Sunday 10 October 2021

Politics and National Interest

                                            રાજકીય ત્રાજવાં રાષ્ટ્ર માટે જોખમી

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         બંધારણીય હોદ્દાઓની ગરિમાનો લોપ ના થાય  

·         શાસકો  અને વિપક્ષના સહિયારા પ્રયાસો જરૂરી

·         વ્યક્તિ અને પક્ષ કરતાં દેશનું હિત જ મહત્વનું

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s weekly supplement “UTSAV”. 10 Octobe,r 2021. You may read more columns on haridesai.com

બદ્ધેબદ્ધી બાબતોનું રાજકીયકરણ કરીને ચૂંટણીલક્ષી લાભ ખાટવાની સત્તાપક્ષ અને વિપક્ષની નીતિ રાષ્ટ્રને માટે કેટલી નુકસાનકારક છે એ વિશે ગંભીરપણે વિચારવાનો સમય આવી પૂગ્યો છે. દેશના પ્રત્યેક નાગરિકે ભાવાવેશમાં આવીને, બેફામ બની, એક અથવા બીજા રાજકીય પ્રવાહમાં તણાઈને નિર્ણયો કે નિવેદનો કરવાનું વલણ બદલવાની જરૂર છે.અન્યથા વર્તમાનના ઘટનાક્રમો આવતા દિવસો કે દાયકાઓમાં એનાં વિષફળથી સમગ્ર દેશને ખેદાનમેદાન કરી મૂકશે. હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન અમેરિકી સત્તાવાળાઓ થકી મળેલા ઠંડા પ્રતિસાદને ચકચકિત દર્શાવવા એમના સ્વદેશાગમન ટાણે વિમાન મથકે પક્ષના કાર્યકરો થકી ઢોલ-ત્રાંસાં  દ્વારા કરાયેલા પ્રયાસ કે પછી છેલ્લા વર્ષથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને રાજકીય દ્રષ્ટિએ કચડવાના પ્રયાસોથી લઈને કેન્દ્રના ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ  થકી કથિત રીતે કેટલાક  ખેડૂતોને પોતાની જીપથી મોતને ઘાટ ઉતારવા કે ઈજાગ્રસ્ત કરવા સહિતના ઘટનાક્રમોમાં રાજકીય હૂંસાતૂંસી રાષ્ટ્રઘાતક બની શકે એ વાતને સત્તાધીશો અને વિપક્ષધીશોએ ગૂંજે બાંધવાની તાતી જરૂર છે. આજકાલ ટૂંકાગાળાના રાજકીય લાભ ખાટવાની મનોવૃત્તિ ભારતીય સ્વજનોને જ રાષ્ટ્રદ્રોહી, ખાલિસ્તાની અને હવે તો તાલિબાની કહેવા સુધી જાય ત્યારે એકંદરે માત્ર લોકશાહી જ નહીં, સમગ્ર રાષ્ટ્રને નુકસાન થતું હોવાનું અનુભવાવું ઘટે. વડાપ્રધાન મોદીનું અમેરિકામાં યોગ્ય સ્વાગત ના થાય કે એમને કોઈપણ રીતે અપમાનિત કરાય તો એ સમગ્ર રાષ્ટ્રનું અપમાન છે. એ જ રીતે સ્વયં મોદીએ લખીમપુરની ઘટના અંગે તત્કાળ પગલાં લઈને અને કિસાનોના આંદોલનને રાષ્ટ્રનો પ્રશ્ન લેખીને સરદાર પટેલ જેવી કુનેહથી સમાપ્ત કરવા સક્રિય બનવું પડે. ખેડૂતો ભારતીય નાગરીકો છે, ખાલિસ્તાની કે તાલિબાની નથી. રાષ્ટ્રીય બાબતોમાં કે આંતરાષ્ટ્રીય મંચની બાબતોમાં સત્તાપક્ષ અને વિપક્ષ  કૂતરાં-બિલાડાના ખેલ ભજવે એ અશોભનીય લાગે. વિશ્વમંચ પર એનો સારો સંદેશ જતો નથી. અમે રાષ્ટ્રવાદી અને તમે રાષ્ટ્રદ્રોહી એવી ભૂમિકા લેવાય તો દુનિયા આપણી પર હસે એ સ્વાભાવિક છે. દેશવાસીઓ વચ્ચેની આવી કડવાશનો લાભ વિશ્વનાં બીજાં ભારતદ્રોહી પરિબળો ઉઠાવે અને દેશ ફરીને પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે કે આર્થિક રીતે ગુલામી ભણી ધકેલાય એનો વિચાર સુજ્ઞજનોએ કરવાની આ ઘડી છે. અત્યારે આ વાત કદાચ અરણ્યરુદન જેવી  લાગે, પણ આવતા દિવસોમાં એનાં ગંભીર અને ઘાતક પરિણામોનો વિચાર કરીને ભારતીયોનો અનેકતામાં એકતાનો સંકલ્પ દ્રઢ કરવાનો હજુ સમય છે. પાણી માથાની ઉપર સુધી જાય  પછી તો અબ પછતાયે હોત ક્યા જબ ચીડિયા ચુગ ગઈ ખેત એવી અવસ્થા અનુભવાશે.

