરની ચળવળ મુસ્લિમોએ શરૂ કર્યાની પ્રચલિત માન્યતાનો ભાંગીને ભુક્કો કરવા જેવાં તથ્ય પ્રેમનાથ બજાજે કશ્મીર ઇન ક્રુસિબલમાં  નોંધ્યાનું દુર્ગાદાસના પ્રથમ ગ્રંથમાં વિગતે નોંધાયું હોવા છતાં કાશ્મીરી બાબતોના સંશોધકોનું એ ભણી ઝાઝું ધ્યાન ગયું નથી. શંકરલાલ કૌલ નામના કાશ્મીરી પંડિત નેતાના નેતૃત્વમાં ૧૯૨૦-૨૫ના ગાળામાં કશ્મીર ફૉર કશ્મીરીઝચળવળના પરિપાકરૂપે જ આજે જમ્મૂ-કાશ્મીરમાં પરપ્રાંતીયોને સંપત્તિ ખરીદવાના હકથી વંચિત રાખવાની જોગવાઇને નિહાળવી પડશે. કૌલની ચળવળની સ્થાનિકો (સન ઑફ ધ સૉઇલ)માટેની એ વેળાની જે મુખ્ય પાંચ માંગણીઓ હતી તે કાંઇક આવી હતીઃ (૧) સરકારી નોકરીઓમાં સ્થાનિકોને જ લેવામાં આવે (૨) બહારની વ્યક્તિઓને જમીન વેચાણ પર બંધી મૂકાય (૩) અખબારી આઝાદી (૪) સંગઠન અને હળવામળવા તથા સભાઓ યોજવાની આઝાદી તથા (૫) ચૂંટાયેલી ધારાસભા અસ્તિત્વમાં લવાય.
                છેક ૨૩ સપ્ટેમ્બર ૧૯૨૫ના રોજ જમ્મૂ-કશ્મીર નરેશ તથા તિબ્બટ આદિ દેશાધિપતિતરીકે સત્તાનાં સૂત્રો સાંભળનાર હરિસિંહ થકી જમ્મૂ-કાશ્મીરમાં સ્ટેટ સબ્જેક્ટ લૉ અસ્તિત્વમાં લાવવામાં આવ્યો, એ ઇતિહાસથી અજાણ આપણે આંધળેબહેરું કૂટીને શેખ અબ્દુલ્લાને શિરે આવી જોગવાઇઓ કરાવવાનું દોષારોપણ કરીએ છીએ. જમ્મૂ-કાશ્મીરને ભારત સાથે જોડવાની ભાવાત્મક અપેક્ષા સ્વાભાવિક રીતે જ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુની હોય કારણ એ કાશ્મીરી પંડિત હતા. એમની આ ભાવનાને મૂર્તિમંત કરવાનું કામ સરદાર પટેલ અને શેખ અબ્દુલ્લાએ કર્યું, એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. કોઇપણ ભોગે જમ્મૂ-કાશ્મીરને ભારત સાથે જોડવાની અનિવાર્યતામાંથી જ બંધારણની કલમ ૩૭૦(અગાઉની ૩૦૬-એ) જન્મી છે. બંધારણસભાની કાર્યવાહીના અહેવાલોનો અભ્યાસ કરનારને સહેજે ખ્યાલ આવી જશે કે ૩૭૦ની સલાહ ભલે પંડિત નેહરુની હોય, પણ એને સ્વીકારાવવાનો યશ સરદાર પટેલને જ આપવો પડે. નેહરુ સરકારમાં ખાતા વિનાના પ્રધાન અને અગાઉ જમ્મૂ-કાશ્મીરના પ્રધાનમંત્રી (પ્રીમિયર) રહેલા એન. ગોપાલસ્વામી આયંગાર મારફત બંધારણની કલમ ૩૭૦ પ્રવેશી. અગાઉ બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ.બાબાસાહેબ આંબેડકરે આવી જોગવાઇ તૈયાર કરવાનું નકાર્યું એટલે સંમત થયેલી ભૂમિકા પર આયંગારે એ કામ કરવું પડ્યું. નેહરુ વિદેશ પ્રવાસે હતા. કૉંગ્રેસના આગેવાનો સમક્ષ આ કલમની અનિવાર્યતા પ્રતિપાદિત કરીને તેને સ્વીકૃતિ અપાવવામાં સરદાર પટેલનો મોટો ફાળો રહ્યો. હા, શેખ અબ્દુલ્લા અગાઉના સંમત મુસદ્દામાં ફેરફાર કરાવવા માંગતા હતા એ સામે સરદારે વિરોધ કર્યો હતો અને એમાં આયંગાર તેમજ નેહરુએ પણ સરદારની ભૂમિકાને કબૂલ રાખવાનું પસંદ કર્યાનું પત્રવ્યવહારમાં સ્પષ્ટ છે. જોકે દસ્તાવેજો વાંચ્યા-સમજ્યા વિના નેહરુ-અબ્દુલ્લાની ભાંડણલીલા ચાલે છે. બંધારણ ઘડનારી સમિતિના સભ્ય રહેલા સરદારસમર્થક લેખાતા ક.મા.મુનશીએ પણ નોંધ્યું છેઃ જવાહરલાલ નેહરુએ શેખ અબ્દુલ્લાના દબાણ હેઠળ આવી સરદારના રિયાસતી ખાતામાંથી કાશ્મીરનું દફતર ન લઇ લીધું હોત તો કદાચ કાશ્મીરનો આવડો જટિલ પ્રશ્ન ઊભો થયો જ ન હોત.ઇતિહાસની ઘટનાઓમાં આમ થયું હોત તો આમ થાત, એને સ્થાન નથી. જે થયું એની આસપાસનાં તથ્યોને તપાસવાં પડે. જે ડૉ.આંબેડકર જમ્મૂ-કાશ્મીરને અલગ બંધારણીય જોગવાઇ કરી આપતી કલમ ૩૭૦ના પક્ષધર નહોતા, એ જ ડૉ.બાબાસાહેબ જમ્મૂ-કાશ્મીરનો મુસ્લિમ બહુલ પ્રદેશ, ત્યાંની બહુમતી મુસ્લિમ પ્રજાની આમસહમતિ લઇને, પાકિસ્તાનને સોંપી દેવાના આગ્રહી હતા. માત્ર હિંદુ બહુલ જમ્મૂ અને બૌદ્ધ બહુલ લદાખને જ ભારત સાથે જોડવાનો એમનો ખ્યાલ હતો. એ ભૂમિકા પણ પાછી આઝાદી પછી પણ તેમના પક્ષના ચૂંટણી ઢંઢેરામાં પ્રગટતી રહી છે.
                એવું નથી કે ડૉ.આંબેડકર જ કાશ્મીર ખીણ પ્રદેશને પાકિસ્તાનને સોંપવાના પક્ષધર હતા. સી.રાજગોપાલાચારી (રાજાજી) પણ જમ્મૂ-કાશ્મીર પાકિસ્તાન સાથે જોડાવાના મતના હતા. ખુદ સરદાર પટેલે પણ મહારાજા હરિસિંહ ઇચ્છતા હોય તો પાકિસ્તાન સાથે જમ્મૂ-કાશ્મીરને જોડી શકે તેવું છેલ્લા બ્રિટિશ વાઇસરૉય અને ગવર્નર-જનરલ લોર્ડ માઉન્ટબેટન મારફત કહેવડાવ્યું હતું. જોકે સરદારે માઉન્ટબેટને તેમની વતી મહારાજાને જે કહેણ મોકલ્યું એ વિશે પ્રગટપણે કાંઇ બોલવાનું ટાળ્યું છે, પરંતુ દેશી રજવાડાંને ભારત સાથે જોડવામાં સરદાર પટેલના હનુમાનવી.પી.મેનન ઇન્ટિગ્રેશન ઑફ ઇન્ડિયન સ્ટેટ્‌સમાં લૉર્ડ માઉન્ટબેટને કાક અને ઝીણાની વચ્ચે મુલાકાત કરાવી હોવાનું નોંધ્યું છે. મેનન પણ સ્વીકારે છે કે માઉન્ટબેટનને સરદારે ખાતરી આપી હતી કે જમ્મૂ-કાશ્મીર જો પાકિસ્તાન સાથે જોડાવા ઇચ્છતું હોય તો વાંધો નથી.
