Monday 9 November 2020

Bhagat Singh and Mahatma Gandhi : Myth and Truth

 

ભગતસિંહ અને ગાંધીજી: સચ્ચાઈની એરણે

કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ

·         ઈમર્જન્સીમાં જેલવાસી કુલદીપનું યોગદાન

·         શહીદ-એ-આઝમને અંગે નેતાજીની ગવાહી

·         નેહરુ અખબારીઆઝાદીમાં કાપના વિરોધી

હમણાં હમણાં અખબારી આઝાદી, ઈમરજન્સી અને યુવાનોના કાયમી નાયક રહેલા ભગતસિંહની આડશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ચરિત્રહનન કરવા સુધીની હિલચાલો જોતાં દિવંગત  પત્રકારશિરોમણિ  કુલદીપ નાયરનું સ્મરણ થવું સ્વાભાવિક છે. તેઓ પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુની  સરકાર અને એમના અનુગામી લાલબહાદુર શાસ્ત્રીની સરકારમાં અધિકારી તરીકે મહત્વના હોદ્દે રહ્યા એટલું જ નહીં, ઇન્દિરા ગાંધીની ઈમર્જન્સીમાં જેલવાસ ભોગવવા સહિતના તેમના અનુભવો પણ રહ્યા. જોકે એમણે  કરેલા  કામને  અને  લોકશાહી ને  બચાવવા  માટે  આપેલા  યોગદાનને  યાદ  કરવાની પણ ઘડી છે.  કુલદીપ  અત્યારના પાકિસ્તાનના સિયાલકોટમાં જન્મ્યા અને શાળામાં ઉર્દૂ માધ્યમમાં ભણ્યા. એમણે પત્રકારત્વ પણ ઉર્દૂ અખબારથી જ શરૂ કર્યું હતું. પછીથી  શિકાગોમાં  જઈને  એમણે  પત્રકારત્વમાં  તાલીમ  લીધી અને સમગ્ર દેશ અને  દુનિયામાં  પત્રકારત્વમાં  અને ખાસ  કરીને  અંગ્રેજી  પત્રકારત્વમાં તેઓ  છવાઈ  ગયા. સ્ટેટ્સમેનના તંત્રી પણ રહ્યા. ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝ  સર્વિસના સંપાદક હતા ત્યારે વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની ૧૯૭૫-૭૭ની  ઈમરજન્સી દરમિયાન તેમણે જેલવાસ પણ ભોગવ્યો.  પત્રકારોના પણ આઇકન  રહ્યા છે. તેમણે માત્ર  પત્રકારત્વ  કર્યું  નહીં,  પણ  સમાજમાં  લોકશાહી મૂલ્યોના  જતન માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા. ૯૫ વર્ષની વયે  જ્યારે  એમનું  નિધન થયું  ત્યાં  સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે મૈત્રી સંબંધ જળવાઈ રહે    ધ્યેય  સાથે  તેઓ  સતત  ઝઝૂમતા રહ્યા. વાઘા અને  અટારીની  સરહદે  ૧૪ અને ૧૫ ઓગસ્ટે ભારત-પાક મૈત્રી સંઘના આયોજનમાં સહભાગી થવા માટે  એમણે  પોતાની  નાદુરસ્ત  તબિયતની  પણ  પરવા કરી નહોતી.