મુખ્યમંત્રીઓનો વાણીવિલાસ

હમણાં હરિયાણાના મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક રહેલા પંજાબી નેતા મનોહરલાલ ખટ્ટર  અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ગોરખપુર પીઠના મહંત યોગી આદિત્યનાથે તો બંધારણીય હોદ્દાની ગરિમાને લાંછન લાગે એવાં નિવેદન કર્યાં.ખેડૂતોના આંદોલનને કચડવા માટે ડંડા ઉઠાવવા અને જેલ જઈને નેતા થવાની સલાહ પોતાના પક્ષના નેતાઓને મુખ્યમંત્રી ખટ્ટર  પોતે આપે છે. કાયદાનું પાલન કરવાની જવાબદારી જેને શિરે છે એ જ કાયદો તોડવાની શીખ આપે ત્યારે વાડ ચીભડાં ગળતી લાગે છે. કોંગ્રેસના ઈશારે વર્ષથી આંદોલન ચાલતું હોય તો એ પક્ષ આટલો નબળો કઈ રીતે હોય એવો પ્રશ્ન પણ થવો સ્વાભાવિક છે. મડદાલ કોંગ્રેસનો વ્હિપીંગ બોય તરીકે જ ઉપયોગ થાય છે. યોગીએ તો લખીમપુર ઘટના અંગે સંવેદના વ્યક્ત કરવાની સાથે રાજ્યમાં અશાંતિ ફેલાવવા બદલ તાલિબાનના સમર્થકો જવાબદાર હોવાનું કહ્યું. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમની છે એ તાલિબાનો સાથે સ્થાનિક રાજકીય અને અન્ય પ્રજાજનોને સરખાવે છે. એનાથી તો ઉશ્કેરણી જ થવાની.લખીમપુરના એ ખેડૂત પરિવારના જે લોકોને કચડવામાં આવ્યા અને જે માર્યા ગયા એમાં ભાજપના કાર્યકરો અને પત્રકારનો પણ સમાવેશ હતો. “પોલિટિકલ ટુરિઝમ” કહીને રાજનેતાઓ મૃતકોના પરિવારની મુલાકાત કરીને સંવેદના વ્યક્ત કરવા જનારાઓને વખોડવા એને પણ અપરિપક્વતા અથવા ગણતરીપૂર્વકની ઉશ્કેરણી જ લેખવી પડે. ભાજપના નેતાઓ વિપક્ષે હતા ત્યારે કે આજે જ્યાં વિપક્ષે છે ત્યાં આવી જ મુલાકાતો યોજવામાં પાછળ નથી રહ્યા. કેન્દ્રના ગૃહરાજ્યમંત્રી અજયકુમાર મિશ્રા ખેડૂતોને કચડીને મોતને ઘાટ ઉતારવાના પ્રકરણમાં ઉત્તર પ્રદેશની ભાજપ સરકારની જ પોલીસ થકી જેની સામે એફઆઈઆર નોંધાઈ છે અને જે ૩૦૨નો આરોપી છે એવા પોતાના પુત્રને નિર્દોષ ઠરાવે છે. પોલીસમાં હાજર થવામાં આશિષને દિવસો સુધીની મોકળાશ અપાય છે. એ મીડિયામાં નિવેદન કરતો રહે છે,પણ કેન્દ્રના ગૃહરાજ્યમંત્રી એની બીમારીનું બહાનું આગળ ધારે છે. મંત્રી પાછા પોતાના ગુનાહિત ભૂતકાળનું પણ લોકોને સ્મરણ કરાવીને ધમકાવે છે. ટ્વીટ કરે છે અને પછી પોતાનું અકાઉન્ટ હેક થયાની વાત કરે છે. દેશના ગૃહરાજ્યમંત્રીનું અકાઉન્ટ હેક થાય તો અન્યોની સુરક્ષાનો પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે.  એકંદરે આ બધા વાણીવિલાસ થકી તો દેશના લોકપ્રિય વડાપ્રધાન મોદીની પ્રતિષ્ઠાને ઘસરકો પહોંચતો હોય એવું લાગે છે. ક્યારેક અનુકૂળતાએ ભાજપ ચૂંટણી જીતવા માટે દેશના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું નામ પણ ઉપયોગમાં લે છે. પહેલા વડાપ્રધાન પંડિત નેહરુના આ અત્યંત વિશ્વાસુ નેતાએ રેલવેઅકસ્માતને  પોતાની નૈતિક જવાબદારી ગણીને  રેલવે મંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું એ વાતનું સ્મરણ થઇ આવે છે. અહીં તો કેન્દ્રના મંત્રી લાજવાને બદલે ગાજે છે. એમનો પુત્ર નિર્દોષ હોય તો અદાલતમાં એ પુરવાર કરી શકાશે.