                આ જ સંદર્ભને આગળ વધારતાં સરદારઃ સાચો માણસ, સાચી વાતમાં ઉર્વીશ કોઠારી નોંધે છેઃ કાશ્મીર અંગે શરૂઆતમાં સરદારની એવી ગણતરી હતી કે મુસ્લિમ બહુમતી ધરાવતું કાશ્મીર વેળાસર જાહેરાત કરીને પાકિસ્તાન સાથે ભળી જાય તો ભલે.આ વાત મહારાજાના પાટવીકુંવર ડૉ.કર્ણસિંહને હસ્તે વર્ષ ૨૦૧૧માં લોકાર્પણ પામેલા હરબંસ સિંહલિખિત મહારાજા હરિ સિંહઃ ધ ટ્રબલ્ડ યર્સમાં પણ નોંધાઇ છે. કાશ્મીરવટો ભોગવતા મહારાજા હરિસિંહે પુણેથી ઑગસ્ટ ૧૯૫૨માં રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદને લખેલા પત્રમાં તો એટલે સુધી કહ્યું છે કે માઉન્ટબેટન મહારાજાને પાકિસ્તાન સાથે ભળવા સમજાવી રહ્યા હતા. લોર્ડ માઉન્ટબેટને વધુમાં કહ્યું હતું કે નવરચિત રિયાસત ખાતું એવી ખાતરી આપવા તૈયાર છે કે કાશ્મીર જો પાકિસ્તાન સાથે જોડાવા ઇચ્છતું હોય, તો ભારત સરકાર તરફથી એને અ-મૈત્રીભર્યું પગલું લેખવામાં નહીં આવે... લોર્ડ માઉન્ટબેટન સાથેની મારી ચર્ચા પરથી એવા તારણ પર આવ્યો હતો કે તેમણે આયોજન અને નકશા બતાવીને સ્થિતિનું જે રીતે વર્ણન કર્યું, એ મને પાકિસ્તાન સાથે જોડાણ કરવાની સલાહ આપવા સમાન હતું.ધનરાજ ડાહાટે ડૉ.અમ્બેડકર ઔર કશ્મીર સમસ્યામાં કાયદા પ્રધાનના હોદ્દેેથી રાજીનામું આપ્યા પછી ડૉ.આંબેડકરે ૧૦ ઓક્ટોબર ૧૯૫૧ના રોજ કહેલા શબ્દોને ટાંક્યા છેઃ કાશ્મીર સમસ્યાનું સાચું સમાધાન રાજ્યના વિભાજનમાં છે, જેવું હિંદુસ્તાનના સંદર્ભમાં કર્યું. હિંદુ અને બૌદ્ધ વસ્તીવાળા જમ્મૂ અને લડાખનો પ્રદેશ ભારતને અને મુસલમાન વસ્તી ધરાવતો પ્રદેશ પાકિસ્તાન સાથે જોડવામાં આવે.૧૮ જોકે મહારાજા હરિસિંહ ભણી કૂણી લાગણી ધરાવનાર હરબંસ સિંહે મહારાજાની ઇચ્છા વિશે કહ્યું છેઃ તેઓ એ બાબતે દૃઢ મત ધરાવતા હતા કે ભારત અને પાકિસ્તાને જમ્મૂ-કાશ્મીરને પૂર્વના સ્વિટ્‌ઝર્લેન્ડ તરીકે સ્વીકારી લેવું ઘટે.... જો નાજુક દેશ નેપાળ સ્વતંત્ર રહી શકતો હોય અને ચીન અને ભારત બંને એના સ્વતંત્ર અસ્તિત્વનો આદર કરતાં હોય તો એવું જ વલણ જમ્મૂ-કાશ્મીર વિશે ભારત અને પાકિસ્તાન અપનાવી શકે.
                ૫ જુલાઇ ૧૯૪૭ના રોજ રિયાસત ખાતું અસ્તિત્વમાં આવ્યું. સરદાર પટેલને એનો અખત્યાર સોંપાયો ત્યારથી સરદારે સફરજનની ટોપલીનાં તમામ સફરજનભારતનાં કરી લેવાની કવાયત આદરી. ૩ જૂન ૧૯૪૭ની  માઉન્ટબેટનની ઘોષણાથી સ્વતંત્ર થઇ ગયેલાં બ્રિટિશ ઇંડિયાનાં ૫૬૫માંથી ૫૬૨ રજવાડાંને ભારત સાથે જોડીને  વલ્લભભાઇએ વર્તમાન ભારતનો નકશો બનાવ્યો. એકલા સૌરાષ્ટ્રમાં જ નાનાં મોટાં ૨૨૨ રજવાડાં હતાં. રિયાસત ખાતાની રચનાની સાથે જ જમ્મૂ-કાશ્મીર માટે વલ્લભભાઇએ વિશેષ પ્રયત્ન શરૂ કર્યા હતા. સરદાર પટેલે મહારાજા હરિસિંહના પાકિસ્તાન તરફ ઢળતા પ્રધાનમંત્રી પંડિત રામચંદ્ર કાકને ૩ જુલાઇ ૧૯૪૭નો પત્ર લખી જણાવ્યુંંઃ તમે જાણો છો કે ૧૫મી ઑગસ્ટે ભારત, ભલે વિભાજિત છતાં, સંપૂર્ણ સ્વતંત્ર થશે. તમને એની પણ ખબર છે કે અત્યાર સુધીમાં ઘણાં, મોટા ભાગનાં, દેશી રાજ્યો ભારતની બંધારણસભામાં જોડાયાં છે. કાશ્મીરની વિશિષ્ટ મુશ્કેલીઓ હું સમજું છું, પણ એનો ઇતિહાસ અને એની પરંપરા જોતાં મારે મતે એને માટે બીજો કોઇ વિકલ્પ નથી.એટલે કે ભારત સાથે જોડાવા સિવાયનો વિકલ્પ જમ્મૂ-કાશ્મીર વિચારે નહીં એવું સરદાર સ્પષ્ટ કહે છે. લોર્ડ માઉન્ટબેટનની ૩ જૂન ૧૯૪૭ની જાહેરાત ભારત સંઘ અને પાકિસ્તાન સંઘની રચના સાથે જ દેશી રાજ્યોને ભારત સંઘ કે પાકિસ્તાન સંઘ સાથે જોડાવાની કે પછી સ્વતંત્ર રહેવાની મોકળાશ આપતી હતી. એક બાજુ સરદાર અને બીજી બાજુ મોહમ્મદ અલી ઝીણા દેશી રાજ્યોના રાજવીઓને પોતાના કરવા મેદાને પડ્યા હતા. સરદારે ભારતીય દેશી રજવાડાંમાં જે વિશ્વાસ પેદા કર્યો, એનાથી મહારાજા હરિસિંહ જ નહીં, તેમના તેજસ્વી વછેરાકર્ણસિંહ સાથે પણ એમનો ઘરોબો બંધાયો.
