Thursday 30 November 2017

The then Miser Ruler of Hyderabad, Nizam, donated 5 tonnes of Gold !

કંજૂસ નિઝામે યુદ્ધ ટાણે પાંચ
ટન સોનું દેશને ચરણે ધર્યું !
નો મૅન્સ લેન્ડ : ડૉ. હરિ દેસાઈ

ક્યારેક અમેરિકાનું પ્રતિષ્ઠિત સામયિક ટાઈમહૈદરાબાદના છેલ્લા શાસક એવા સાતમા નિઝામ મીર ઉસ્માન અલી ખાનને વિશ્વની સૌથી સમૃદ્ધ વ્યક્તિઓમાં સામેલ કરીને કવરપેજ પર ચમકાવતું હતું.. જોકે ઘરઆંગણે બ્રિટિશ ઇન્ડિયામાં સૌથી મોટું રજવાડું ધરાવનાર એટલે કે બ્રિટન અને સ્કૉટલૅન્ડ કરતાંય મોટા સામ્રાજ્યના ધણી નિઝામ મહેમાનો કનેથી સિગરેટ માગી લેતા હતા. સાંધેલાં કપડાં પહેરતા હતા. એમની છબિ સાવ કંજૂસની હતી. નિઝામના મિત્રો એવા અંગ્રેજ શાસકો બ્રિટિશ ઇન્ડિયાના ભાગલા કરીને સ્વદેશ પાછા જવાના હતા ત્યારે નિઝામે પોતાના રજવાડાને સ્વતંત્ર દેશ જાહેર કરવાની નિષ્ફળ કોશિશ કરી જોઈ હતી,પણ એ ફાવ્યા નહીં. જોકે, ૧૯૬૫માં પાકિસ્તાન સાથેના યુદ્ધના સંજોગોમાં  એ વેળાના વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ કરેલી અપીલને પગલે આ જ નિઝામે પાંચ ટન (૫૦૦૦ કિલો) સોનું રાષ્ટ્રીય સુરક્ષા નિધિમાં દાનમાં  આપ્યું હતું. આજના સોનાના ભાવે એ ૧૫૦૦ કરોડ રૂપિયાનું થાય અને કોઈ વ્યક્તિ કે સંસ્થા તરફથી અપાયેલું એ આજ લગીનું સૌથી મોટું દાન છે.
અંગ્રેજ શાસકોના ગાઢ મિત્ર એવા આ નિઝામને બ્રિટિશ શાસકો સ્વદેશ પાછા ફરવાના હતા ત્યારે જ કુમતિ સૂઝી. ૮૦થી ૮૫ ટકા જેટલી હિંદુ પ્રજા ધરાવતા એમના હૈદરાબાદના રજવાડાને ભારત સાથે કે પછી પાકિસ્તાન સાથે જોડવાને બદલે સ્વતંત્ર મુસ્લિમ સામ્રાજ્ય સ્થાપવાનો તેમણે સંકલ્પ કર્યો. પાકિસ્તાનના ઈશારે ચાલનારા નિઝામના વડા પ્રધાન (દીવાન) લાયક અલી અને કટ્ટર મુસ્લિમોની આતંકી સેના એવા રઝાકારોના મુખિયા કાસીમ રઝવીએ તરંગતુક્કામાં રાચતા નિઝામને ઊંધા રવાડે ચડાવી દીધા. ભારત સાથે જોડાવાનો મિત્ર લૉર્ડ માઉન્ટબેટનથી લઈને સરદાર પટેલ સુધીનાએ બહુ આગ્રહ કર્યો, પણ માને તો નિઝામ નહીં.
પોલીસ પગલાથી હૈદરાબાદની શરણાગતિ                         
ભારત સાથે જૈસે થેના કરાર કર્યા હોવા છતાં એના ખુલ્લા ઉલ્લંઘન સમાન કડકા પાકિસ્તાનને એમણે ૨૦ કરોડ રૂપિયાની લોન  આપી હતી. રઝવી તો સરદાર પટેલને હિંદુઓની કત્લેઆમથી લોહીની નદીઓ વહાવવાની ધમકી આપી આવ્યો હતો. એ પછી સરદાર કાંઈ માઉન્ટબેટન, રાજાજી કે વડા પ્રધાન જવાહરલાલ નેહરુથી વાર્યા વરે ખરાહૈદરાબાદમાં એમણે ભારતના એજન્ટ-જનરલ તરીકે ક. મા. મુનશીને મૂકી દીધા હતા. રજવાડાંનો પ્રશ્ન રિયાસત ખાતાના પ્રધાન તરીકે સરદારના અખત્યારમાં આવતો હતો. માઉન્ટબેટન સ્વદેશ પાછા ફર્યા (૨૧ જૂન ૧૯૪૮) એ પછી રાજાજી ભારતના ગવર્નર-જનરલ બન્યા હતા. રાજાજી અને નેહરુ - કોઈ લશ્કરી કે પોલીસ પગલું નહીં ભરવા વલ્લભભાઈને સમજાવવા પ્રયત્નશીલ હતા, પણ સરદાર કૃતસંકલ્પ હતા. ભારતના પેટની વચ્ચોવચ્ચ કૅન્સરની ગાંઠ સમું સ્વતંત્ર હૈદરાબાદ શેં ખમાય? અને એય પાછું ૮૦ ટકાથી વધુ હિંદુ વસ્તી ધરાવતું આ રજવાડું હોય.સપ્ટેમ્બર ૧૯૪૮ના મધ્યમાં પોલીસ પગલું ઑપરેશન પોલોઆદર્યું. મેજર-જનરલ જે. એન. ચૌધરીએ લૅફ્ટ. જનરલ મહારાજ રાજેન્દ્રસિંહજીના નિર્દેશમાં હૈદરાબાદને ઘેરીને માત્ર ૧૦૮ કલાકમાં એટલે કે ૧૭ સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ ભારતને શરણે થવા વિવશ કર્યું. સામાન્ય રીતે એવી માન્યતા છે કે સરદારે લોહીનું એક પણ ટીપું વહાવ્યા વિના રજવાડાંનો ભારતમાં વિલય કર્યો, પણ “ભારત મેં અંગ્રેજી રાજ” જેવા અંગ્રેજ સરકારે પ્રતિબંધિત જાહેર કરેલા અને  મહાત્મા ગાંધીએ અધિકૃત ગણાવેલા ગ્રંથના લેખક તથા સ્વતંત્ર ભારતના સાંસદ અને ઇતિહાસકાર પંડિત સુંદરલાલના વડપણ હેઠળની તપાસ સમિતિએ બંને કોમના ૨૫,૦૦૦ થી ૪૦,૦૦૦ લોકોની કત્લેઆમ પર હૈદરાબાદ રાજ્ય ભારતને મળ્યાનો અહેવાલ આપ્યો હતો ! જોકે આ અહેવાલને એ વેળા વડાપ્રધાન નેહરુ કે ગૃહપ્રધાન સરદારે પ્રકાશિત થવા દીધો નહોતો અને આજ લગી સત્તાવાર રીતે ભારત સરકારે એને પ્રકાશિત કર્યો નથી.
હિટલરસરદારે નિઝામને રાજપ્રમુખ બનાવ્યા
 નિઝામે રૅડિયો પ્રસારણમાં દોષનો ટોપલો રઝવી પર ઢોળવાનો પ્રયાસ કર્યો. જોકે ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ સુધીમાં ભારત સાથે જોડાવાને બદલે મોહમ્મદ અલી ઝીણાના ઈશારે નાચવા અને ઈસ્લામી રાષ્ટ્ર સ્થાપવાના તરંગતુક્કાને ટેકે સ્વતંત્ર થવા ઈચ્છુક હૈદરાબાદના રાજવી  શરણે આવ્યા પછી પણ નાયબ વડા પ્રધાન સરદાર પટેલે એમને હૈદરાબાદ પ્રાંતના રાજપ્રમુખ નિયુક્ત કરવાની દરિયાદિલી દાખવી.સરદાર પટેલમાં હિટલરનાં દર્શન કરનારા નિઝામની સ્વતંત્ર થવાની હિમાલય જેવડી ભૂલને કારણે એ પ્રજામાં થૂ થૂ થયા. નિઝામના વંશજોને આજે પણ લાગે છે કે સર ઉસ્માન અલીના યોગદાનની કોઈ કદર એમના મૃત્યુ પછી પણ થતી નથી.વી. પી. મેનને નોંધ્યું છે કે ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ લગી પ્રજાને જવાબદાર રાજતંત્ર પૂરું પાડવા એ તૈયાર થયા હોત તો એમને પૂજવામાં આવત. હૈદરાબાદ રાજ્યમાંથી અસ્તિત્વમાં આવ્યો અત્યારના આંધ્ર પ્રદેશ ઉપરાંત  તેલંગણ રાજ્યનો પ્રદેશ, કર્ણાટકનો હૈદરાબાદી પ્રદેશ તેમજ મહારાષ્ટ્રનો મરાઠવાડાનો પ્રદેશ. નવાઈ એ વાતની છે કે છેલ્લા નિઝામ ૧૯૧૧માં ગાદીએ આવ્યા ત્યારે એમને શાસક તરીકેની માન્યતા અપાવવામાં છઠ્ઠા નિઝામ અને તેમના પિતા મીર મહમૂદ અલી ખાનના વિશ્વાસુ દીવાન મહારાજ કિશાન પ્રસાદની ભૂમિકા ખૂબ નિર્ણાયક હતી. તરંગી નિઝામ ઉસ્માન અલીએ એકાદ વર્ષમાં જ દીવાનને રજા ઉપર ઉતાર્યા, પણ પછી ફરી પાછા એમને જ ૧૯૨૫થી ’૩૬ લગી દીવાન તરીકે જાળવ્યા. નિઝામના શાસનમાં સમયાંતરે મોટેભાગે મુસ્લિમ અધિકારીઓની જ બોલબાલા હતી. છતાં એમના પ્રધાનમંડળમાં અને દીવાનપદે હિંદુ અગ્રણીઓ મહત્ત્વનાં સ્થાન શોભાવતા હતા. પ્રજાનું શોષણ અને અત્યાચાર કરવા ઉપરાંત નિઝામના દરબારીઓને ઐયાશી કરાવનારા દેશમુખો પણ હિંદુ જ હતા!
બેગમો-જનાનખાનાની સ્ત્રીઓ અને સંતાનો