માથે ચૂંટણી હોવાથી ઉહાપોહ

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.  અયોધ્યામાં રામમંદિર નિર્માણનો મુદ્દો ખૂબ ગજવાય છે.જમ્મૂ-કાશ્મીર હજુ ઉકળતો ચરુ છે. તમામ રાજકીય પક્ષો ધાર્મિક મુદ્દે મતદારોને રાજી કરવાની વેતરણમાં છે. આવા સંજોગોમાં કોઈપણ ઘટના બને ત્યારે બહતી મેં હાથ ધો લો એ ઉક્તિને સાર્થક કરવા સમાન તમામનું વર્તન લાગે છે. લખીમપુર જેવી ઘટના બને ત્યારે સર્વપક્ષી નેતાઓને વિશ્વાસમાં લઈને વાતાવરણને શાંત કરવાના પ્રયાસો થવા જોઈએ, પણ આ દિશામાં કોઈ પ્રયાસ થતા નથી. બદ્ધેબદ્ધું રાજકીય લાભ ખાટવાને કાજે કરવામાં આવે છે. સત્તાપક્ષ અને વિપક્ષોનું આવું વલણ અંતે તો રાષ્ટ્ર માટે ઘાતક સાબિત થવાનું. અપેક્ષા કરીએ કે રાજકીય શાસકો અને વિપક્ષના નેતાઓ એકમેકના દુશ્મન બનીને તમામ મુદ્દે એકમેકની વિરુદ્ધ સક્રિય રહેવાને બદલે જાહેરહિતના મુદ્દે પ્રજાના કલ્યાણમાં કેટલાંક સહિયારાં કામ કરવાની દિશામાં અને નેશન ફર્સ્ટને વાસ્તવમાં ચરિતાર્થ કરવામાં સક્રિય થશે. વ્યક્તિ અને પક્ષ કરતાં દેશનું હિત મહત્વનું છે એ વાત આપણે સૌએ ગૂંજે બાંધવાની જરૂર છે.  

તિખારો

હવા મેં રહેગી મેરે ખયાલ કી બીજલી

યે મુશ્તે ખાક હૈ, ફાની રહે ન રહે

-     ભગત સિંહ

ઈ-મેઈલ: haridesai@gmail.com   (લખ્યા તારીખ: ૯ ઓક્ટોબર, ૨૦૨૧)

No comments:

Post a Comment