                મહારાજા હરિસિંહને માઉન્ટબેટન પોતાની ચાર દિવસની કાશ્મીર મુલાકાત દરમિયાન નિર્ણય કરી લેવાનો આગ્રહ કરવા સંકેત આપવા માંગતા હતા, પણ વાઇસરૉય તે નિર્ણાયક રવિવારે આપની સાથે પૂરેપૂરી અને નિખાલસ ચર્ચા કર્યા સિવાય પાછા ફર્યા ત્યારે હું(સરદાર) ખૂબ નિરાશ થઇ ગયો હતો. આપે એમને તે દિવસે મુલાકાતની તારીખ આપેલી પણ આપને પેટના દર્દનો અણધાર્યો હુમલો થઇ આવતાં એ મુલાકાત લઇ શકી નહીંએવું મહારાજા હરિસિંહને ૩ જુલાઇ ૧૯૪૭ના જ પત્રમાં જણાવતાં સરદાર પટેલે સ્વતંત્ર ભારતના નેતાઓ સાથે આપે મૈત્રીભાવ રાખવો જોઇએ. તેઓ પણ આપના પ્રત્યે મૈત્રીભાવ રાખવા ઇચ્છે છે.એવી વાત લખીને ઘણું બધું કહી દીધું હતું. સામે પક્ષે નેહરુ સાથે શેખ અબ્દુલ્લાની મૈત્રી પણ ભારત સાથે જમ્મૂ-કાશ્મીરને જોડવામાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી હતી. મહારાજા અને શેખ અબ્દુલ્લા વચ્ચેના અણબનાવ, મે ૧૯૪૬ના ક્વિટ કશ્મીરઆંદોલનને કારણે શેખ અબ્દુલ્લાની મહારાજા દ્વારા ધરપકડ છતાં જમ્મૂ-કાશ્મીરની પ્રજામાં શેખ અબ્દુલ્લાની લોકપ્રિયતાને અવગણવાનું પાલવે તેમ નહોતું. ઝીણાના પાકિસ્તાનમાં પોતાનો ભાવ નહીં પૂછાય, એવું માનતા શેખ અબ્દુલ્લાને ભારત સાથે અથવા તો સ્વતંત્ર જમ્મૂ-કાશ્મીરમાં જ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ દેખાતું હતું.
                જમ્મૂ-કાશ્મીરને ભારત સાથે જોડવાની કવાયત દરમિયાન વડા પ્રધાન નેહરુ પોતાના નાયબ વડાપ્રધાન સરદાર પટેલ પર કેટલા અવલંબિત હતા, એ નેહરુના ૨૭ સપ્ટેમ્બર ૧૯૪૭ના પત્રમાં સ્પષ્ટ થાય છે : મને માહિતી મળી છે કે પાકિસ્તાન કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાની વેતરણમાં છે અને એ કોઇ મોટા પેંતરાનો વિચાર કરી રહ્યું છે. શિયાળામાં કાશ્મીર થોડું ઘણું અલગ પડી જાય કે આવો કોઇ દાવપેચ અજમાવવા માંગે છે.શેખ અબ્દુલ્લાનો સહકાર લઇને શક્ય એટલું વેળાસર જમ્મૂ-કાશ્મીરને ભારત સાથે જોડવાની કોશિશ કરવાની વાત નેહરુ જ્યારે સરદારને લખે, ત્યારે એમને સરદારના વ્યૂહમાં કેટલો ભરોસો છે એનો અણસાર મળે છે. નેહરુની માહિતી સાચી જ હતી. ૨૨ ઑક્ટોબર ૧૯૪૭ના રોજ પાકિસ્તાની  કબાઇલીઓએ જમ્મૂ-કાશ્મીર પર આક્રમણ કર્યું. રિયાસતી ખાતાના સચિવ (પાછળથી સલાહકાર) વી.