Wednesday 31 October 2018

Sardar Patel wrote Diary only for 45 Days in Jail


Dr.Hari Desai writes weekly column in Gujarat Samachar (London), Sanj Samachar (Rajkot), Sardar Gurjari(Anand) , Gandhinagar Samachar (Gandhinagar) and other Dailies.
ફક્કડ ગિરધારી સરદાર પટેલની જેલ ડાયરીનાં પાનાં: ડૉ. હરિ દેસાઈ
  • ·         ૧૯૨૯થી સરદારનાં અંગત સચિવ મણિબહેને નોંધ્યું છે: સરદારને ક્યારે વડા પ્રધાનપદાની મહેચ્છા હતી જ નહીં.
  • ·         મંદિરે નહીં જતા સરદારની ઈશ્વરમાં અપ્રતીમ શ્રદ્ધા અને એટલી જ શ્રદ્ધા ગાંધીજીમાં હોવાની હકીકત ઝગારા મારે છે
  • ·         ૭ માર્ચ ૧૯૩૦થી ૨૨ એપ્રિલ ૧૯૩૦ સુધી પટેલે  પોતાના હાથે, ગુજરાતીમાં, પહેલી અને છેલ્લી વાર ડાયરી લખી
  • ·         ૧૩ ડિસેમ્બર ૧૯૪૭ના રોજ પંડિત નેહરુની કૅબિનેટે સોમનાથનો જીર્ણોદ્ધાર સરકારી ખર્ચે કરવાનો નિર્ણય લીધો’તો  

છેલ્લાં કેટલાંય વર્ષોથી બૅરિસ્ટર સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કવન પર સંશોધન કરતાં આ રાષ્ટ્રનાયકનાં ઓછાં જાણીતાં પાસાં શોધવાની ખેવના ખરી. હજુ ઘણા વિદ્વાનો વલ્લભભાઈને સરદારનું બિરુદ મહાત્મા ગાંધીએ બારડોલી સત્યાગ્રહ વેળા આપ્યાનું ગજવે છે, ત્યારે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પીએચ.ડી. સંશોધકે બારડોલી ક્ષેત્રના અકોટી ગામનાં ભીખીબહેને સૌપ્રથમ સરદારતરીકે વલ્લભભાઈને સંબોધ્યાનું શોધી કાઢ્યાનું સ્મરણ થયા વિના રહેતું નથી. બિચ્ચારા બાપડાવલ્લભભાઈને વડા પ્રધાન નહીં બનાવીને મહાત્મા ગાંધીએ ભારે અન્યાય કર્યાની કથાઓ આગળ કરાય છે. પોતાનાં રાજકારણ ચમકાવનારાઓ થકી સરદારના અનુજ એવા પંડિત જવાહરલાલ નેહરુને ભાંડવાના સન્નિપાતની હવા કાઢવાનું કામ તો છેક ૧૯૨૯થી તે સરદાર જીવ્યા ત્યાં લગી એમનાં અંગત સચિવ તરીકે પડછાયો બની રહેલાં (અને દીકરી પણ ખરાં!) મણિબહેને જ કર્યું હતું. સરદાર પટેલના અત્યંત  વિશ્વાસુ અને “હિંદુસ્તાન ટાઈમ્સ”ના મુખ્ય તંત્રી રહેલા દુર્ગા દાસે વર્ષ ૧૯૭૧માં સંપાદિત કરેલા દસ ગ્રંથની શ્રેણીની પ્રસ્તાવનામાં મણિબહેને નોંધેલા શબ્દોનું સ્મરણ થાય છેઃ સરદારને ક્યારે વડા પ્રધાનપદાની મહેચ્છા હતી જ નહીં.
સરદાર પટેલને અન્યાયની વાત્યું કરનારાઓ પોતાને અત્યારની પ્રજા મત આપીને ન્યાય તોળે એ મહેચ્છામાં જ રમમાણ છે. પક્ષ કોઈ પણ હોય, કોંગ્રેસના સૌથી મજબૂત નેતા વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ જીવ્યા ત્યાં લગી સિંહની જેમ જીવ્યા, બિચ્ચારા બાપડા તરીકે નહીં. સાદગીમાં જીવ્યા. આજનો કોઈ પણ પક્ષનો નેતા વલ્લભભાઈ તોલે આવી શકવાની હેસિયત ધરાવતો નથી. એ વલ્લભભાઈ ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ આ ફાની દુનિયા છોડી ગયા ત્યારે એમનું બૅંક બૅલેન્સ હતું રોકડા ૨૬૨ રૂપિયાનું! એક દાંડીનાં ચશ્માં પહેરનારા, સાંધેલો ઝભ્ભો વહાલો કરનારા આ રાષ્ટ્રનાયક આગળ દુનિયાના સૌથી ધનાઢ્ય એવા બાદશાહોમાં નિઝામ જેવા પણ ધ્રૂજતા હતા એટલું જ નહીં, અંગ્રેજ શાસકોને કાયમ વલ્લભભાઈના શબ્દોમાં ભરોસો રહેતો. ૩૧ ઓક્ટોબરે (સરદારના સત્તાવાર મનાતા જન્મદિવસે) ગુજરાતમાં કેવડિયા ખાતે સરદારની વિશ્વમાં સૌથી ઊંચી એટલે કે ૧૮૨ મીટરની પ્રતિમાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરે ત્યારે હરખ થવો સ્વાભાવિક છે. સાથે જ વર્તમાન કાળના સર્વપક્ષી રાજનેતા સરદાર પટેલના જીવનમાંથી બે ચોગળું અનુસરણ કરવા જેવી વાતો જીવનમાં ઉતારે એટલી અપેક્ષા પણ ખરી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ સાબરમતી આશ્રમ, અમદાવાદથી દાંડી, દક્ષિણ ગુજરાત લગીની દાંડીકૂચ આદરવાનો સંકલ્પ કર્યો ત્યારે સરદાર પટેલે એની આગોતરી તૈયારીરૂપ જનજાગરણ અને ધર્મયુદ્ધના ટંકાર માટે લોકોને દાંડીકૂચ માટે તૈયાર કરવાનો કાર્યક્રમ આદર્યો. મીઠાના કાયદામાં પ્રજાનું શોષણ થતું હોવાને કારણે એ તોડીને અંગ્રેજ સરકાર વિરુદ્ધ જનઆંદોલન ખડું કરવાનો અને એય પાછું બાપુને અભિપ્રેત અહિંસક જનઆંદોલન હાથ ધરવાનું.
વલ્લભભાઈની કનકાપુરામાં ૭ માર્ચ ૧૯૩૦ના રોજ સભા હતી. વચ્ચે રાસ ગામે ભોજન માટે રોકાણ. સ્થાનિકોનો આગ્રહ કે અમે ખેડા સત્યાગ્રહમાં તમારા નેતૃત્વમાં સામેલ થયા તો અમારા ગામની સભાને કાં ના સંબોધો! જમ્યા પછી બે વાગ્યે સરદાર પટેલે (એ વેળા હજુ તાજા જ સરદાર થયા હતા - ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહની સફળતા થકી) રાસના લોકોને સંબોધવાનું વચન આપ્યું. વડલા ફરતે બે હજાર માણસ ભેગું થયું. સરદાર પહોંચ્યા એ પહેલાં તો ખેડાના કલેક્ટર આલ્ફેડ માસ્ટરના સાથીઓ આવી પહોંચ્યા. શું કરવાના છો?’ બોરસદના ફર્સ્ટક્લાસ મેજિસ્ટ્રેટે પૂછ્યું. સભા સંબોધવાનો છું.સભા સંબોધવાનો મનાઈહુકમ એમણે સરદારને પકડાવી દીધો હતો. સરદારે વાંચ્યો. શું ઈરાદો છે?’ સરદાર ઉવાચ:મનાઈહુકમને અવગણીને ય સભાને સંબોધવાનો છું.પેલા મેજિસ્ટ્રેટે એમની ધરપકડની જાહેરાત કરી. જિલ્લાના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ બિલિમોરિયાએ આગળ આવીને સરદારને પોલીસ કારમાં આવવા કહ્યું. ભાષણ કર્યા વિના જ સરદાર ગુનેગાર ઠર્યાં. બોરસદ ખાતે જિલ્લા કલેક્ટરે કોઈ દલીલ વિના આદેશ કર્યો. એ વાંચ્યા વિના માત્ર ત્રણ મહિનાની સાદી કેદ અને ૫૦૦ રૂપિયાનો દંડ અથવા ત્રણ સપ્તાહની વધારાની કેદ. બિલિમોરિયાની કારમાં સરદાર અમદાવાદ ભણી રવાના થયા. અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં કેટલાક આશ્રમવાસીઓને મળવાની તક સરદારને અપાઈ. રાતના આઠના સુમારે બિલિમોરિયા સરદારને લઈને સાબરમતી સેન્ટ્રલ જેલ પહોંચ્યા. છૂટા પડતાં બિલિમોરિયા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યાની નોંધ સરદાર સાહેબના અક્ષરમાં નોંધાયેલી ડાયરીમાં જોવા મળે છે. અંગ્રેજ સરકારના અધિકારીને પણ સરદાર માટે કેવું મમત્વ!
