Wednesday 26 December 2018

New Era of Grace instead of contempt in Indian Politics


Dr. Hari Desai writes weekly column in Gujarat Samachar ( London), Sanj Samachar (Rajkot), Gujarat Guradian (Surat), Sardar Gurjari( Anand), Hamloag (Patan) and Gandhinagar Samachar (Gandhinagar). You may read the full text and comment. 
ભારતીય રાજકારણમાં ધિક્કારને બદલે ગરિમાના નવયુગનાં મંડાણ : ડૉ.હરિ દેસાઈ
·         પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પરાજય છતાં રાહુલે  “ભાજપમુક્ત ભારત”ના સૂત્રને નકાર્યું
·         નવા જ વરાયેલા કોંગ્રેસી મુખ્યમંત્રીઓના શપથવિધિ મંચ પર પરાજિત ભાજપી મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિ
·         નેતાગણ માટે બ્રેકફાસ્ટ  જયપુરમાં, બપોરનું લંચ ભોપાલમાં અને સાંજનું ડીનર રાયપુરમાં લેવાના સંજોગો
·         મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના નવા મુખ્યમંત્રીઓએ ખેડૂતોનાં દેવાં માફ કરતાં હવે ભાજપ ભીંસમાં 

રાષ્ટ્રીય સ્તરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉદય પછીનાં વર્ષોમાં સંભવતઃ પહેલીવાર ભારતના હૃદયસમા ભોપાલ, જયપુર અને રાયપુરમાં નવા કોંગ્રેસી મુખ્યમંત્રીઓના શપથવિધિમાં રાજકીય ભાંડણલીલાને બદલે પારસ્પારિક આદર અને ગરિમાનાં દર્શન થયાં. ગુજરાતમાં ગયા ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ રાહુલ ગાંધીએ નોખું વ્યક્તિત્વ ઉપસાવ્યું હતું. હવે તેમને અધ્યક્ષપદ ગ્રહણ કર્યાનું એક વર્ષ પૂર્ણ થયું એ જ દિવસે એટલે કે ૧૧ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર રચવા જેવાં પરિણામોની તેમને સોગાદ મળી હતી.આ રાજ્યોમાં રાહુલના નેતૃત્વમાં પક્ષના નેતાઓએ મજબૂત ટીમ તરીકે કામ કરીને પરાજયની પરંપરાના વલણને વિજયમાં ફેરવ્યું છે. ”કોંગ્રેસમુક્ત ભારત”ના ભાજપી મોવડીમંડળના આલાપને લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીની સેમી-ફાયનલ લેખાતી પાંચ  રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામોએ જોરદાર ફટકો આપ્યો છે. એટલું જ નહીં, કોંગ્રેસ હિંદીક્ષેત્રમાં ત્રણ ભાજપશાસિત રાજ્યોમાં ભાજપને સત્તાથી દૂર રાખીને વિપક્ષી એકતા સાથે મોદીના નેતૃત્વ સામે પડકાર બનીને ઉપસી છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ.ફિલ.ની પદવી મેળવનાર  રાહુલે “કોંગ્રેસમુક્ત ભારત” સામે “ભાજપમુક્ત ભારત”ના સૂત્રને નકારી કાઢીને પણ પરિપક્વતા દર્શાવી છે. ભારતનાં ૨૯ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૩૧માં વિધાનસભાઓ છે. આમાંથી માંડ ૧૦ વિધાનસભાઓમાં ભાજપ એકલેહાથે બહુમતી સાથે સરકાર ધરાવે છે.દેશમાં તેના ૧૨ મુખ્યમંત્રી છે.કોંગ્રેસના પાંચ મુખ્યમંત્રી રહ્યા છે.બાકીના અન્ય પક્ષોના છે. 