પી. મેનનને ૨૬ ઑક્ટોબરના રોજ શ્રીનગર મોકલાયા. ભારત સાથે જોડાણખત કે વિલયપત્ર પર મહારાજા હરિસિંહ હસ્તાક્ષર કરે નહીં, ત્યાં લગી જમ્મૂ-કાશ્મીરમાં ભારતીય લશ્કરને મોકલવાનું અશક્ય બને કારણ એ બીજો સ્વતંત્ર દેશ હતો. ગાંધીજીએ પણ મહારાજાને મળીને માઉન્ટબેટનની ૧૯ જૂન ૧૯૪૭ની મુલાકાતની જેમ જ ભારત સાથે વિલયનો નિર્ણય કરવા સમજાવ્યા હતા, પણ દ્વિધામાં રહેલા હરિસિંહ માટે કબાઇલીઓના આક્રમણ પછી ભારતની મદદ મેળવવા ભારત સાથે ભાવિ જોડવા સિવાય આરો નહોતો. ૨૭ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ ભારત સાથેના મહારાજા જમ્મૂ-કાશ્મીરની સહીવાળા જોડાણખત પર માઉન્ટબેટને હસ્તાક્ષર કરતાં જ એમનું રાજ્ય હવે ભારત સાથે જોડાયું. સરદારે તૈયાર રાખેલી ભારતીય લશ્કરની વિમાની ટુકડીઓ શ્રીનગર માટે રવાના થઇ. ત્યાં લગી તો પાકિસ્તાની કબાઇલીઓ બારામુલ્લા સુધી આવી પહોંચ્યા હતા. આ સમયગાળામાં કાકને સ્થાને જસ્ટિસ મહેરચંદ મહાજન જમ્મૂ-કાશ્મીરના પ્રધાનમંત્રીપદે આરૂઢ હતા એટલે ભારત સાથેના જોડાણની અનુકૂળતા વધી હતી.
                ભારત સાથે જમ્મૂ-કાશ્મીરના જોડાણનો યશ લેવાની ઘણા બધાની કોશિશ હોય એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના સાહિત્યમાં દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવલકર(ગુરુજી)એ ૧૭ ઑક્ટોબર ૧૯૪૭ના રોજ વિમાન મારફત શ્રીનગર જઇને ૧૮ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ મહારાજા હરિસિંહને સમજાવી લીધા અને એ માની ગયા, એવી કથાઓ નોંધવામાં આવી છે. ગુરુજીને સરદાર પટેલે પોતાના દૂત તરીકે મોકલ્યા. મહારાજા અને મહારાણી ગુરુજી પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવતા હતાં. તેઓ બંને મહેલને દરવાજે જ સ્વાગત માટે ઊભાં હતાં. મહારાજાએ ગુરુજીના ચરણસ્પર્શ કરવા જેવા હાથ લંબાવ્યા, ગુરુજીએ તે પકડી લીધા. દિલ્હીમાં ૧૯ ઑક્ટોબરના રોજ ગુરુજી ગૃહમંત્રીને મળ્યા. તેમણે સરદાર પટેલને કહ્યું કે મહારાજા ભારતમાં ભળવા માટે તૈયાર છે. આવી કથાઓ સંદર્ભે અમે મણિબહેનની ડાયરીઓ અને અન્ય અધિકૃત સ્રોતમાં ચકાસી જોયું કે ક્યાંય ગુરુજીને સરદારે દૂત તરીકે પાઠવ્યાનો કે ગરુજી દિલ્હીમાં સરદારને એ દિવસે મળ્યાનો ઉલ્લેખ છે કે કેમ? કમનસીબે આવી નોંધ ક્યાંય મળી નહીં. માત્ર સંઘના વરિષ્ઠ અધિકારીઓહો.વે. શેષાદ્રિલિખિત વિભાજનની કરુણાંતિકાઅને રંગા હરિલિખિત મા.સ.ગોળવલકર(શ્રીગુરુજી)ઃ જીવનચરિત્રમાં જ એ સંદર્ભ મળે છે.
                બીજો પ્રશ્ન એ પણ થાય છે કે જો મહારાજા ૧૮ ઑક્ટોબર ૧૯૪૭ના રોજ ભારત સાથે ભળવા તૈયાર થઇ ગયા હોય, તો ૨૨ ઑક્ટોબર પહેલાં વિલયપત્ર કે જોડાણખતને અંતિમ સ્વરૂપ આપી દેવાય અને પાકિસ્તાની કબાઇલીઓનું આક્રમણ શક્ય ના બને. સંઘ સાહિત્યમાં પણ ઘટનાક્રમની એકવાક્યતા નથી, એટલે એને સ્વીકારવામાં મુશ્કેલી જણાવી સ્વાભાવિક છે.