ભગતસિંહ પર બેનમૂન સંશોધન

ભારત સરકારે તેમને લંડનમાં હાઇ કમિશનર નિયુક્ત કર્યા અને પછીથી રાજ્યસભામાં પણ તેમની નિયુક્તિ થઇ,  પરંતુ  પત્રકાર  તરીકેની જનસામાન્યની  આઝાદી  માટેની  ખેવના  માટે  તેઓ  સતત  સંઘર્ષરત  રહ્યા. એટલું  નહીં,  પોતાનાં  લખાણો  મારફત  એમણે જનજાગૃતિનું  કામ પણ  કર્યું . ક્રાંતિવીર  ભગતસિંહ પર  એમણે  કરેલા  સંશોધન કાર્ય  આધારિત  પુસ્તક  “વિધાઉટ  ફિયર : ધ લાઈફ એન્ડ ટ્રાયલ ઓફ ભગતસિંહ”માં તેમણે ભગતસિંહને બચાવવા માટે કરવામાં  આવેલી  કોશિશોમાં  મહાત્મા ગાંધીનું  જે  ભવ્ય  યોગદાન  હતું,  એને  પણ  ઉપસાવવાની  કોશિશ કરી હતી.એ વખતના વાઇસરોય લોર્ડ અરવિન  ભગતસિંહ અને  સાથીઓને  ફાંસી    અપાય  તે માટે  વચનબદ્ધ  હતા, પરંતુ   વેળાના   આઈસીએસ  અધિકારીઓએ  સામૂહિક  રાજીનામાં  આપવાની ધમકી આપી હતી . અરવિને તો સંદેશ પાઠવ્યો હતો, પણ અધિકારીઓએ વ્યવસ્થા એવી કરી હતી કે ફાંસી અપાયા બાદ જ એ સંદેશ જેલ સત્તાવાળાઓને મળે. એટલે ગાંધીજી સમક્ષ વાઈસરોય  ભગતસિંહ અને સાથીઓને ફાંસી નહીં આપવા વચનબદ્ધ  હોવા છતાં અરવિન અને મહાત્માની  ઇચ્છા વિરુદ્ધ  ત્રિપુટીને ફાંસી  અપાઈ  હતી;    વાત  કુલદીપે  લગભગ  સૌપ્રથમ  પ્રકાશમાં આણી  હતી.  સામાન્ય રીતે આજે  જ્યારે  મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નહેરુને ભાંડવાની  એક  પરંપરા  ચાલે છે ત્યારે  ભગતસિંહ  અને  મિત્રોની  ફાંસી રોકવા માટે મહાત્મા ગાંધીએ ભરસક પ્રયાસો કર્યા ની વાત કેન્દ્રના ગૃહ મંત્રાલયમાં પણ કામ કરી ચુકેલા કુલદીપ દસ્તાવેજો સાથે રજૂ કરે ત્યારે તો માનવું રહ્યું.  ભગતસિંહ અને સાથીઓને બચાવવા માટે ગાંધીજીએ  કોઈ પ્રયાસ કર્યા નહોતા  દર્શાવતો માહોલ બની રહ્યો છે ત્યારે  કુલદીપ  થકી  સંશોધન  કરાયેલ  પુસ્તક સીમાચિહ્ન  સાબિત થાય તેમ છે .