ભાજપની નેતાગીરીનું માથું ભાંગે એવા અનુભવી કેન્દ્રીય મંત્રી રહેલા અને વડાંપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના ત્રીજા પુત્ર લેખાવા જેટલી નિકટતા ધરાવતા કમલ નાથ (૭૨) લોકસભાની નવ મુદત પછી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેતાંની સાથે જ ચૂંટણી વચનોના અમલમાં કામે વળ્યા છે. રાજસ્થાનમાં અનુભવી અશોક ગેહલોત (૬૭) ત્રીજી મુદત માટે મુખ્યમંત્રી બન્યા અને સાથે યુવા નેતા અને કેન્દ્રમાં મંત્રી રહેલા સચિન પાઈલટ (૪૧) નાયબ મુખ્યમંત્રી બન્યા.સચિન અગાઉ કેન્દ્રમાં મંત્રી રહેલા સ્વ. રાજેશ પાઈલટના પુત્ર અને જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી રહેલા ડૉ.ફારુક અબદુલ્લાના જમાઈ છે. અવિભાજિત મધ્યપ્રદેશ અને છત્તીસગઢની અગાઉની સરકારોમાં મંત્રી રહેલા અને વર્ષ ૨૦૧૩ના માઓવાદી હુમલામાં રાજ્ય કોંગ્રેસના ટોચના ૨૯ નેતા માર્યા ગયા પછી પણ રાજ્યમાં કોંગ્રેસને મજબૂત કરનાર ભૂપેશ સિંહ  બઘેલ (૫૭) છત્તીસગઢમાં મુખ્યમંત્રી થયા અને તેમના સાથીઓ ટી.એસ.સિંહદેવ અને તામ્રધ્વજ સાહૂએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. બઘેલ સિવાયના નવા મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી લોકસભાના સભ્ય હોવાને કારણે તેમણે વિધાનસભામાં ચૂંટાવાનું રહેશે. 
હજારોની ઉપસ્થિતિ મેદાનમાં સમારંભ  
કોંગ્રેસના મુખ્યમંત્રીઓનો શપથવિધિ ખુલ્લા મેદાનમાં હજારો લોકોની ઉપસ્થિતિમાં યોજાય એવો અવસર ઘણાં વર્ષ પછી આવ્યો.જયપુરના ૧૩૧ વર્ષ જૂના આલ્બર્ટ હોલ ખાતેના મેદાનમાં સવારે સાડા દસના સુમારે હજારો સમર્થકોની ઉપસ્થિતિમાં રાજ્યપાલ કલ્યાણ સિંહે મુખ્યમંત્રી ગેહલોત અને તેમના મંત્રી તરીકે પાઈલટને, જે નાયબ મુખ્ય મંત્રી વરાયા, હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. અગાઉ ૨૦૦૮માં કોંગ્રેસના મુખ્યમંત્રી તરીકે ગેહલોતનો શપથવિધિ રાજભવનમાં જ યોજાયો હતો. ભોપાલમાં પણ જંબોરી  મેદાનમાં રાજ્યપાલ આનંદીબહેન પટેલે બપોરે ૨.૩૦ વાગ્યે મુખ્યમંત્રી તરીકે કમલ નાથને શપથ લેવડાવ્યા હતા. સાંજે  સાડા પાંચના સુમારે રાજ્યપાલ આનંદીબહેન પટેલે રાયપુરના બલવીર સિંહ સ્ટેડિયમ ખાતે મુખ્યમંત્રી બઘેલ અને બંને મંત્રીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને વિપક્ષી નેતાઓ તેમજ હજારો સમર્થકો આ ઐતિહાસિક ક્ષણોના સાક્ષી થવા માટે ઉમટ્યા હતા. સંયોગ તો જુઓ કે એક જ દિવસે ત્રણ-ત્રણ કોંગ્રેસી મુખ્યમંત્રીઓના શપથવિધિમાં હાજર નેતાગણ માટે સવારનો બ્રેકફાસ્ટ  જયપુરમાં, બપોરનું લંચ ભોપાલમાં અને સાંજનું ડીનર રાયપુરમાં લેવાના સંજોગો હતા.

પરાજિત ભાજપી મુખ્યમંત્રીઓ મંચ પર
છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતીય રાજકારણમાં સત્તાધીશો અને વિપક્ષો વચ્ચે ઘૃણા અને આક્ષેપબાજીની જ ઝાકમઝોળ હતી ત્યાં તાજેતરમાં ત્રણ રાજ્યોમાં કોંગ્રેસના મુખ્યમંત્રીઓના શપથવિધિમાં તેમણે જેમને તાજી ચૂંટણીમાં જ હરાવ્યા છે એવા ભાજપના મુખ્યમંત્રીઓ ગરિમાપૂર્વક હાજર રહ્યા  એટલું જ નહીં,નવી પરંપરા તરીકે તેમને મંચ પર બિરાજમાન કરવામાં આવ્યા.ત્રણેય પૂર્વ મુખ્યમંત્રીઓ ભાજપની વર્તમાન નેતાગીરી નારાજ થાય એટલી હદે નવા મુખ્યમંત્રીઓને ભેટતા અને અભિનંદન આપતા નજરે પડ્યા.ત્રણેય ભાજપી પૂર્વ મુખ્યમંત્રી  વર્તમાન વડાપ્રધાન કરતાં પક્ષમાં વરિષ્ઠ છે અને એમાંના બે એટલે કે રાજસ્થાનનાં મુખ્યમંત્રી રહેલાં અને ગ્વાલિયર રાજવી પરિવારનાં વસુંધરા રાજે અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહેલા અને ક્યારેક વડાપ્રધાનપદના સ્પર્ધક ગણાતા સંઘનિષ્ઠ ઓબીસી નેતા  શિવરાજસિંહ ચૌહાણને તો પક્ષનું મોવડીમંડળ નેતાપદેથી રુખસદ આપવાની તરફેણમાં હતું. અનિચ્છાએ તેમના નેતૃત્વમાં ચૂંટણી લડવાનો નિર્ણય કરવો પડ્યો હતો. ડૉ.રમણ સિંહ રાજપૂત હોવા છતાં મોવડીમંડળ સાથે ટકરાવાનું પસંદ નહોતા કરતા. જોકે તેમની પ્રકૃતિ અકળ લાગતી રહી છે.

ભોપાલમાં મંચ પરથી મુખ્યમંત્રી કમલ નાથ, પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કોંગ્રેસી સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ એકમેકના હાથ પકડીને જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. વડોદરાના ગાયકવાડ રાજવી પરિવારના જમાઈ અને વસુંધરાના ભત્રીજા જ્યોતિરાદિત્યને ફોઈ પક્ષભેદ ભૂલીને રીતસર ભેટી પડ્યાં હતાં. વિપક્ષ પ્રત્યે ઘૃણાભાવના  પ્રવર્તમાન રાજકારણમાં આ ત્રિપુટીનું કોંગ્રેસના નેતાઓ સાથે આટલું હળવુંભળવું એ “ભાજપ બદલ રહા હૈ”નો સંદેશ જરૂર આપે છે. નવાઈ તો એ વાતની હતી કે ભાજપના વયોવૃદ્ધ નેતા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહેલા બાબુલાલ ગૌડે પોતાના જ પક્ષના નેતા શિવરાજ સિંહ સાથે હાથ પણ  મિલાવવાનું ટાળીને કોંગ્રેસના સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહનો હાથ પકડીને બેઠકસ્થળે જવાનું પસંદ કર્યું હતું. ભાજપના નેતા અને  મુખ્યમંત્રી રહેલા કૈલાસ જોશીએ પણ રાષ્ટ્રવાદી પક્ષના સુપ્રીમો શરદ પવાર સાથે રહેવાનું પસંદ કર્યું હતું. આ બધા સંકેત કોંગ્રેસ કરતાં ભાજપ માટે વધુ અપશુકનિયાળ સાબિત થઇ શકે છે. 
વિપક્ષી એકતાની મજબૂતીનો સંકલ્પ
છેલ્લે છેલ્લે બેંગલૂરુમાં ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવે ગૌડાના પુત્ર અને કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામી તેમ જ નાયબ મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસના નેતા જી.પરમેશ્વરના મે ૨૦૧૮માં યોજાયેલા શપથવિધિમાં વિપક્ષની ભવ્ય એકતાનાં દર્શન થયાં હતાં.મોટાભાગના ભાજપ અને મોદી વિરોધી વિપક્ષોના નેતાઓ એકમંચ પર આવ્યા હતા. એ પછી રાજસ્થાન,મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કોંગ્રેસી મુખ્યમંત્રીઓના શપથવિધિમાં વિપક્ષી નેતાઓની હાજરી કરતાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનરજી, બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ કેમ ગેરહાજર રહ્યાં એની વિશેષ ચર્ચા થઇ. તૃણમૂલના સાંસદ દિનેશ ત્રિવેદીને મમતાએ સમારંભમાં પાઠવ્યા હતા. શપથવિધિના દિવસે જ વર્ષ ૧૯૮૪માં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા તેમનાજ બે શીખ સુરક્ષા કર્મચારીઓએ કરી એને પગલે દિલ્હીમાં શીખોની હત્યાના તાંડવ સંદર્ભના ખટલામાં કોંગ્રેસના સાંસદ રહેલા સજ્જન કુમારને દિલ્હીની વડી અદાલતે જનમટીપની સજા ફરમાવી એટલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ તો જયપુર એરપોર્ટથી પાછા ફરી ગયા હતા.તેઓ પક્ષ વતી સમારંભમાં હાજરી આપવા આવ્યા હતા પણ પક્ષે તેમણે પરત બોલાવી લીધા હતા. 
