Sunday 29 December 2019

Gujarat in next decade



ગુજરાતનો વરતારો આવતા દાયકાનો
ગુજરાતકારણ-ડૉ. હરિ દેસાઈ

·         કોર્પોરેટાઈઝેશન સાથે સામાજિક નિસબત
·         પર્યાવરણનો ગાંધીઉકેલ
·         રાજ્યની ભૂગોળ બદલાઈ શકે
Dr. Hari Desai writes a weekly column for Mumbai Samachar Daily’s Sunday Supplement “UTSAV” 29 December 2019.WebLink : http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=617537

ઈસુના વર્ષ ૨૦૧૯ની સમાપ્તિના શેઢે ઊભા રહીને વર્ષ ૨૦૨૦નો સૂરજ ઊગમણે ઊગવામાં હોય ત્યારે એકાદ વરસ કેવું જશે, એનો વરતારો કરવાનુંય ઘણું અઘરું હોય ત્યાં આપણે આવતા દાયકાના ભવિષ્યનો અણસાર મેળવવા જવામાં તો ભગવદ્ ગીતામાં અર્જુનના વિષાદયોગની અનુભૂતિ થવી સ્વાભાવિક છે, નવા વર્ષની સાથે જ આવતા આખાય દાયકા માટે આપણાં સર્વે વાચકોને શુભકામના પાઠવીને ભવિષ્યના શાસ્ત્ર (ફયુચરોલોજી) મુજબ નહીં, પણ ગત છ દાયકાના અનુભવને આધારે ૨૦૩૦ લગીના ગુજરાતના આર્થિક, સામાજિક, રાજકીય સહિતના ગુજરાતની આછેરી ઝલક આપવાની કોશિશ કરવાનો યથાશક્તિ પ્રયાસ અહીં કરીશું. આવતા દાયકાને અંતે આ લેખક સહિત આપણામાંના ઘણા બધા આ વરતારાને નાણવા-પીછાણવા હયાત હોય કે ના હોય; ગુજરાતનું ભવિષ્ય તો ભારતની જેમ જ સદૈવ ઉજ્જવળ રહેવાનું એ વાત તો નક્કી છે. જનજીવનમાં સદાય રાજકીય બાબતો પ્રભાવ પાડતી રહે છે એ સાચું, પણ અમે એમાં રાજકીય નેતાગીરી કે તેમાં આવનારા પલટાઓ કરતાં નવી પેઢીમાં જોવા મળતી મક્કમતા અને પરિણામ લક્ષ્યાંકોને આંબવાની તત્પરતા (એસર્ટિવનેસ) વધુ નિર્ણાયક બનશે. આંબા આંબલી બતાવવા કે પ્રજાને ભીખ આપવાની વૃત્તિ-પ્રવૃત્તિથી રાજકીય સત્તાને અંકે કરી લેવાને બદલે ગુજરાતનાં તમામ ક્ષેત્રો, શહેરો કે ગ્રામીણ ક્ષેત્ર, એલિટ પ્રજા કે વંચિત (સબલ્ટર્ન) ગણાતી પ્રજા, ચાર-પાંચ પ્રદેશમાં વિભાજિત ગુજરાતની પ્રજાની સાંસ્કૃતિક અને સામાજિક ઓળખ અંગેની જાગૃતિ કેન્દ્રસ્થાને જોવા મળશે. આજે કે ગઈકાલોમાં મારે શું?’ અને મારું શું?’માં થવાની સાથે જ સામાજિક નિસબતનું નિર્માણ થવાની શક્યતા જરૂર વર્તાય છે. આજનું ગુજરાત આવતીકાલોમાં એનું ભૌગોલિક સ્વરૂપ બદલીને એકાદ-બે વધુ રાજ્યોમાં રૂપાંતરિત થાય તો બહુ આશ્ર્ચર્ય પામવું નહીં. સાથે જ અહીં અમે એક ડિસ્કલેમરપણ મૂકીએ કે રખે કોઈ માને કે અમે ગુજરાતના વિભાજનને પ્રેરિત કે પ્રોત્સાહિત કરીએ છીએ.

