Wednesday 6 March 2019

Pakistan taught a lesson, War against Terrorism has to be on


પાકિસ્તાનની સાન ઠેકાણે લાવવા ભારતનો પરચો,આતંકવાદ વિરુદ્ધનો જંગ અખંડ
Pakistan taught a lesson, War against Terrorism has to be on
Dr.Hari Desai writes weekly column for Gujarat Samachar (London),Sanj Samachar (Rajkot), Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand), Hamlog (Patan) and Gandhinagar Samachar (Gandhinagar).You may read the full text and comment.
પાકિસ્તાનની સાન ઠેકાણે લાવવા ભારતનો પરચો,આતંકવાદ વિરુદ્ધનો જંગ અખંડ : ડૉ.હરિદેસાઈ

સદનસીબે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધ ટળ્યું. પાકિસ્તાનને એની નાની યાદ કરાવાઈ છતાં એણે તંગડી ભલે ઊંચી રાખી હોય, વાસ્તવમાં ભારતનું પલડું ભારે જ રહ્યું.ભારતીય લશ્કરી દળોએ પોતાની શક્તિનો પરચો બતાવ્યો, રાજકીય નેતાગીરીએ વિશ્વ સમક્ષ પોતાના શુભ ઈરાદાઓ પ્રસ્થાપિત કર્યા. હવે  લોકસભાની ચૂંટણીઓ સમયસર થવાની ઘોષણા પણ ચૂંટણી પંચે કરી.હવે ઇસ્લામાબાદ નવા અટકચાળા નહીં કરે અને સીધી મંત્રણા હમણાં શરૂ ના થાય તો પણ બેકડોર ડિપ્લોમસી મારફત બંને દેશો વચ્ચેના સંબંધો સ્થપાશે, એવી આશા તો જાગી છે.પુલાવામામાં સેન્ટ્રલ રિઝર્વ્ડ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના કાફલા પરપાકિસ્તાનપરસ્ત આતંકી જૂથ “જેશ-એ-મોહમ્મદ”ના ઈશારે ૧૪ ફેબ્રુઆરીએ ફિદાઈન હુમલો કરીને ૪૦થી વધુ જવાનોને શહીદ કરવાના ઘૃણાસ્પદ કૃત્યનો બદલો લેવા સમગ્ર દેશ સંગઠિતપણે તત્કાળ કાર્યવાહી ઝંખતો હતો. અપેક્ષા હતી એમ જ આખરે ૨૬ ફેબ્રુઆરીના મળસ્કે ભારતીય હવાઈ દળે પાકિસ્તાને ગપચાવેલા જમ્મૂ-કાશ્મીર (પીઓજેકે જેને આપણે પીઓકે કહીએ છીએ)માં બોમ્બવર્ષા કરીને ત્યાં ચલાવાતી ભારતદ્રોહી આતંકી છાવણીઓનો ખાત્મો બોલાવવાનું પગલું ભર્યું છે. મિશન હજુ અધૂરું છે. ભારતની લડાઈ પાકિસ્તાન સામે નહોતી,આતંકવાદ સામે રહી છે.ભારત ભણી આતંકની નિકાસ કરવાનું પાકિસ્તાન બંધ કરાવે અને ભારત સાથે મૈત્રી સંબંધ જાળવે.ભારતીય એરસ્ટ્રાઈકના બીજા જ દિવસે પાકિસ્તાને અટકચાળો કરીને ભારતીય હવાઈ સીમમાં ઘૂસવાનો અને લશ્કરી છાવણીઓ પર હુમલો કરવાનો જે પ્રયાસ કર્યો એમાં બંને પક્ષે વિમાન ગુમાવવાનો વખત તો આવ્યો,પણ ભારતીય એરફોર્સના ઝંબાઝ વિંગ કમાન્ડર અભિનંદનનું વિમાન તોડી પડાતાં એમણે ઈજેક્ટ થવું પડ્યું અને પાકિસ્તાનમાં પકડાયા.જોકે ભારતના પ્રયાસો અને વિશ્વના દેશોના દબાણને પરિણામે જીનિવા સંધિ મુજબ સપ્તાહ પછી અભિનંદનને પરત ભારતને સોંપવાને બદલે બે જ દિવસમાં સ્વદેશ પાઠવાયા એ દિલ્હીની કૂટનીતિક જીત લેખાવી શકાય.સાથે જ યુદ્ધ ટાળવાના સંજોગો બન્યા એ શુભ સંકેત કહી શકાય.ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કૂટનીતિક પ્રયાસો ઇસ્લામી દેશોના સંગઠન (ઓઆઇસી)માં પાકિસ્તાનને વિખૂટું પાડવામાં સફળ રહ્યા એ સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવી શકાય.લોકસભાની ચૂંટણી જીતવા માટે મોદી યુદ્ધજ્વરનો આ ખેલ ખેલી રહ્યાનો લવારો પાકિસ્તાનમાં સતત થતો રહ્યો,પણ વાસ્તવમાં પાકિસ્તાન પોતે જ જે ઓઆઈસીનું સંસ્થાપક હોય તેની પરિષદમાં ભારતનાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને માનવંતા મહેમાન તરીકે નિમંત્રણ મળે,એ એને સંબોધન કરે અને પાકે એનો બહિષ્કાર કરવો પડે; એ ભારે નાલેશી ઇસ્લામાબાદે વહોરવી પડી છે.
હજુ પાકના ચાર ટુકડા શક્ય
અમેરિકા પાકિસ્તાનનું આશ્રયદાતા હતું એ સંજોગોમાં પણ સીઆઈએ થકી એના મિત્ર દેશના ચાર ટુકડા થવાની શક્યતાના નકશા પ્રકાશિત થયા હતા: પંજાબ, સિંધ, બલૂચિસ્તાન અને વાયવ્ય પ્રાંત એટલે કે પખ્તૂનોનો પ્રાંત અલગ થઇ શકે. આજકાલ ભારતમાં પાકિસ્તાનના અસ્તિત્વને મિટાવી દેવાની ગાજવીજ ચાલે છે.પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરવા માત્રથી વાત પતતી નથી, વાસ્તવમાં આપણા પૂર્વજોએ તો લક્ષ્ય બાંધી આપ્યું છે તે મુજબ, વર્તમાન ભારત સાથે પાકિસ્તાન અને બાંગલાદેશ સહિતનો પ્રદેશ જોડીને ફરીને અખંડ ભારત સ્થાપિત કરવાનું છે. વર્ષ ૧૯૪૭માં સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નેહરુ સહિતના રાષ્ટ્રીય નેતાઓએ ક્યારેક એમના સાથી રહેલા મોહમ્મદ અલી ઝીણાની વિશાળ પાકિસ્તાન (આસામ સહિતના સંપૂર્ણ બંગાળ અને સંપૂર્ણ પંજાબ)ની અપેક્ષાથી વિપરીત “છિન્નભિન્ન” (truncated : ટર્નકેટેડ) પાકિસ્તાન તરીકે “સડતા અંગ સમાન”ને કાપી ફેંકવાનું પસંદ કર્યું હતું. વિભાજનનો અનિચ્છાએ સ્વીકાર કરાયા છતાં “હિંદુ અને મુસ્લિમ બંને અલગ રાષ્ટ્ર છે” એવી ઝીણાની “ટુ-નેશન” થિયરીને એ વખતે ગાંધીજી, પંડિત નેહરુ, સરદાર કે મૌલાના આઝાદ સહિતના નેતાઓ સ્વીકારી શક્યા નહોતા. ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનનું બાંગલાદેશમાં ફેરવાઈ જવું એ “ટુ-નેશન” થિયરીની નિષ્ફળતાનું ઝગારા મારતું ઉદાહરણ હતું. વિભાજન વેળા પણ સરદાર પટેલને શ્રદ્ધા હતી કે આજે પાકિસ્તાન ભલે અલગ થતું હોય, પણ અંતે તો એ ભારત સાથે ભળી જ જવાનું છે. સરદારે આંખમાં આંજેલા સ્વપ્નનું એ અંતિમ મિશન હજુ પૂરું કરવાની જવાબદારી વર્તમાન પેઢીની છે.
ભારત ભણી ઘૃણા પર ટકેલું અસ્તિત્વ
પ્રારંભથી જ પાકિસ્તાનનું અસ્તિત્વ ભારત ભણી ઘૃણા કે નફરત પર ટકેલું છે. એના રાષ્ટ્રપિતા કાઇદ-એ-આઝમ માંડ એક વર્ષ અને અગિયાર દિવસમાં જ અલ્લાહને પ્યારા થઇ ગયા, પણ એ પહેલાં એમણે બ્રિટિશ ઇન્ડિયાના વિભાજનના કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે કરાંચી (એ વેળાની રાજધાની)માં પહેલા ભારતીય હાઈકમિશનર શ્રીપ્રકાશને તેડાવીને વડાપ્રધાન નેહરુને સંદેશ પાઠવ્યો હતો કે મારે પાછા ફરવું છે. જૂનાગઢના નવાબે પણ પાછા ફરવા શ્રીપ્રકાશ કને દાણો દાબી જોયો હતો. જોકે ઝીણાના ઇન્તકાલ પછી તો પાકિસ્તાનમાં રાજકીય હત્યાઓ અને લશ્કરી તાનાશાહોનો દોર ચાલ્યો. ભારત ભણી નફરતના બાવળિયા ઉગાડનારાઓની બોલબાલા રહી. પ્રત્યક્ષ યુદ્ધોમાં પાકિસ્તાનનો પનો ટૂંકો પડતો રહ્યો એટલે છેવટે એણે પ્રોક્ષી વોરનો માર્ગ અપનાવીને  ક્યારેક ખાલિસ્તાન તો ક્યારેક કાશ્મીરની આઝાદીનો રાગ આલાપતા ઉગ્રવાદીઓને પોષી ભારતને કનડવાનું ચાલુ રાખ્યું. અમેરિકાનું ઓશિયાળું પાકિસ્તાન વ્યૂહાત્મક રીતે મહાસત્તાઓને માટે મહત્વનું થાણું હોવાને કારણે વોશિંગ્ટનના ઈશારે ઇસ્લામાબાદ (રાજધાની) આર્થિક રીતે પોષાતું રહ્યું. તેના પર ચલણ તો રાવલપિંડી (લશ્કરી મુખ્યાલય)નું જળવાયું. સાઉદી અબજોપતિ ઓસામા-બિન-લાદેનને આતંકી તાલીમ આપીને પાકિસ્તાનને મારગ અમેરિકા જ  સોવિયેત પ્રભાવમાં આવેલા અફઘાનિસ્તાનમાં પાઠવતું રહ્યું. આખરે ગળાનું હાડકું બનેલા એ જ લાદેનનો અમેરિકાએ જ અંત કર્યો.
ચીન અને અમેરિકાની ફોજદારી હેઠળ
આજે અફઘાનિસ્તાનમાંથી પાછું હટવાની કશ્મકશ અનુભવતા અમેરિકાને પણ પાકિસ્તાનનો ખપ છે. પાકિસ્તાનને અમેરિકાએ આપેલી સહાય  આતંકીઓને પોષવામાં વપરાતી રહી. એમાંના ઘણા આતંકી  ભારત સામે ઉપયોગમાં લેવાયા.એ પરંપરા હજુ અખંડ છે. દુનિયાભરના તાનાશાહો અને આતંકીઓને પોષતા અમેરિકાએ દેખાડા પૂરતું ઈસ્લામાબાદની સહાય ઘટાડીને એને નર્તન કરાવવા ચાહ્યું તો એનો હાથ ચીને ઝાલ્યો. ભારત-પાક યુદ્ધમાં ચીન પાકિસ્તાનની પડખે રહે તો અમેરિકા કે ઇઝરાયલ ભારતની મદદે આવે, એવું માનનારા કે મનાવનારા ભોંય ભૂલે છે.ચીનમાં અમેરિકાની સેંકડો કંપનીઓ કાર્યરત છે, એટલું જ નહીં, અમેરિકામાં રહેલી ચીનની ૩૦ ટકાથી વધુ અનામતો બીજિંગ પરત ખેંચે તો અમેરિકી અર્થતંત્ર મંદીમાં સપડાઈ શકે. ચીન અને સાઉદી અરેબિયા હજુ પાકિસ્તાનના વાલીપણાની ગવાહી આપતાં અમેરિકા સાથે ધરી ગોઠવે છે, એ વાત રખે ભૂલાય. અમેરિકી ઈશારે નર્તન કરતા સાઉદીના પાટવીકુંવર ઈસ્લામાબાદથી બીજિંગ વાયા દિલ્હી કંઇ અમસ્તા જતા નથી. પાકિસ્તાન ચીનનો ૩૪મો પ્રાંત (તાઇવાન હજુ અલગ છે એટલે) ગણાય છે. ચીન માટે ઇસ્લામિક દેશોમાં થઈને આફ્રિકા લગી પગદંડો જમાવવાનું ફાયદામાં છે.
રાજદ્વારી કે કૂટનીતિક બાબતો સમજીએ
રાજદ્વારી સંબંધો (Diplomatic Relations : ડિપ્લોમેટિક રિલેશન્સ) અને રાજકીય બાબતો ( Political Affairs : રાજકીય બાબતો) વચ્ચે ઘણો ફરક છે. પાકિસ્તાનને ખતમ કરવાની ભાષા ભારતીય શાસકો તરફથી વપરાય કે ભારતને બરબાદ કરી દેવાની ભાષા પાકિસ્તાની શાસકો તરફથી વપરાય ત્યારે એ વાસ્તવમાં યુદ્ધનો  ઉન્માદ  તૈયાર કરવા કે પ્રજાનું મનોબળ ટકાવવાથી વિશેષ હોતું નથી.યુદ્ધ થાય તો બંને દેશોએ આર્થિક બરબાદી વહોરવી પડે છે. જરૂરી નથી કે યુદ્ધમાં હાર-જીત રાજકીય હાર-જીતમાં જ પરિણામે. વિન્સ્ટન ચર્ચિલ અને ઇન્દિરા ગાંધીના શાસન દરમિયાન યુદ્ધ જીત્યા પછી પણ તેમના પક્ષ હાર્યાના દાખલા છે. એની સામે કારગિલ યુદ્ધના છમકલામાં ભારત વિજયી બન્યા પછી અટલ બિહારી વાજપેયીની પાર્ટી જીતી પણ છે. ખુલ્લેઆમ યુદ્ધ તો રાજકીય જુગાર ખેલવા જેવું હોય છે. આવા તબક્કે, પાડોશી દેશના આતંકી અટકચાળાને સર્જિકલ સ્ટ્રાઈક કે પુલવામા હુમલા પછી હવાઈદળની કાર્યવાહી જેવા પાઠ ભણાવીને સામેવાળાની સાન ઠેકાણે ના જ આવે તો વધુ વ્યાપક યુદ્ધ જેવી કાર્યવાહી થઇ શકે.દરમિયાન, બંને બાજુથી મિત્રદેશો વચ્ચે સમાધાનના પ્રયાસો પણ અખંડ રહેવા ઘટે. દિલ્હી અને ઇસ્લામાબાદ બેઉ આ મુદ્દે સમજણભર્યા મારગનું અનુસરણ કરી જ રહ્યાં છે. અંતિમ લક્ષ્ય તો અખંડ ભારત સાકાર કરવાનું છે. મિશન પાર પડે ત્યાં લગી પાડોશીઓ બદલી શકાતા નથી, છતાં મડાગાંઠો ઉકેલવાના પ્રયાસો સતત થવા ઘટે. યુદ્ધજ્વરમાં કોઈ દેશ પ્રગતિ સાધી શકે નહીં, સંવાદથી  જ પ્રશ્નો હલ થઇ શકે.
“જંગ ન હોને દેંગે” જ મિશન
સરદાર પટેલના એ શબ્દોનું અહીં સ્મરણ થાય છે કે પાકિસ્તાન પોતાની રીતે પ્રગતિ કરે તો આપણને આનંદ થશે,પણ “હમારી બાતોં મેં જ્યાદા કીટપીટ કરેગા તો ઠોક ડાલેંગે”.યુદ્ધ એ અંતિમ ઉપાય હોય છે અને એમાં કોઈ જીતતું નથી.બંને દેશ હારે જ છે; પણ નાછૂટકે યુદ્ધમાં જવાનું થતું હોય છે.બંને દેશના અર્થતંત્રની ખાનાખરાબી થાય અને માનવસંસાધન પણ ગુમાવવાનો વારો આવે.ટેડ ટોકમાં વૈજ્ઞાનિક બ્રિયાન ટૂનેગત વર્ષે ભારત-પાક વચ્ચે અણુયુદ્ધ થાય તો કેટલી ખાનાખરાબી થાય,એના શરીરમાંથી લખલખુ પસાર થઇ જાય એવી વિગતો આપી હતી.હિરોસિમા અને નાગાસાકી પર દ્વિતીય યુદ્ધમાં અણુ બોમ્બ ઝીંકાયા એની અસરો જોયા પછી આજે  કોઈ દેશ આવું ગાંડપણ કરવાનું વિચારે નહીં.અને એટલે જ વડાપ્રધાન રહેલા “કવિ કૈદીરાય”અટલ બિહારી વાજપેયીની બહુ જ જાણીતી કવિતા “જંગ ન હોને દેંગે”ની પંક્તિઓ અહીં ટાંકવાનું  મન થયા વિના રહેતું નથી:

“હથિયારોં કે ઢેરોં પર જિનકા હૈ ડેરા,
મુંહ મેં શાંતિ, બગલ મેં બમ,ધોખે કા ફેરા,
કફન બેચને વાલોં સે કહ દો ચિલ્લાકર,
દુનિયા જાન ગઈ હૈ ઉનકા અસલી ચેહરા,
કામયાબ હોં ઉનકી ચાલેં,ઢંગ ન હોને દેંગે.
જંગ ન હોને દેંગે.
હમેં ચાહિએ શાંતિ, જિંદગી હમકો પ્યારી,
હમેં ચાહિએ શાંતિ,સૃજન કી હૈ તૈયારી,
હમને છેડી જંગ ભૂખ સે,બીમારી સે,
આગે આકર હાથ બટાએં, દુનિયા સારી.
........
ભારત-પાકિસ્તાન પડોસી,સાથ-સાથ રહના હૈ,
પ્યાર કરેં યા વાર કરેં, દોનોં કો હી સહના હૈ,
તીન બાર લડ ચુકે લડાઈ, કિતના મહેંગા સૌદા,
રૂસી બમ હોં યા અમેરિકી, ખૂન એક કા બહાના હૈ.
જો હમ પર ગુજરી બચ્ચોં કે સંગ ન હોને દેંગે.
જંગ ન હોને દેંગે.”

ઈ-મેઈલ : haridesai@gmail.com


No comments:

Post a Comment