ખેડૂતોનાં દેવાંમાફીનો તત્કાલ નિર્ણય
કોંગ્રેસની સરકાર બનવાના ૧૦ દિવસમાં ખેડૂતોનાં દેવાં માફ કરાશે, એવું વચન પક્ષના અધ્યક્ષ રાહુલે ચૂંટણીસભાઓમાં આપ્યું હતું. જોકે શપથ લેતાંની સાથે જ મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓએ તો રાજ્યના ખેડૂતોનાં દેવાં માફ કરવાના વચનનું પાલન કરતા આદેશ બહાર પાડ્યા એટલું જ નહીં, રાજસ્થાનના નવા શાસકે પણ પહેલી જ કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કરવાના હોવાની જાહેરાત કરી હતી. ભાજપની નેતાગીરી આજકાલ ખેડૂતોનાં દેવાં માફ કરવાની બાબતમાં પ્રબોધન કરે છે,પણ મે ૨૦૧૪ની ચૂંટણીના પ્રચારમાં વડાપ્રધાનપદના ઉમેદવાર મોદીએ આપેલાં અનેક વચનોમાં દેશભરના ખેડૂતોનાં દેવાં માફ કરવાનો નિર્ણય સરકાર બનતાંની સાથે જ પહેલી કેબિનેટ બેઠકમાં સર્વપ્રથમ લેવાશે, એવું જણાવ્યા છતાં સાડા ચાર વર્ષ પછી હજુ એ અગસ્ત્યના વાયદા જેવું જ રહ્યું છે. હવે ભાજપનું વાજું બદલાયું  છે કે દેવાંમાફી એ ઈલાજ નથી,પણ ભાજપની જ ઉત્તર પ્રદેશ સરકારે પહેલાં ખેડૂતોનાં  દેવાં માફ કરવાનો નિર્ણય પહેલી કેબિનેટમાં લઈને પાછળથી માત્ર ખેડૂતોની લોન પરના વ્યાજને માફ કરવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસની ત્રણ સરકારોએ આવતાંવેંત જ દેવાં માફી કરી એટલે આસામની ભાજપ  સરકારે પણ ખેડૂતોનાં દેવાંમાફી જાહેર કરી દીધી.ગુજરાતની ભાજપ સરકારે આચાર સંહિતા અમલમાં હોવા છતાં જસદણની ચૂંટણીને ધ્યાને રાખીને ૬૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ રકમની વિજ બિલની માફી જાહેર કરી છે.અગાઉ મહારાષ્ટ્રની ભાજપ સરકારે પણ ખેડૂતોનાં દેવાં માફ કર્યાં હતાં. ઓડિશામાં પણ ભાજપના પ્રદેશ પ્રમુખ પાંડાએ સત્તામાં આવીશું કે તૂર્તજ ખેડૂતોનાં દેવાં માફ કરવા ઉપરાંત ખેડૂતોને વગર વ્યાજની લોન આપવાની જાહેરાત કરી છે. 
ભાજપના આવા વાયદાથી પ્રજા હવે વિશ્વાસ મૂકતી નથી, એ તાજેતરની ચૂંટણીનાં પરિણામોએ દર્શાવ્યું છે.એટલે જ કોંગ્રેસની સરકારો રચાતાં જ ખેડૂતોનાં દેવાં માફ કરવાનો લિખિત આદેશ ભોપાલ, જયપુર  અને રાયપુરે કરી દીધો છે. મધ્યપ્રદેશના ૩૩ લાખ,રાજસ્થાનનાં ૯૧ હજાર  અને છત્તીસગઢના ૧૬.૬૫ લાખ ખેડૂતોને દેવાંમાફીનો લાભ મળશે, એવું જાહેર થયું. ભાજપનાં ઘણાં ચૂંટણીવચનો  ઠાલા વાયદા સાબિત થયા હોય ત્યારે કોંગ્રેસ સત્તામાં આવતાંની સાથે જ વચનો પાળવાની શરૂઆત કરે તો એનો સારો સંદેશ પ્રજામાં જાય અને આગામી એપ્રિલ કે મે ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કંઈક આસમાનીસુલતાની થઇ શકે, એવી  કોંગ્રેસ મોવડીમંડળની ગણતરી જણાય છે. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૨૮૨ બેઠકો સાથે બહુમતી મળી હતી.આજે એ આંકડો ૨૭૧નો જ રહ્યો છે.ભાજપ પેટા ચૂંટણી હરતો રહ્યો છે અને એના કેટલાક સાથી પક્ષો પણ વાડ ઠેકવામાં છે. હવે રાહુલબાબા અને બીજા રાજકીય પક્ષો ભાજપને સંયુક્ત પડકાર આપવાની વેતરણમાં છે. મહાગઠબંધન થવા પહેલાં જ એ તૂટી જવાની આગાહીઓ મીડિયાના મિત્રો કરવામાં સવિશેષ રસ લઇ રહેલા લાગે છે.જોકે લોકશાહીમાં સફળતા નિષ્ફળતા જનતાને હાથ છે.

ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment