Sunday 6 February 2022

Two distinct personalities of the Nehru- Indira government Morarji and Justice chagla

 

નેહરુ-ઇન્દિરા સરકારનાં બે નિરાળાં વ્યક્તિત્વો: મોરારજી દેસાઈ અને જસ્ટિસ ચાગલા. ઈતિહાસ ગવાહ હૈ: ડૉ.હરિ દેસાઈ. દિવ્યભાસ્કર ડિજિટલ.રંગત-સંગત પૂર્તિ. રવિવાર.૬ ફેબ્રુઆરી, ૨૦૨૨. વેબ લિંક: https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/two-distinct-personalities-of-the-nehru-indira-government-morarji-and-chagla-129368173.html

·         પંડિત નેહરુ - ઇન્દિરાની કેબિનેટમાં રહ્યા છતાં સિદ્ધાંત માટે અડગ

·         પંડિત નેહરુએ JNU માટે હકીકતમાં રાયસીનું નામ સૂચવ્યું હતું

·         ભાજપને ભવિષ્યની આશા લેખાવી હતી જસ્ટિસ એમ.સી.ચાગલાએ

સત્તાસ્થાને બેઠેલાઓને ટીકા બહુ પસંદ હોતી નથી. કોઈ રમૂજમાં પણ ટીકા કરી બેસે તો કેવા વરવા વિવાદને આકાર આપે છે. 1950નાં વર્ષોમાં મુંબઈ રાજ્યના મુખ્યપ્રધાન મોરારજી રણછોડજી દેસાઈ અને મુંબઈની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ મોહમ્મદ અલી કરીમ અલી મર્ચેન્ટ-ચાગલા વચ્ચેના પત્રવ્યવહારમાં ઝલકે છે. બેઉ ગુજરાતી. મોરારજી એટલે મૂળ દક્ષિણ ગુજરાતના વતની. ચાગલા મૂળ કચ્છી. મોરારજી મુંબઈની વિલ્સન કોલેજમાં ભણીને બ્રિટિશ સરકારમાં ડેપ્યુટી કલેક્ટરના હોદ્દે પહોંચેલા. ગાંધીજીના રંગે રંગાયા. સાદગી અને ખાદી માટેના પ્રેમે એમને નોકરી છોડી ગાંધી-સરદારના નેતૃત્વમાં કોંગ્રેસના નેજા હેઠળ આઝાદીની ચળવળમાં જોતર્યા. સમયાંતરે મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન, મુખ્યપ્રધાનથી લઈને પંડિત જવાહરલાલ નેહરુની ભારત સરકારમાં ગૃહપ્રધાન અને ઈન્દિરા ગાંધીની સરકારમાં નાયબ વડા પ્રધાન તથા નાણાંપ્રધાન રહ્યા. હોદ્દાની આકાંક્ષા ખરી. નેહરુ પછી વડા પ્રધાનપદ ઝંખતા હતા. લાલબહાદુર શાસ્ત્રી પછી પણ વડાપ્રધાન થવા મેદાને પડ્યા પણ નેહરુ-પુત્રી સામે શિકસ્ત મળી. કોંગ્રેસની સામે થઈને જેલવાસ ભોગવી 1977ની જનતા પાર્ટીની સરકારના વડાપ્રધાન બન્યાય ખરા. પ્રામાણિકતા, શિસ્ત અને સાદગી તેમજ કુશળ વહીવટ માટે એ જાણીતા.

ઝીણાના સચિવે માર્ગ ફંટાવ્યો
ચાગલા ઓક્સફર્ડમાં ભણ્યા. કાઇદ-એ-આઝમ મોહમ્મદઅલી ઝીણાના સચિવ પણ રહ્યા. મુસ્લિમ લીગની સ્થાપના ટાણે એનો વિરોધ કરનારા ઝીણા એ જ મુસ્લિમ લીગના સર્વેસર્વા બન્યા અને પાકિસ્તાનના સર્જક બન્યા. બેરિસ્ટર ઝીણાય પાછા ગુજરાતી. મૂળ સૌરાષ્ટ્રના મોટી પાનેલીના. એ પાકિસ્તાનની માગણી કરતા થયા ત્યારથી એમના સચિવ ચાગલા અને એમના માર્ગ ફંટાયા.ચાગલા મુંબઈ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, નેહરુ સરકાર અને ઇન્દિરા સરકારમાં કેબિનેટ મંત્રી રહ્યા. અમેરિકામાં ભારતીય રાજદૂત પણ રહ્યા. ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધિવેશનમાં 1980માં એના મંચ પરથી વડીલ તરીકે એને 'ભવિષ્યની પાર્ટી' કહીને આશીર્વાદ આપનાર પણ આ જ મુસ્લિમ એવા ચાગલા હતા!

ઝીણાએ મુસ્લિમ લીગને વખોડી
જસ્ટિસ ચાગલાનું મૂળ ગોત્ર કચ્છમાં. મૂળ અટક મર્ચેન્ટ. મર્ચેન્ટમાંથી ચાગલા થયા. ઓક્સફર્ડમાં ભણ્યા. મુસ્લિમ લીગના અગ્રણી મોહમ્મદ અલી ઝીણાના સાથી રહ્યા, જ્યાં લગી ઝીણા રાષ્ટ્રવાદી હતા. ચાગલા થકી જ લોકોએ જાણ્યું કે મુસ્લિમ લીગની 30 ડિસેમ્બર, 1906ના રોજ સ્થાપના થઈ ત્યારે બેરિસ્ટર ઝીણાએ એને વખોડવાનું પસંદ કરેલું. અંગ્રેજોની કુટિલ નીતિથી ભારતને તોડવાની ચાલ ગણાવી હતી. એ વેળા ઝીણા મુંબઈમાં બેરિસ્ટરી કરનારા કોંગ્રેસી આગેવાન હતા. સમયાંતરે ઝીણાએ જ બ્રિટિશ ઈન્ડિયામાંથી પાકિસ્તાન મેળવ્યું. મુસ્લિમ લીગી રાજકારણમાંથી જસ્ટિસ ચાગલા ન્યાયતંત્રને મારગઆગળ વધ્યા. મુંબઈની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ થયા. ભારત સરકારમાં વડાપ્રધાન જવાહરલાલ નેહરુથી લઈને ઈન્દિરા ગાંધીની સરકારોમાં એ શિક્ષણપ્રધાન અને વિદેશપ્રધાન પણ રહ્યા. અમેરિકામાં ભારતીય રાજદૂત તેમજ સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર પ્રશ્નો સૌથી પ્રભાવી રજૂઆત કરનાર ભારતીય પ્રતિનિધિમંડળના નેતા પણ રહ્યા. ભારતમાં મુસ્લિમો લઘુમતી નથી એ તેમની તકિયાકલમ. નેહરુ સરકારમાં જોડાવાનું નિમંત્રણ મળ્યું ત્યારે મારી લાયકાતને ધોરણે મને પ્રધાનપદું આપતા હોય તો સ્વીકારીશ, મારી કોમને જોઈને લેવા માગતા હોય તો નહીંએવું સંભળાવ્યું હતું. જસ્ટિસ ચાગલાએ નેહરુના અંતરંગ મિત્ર અને નાણાંપ્રધાન ટી. ટી. કૃષ્ણમાચારીએ રાજીનામું આપવું પડ્યું એ મુંદડા કૌભાંડની તપાસના વડા તરીકે નિષ્પક્ષ અહેવાલ આપ્યો હતો. આ કૌભાંડ નેહરુના જ જમાઈ ફિરોઝ ગાંધીએ સંસદમાં ખુલ્લું પાડ્યું હતું.

વિશ્વપ્રસિદ્ધ JNUના સંસ્થાપક
જસ્ટિસ ચાગલા ઈન્દિરા ગાંધીની સરકારમાં એ કેબિનેટ પ્રધાન હતા, એમાંથીય સિદ્ધાંતના મુદ્દે રાજીનામું આપવામાંય એમને જરાય સંકોચ થયો નહોતો. શિક્ષણપ્રધાન તરીકે નેહરુ સરકારમાં હતા ત્યારે જ જસ્ટિસ ચાગલાએ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી’ (JNU)ની સ્થાપના માટેનું વિધેયક તૈયાર કર્યું. ઈન્દિરા યુગમાં પાર્થસારથિને એના પ્રથમ કુલપતિ (વાઈસ ચાન્સેલર) નિયુક્ત કરાયા. સરદાર પટેલના પુત્ર ડાહ્યાભાઈ પટેલે રાજ્યસભામાં નેહરુના મૃત્યુ પછી ચર્ચા માટે આવેલા JNU બિલ ટાણે ચાગલા પર ખૂબ માછલાં ધોયાં પણ આ યુનિવર્સિટી સાથે નેહરુનું નામ જોડવાનો ચાગલાનો આગ્રહ સકારણ હતો. નેહરુની અનિચ્છા છતાં એમણે જીદ કરીને એમની સંમતિ મેળવી હતી એ વાત ડાહ્યાભાઈ પટેલને ક્યાં ખબર હતી? નેહરુએ તો આ સૂચિત યુનિવર્સિટીને માટે ચાગલાને 'રાયસીના યુનિવર્સિટી' નામ રાખવાનું સૂચવ્યું હતું. આજે વિશ્વવિખ્યાત JNUને જાહેરમાં બદનામ કરવાનો ઉહાપોહ મચાવાય છે ત્યારે એ એક ગુજરાતીનું યોગદાન હોવાની વાત વિસારે પડાય છે. શિક્ષણપ્રધાન તરીકે ત્વરિત નિર્ણય કરવા અને અમલ પણ ત્વરિત કરવો એ ચાગલાનો સ્વભાવ રહ્યો. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના નામમાંથી મુસ્લિમઅને બનારસ હિંદુ યુનિવર્સિટીના નામમાંથી હિંદુકાઢી નાંખવાના એ આગ્રહી હતા.

ગમા-અણગમાથી પર વ્યક્તિત્વો
લોકશાહી મૂલ્યોના પ્રખર આગ્રહી એવા ચાગલાએ મોરારજીને 30 ઓક્ટોબર, 1950ના પત્રમાં નોંધેલા શબ્દો ટાંકવાનું મન થાય છે. હું જ્યારે કોઈ વિષય પર બોલતો હોઉં ત્યારે મારું કોઈ ઉચ્ચારણ કોઈને ગમશે કે નહીં ગમે તેનો વિચાર કરવાની મને ટેવ નથી. બ્રિટિશ સરકાર હેઠળ મને એવી ટેવ નહોતી અને આપણી પોતાની સરકાર હેઠળ પણ એવી ટેવ પાડવાનો મારો ઈરાદો નથી.એટલે મોરારજીને આ જ પત્રમાં ઈંગ્લેન્ડના એક વડા ન્યાયમૂર્તિએ લખેલું નવી આપખુદીનામનું પુસ્તક વાંચવા ખાસ ભલામણ કરી હતી. આ પત્ર પાછો જસ્ટિસ ચાગલાની આત્મકથા રોઝીઝ ઇન ડિસેમ્બરમાં તો છપાયો છે પણ મોરારજીની આત્મકથા મારું જીવનવૃતાંતઃ ભાગ બીજોમાં પણ પ્રકાશિત થયો છે. બેઉ જણા પોતાના મતભેદો છતાં પરસ્પર માટે આદર ધરાવતા હતા. સંભવતઃ એટલે જ ઈન્દિરા ગાંધીની 1975-55ની ઈમર્જન્સી સામે બંનેએ લડત આપી. મોરારજીભાઈ જેલવાસ ભોગવી વડાપ્રધાન થયા, ચાગલા જેલ જવા તૈયાર હતા પણ જરાકમાં જેલ જતાં ચૂક્યા.

મોરારજીને ચાગલા માટે આદર
મોરારજીએ 28 નવેમ્બર, 1950ના રોજ જસ્ટિસ ચાગલાને લખેલા પત્રમાં નોંધ્યું હતું: મારા જીવતાં જો આ દેશ પર સરમુખત્યારી આવી પડે તો તે વખતે હું સરકારી સ્થાને નહીં હોઉં પણ એ સરમુખત્યારી સામે ઈશ્વરે મને જે કંઈ થોડી ઘણી શક્તિ આપી છે તે વડે લડતાં હું ભયંકરમાં ભયંકર કષ્ટો વેઠવા અને મારું માથું ગુમાવવા પણ તૈયાર હોઈશ એ ચોક્કસ છે.મોરારજીએ બોલ્યું પાળ્યું. એ જ પત્રમાં એ નોંધે છેઃ મારે ન્યાય ખાતાના વડાની લાગણી ન દુભવવી જોઈએ કે એમને ઉશ્કેરવા ન જોઈએ. એને હું અત્યંત જરૂરી ગણું છું, કારણ કે આપણે બંને જે લોકશાહી શાસન ચણવા માગીએ છીએ તેને માટે કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે એખલાસભર્યા સંબંધો રહે એ ખૂબ જરૂરી છે. આ બાબતમાં તમારી પાસેથી નિખાલસ દોરવણી મળશે તો હું અત્યંત આભારી થઈશ.અત્યારના શાસકોએ આ શીખ ગૂંજે બાંધવાની જરૂર ખરી.

બંને દીર્ઘદૃષ્ટા અને લોકશાહીવાદી
સદનસીબે મુંબઈમાં મોરારજી દેસાઈ અને જસ્ટિસ ચાગલા બેઉ સાથે ખૂબ જ નિકટનો સંબંધ રહ્યાથી સ્વાનુભવે પણ કહી શકાય કે બંનેના સ્વભાવમાં ખૂબ અંતર હોવા છતાં બંનેના હેતુ કાયમ શુભ હતા. લોકશાહીના પુરસ્કર્તા હતા. દેશના ઉજ્જવળ ભાવિ માટે કંઇક કરી છૂટવાની ભાવનાવાળા હતા. પોતાના મૃત્યુના એકાદ વર્ષ પહેલાં મુંબઈમાં ભારતીય જનતા પક્ષના પ્રથમ અધિવેશનમાં અતિથિ વક્તા તરીકે જસ્ટિસ ચાગલાએ ભાજપમાં ભવિષ્યની આશાનિહાળી હતી. એ વાત સમયે સાચી સાબિત કરી બતાવી. એ વખતે મંચસ્થ મહાનુભાવોમાં તે વેળાના પક્ષના સંસ્થાપક અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જોશી અને રામ જેઠમલાણી હજુ નજર સામે તગે છે. જસ્ટિસ ચાગલાને ભાજપના મંચ પર જેઠમલાણી તેડી આવ્યા હતા.
haridesai@gmail.com
(
લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે.)

 

No comments:

Post a Comment