નિઝામ દેખાવે ભલે વિદૂષક લાગે, એમની બેગમો અને જનાનખાનામાં સ્ત્રીઓની સંખ્યા અને બાળકોની સંખ્યા વિશે સેંકડોથી હજારો લગીના આંકડા રજૂ થતા રહે છે. નિઝામ ભણેલાગણેલા હતા. અંગ્રેજી સહિતની છ ભાષાઓના જાણકાર હતા. પોતાના પર ઓછો ખર્ચ કરનારા નિઝામ શિક્ષણ સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ માટે લખલૂટ દાન કરતા હતા. છેક ૧૯૧૮માં તેમણે સ્થાપેલી ઉર્દૂ માધ્યમની ઉસ્માનિયા યુનિવર્સિટી આ વર્ષે શતાબ્દી ઊજવી રહી છે. કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે એનાં ભરપેટ વખાણ કર્યાં હતાં અને રાજાજીએ તો ઉસ્માનિયા યુનિવર્સિટીને સ્વદેશી વિદ્યાપીઠ કહી બિરદાવી હતી. એમણે હૉસ્પિટલો અને શિક્ષણસંસ્થાઓ, કૉલેજો સ્થાપવામાં કોઈ મણા રાખી નથી. સ્થાપત્ય વિશે પણ એ નિષ્ણાત હતા. આજના હૈદરાબાદની જાહોજલાલી સમી ઈમારતો એમની નિગરાનીમાં બંધાઈ છે. ૨૪ ફેબ્રુઆરી ૧૯૬૭ના રોજ એમનું નિધન થયા પછી એમની અંતિમયાત્રામાં હિંદુ-મુસ્લિમના ભેદ વિના લાખો લોકો જોડાયા હતા. એમની હજારો કે લાખો કરોડ રૂપિયાની સ્થાવર-જંગમના હિસાબ માંડવા મુશ્કેલ છે. એમની સંપત્તિમાં ભાગ મેળવવા માટે અત્યાર લગી ૪૦૦ કરતાં ય વધુ કાયદેસરના કે અનૌરસ એવા વારસો અદાલતોમાં ખટલા લડી રહ્યા છે. જોકે સાતમા નિઝામ મૃત્યુ પૂર્વે પોતાના અનેક પુત્રોમાંથી કોઈ શાસક બનવાને લાયક નહીં હોવાનું માનીને પ્રથમ બેગમથી થયેલા સૌથી મોટા પુત્ર મીર હિમાયત અલી ખાનના બે પુત્રોમાંથી મોટા મુકર્રમને આઠમા નિઝામ નિયુક્ત કરતા ગયા હતા.આપણે ત્યાં રાજવીઓમાં સૌથી મોટા પુત્રને બદલે પૌત્રને ગાદી સોંપવાની પરંપરા પણ રહી છે.  (25-11-2017)

No comments:

Post a Comment