ત્રિપુટીની સામે શીશ નમે

ગાંધીજીને ભાંડનારાઓ અને એમના હત્યારા નથુરામ ગોડસેને નાયક તરીકે  રજૂ કરનારાઓ  અનેક બાબતોમાં  મહાત્માને  ભાંડે  છે.  ભારતના ભાગલાની બાબતમાં  કે પછી મુસ્લિમોના તુષ્ટિકરણની બાબતમાં કે પછી ભગતસિંહ, સુખદેવ અને  રાજગુરુને  ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ લાહોરમાં ફાંસીએ ચઢાવાયા વિશે પણ દોષનો ટોપલો મહાત્મા ગાંધીને  શિરે  નાખવાની  જાણે  કે  ફેશન ચાલે છે.  વખતે પણ મહાત્મા ગાંધી, સરદાર પટેલ , પંડિત નેહરુ  અને બીજા કોંગ્રેસના મિત્રો સામે ઘણો રોષ હતો. કરાંચીમાં ૨૯-૩૧ માર્ચ ૧૯૩૧ દરમિયાન સરદાર સાહેબના અધ્યક્ષસ્થાને  કોંગ્રેસનું  અધિવેશન મળ્યું હતું.  યુવા  વર્ગમાં  ગુસ્સો  એટલો  બધો હતો કે ગાંધીજી તથા પટેલ  સહિતના  કોંગ્રેસના  નેતાઓનું  સ્વાગત  કાળાં ફૂલ આપીને  કરવામાં  આવ્યું  હતું.  જોકે    અધિવેશનમાં   સરદાર સાહેબે  જે શબ્દો કહ્યા  હતા ખૂબ મહત્વના હતા. સરદારે  ભગતસિંહ અને  સાથીઓને  ભવ્ય  અંજલિ આપી હતી.  સાથે   તેમના  હિંસાના  માર્ગને તેમણે યોગ્ય  લેખ્યો   નહોતો,  પરંતુ  એટલું  જરૂર  કહ્યું  હતું  કે  ત્રિપુટીને  ફાંસી આપવામાં અંગ્રેજ સરકારે  પોતાની હૃદયહીન  દ્રષ્ટિનાં  દર્શન કરાવ્યાં  એવું લાગે છે.  એમની, ત્રણેયની,  રાષ્ટ્રભક્તિ સામે અમારું  શીશ નામે છે અને સમગ્ર દેશ એવું  ઈચ્છતો હતો કે  ભગતસિંહ  અને  સાથીઓને  ફાંસીની સજા આપવામાં આવે. મહાત્મા ગાંધીને લોર્ડ અરવિને  વચન  આપ્યું  હતું , છતાં   ત્રિપુટીને ફાંસી આપવામાં આવી  સંદર્ભમાં કુલદીપે  જે સંશોધન કરીને વિગતો બહાર પાડી છે  તે  બહુ  સ્પષ્ટપણે  જણાવે છે કે વાઇસરૉયે  તો  મહાત્મા ગાંધીના પ્રયાસને પગલે  ફાંસી  રોકવા માટેનો  આદેશ પાઠવી દીધો હતો,  પરંતુ તેની સામે આઈસીએસ અધિકારીઓની સામૂહિક રાજીનામાની ધમકીને  કારણે  અરવિનનો  આદેશ   ત્રિપુટીને  ફાંસી અપાય  એના પછી લાહોરની જેલમાં  પહોંચ્યો  હતો.   માટેની  અંગ્રેજ  અધિકારીઓની   સાજિશ  હતી. 