બેરિસ્ટર પટેલનો જેલવાસ કુલ ૧૧૧ દિવસનો રહ્યો. એ દરમિયાન ૭ માર્ચ ૧૯૩૦થી ૨૨ એપ્રિલ ૧૯૩૦ એટલે કે ૪૫ દિવસ માટે વલ્લભભાઈએ પોતાના હાથે, ગુજરાતીમાં, પહેલી અને છેલ્લી વાર ડાયરી લખી. એ પછી એમની ડાયરી લખવાનું કામ મણિબહેને છેક ૧૯૫૦ના ડિસેમ્બર લગી નિભાવ્યું. આજે મણિબહેનની સાદી નોટબુકમાં નોંધાયેલી ડાયરીઓ અમદાવાદના શાહીબાગ ખાતેના સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકમાં સુરક્ષિત છે. કેન્દ્રના પ્રધાન રહેલા દિનશા પટેલ આ સંસ્થાના અધ્યક્ષ છે. મણિબહેનની ડાયરીઓ પ્રકાશિત થશે ત્યારે સરદારના વ્યક્તિત્વની ઘણી અજાણી બાબતો બહાર આવશે, પણ મણિબહેન અને સરદાર વારંવાર જેલવાસી થયાં, સત્તામાં પણ રહ્યાં; પણ ક્યારેય બિચારા બાપડાપણું એમણે અનુભવ્યું નહોતું. એમણે કાયમ કાળજું સિંહનું રાખ્યું. સરદાર પટેલની ૧૦૦મી જયંતી ૩૧ ઓક્ટોબર ૧૯૭૫ના રોજ પ્રકાશિત સરદારની જેલડાયરીવાંચતાં વલ્લભભાઈ કેવો ઓલિયો માણસ હતા એનો પરિચય મળે છે.
જેલના દરવાજે બિલિમોરિયા (પારસી) એમને સિગારેટ ઑફર કરે છે. લેવા હાથ લાંબો થયો, પણ માંહલ્યાએ નન્નો ભણ્યો એટલે વલ્લભભાઈએ માંડી વાળ્યું. બિલિમોરિયાએ પૂછ્યું : પણ તમે તો સિગારેટ પીઓ છો ને?’ એમણે હા તો પાડી, પણ કહ્યું : જેલમાં તમે નહીં પીવા દ્યો ને એટલે આ છોડી... સરદારને કોઈનું ઓશિયાળાપણું સ્વીકાર્ય નહોતું.
આઝાદી પછી સરદારના અખત્યાર હેઠળના માહિતી અને પ્રસારણ ખાતાના ઑલ ઇન્ડિયા રૅડિયો (આકાશવાણી)માં કાર્યરત ચં. ચી. મહેતાએ સરદારની જેલ-ડાયરીની નાનકડી પુસ્તિકાની પ્રસ્તાવનામાં નોંધ્યું છેઃ મેં કેટલીક જાણીતી વ્યક્તિઓને સરદાર સાહેબે ડાયરી લખેલી એવું પૂછતાં એમણે ના પાડેલી.એમણે સરદારની આ જેલ-ડાયરી વિશે નોંધ્યું :  સરદારની વાણી - જેવું બોલવું તેવું એમનું લેખન - એમાં ભાષા પોતીકી, એ ભાષાની ઈબાદત અલાયદી, એમાંનું સત્ય સોંસરવું, કટાક્ષ ચોટદાર, અવલોકન-શક્તિ ઝીણી એવી આ ડાયરી આટલી થોડી મુદ્દતની છે તોયે એમનું વ્યક્તિત્વ ઊપસી આવે છે, એટલું જ નહીં પણ એમના વિવિધ વાચન માટે જે પ્રચલિત ખ્યાલો છે, તે નાબૂદ થઈ, એમના વાચન માટે આપણને માન ઉપજે છે.