આર્થિક અને વહીવટી ક્ષેત્રે આગેકૂચ

ગુજરાતનો આવતો દાયકો આર્થિક ક્ષેત્રે વધુ ઉજ્જવળ ભાવિનો અણસાર આપતો બની રહે એવું કાયમના આશાવાદી એવા અમારા જેવા જણને વર્તાય છે એટલું જ નહીં. વૈશ્ર્વિક પરિબળો અને અન્ય દેશોની દિશા થકી માનવા પ્રેરાય છે. આવતીકાલોમાં વહીવટી ક્ષેત્રે શિસ્ત અને સચ્ચાઈની ચુસ્તતા વધવાની છે. સરકારી આંકડાઓની માયાજાળમાં આવતા દાયકાનો ગુજરાતી અટવાવાનો નથી અને પાણી જેમ પોતાનો માર્ગ શોધી લે એમ ગુજરાત અને ગુજરાતીઓ પણ પોતાની નોખી પ્રકૃતિ સાથે પ્રભાવ પાથરતા રહેશે. ઔદ્યોગિકક્ષેત્રે ગુજરાત વિશ્ર્વસ્પર્ધામાં સૌથી અગ્રક્રમે રહેશે. અમેરિકી અને ચીની હરણફાળના અનુભવોનું પાથેય એને ઘણાં નવાં પ્રબોધનો થકી નવતર દિશાઓ ખોલી આપશે. ગુજરાત હવે પશ્ર્ચિમનું કે ચીની દિશાનું ડમ્પિંગગ્રાઉન્ડ બનવાનું પસંદ કરવાને બદલે મૅડ ઈન ગુજરાતબ્રાન્ડનો સિક્કો વિશ્ર્વભરમાં જમાવશે. વાઈબ્રન્ટનાં બોદાં ઘોષણાપત્રો કે વિદેશી મૂડીરોકાણોની લાહ્યમાં અટવાતા રહેવાને બદલે પથ્થરને પાટું મારીને પાણી મેળવવાની ગુજરાતી માનસિકતા રગશિયા ગાડા જેવી ખખડધજ ઔદ્યોગિક વસાહતોને અત્યાધુનિક અને ગ્લોબલ સ્પર્ધક ઉદ્યોગોમાં ફેરવી નાખશે. સરકારી નીતિઓ કે સબસિડીઓ પર અવલંબિત રહેવાને બદલે ગુજરાતની આવતી પેઢી સ્વનિર્ભર, સ્પર્ધક ધોરણે વિશ્ર્વબજારમાં છવાઈ જશે. વિશ્ર્વ આખાને કનડતી પર્યાવરણની સમસ્યાના ઉકેલ માટે મહાત્મા ગાંધીની માત્ર વાતો કરવાને બદલે એમાં પ્રબોધેલા ઉકેલોને અમલમાં આણીને નક્કર પરિણામ મેળવશે. ગાંધીના નામનો માત્ર ટૅગ લગાડીને ફરવાને બદલે પ્રત્યેક ગુજરાતી ગ્રામીણક્ષેત્રથી લઈને વિશ્ર્વબજાર લગી ગાંધીજીના વિચારનો વાહક-પ્રવાહક બનવામાં ગૌરવ અનુભવશે.

સામાજિક અને રાજકીય સમરસતા

રખે આપણે માનીએ કે આજકાલ ગુજરાતના વિવિધ સમાજો, વર્ગો અને પ્રદેશોમાં પોતાની ઓળખ અંગે આવેલી જાગૃતિ એકાએક ભૂંસાઈ જઈને બધું સમરસ થઈ જશે. બધા પોતપોતાની ઓળખ જાળવીને સામાજિક અને રાજકીયક્ષેત્રમાં પ્રભાવ પાથરવા પ્રયત્નશીલ તો રહેશે; પણ સાથે જ ટકરાવને બદલે સહઅસ્તિત્વને સ્વીકારીને સમરસતાના માહોલમાં જ સૌનું કલ્યાણ છે એ બાબત સ્વીકારવાનો આ દાયકો હશે. હિંદુ બહુમતી વિરુદ્ધ મુસ્લિમ કે ખ્રિસ્તી લઘુમતીના ટકરાવો અને રાજકીય લાભના દિવસોનો અંત આવવાનો આશાવાદ જોવા મળે છે. એકાએક પરિવર્તન આવી જશે એવું માનવું વધુ પડતું હોવા છતાં અથડામણો અને રમખાણોને બદલે સમજદારીના સેતુનું વાતાવરણ વધુ પ્રભાવી બનશે એ વાત નક્કી. આવતો દાયકો જુઠ્ઠાણાંના પ્રભાવને ખાળશે. સાચી વાત સમાજ અને રાજકીય પક્ષો સમક્ષ મૂકવાની હિંમતનો એ દાયકો હશે. હોકા-ચલમો ભરનારા રાજકીયક્ષેત્રમાં મોકાનાં સ્થાન મેળવી જવાની પરંપરાને બદલે યોગ્યતાને વધુ માન આપવાનું અને કામ કરવાની ક્ષમતા (પરફોર્મન્સ)ને વધુ દાદ મળે એવી શક્યતા વધુ રહેશે. રાજકીય પક્ષોની નીતિરીતિ નોખી ના હોય તો અને પક્ષપલટાઓ થકી લાભ ખાટવાનું વલણ હોય એ તો ભૂતકાળ બનવા ભણીનું વલણ બને તો નવાઈ નહીં. વચન અપાયાં, એનું પાલન થયું કે નહીં; એ માપદંડને આધારે રાજનેતાઓની મૂલવણીનો યુગ બેસશે. સામાજિક નેતાગીરી પણ હવે ભણેલા-ગણેલા-જાગૃત યુવકો-યુવતીઓ સંભાળતાં થશે એટલે આંબાઆંબલી નહીં, પણ નક્કર અમલીકરણની સમીક્ષા અપેક્ષિત મનાશે. રાજકીય પક્ષોની વિચારધારામાં સત્તા જ કેન્દ્રસ્થાને હોય તો સમરસ શાસન વ્યવસ્થા વ્યાપક બનતી જોવા મળે એવું આવતા દિવસોનું ચિત્ર ઊપસે છે.

ભૌગોલિક ફેરફારની પ્રબળ શક્યતા

લોક આકાંક્ષાઓ પ્રબળ થઈ રહી છે. સત્તામાં ભાગીદારીની અપેક્ષા અને જનજાગૃતિના આવતા દાયકામાં ગુજરાતના અત્યારના પ્રદેશો સ્વાયત્તતા માગતા થવાની શક્યતા પ્રબળ રહેવાની. સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું, કચ્છ પણ અલગ રાજ્ય હતું. આઝાદી પછીનાં આ બંને અલગ રાજ્યોમાં આવતા દાયકામાં અલગતાવાદી એટલે કે અલગ રાજ્યની ચળવળો ફરીને પ્રભાવી બને એવું અશક્ય નથી. પૂર્વના આદિવાસી પટ્ટામાં અલગ રાજ્યની ભાવનાને દાયકાઓથી પોષવામાં આવી છે. રાજ્યના શાસનમાં આદિવાસીઓને પૂરતું પ્રતિનિધિત્વ મળતું નથી એ ભાવના સાથે જ એ પ્રદેશની સ્વાયત્ત શાસનની ભાવના વધુ પ્રબળ થઈ રહી છે. છેક દાંતાથી લઈને વ્યારા લગી આદિવાસી સમાજમાં બોલી કે જીવનપદ્ધતિમાં ભલે નોખાપણું જોવા મળતું હોય, અલગ ભીલીસ્તાન માટેની માગણીનાં બીજ અંકુરિત કરે તો એને નકસલી ગણીને અવગણવાં એ તો સમગ્ર ગુજરાત માટે આત્મઘાતી ગણાશે. ઉત્તર ગુજરાત આજે કેન્દ્ર અને રાજ્યમાં શાસન વ્યવસ્થાને પ્રભાવિત કરે છે, પણ વિકાસની દૃષ્ટિએ એ પાછળ છે. ત્રણ-ત્રણ સહકારી ડેરીઓ ઉત્તર ગુજરાતના અર્થતંત્રને નભાવે છે. સહકારક્ષેત્રમાં રાજકીય હૂંસાતૂંસી ખૂબ છે. આવા સંજોગોમાં ઉત્તર ગુજરાત પણ ગુજરાતથી નોખું થઈને આનર્ત પ્રદેશ બનવાની જીદ પકડી શકે. દક્ષિણ ગુજરાત મુંબઈ સાથેના સંધાણથી સમૃદ્ધ છે. મધ્ય ગુજરાત વિદેશ સાથેના સંધાણથી નોખી ભાત પાડે છે. આમ છતાં રાજકીય હૂંસાતૂંસી અને સરકારી નીતિઓએ ઉદ્યોગોમાં જે પ્રકારની મંદી અને બેરોજગારીનો માહોલ સર્જ્યો છે એ જોતાં ગમે ત્યારે ગુજરાતમાં વિભાજન થકી પોતાનું ફોડી લેવાની ચળવળો જાગી શકે છે.

વચનપાલનની પ્રતિબદ્ધતાનો યુગ

તમામ રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનો ભણીથી ઠાલાં વચનોની પ્રાપ્તિ ગમે તે ભડકા સર્જી શકે એવા માહોલમાંથી બહાર નીકળવા આવતા દાયકાની શરૂઆતથી જ બોલ્યું પાળવાની દિશામાં ચોફેર આત્મચિંતન શરૂ થવાં સ્વાભાવિક છે. ગુજરાતીઓ પશ્ર્ચિમના દેશોમાં જઈ વચનપાલનની પ્રતિબદ્ધતાનો સ્વાદ ચાખે છે, પણ ઘરઆંગણે બધું ચાલશેનો ભાવ અનુભવે છે. આ સ્થિતિમાં હવે પરિવર્તન અપેક્ષિત જ નહીં, અનિવાર્ય છે. પ્રજા હવે ડંડો લઈને ઊભી રહેવાની પ્રબળ શક્યતા વચ્ચે હવે હિંદુ-મુસ્લિમ, સવર્ણ-દલિત-આદિવાસી, ભણેલા-અભણ, ગરીબ-તવંગર વચ્ચેના ટકરાવનાં રાજકારણ કે સમાજકારણ લાંબો વખત નહીં ચાલે. બોલ્યું પાળોનો મંત્ર આવતા દાયકામાં પ્રત્યેક ક્ષેત્રમાં પ્રભાવી બનવાની શક્યતા પ્રબળ જણાય છે. હવે પ્રજાજનો ફેક્ધયૂઝ કે પોસ્ટ ટ્રુથના ચક્કરમાં નથી આવવાનાં. ખેડૂતો અને મજૂર વર્ગમાં ભારે અજંપો વ્યાપેલો છે એને ઠારવા માટે શાસકો થકી થોડાંક બટકાંની લહાણી કરવાથી એ શાંત થવાની અપેક્ષા જરા વધુ પડતી ગણાશે. આવતો દાયકો જાગૃતિનો દાયકો હશે. પ્રજાને ભોળવીને એના મત અંકે કરી લેવાનો દાયકો નહીં હોય. વેપાર - ઉદ્યોગ - શિક્ષણક્ષેત્રમાં પણ વૈશ્ર્વિકસ્તર પરનાં પરિવર્તનો નિહાળીને ભારત હરણફાળ ભરે ત્યારે વધુ ઊંચાઈને કે અંતરને આંબવામાં ગુજરાત અને ગુજરાતીઓ અગ્રેસર રહેશે, એવો આશાવાદ જ નહીં, શ્રદ્ધા પણ પ્રત્યેક ગુજરાતીમાં અંકુરિત થતી દેખાય છે.

No comments:

Post a Comment