ભગતસિંહને મહાત્મા માટે આદર

જોકે  ગાંધીજીએ ભગતસિંહ અને સાથીઓને બચાવવા માટે પ્રયત્ન  કર્યા  હતા એવું  ખુદ નેતાજી  સુભાષચંદ્ર બોઝે  પણ સ્પષ્ટ  કહ્યું  હતું , એટલું   નહીં  કરાંચીના  અધિવેશનમાં  ઉપસ્થિત  ભગતસિંહના  પિતા કિશનસિંહના  સંબોધનમાં  પણ તેમણે  ભગત દયાની અરજી કરવાના પક્ષે નહીં હોવાનો ફોડ પાડીને પોતે આવી અરજી કર્યા સામે એણે રોષ વ્યક્ત કર્યાનું પણ જણાવ્યું હતું.  પોતાના  પુત્રને ફાંસી અપાયા પછી પણ તેમણે જાહેર મંચ પરથી   મહાત્મા  ગાંધીના  હાથ  મજબૂત કરવા માટે જાહેર  અપીલ  કરી  હતી.  ભગતસિંહ  હિંસામાં  માનનારા  ક્રાંતિકારી  હતા, જ્યારે તેમના પિતા  અહિંસામાં માનનારા કોંગ્રેસના કાર્યકર હતા. તેમણે વાઇસરોય  સમક્ષ  કોઈ પણ  જાતની  વિનવણી  કરીને ભગતસિંહને  બચાવવાના  કોઈ પ્રયાસો કરવા નહીં, એવું ભગતસિંહે    એમને  જણાવ્યું  હતું  એટલે  પોતાના પુત્રને  તેમણે ગુમાવ્યા છતાં એક ક્રાંતિકારી મોતને ભેટવા કેટલો તત્પર હોય છે એનું દર્શન  ભગતસિંહના  ફાંસીએ  ચડવામાં  તેમને  અને  બીજાઓને  થયું  હતું. ૨૩ માર્ચ ૧૯૩૧ના  રોજ  ભગતસિંહ  અને  સાથીઓને  ગુપચુપ ફાંસી અપાઈ હતી.  સમગ્ર દેશ  વખતે અંગ્રેજ સરકારના  કૃત્યથી  ખિન્ન  જણાતો હતો.  લોકોમાં  જે  આક્રોશ હતો  તે  કોંગ્રેસના  અધિવેશનમાં પણ જોવા મળ્યો હતો અને  હજુ  આજ  સુધી   ત્રિપુટીને  ફાંસી  અપાયાની  બાબત ચર્ચામાં રહેવી સ્વાભાવિક છે.  નવાઈ  વાતની પણ લાગે છે  કે  ભગતસિંહ  ગાંધીમાર્ગના  અનુયાયી  થઈ શકે તેમ નહીં  હોવા છતાં  તેમને  ગાંધીજી  માટે  પારાવાર  આદર  હતો. બાબત  એમણે  ઘણી  વાર પ્રગટ  પણ કરી  છે.   ભગતસિંહે જેલમાં લખેલાં ચાર પુસ્તકો  શોધવાની કુલદીપ નાયરે  ખૂબ  કોશિશ  કરી  છતાં  તેની  હસ્તપ્રત  મળી નથી,  પરંતુ  તેમણે એવો આશાવાદ જરૂર વ્યક્ત કર્યો  છે કે  કોઈક  દિવસ  ચારેય  પુસ્તકોની હસ્તપ્રત ક્યાંકથી અવશ્ય  મળી આવશે. 

ભગતસિંહ નાસ્તિક હતા

સામાન્ય  રીતે  ભગતસિંહને  તમામ  સંગઠનો  હિંદુ,  શીખ સહિતનાં  સંગઠનો  પોતીકા  ગણાવવાની  કોશિશ  કરે છે  અને  કેટલાક  તો આર્યસમાજી  પરિવારમાં  જન્મેલા  ભગતસિંહને  હિંદુ  અગ્રણી બતાવવાની  પણ  કોશિશ  કરે છે.  હકીકતમાં  ભગતસિંહ  ધર્મથી  પર અને  નાસ્તિક  એવા  ડાબેરી હતા . એટલે  ઘણીવાર  ઘણા લોકો ભગતસિંહ  વિશે પોતપોતાને અનુકૂળ અર્થઘટનો  કરવા માટે અને તેમને પોતીકા ગણાવવા માટેની  કોશિશો  કરતા  રહે  છે, ત્યારે ભગતસિંહે  પોતે લખેલું  હું નાસ્તિક કેમ છું?”   લખાણ   વાંચી  જવાની નવી પેઢી અને  જૂની  પેઢીને  પણ  જરૂર  છે.  આવું    કંઇક  ડાબેરી  વિચારક  અને ડાબેરી  પક્ષના અગ્રણી ગણાય એવા  સુભાષચંદ્ર  બોઝ  વિશે પણ કહી શકાય. નવાઈ  વાતની  છે  કે ૯૩૮માં સુરત પાસેના  હરિપુરામાં  કોંગ્રેસના અધિવેશનની અધ્યક્ષતા કરનાર નેતાજી  બોઝ  બીજે  વર્ષે  ફરીને  કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટાયા,એ ગાંધીજી તથા સરદાર પટેલ સહિતનાને પસંદ નહોતું ; છતાં તેઓ ચૂંટાયા હતા એટલે તેમની કારોબારીમાંથી સરદાર પટેલ અને છેવટે સુભાષના મિત્ર નેહરુએ પણ  રાજીનામાં આપ્યાં હતાં.  છેવટે  સુભાષ  કોંગ્રેસનો  ત્યાગ કર્યો હતો. તેમણે નવો ડાબેરી  પક્ષ ફોરવર્ડ બ્લોક પણ  સ્થાપ્યો  હતો.   કોંગ્રેસ  છોડનાર સુભાષચંદ્ર બોઝે  ૯૪૪માં આઝાદ હિંદ ફોજ (આઇએનએ)ના વડા તરીકે છેક જુલાઈ ૧૯૪૪માં રંગૂનથી જે  રેડિયો પ્રસારણ  કર્યું, તેમાં  તેમણે  ગાંધીજીને  સૌપ્રથમ રાષ્ટ્રપિતા (ફાધર ઓફ ધ નેશન) ગણાવ્યા હતા  એટલું  નહીં,  ગાંધીજી માટે તેમને ખૂબ માન  પણ વ્યક્ત કરીને આશીર્વાદ માંગ્યા હતા; ભલે તેઓ મહાત્માનો અહિંસાનો માર્ગ અનુસરવાની સ્થિતિમાં નહોતા. આજે  ગાંધીજીને  રાષ્ટ્રપિતા  ગણાવવા  સામે  રાજકીય  વિરોધ  કરનારાઓ નેતાજી  સુભાષચંદ્ર બોઝની  ગરિમાને પણ વિસરી જાય છે.

ઇન્દિરાજીને પત્ર, કુલદીપનો જેલવાસ 

આઝાદીની  લડતમાં  ગાંધીજી અને સરદાર પટેલ  નેહરુ  અને  જયપ્રકાશ  નારાયણ  સહિતના  કોંગ્રેસના આગેવાનો ખભે ખભા  મિલાવીને  લડત ચલાવી  રહ્યા  હતા  આઝાદી  પછી  જ્યારે  મહાત્મા  ગાંધી  અને સરદાર  પટેલ  વિદાય  લઈ  ચૂક્યા  હતા  ત્યારે વડાપ્રધાન  નેહરુ  અને  જયપ્રકાશ  નારાયણ  વચ્ચેના  ભાઈ ભાઈ  જેવા સંબંધો  જાણીતા  હતા.  બંને સમાજવાદી વિચારધારાના ટેકેદાર હતા. નેહરુ  ૧૯૬૪માં  મૃત્યુ  પામ્યા.  થોડા વખત માટે  નહેરુના  નિષ્ઠાવંત  એવા લાલ બહાદુર  શાસ્ત્રી  વડાપ્રધાન  રહ્યા  અને એમનું પણ  તાશ્કંદમાં  મૃત્યુ  થયું  ત્યાર પછી  નેહરુપુત્રી શ્રીમતી  ઇન્દિરા  ગાંધી  વડાંપ્રધાન  થયાં.  ૧૯૭૫ના  જૂનમાં  અલાહાબાદ  હાઇકોર્ટના  ચુકાદાને  પરિણામે  શ્રીમતી  ગાંધીની  રાયબરેલીમાંથી  ચૂંટણી  રદબાતલ  જાહેર થયા પછી તેમણે પોતાની  કિચન કેબિનેટના  સભ્યોની  સલાહને  અનુસરીને  ઇમરજન્સી  જાહેર કરી.  વિરોધ પક્ષના નેતાઓ  અને સ્વતંત્ર  વિચારકોને  જેલ ભેગા  કરીને  તેમનો અવાજ  રૂંધવાની   કોશિશ  કરી.  આવા  તબક્કે  કુલદીપ નાયરે  શ્રીમતી  ગાંધીને  ઐતિહાસિક પત્ર  લખ્યો,  એનો  ઉલ્લેખ કર્યા વિના  તેમની  વાત  પૂરી  કરાય  તેમ  નથી.

કુલદીપે શ્રીમતી ગાંધીને  લખેલા  પત્રમાં  સ્પષ્ટ  કર્યું  કે  તમે વારંવાર  કહો  છો  કે  જયપ્રકાશ  નારાયણે  લશ્કરી  દળો  અને  પોલીસ તંત્રને  બળવો  કરવાની  પ્રેરણા  આપી છતાં  કોઈ  અખબાર નવીશ  તેની  ટીકા કરતો નથી; પણ    વાત  સાચી  નથી.  તેમનો   પત્ર  શ્રીમતી  ગાંધીની  પ્રકૃતિને  પડકારનારો  હતો  અને  તેમાં  નાયરે   ડિસેમ્બર  ૧૯૫૦ના   રોજ  અખિલ  ભારતીય અખબાર  તંત્રી  પરિષદમાં     વેળાના  વડાપ્રધાન  નેહરુએ  કરેલા  ભાષણના  સંદર્ભો ટાંક્યા હતા. તેમણે  કહ્યું  હતું  કે  કેટલીક  વાર  સરકારને  અખબારી આલમની  સ્વતંત્રતા ગમતી નથી અને ક્યારેક તો જોખમી  પણ  લાગે છે.  તેમ  છતાં  હું અખબારી   આઝાદીમાં  કાપ મૂકવા  માગતો  નથી.  કુલદીપના  પત્ર પછી   વડાપ્રધાનના   મીડિયા એડવાઈઝર  એચ.  વાય.   શારદાપ્રસાદનો ઉત્તર તેમને  મળ્યો, પરંતુ  સાથે  સાથે  તેમની ધરપકડ  કરવા માટે  પોલીસ  અધિકારીઓ પણ તેમના  નિવાસસ્થાને પહોંચી  ગયા  હતા.  ઈમરજન્સીમાં  જેલવાસ  ભોગવ્યા પછી  કુલદીપે  જે  પુસ્તક લખ્યું  તેનું  નામ  “ઇન જેલ” છે .  પુસ્તકમાં  તેમણે કટોકટી  દરમ્યાન  સરકારીતંત્ર  કેવી  રીતે  કામ  કરતું  રહ્યું  છે  એનો ચિતાર આપ્યો  હતો.  સંયોગ  એવો છે કે પોતાની જીવનલીલા સંકેલી  લેતાં  તેમણે  લખેલો  લગભગ  છેલ્લો  લેખ પણ  વર્તમાન પરિસ્થિતિ  વિશે  હતો અને એમાં પણ વર્તમાન સમયની તુલના તેમણે  શ્રીમતી  ગાંધીની  ઈમરજન્સી  સાથે  કરી હતી!

તિખારો

ધરતી કો બૌનો કી નહીં,

ઊંચે કદ કે ઇન્સાનો કી જરૂરત હૈ.

ઇતને ઊંચે કિ આસમાન છૂ લેં,

નયે નક્ષત્રો મેં પ્રતિભા કે બીજ બો લેં.

 

કિંતુ ઇતને ઊંચે ભી નહીં,

કિ પાંવ તલે દૂબ હી ન જમે,

કોઈ કાંટા ન ચુભે,

કોઈ કલી ન ખિલે.

 

ન વસંત હો, ન પતઝડ,

હો સિર્ફ ઊંચાઈ કા અંધડ,

માત્ર અકેલેપન કા સન્નાટા.

 

મેરે પ્રભુ !

મુઝે ઇતની ઊંચાઈ કભી મત દેના,

ગૈરો કો ન લગા સકૂં

ઇતની રુખાઈ કભી મત દેના.

-     કવિ કૈદીરાય (અટલ બિહારી વાજપેયી)

ઈ-મેઈલ: haridesai@gmail.com              (લખ્યા તારીખ: ૬ નવેમ્બર ૨૦૨૦)

No comments:

Post a Comment