ડાયરીમાં સરદારની ઈશ્વરમાં અપ્રતીમ શ્રદ્ધા અને એટલી જ શ્રદ્ધા ગાંધીજીમાં, એ બેઉ ઝગારા મારે છે. આ પણ પાછું સરદાર ક્યારેય મંદિરે જતા નહીં હોવા છતાં - એકમાત્ર કન્યાકુમારીના અપવાદને બાદ કરતાં. સોમનાથમાં તો ભગ્નાવશેષો નિહાળીને રાષ્ટ્રીય અસ્મિતાના પ્રતીક સમા સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનો સંકલ્પ કર્યો હતો.બબ્બેવાર બાપુએ પ્રાર્થનાસભામાં સરકારી નાણાંથી સોમનાથનો જીર્ણોદ્ધાર કરવા સામે “આપણે ધર્મરાજ્ય નથી” એમ કહીને વિરોધ કર્યો, છતાં ૧૩ ડિસેમ્બર ૧૯૪૭ના રોજ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં સરકારી ખર્ચે સોમનાથનો જીર્ણોદ્ધાર કરવાનો નિર્ણય લેવાયો.ઈતિહાસને વિકૃત કરનારાઓ નેહરુએ નાણા આપવાની ના પડ્યાનો અપપ્રચાર કરે છે,પણ સ્વયં સરદારના નિષ્ઠાવંત કેન્દ્રીય પ્રધાન અને ગૌરવવંતા ગુજરાતી ક.મા.મુનશી પોતે જ ૧૩ ડિસેમ્બર ૧૯૪૭નો કેબિનેટનો નિર્ણય નોંધે છે.જોકે સરદારે બાપુની ઈચ્છાને માન આપીને સોમનાથ માટે ટ્રસ્ટ બનાવીને સ્વતંત્ર ભંડોળ ઊભું કરવાનું પસંદ કર્યું હતું.  
સરદારની ગુજરાતીમાં લખાયેલી જેલ-ડાયરીના અંશો એમની પ્રથમ જીવનકથા લખનાર નરહરિ દ્વા. પરીખે અંગ્રેજીમાં તરજુમો કરીને પ્રસ્તુત કર્યા છે. ગુજરાતીમાં છાપેલાં રોકડાં ૨૫ પાનામાં સરદારની જેલ-ડાયરી સમાઈ જાય છે, પણ આજના રાજનેતા, સમાજનેતા અને સામાન્યજન માટે પણ એ ઘણું બધું કહી જાય છે.
સરદાર તો રાજકીય કેદી હતા. બેરિસ્ટર હતા. સુવિધાઓ જેલમાં મળે એ કક્ષાના હતા, પણ જેલમાં એમણે સંઘર્ષ કરવો પડ્યો નીચલા વર્ગના કેદીની જેમ રહેવા માટેઃ આજકાલના જેલવાસી રાજનેતાઓ જેલમાં પણ મહેલનો માહોલ સર્જે છે ત્યારે સરદાર પટેલની ડાયરી વાંચીને ચોગળું પ્રેરણા લે એમાં જ ગનીમત.