                જમ્મૂ-કાશ્મીરને ભારત સાથે જોડવામાં સરદાર પટેલ, પંડિત નેહરુ, શેખ અબ્દુલ્લા, મહારાજા હરિસિંહ, લોર્ડ માઉન્ટબેટન,વી.પી. મેનન અને ભારતીય લશ્કરની જાંબાઝ ટુકડીઓ સવિશેષ યશની અધિકારી ગણાય. જમ્મૂ-કાશ્મીરના પ્રધાનમંત્રી બન્યા પછી છાકટા થયેલા શેખ અબ્દુલ્લાને સ્વતંત્ર જમ્મૂ-કાશ્મીરના અભરખા જાગ્યા. મહારાજાને રાજ્યનિકાલ કરાવવામાં તેમને સફળતા મળી અને આખરે એમના મિત્ર નેહરુએ શેખને ૧૯૫૩માં પદભ્રષ્ટ કરી બંદી બનાવવા પડ્યા. આ ઘટના કૉંગ્રેસી ધારાસભ્ય, હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ, નેહરુ સરકારમાં ઉદ્યોગપ્રધાન અને જનસંઘ (ભાજપના પૂર્વઅવતાર)ના સંસ્થાપક અધ્યક્ષ રહેલા ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીના શેખ અબ્દુલ્લાની કેદમાં મૃત્યુ પછી બની હતી.
                ‘હિંદુ રાષ્ટ્રના ખ્યાલને પાગલોં કા ખયાલગણાવનાર સરદાર વલ્લભભાઇ પટેલે ભારતને હિંદુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ, જૈન વગેરે સૌનો દેશ ગણવાનું અને હિંદુ-મુસ્લિમ એકતા પર ભાર મૂકવાનું પસંદ કર્યું છે. સરદારને હિંદુવાદી નેતા ગણાવવા ઇચ્છુકો આ મહામાનવને કેટલો અન્યાય કરી રહ્યા છે એ સમજી શકાય છે. સરદાર કાયમ પોતાને હિંદુસ્તાનની સેવા કરનાર અદના સૈનિક તરીકે જ નિહાળતા હતા અને જીવનના અંત સુધી એ જ ઓળખ ટકાવવા ઇચ્છુક હતા. તેમના શબ્દો હતાઃ જ્યાં લગી ભારતના તંત્ર પર મારું ચલણ છે ત્યાં લગી ભારતને હિંદુરાષ્ટ્ર બનવા નહીં દઉં.
                દેશની લઘુમતી કોમો માટેના વિશેષાધિકારો સરદાર પટેલને આભારી છે એવું કહીએ ત્યારે એમાં અતિશયોક્તિ નથી, કારણ સરદાર પટેલ બંધારણને ઘડતી વેળા લઘુમતીઓની સલાહકાર સમિતિના અધ્યક્ષ હતા. એ સમિતિના અહેવાલને વાંચનારને ખ્યાલ આવશે કે સરદાર તમામ નાતજાત માટે કેવો સમભાવ ધરાવતા હતા. જોકે એમનું માનવું હતું હું નાતજાતને ભૂલી ગયેલો માણસ છું.આખું હિંદુસ્તાન મારું ગામ છે. અઢારે વરણ(વર્ણ) મારાં ભાઇભાંડુ છે.
                પોતાના જ વતન કરમસદમાં માનપત્ર મેળવતાં સરદાર જ કહી શકે કે ગુલામોને વળી કુળ કેવાં? ‘‘અમે મોટા ગામના છીએ એવું મિથ્યાભિમાન, અમે ઊંચા કુળના છીએ એવું મિથ્યાભિમાન, આપણે છોડવું જોઇએ. ગુલામોને વળી કુળ કેવાં? જેમણે સરકારની ખુશામત કરેલી, પોતાના સમાજનું નુકસાન કરીને સરકારને મદદ કરેલી, એમને દેસાઇગીરીઓ મળેલી. એનું અભિમાન શું?... જે સેવા કરે અને જે ચારિત્ર્યવાન હોય એ જ સાચા કુળવાન છે.’’
                લખનઊમાં ૬ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ સરદારે મુસ્લિમોને બે નાવ કે બે ઘોડાની સવારી કરવાને બદલે એકની પસંદગી કરી લેવાની સલાહ આપી ત્યારે મૌલાના આઝાદ સહિતનાએ મહાત્મા ગાંધી સુધી એની ફરિયાદ કરી. બાપુએ સરદાર વતી બચાવ કરવો પડ્યો કે એ આખાબોલા છે, પણ મનમાં પાપ રાખતા નથી. સરદાર કહે કે બાપુ, મને આ બધી ઝંઝટમાંથી છૂટો કરો. ક્યાં લગી તમે મારી વતી ખુલાસા કરતા રહેશો? વાસ્તવમાં સરદારે મુસ્લિમોને ભારત કે પાકિસ્તાન બેમાંથી એકની પસંદગી કરી લેવાની સલાહ આપી હતી.લખનઊના એમના ભાષણમાં એમણે વારંવાર પોતાને મુસ્લિમોના સાચા મિત્ર-હમદર્દ ગણાવ્યા હતા. હું સ્પષ્ટ શબ્દોમાં કહેનાર છું. હું હિંદુ અને મુસલમાન બંનેને સમાન રીતે કડવી વાતો કરું છું. મેં કહ્યું છે તેમ હું મુસલમાનોનો મિત્ર છું.
                ઉદ્યોગપતિ બી.એમ.બિરલાએ સરદારને સવાલ કર્યો કે હવે મુસલમાનોને તો એમનું પાકિસ્તાન મળી ગયું તો આપણે હવે આપણા દેશનું નામ હિંદુસ્તાનકરી ના દેવું જોઇએ? ખિન્ન સરદારે આ દેશ માત્ર હિંદુઓનો જ નહીં, તમામ ધર્મો અને વર્ગોના લોકોનો હોવાની શીખ બિરલાને ગૂંજે બંધાવી હતી. એમના મતે હિંદુ અને મુસ્લિમ ભેગા મળીને જ આ દેશને મહાન બનાવી શકે છે. એટલે જ સરદાર પટેલ રાજાજીના કે હિંદુવાદીઓના તમામ મુસ્લિમોને પાકિસ્તાન મોકલી દેવાના અને ત્યાંથી તમામ હિંદુઓને ભારતમાં સ્થળાંતરિત કરવાના વિચાર સાથે સંમત નહોતા.
                અહિંસાને મારગ ચાલવા સંકલ્પબદ્ધ સરદાર પટેલ હિંસાના માર્ગે આઝાદીને સદાય અપવિત્ર લેખતા હતા. બ્રિટિશ શાસન સામે લડવા માટે યુવાક્રાંતિકારીઓને ત્રાસવાદના સંપ્રદાય’(કલ્ટ ઑફ ટૅરરિઝમ) માટે પ્રેરિત કરનાર કે હિંદુ જાગૃતિનું આક્રમક નવમોજું પ્રસરાવવા આતુર વિનાયક દામોદર સાવરકર ના સરદારને પસંદ હતા કે ના એમના સમર્થકોને. મહાત્મા ગાંધીની હત્યા પાછળ સાવરકરપ્રેરિત હિંદુ મહાસભાવાદીઓનો હાથ હોવાનો સરદારનો દૃઢ મત હતો. સાવરકરવાદીઓ ગાંધીજી અને કૉંગ્રેસને ભાગલાના પાપી ગણતા હતા.
                ભારતના ભાગલાનો અપયશ લેવાનું સરદાર પટેલને કબૂલ-મંજૂર હતું કારણ હળાહળને પણ પી જાણનાર એમનું મહાન વ્યક્તિત્વ હતું. હિંદુવાદીઓ મહાત્મા ગાંધી અને કૉંગ્રેસને શિરે ભાગલાનો દોષ નાંખવાની હીન પ્રવૃત્તિમાં રમમાણ હતા ત્યારે સરદારે કહ્યું હતુંંઃ ‘‘લોકો કહે છે કે ભારતનું વિભાજન કૉંગ્રેસે કર્યું. આ સત્ય છે. અમે લોકોએ આ જવાબદારી સારી રીતે વિચાર્યા પછી લીધી છે, કોઇ ભય કે દબાણને કારણે નહીં. હું તો ભારતના વિભાજનનો પ્રબળ વિરોધી હતો, પરંતુ કેન્દ્ર સરકારમાં મુસ્લિમ લીગ સાથેના અનુભવ પછી વિભાજન માટે સહમત થવું પડ્યું.’’ વચગાળાની કેન્દ્ર સરકારમાં કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ સાથે હતાં, પણ નાણાં ખાતું મુસ્લિમ લીગ પાસે હતું. એટલે સરકારના કાંૅંગ્રેસી પ્રધાનો પટાવાળાની નિમણૂક પણ નહીં કરી શકવા જેવી વિવશતા અનુભવતા હતા. એવા સંજોગોમાં મુસ્લિમ લીગની મનોવૃત્તિ અને મુસ્લિમ લીગ સમર્થક સરકારી અધિકારીઓના વલણથી ભારતનું વિભાજન અનિવાર્ય બની ગયું હતું.સરદારનું કહેવું હતુંઃ ‘‘વિભાજનનો પ્રબળ વિરોધ કર્યા છતાં હવે હું એ માટે સહમત થઇ ગયો, કારણ કે મેં અનુભવ્યું કે ભારતની એકતા જાળવી રાખવા માટે વિભાજન (એટલે કે ભારત અને પાકિસ્તાન) થઇ જવું જોઇએ.’’ સરદાર ઝીણા અને પાકિસ્તાનના વિચારના વિરોધી હતા અને એટલા માત્રથી એમને મુસ્લિમવિરોધી ચીતરવા અનુચિત છે.
                મૂળભૂત રીતે નાસ્તિક અને બૉમ્બ સંસ્કૃતિના ક્રાંતિકારી માર્ગે અંગ્રેજો સામે લડત ચલાવવાના સમર્થક એવા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને બ્રિટિશ સરકારે ગુપચૂપ ફાંસી આપી દીધી. એ જ અરસામાં માર્ચ ૧૯૩૧ દરમિયાન કરાંચી ખાતે કૉંગ્રેસના ૪૫મા અધિવેશનના અધ્યક્ષપદે સરદાર પટેલ હતા. ગાંધીજી સહિતનાનો વિરોધ દર્શાવતા યુવકોએ તેમને કાળાં ફૂલ આપ્યાં હતાં અને વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ગાંધીજીએ ભગતસિંહ સહિતના ક્રાંતિકારીઓના બચાવમાં કાર્યવાહી નહીં કર્યાના આક્ષેપ સાથે વાતાવરણ તંગ હતું. આવા તબક્કે સરદારે અધ્યક્ષપદેથી કરેલા પ્રવચનના અંશ ખૂબ સૂચક અને અહિંસાના તેમના પરના પ્રભાવના દ્યોતક છેઃ
                ‘‘નવજવાન ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને થોડા જ દિવસ ઉપર ફાંસી મળી છે. તેથી દેશને પારાવાર ઉકળાટ થયો છે. એ યુવકોની કાર્યપદ્ધતિની સાથે મારે નિસબત નથી. બીજા કોઇ પણ હેતુને માટે ખૂન કરવું તેના કરતાં દેશને માટે કરવું એ ઓછું નિંદ્ય છે એમ હું માનતો નથી, છતાં ભગતસિંહ અને સાથીઓની દેશભક્તિ, હિંમત અને બલિદાન આગળ મારું શિર ઝૂકે છે. આ યુવાનોને થયેલી ફાંસીની સજા બદલીને દેશનિકાલ કરવામાં આવે એવી લગભગ આખા દેશની માંગણી છતાં સરકારે એમને ફાંસી દઇ દીધી છે, એ હાલનું રાજતંત્ર કેટલું હૃદયશૂન્ય છે તે પ્રગટ કરે છે.’’
                આજકાલની યુવાપેઢી ગાંધીજીની અહિંસાની વિભાવનાને સમજ્યા વિના એની ઠેકડી ઉડાવતી જોવા મળે છે. સત્તાધીશો પણ ગાંધીના નામને વટાવીને હિંસક માર્ગને અપનાવનારા ક્રાંતિકારીઓને લોકનાયક તરીકે આગળ ધરી રહ્યા હોય ત્યારે સમગ્ર દેશ સામે ખતરાની ઘંટડી વાગે છે. આજના આવા સંજોગોમાં ગાંધીના આદર્શોને આચરણમાં લાવનાર એટલે કે ગાંધીની થિયરીને ઍપ્લાઇડ સ્વરૂપ આપનારસરદાર પટેલે કહ્યું છેઃ ‘‘એ વસ્તુ નિર્વિવાદ છે કે અહિંસાનો સામુદાયિક પ્રયોગ એ હવે સ્વપ્નદર્શીનું સ્વપ્ન કે માનવીનો મિથ્યા મનોરથ નથી રહ્યો, પણ સાચી સિદ્ધ વસ્તુ છે, એમ હિંદુસ્તાને જગતની આગળ પ્રગટ કરી દીધું છે. આજ સુધી માનવજાત હિંસાની દેવી બનાવીને બેઠી હતી. એથી અકળાતી હતી, પણ અહિંસાની સફળતા વિશે એને શ્રદ્ધા નહોતી.’’

                ગાંધીજી અને એમના ગાંધી વિચારના વૈશ્વિક પ્રભાવને જોતાં સરદારની ભવિષ્યવાણી સાચી પડતી જોવા મળે છે, પરંતુ ઘરઆંગણે જ અહિંસા અને હિંસા વચ્ચેની ભેદરેખાની વિભાવના આબાલવૃદ્ધોમાં વધુ સ્પષ્ટ કરવાની આજે તાતી જરૂર છે.            ઇ-મેઇલઃ haridesai@gmail.com

2 comments:

  1. ઘણું વણજાણ્યુ જાણવા મળ્યુ.અભિનંદન.

    ReplyDelete
  2. સર આપને કોઈ સલાહ આપવાની મારી કોઈ હેસિયત નથી પણ જ્યારે જ્યારે આપના લેખ વાંચું છું ત્યારે એમ થાય છે કે આપ પુસ્તક કેમ નથી લખતા? આપના લેખ માંથી ઘણાં ઈતિહાસ ના તથ્ય જાણવા મડે છે આપના લેખો જો કોઈ પુસ્તક સ્વરૂપે સંકલિત થશે જે કોઈ પણ એતિહાસિક વિષય પર આપ પુસ્તક લખશો તો એ નવી પેઢી મકતે અમૂલ્ય ભાથું હશે.

    ReplyDelete