જેલમાં સામાન્ય કેદીઓને મળતો ખોરાક ખાવાના આગ્રહી સરદારના દાંત માટે જુવારનો રોટલો ખાવાની મુશ્કેલી નિહાળી વૉર્ડર કેદી પોતાના ઘઉંના રોટલા આપવા ચાહે ત્યારે સ્વમાની સરદાર એ લે તો સરદાર નહીં. કેદીઓ સાથે માનવતાભર્યો વ્યવહાર કરે. લીમડાના સુંદર ઝાડમાંથી વૉર્ડરે દાતણ કાપી આપ્યું એટલે દાતણ કર્યું.’ (૮-૩-૩૦)
મેં જેલ મેન્યુઅલ અને રૂલ્સની માગણી કરી. રૂલ્સ પ્રમાણે તે ન આપી શકાય એવો જવાબ મળ્યો. મેં કહ્યું કે તો પછી મારે લડવાનો વિચાર કરવો રહ્યો. ચોપડીઓમાં મને ભગવદ્ ગીતા અને તુલસી રામાયણ આપવામાં આવ્યાં. એટલે  બધી જ સગવડ મળી ગઈ એમ કહું તો ચાલે.’ (૮-૩-૩૦)
આખો દિવસ ઊંઘવામાં જ કાઢ્યો. રવિવારે ત્રણ વાગ્યાથી કોટડીમાં પૂરવામાં આવ્યા. બીજા દિવસોએ તો પાંચ - સાડા પાંચ વાગ્યે પૂરે. સવારમાં સાડા છ વાગ્યે બહાર કાઢે... બે દિવસે નાહ્યો. દાંત બે બાજુના ગયેલા હોવાથી પાણીમાં પલાળ્યા સિવાય ખાઈ શકાતું નહોતું.’ (૯-૩-૩૦, રવિવાર)
બપોરના મહાદેવ (દેસાઈ) અને કૃપાલાની મળવા આવ્યા. જેલના રેંટિયા ઉપર સૂતરને વળ દેવાનું શરૂ કર્યું.’ (૧૦-૩-૩૦)
સરકારમાંથી કંઈક હુકમ આવ્યો કે મને ખાસ કેદી તરીકે રાખવો અને સગવડ આપવી. મને જણાવવામાં આવ્યું. મેં કહ્યું કે મારે કશી સગવડ જોઈતી નથી. અહીં બધી જ વાતનું સુખ છે. આખી જેલમાં કોઈ અંગ્રેજ નથી, એટલે કોની સાથે લડવું? ત્રણેક વાગ્યે કલેક્ટર અને ડી.એસ.પી. મળવા આવ્યા. અંબાલાલ શેઠની મોકલેલી છ ચોપડી મળી. બત્તી રાખવાની રજા મળી. એટલે રાત્રે અગિયાર વાગ્યા સુધી રામાયણ વાંચ્યું. આજથી ચા, દૂધ, દહીં અને રોટીની સગવડ થઈ. તેથી પેલો વૉર્ડર બિચારો ખૂબ રાજી થયો.’ (૧૧-૩-૩૦)
જેલમાં સરદાર ખૂબ વાંચતા. ૧૫ માર્ચ ૧૯૩૦ની સવારે અઢી વાગ્યે ઊઠી ગયા. “Emma Hamilton“ ચાર વાગ્યા સુધી વાંચીને પૂરી કરી. પછી પ્રાર્થના કરી અને રામાયણ વાંચ્યું.પાંચ વાગ્યે O’Connor નું “Memoirs of An Old Parliamentarian” Vol. I  વાંચવાનું શરૂ કર્યું. સાત વાગ્યા પછી એક કલાક ફર્યા અને પછી નાહવાધોવાનું કરી પરવાર્યા. વિદ્યાપીઠમાંથી આવેલું “વિશ્વભારતી” ઉપરાંત ”પ્રસ્થાન” તથા “મૉડર્ન રિવ્યૂ”પણ એ જેલમાં વાંચતા રહ્યા. સરદાર સામાન્ય રીતે સવારે વહેલા ઊઠતા.ચાર-પાંચ વાગ્યે. નાયબ વડા પ્રધાન થયા પછી પણ સવારે ચાર વાગ્યે મૉર્નિંગ વૉક દરમિયાન મુલાકાતીઓને સમય આપતા. એમની સાથે ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલા અને હિંદુસ્તાન ટાઈમ્સના મુખ્ય તંત્રી દુર્ગા દાસ અચૂક જોડાતા. જેલમાં સરદારને મરડાનો પ્રશ્ન સતાવતો. જુલાબ લેવો પડતો. બાકી જેલમાં ગયા ત્યારે વજન ૬૬.૨૨૪ કિલો હતું. ૨૬ જૂન ૧૯૩૦ના રોજ જેલ છોડી ત્યારે ય એટલું જ વજન જળવાયું હતું. જેલમાં તબિયત નાજુક લાગે ત્યારે ઉપવાસ કે ફળાહાર - દૂધ પર રહે. કોઈ વાતે ફરિયાદ નહોતી રહી. મણિબહેને નોંધ્યું છે તેમ સરદાર ઈતિહાસ લખવામાં  સમય વેડફવા કરતાં ઈતિહાસ સર્જવામાં માનતા હતા!     ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment