Wednesday 5 July 2017

Gujarat Congress in a Dilemma about the Tricks Played by Shankarsinh

સાપે છછૂંદર ગળ્યા જેવી અવસ્થામાં ગુજરાત કૉંગ્રેસ
અતીતથી આજ  : ડૉ. હરિ દેસાઈ
Dr.Hari Desai's Column this week in Gujarat Samachar(London),Gujarat Guardian(Surat), Sardar Gurjari(Anand), Gandhinagar Samachar(Gandhinagar) and Hamlog(Patan). 5 July 2017
·         સંઘ-ભાજપ ગોત્રના શંકરસિંહ ઉલાળિયાં કરી ભાજપના તારણહાર થવાના મૂડમાં
·         બાપુની ચોટલી મોદીના હાથમાં હોવાથી કૉંગ્રેસમાં રહીને અરણ્યરુદન ચાલુ રાખ્યું
·         સમર્થકોના ગાંધીનગર સંમેલન કર્યું,પણ હજુ રાહુલબાબાને મળ્યા પછી નિર્ણયનું રટણ
·         રાજકીયવારસ મહેન્દ્રસિંહનું ભવિષ્ય ચમકાવવા જતાં કેશુભાઈના ભરતવાળી થવાની ચિંતા

ક્યારેક ગુજરાતમાં જનસંઘ-ભાજપની રાજકીય પાયાભરણી કરનાર શંકરસિંહ વાઘેલા અત્યારે કૉંગ્રેસ માટે સાપે છછૂંદર ગળ્યાજેવી સ્થિતિ સર્જી રહ્યા છે એટલું જ નહીં, એમની દ્વિધા પણ એક બાજુ ખાઈ અને બીજી બાજુ કૂવામાં ધસી પડવા જેવી છે. બળવાખોરી બાપુનો  એટલે કે શંકરસિંહનો સ્થાયી સ્વભાવ છે. પછેડી ખંખેરી નાંખીને ઊભા થઈ જવાની એમની પ્રકૃતિએ એમને લાભાલાભના રાજકીય માહોલમાં રમમાણ રાખ્યા છે, પણ આજે ૭૭ વર્ષની ઢળતી ઉંમરે બાપુને ભારે અકળામણના વાતાવરણમાં પોતાના કરતાં રાજકીય વારસ-પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાના ભવિષ્યને ચમકાવવા માટે ભગવી બ્રિગેડના લાભમાં ખેલ કરવા વિવશ કરી દીધા છે. બેફામ નિવેદનો કરવાની એમની પ્રકૃતિએ ગુજરાતમાં ભાજપની બાંધણી કરીને એને સત્તા સુધી પહોંચાડ્યા પછી સત્તાની આભડછેટનો અનુભવ કરાવ્યો.૧૯૯૫ના માર્ચમાં શંકરસિંહે તો કેશુભાઈ સાથે મળીને ભાજપને ગાંધીનગરની ગાદીએ એકલેહાથે પહોંચાડવાનું પુણ્યકાર્ય કર્યું, પણ પ્રદેશના આ ટોચના નેતાની કેશુભાઈ સાથે નરેન્દ્ર મોદી (એ વેળાના સંઘ પ્રચારકની રુએ પ્રદેશ ભાજપના મહામંત્રી-સંગઠન અને પોતાને ચાણક્યગણાવનાર)ની યુતિએ નાગપુરના કથિત ઇશારે એવી તે અવગણના કરી કે ભાજપનાં બે ફાડિયાં થયાં. ક્યારેક સાઇકલયુગમાં વિહરતા જનસંઘ-ભાજપને ખજુરાહોકાંડ વખતે વિમાને ચઢીને બળવાખોરીનાં વરવાં દર્શન કરવાનો વખત આવ્યો. અંતે બાપુએ કૉંગ્રેસના શરણે જવું પડ્યું.

લગભગ બે દાયકાથી શંકરસિંહ કૉંગ્રેસમાં હોવા છતાં મૂળ કૉંગ્રેસીઓ એમની આભડછેટ રાખે છે. પ્રાદેશિક પક્ષ રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા) રચી જોયો, પણ એની ઠાઠડી ઊઠાવનારા ચાર ડાઘૂ જેવા રોકડા ચાર ધારાસભ્યો ચૂંટાતાં પક્ષ ચલાવતાં થાકી ગયેલા બાપુએ એનો વાવટો સંકેલીને કૉંગ્રેસગમન કર્યું. આમ પણ કૉંગ્રેસના ટેકે મુખ્યમંત્રી પદ મેળવ્યા પછી કૉંગ્રેસે એમના શાસનના ભ્રષ્ટાચાર અંગે એટલું લાંબુ આવેદન રાજભવને પહોંચાડ્યું હતું કે હજુ આજે આટઆટલાં વર્ષે પણ એમને અડધી રાતેય રાજભવને કોણ ગયું હતું, એ સ્વપ્નાંમાં આવે છે. કૉંગ્રેસે કેન્દ્રમાં કાપડ મંત્રી બનાવ્યા પણ નેશનલ ટેક્સ્ટાઇલ કોર્પોરેશન(એનટીસી)ની જમીનો વેચવાના કાંડમાં ક્યારેક એમના સાથી રહેલા નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બન્યા પછી વસંત વગડોનામધારી મહાલયમાં દરોડા પડાવ્યા. વાતનો વીંટો વળ્યાનું લાગે, પણ સરકારી ફાઈલોને ગમે ત્યારે પગ આવે છે. વડા પ્રધાન મોદી દોસ્તો અને દુશ્મનોને નહીં ભૂલવા માટે  જાણીતા છે. બાપુનાં મોદી વિશેનાં જાતિવાચક નામો એ ગળે મળે ત્યારે પણ વીસરી શકે નહીં. વર્ષ ૨૦૦૪માં કેન્દ્ર સરકાર કૉંગ્રેસની હતી ત્યારે શંકરસિંહે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જેલભેગા કરવાની કરેલી. આ  ટાણે મોદીનું સુરક્ષાકવચ ૧૦, જનપથના લાડકા એહમદ પટેલ બન્યા હતા. બાપુને મોદી તો નડે જ છે,પણ કૉંગ્રેસમાં પક્ષ પ્રમુખના રાજકીય સલાહકાર એહમદ પટેલ વધુ નડે છે. ગુજરાત કૉંગ્રેસને દિલ્હીમાં બેઠાં રાજકીય સલાહકાર નર્તન કરાવે છે અને ડૂબાડવાની દિશા ભણી કૂચ પણ કરાવી રહ્યા છે. કૉંગ્રેસના મોવડીમંડળની વિવશતા હશે કે એહમદ પટેલ અને ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ ભરતસિંહ માધવસિંહ સોલંકી વિરુદ્ધની ફરિયાદો કરવા બાપુ દિલ્હી જાય ત્યારે, ડેલીએ હાથ દઈને, એ જ એહમદ પટેલને મળીને પાછા ફરવું પડે છે. બાપુ ધૂંધવાયા છે.ચોટલી તો મોદી હાથ છે. દીકરા મહેન્દ્રસિંહનું ભાવિ ઉજ્જવળ કરવું છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના રાજકીય વારસ એવા એમના પુત્ર ભરત દેસાઈને ભાજપના તપતા સૂરજ વખતે પણ પરાજિત થવાનો વખત આવે એના સૂચિતાર્થો વસંત વગડાની વૈભવી સાહ્યબીમાં પણ શંકરસિંહની અકળામળ વધારે છે.

કૉંગ્રેસનું મોવડીમંડળ ગુજરાતના નવા પ્રભારી અને રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને વસંત વગડેદોડાવ્યા કરે છે. બાપુને ટાઢા પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, પણ જેમ ૧૦, જનપથની ગરજનાં વધુ દર્શન થાય છે એમ બાપુ ફૂંગરીને વધુ બેપાંદડે થયા કરે છે. દિલ્હીમાં સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીને મળીને બાપુ કે એમના શાહજાદા મહેન્દ્રસિંહ ખાલી હાથે પાછા ફરી વળી ફૂંગરે છે. એમની માગણીઓ વધતી ચાલે છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખને બદલવાની ભૂમિકા આગ્રહપૂર્વક મૂકે છે. મીડિયા સમક્ષ સબસલામતની બાંગ પોકારે છે, પણ ભાજપના  રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ચાના પ્યાલા ભર્યા ત્યારથી બાપુ આરપારના આગ્રહી બનતા ચાલ્યા છે. પોતાનું ભવિષ્ય ભાજપમાં નહીં હોવા છતાં સત્તારૂઢ ભાજપના ટેકા વિના ના તો દીકરાનું ભવિષ્ય ચમકાવી શકાય કે ના યુનિવર્સિટીનું સુપેરે સંચાલન થઈ શકે. બાપુનો રિમોટ હવે પોતે રહ્યા નથી. એનો પરિચય તો ૨૪ જૂને ગાંધીનગરમાં એમણે ટેકેદારોનું સંમેલન બોલાવીને એમનાં સૂચનો નોંધવાનો નાટકીય ખેલ પાડ્યો ત્યારે મળતો જ હતો. એ સાંજે રાહુલજીને મળવા જુલાઈના પ્રથમ સપ્તાહમાં પોતે જઈ રહ્યાનું એ અમને કહેતા હતા. એક બાજુ પોતાના પક્ષને ખાડે જવા દેવાનાં નિવેદન કરે છે, બીજી બાજુ વિધાનસભાની ચૂંટણીમાં તમામ સત્તા પોતાના હાથમાં લેવા માંગે છે. ત્રીજી બાજુ, ભાજપની રમતના રિમોટ પ્રમાણે આગળ વધી રહ્યાનું લાગતાં ૧૦, જનપથ તો ઠાવકાઈથી રાજીવ ભવન ખાતે પક્ષના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને આગળ વધારે છે.શંકરસિંહ હવે કૉંગ્રેસ  માટે ભસ્માસુર બની રહ્યાનું તેમના પક્ષની નેતાગીરીને લાગી રહ્યું છે.બાપુની દ્વિધા પણ ખરી છે. પોતાના પક્ષમાં ભાવ મળતો નથી, ભાજપમાં જે વ્યક્તિને ભાંડતા રહ્યા, એના કહ્યાગરા થવાની કેશુભાઈ કે ગોરધન ઝડફિયા જેવી તૈયારી નથી, કરવું તો કરવું શું? મોદી-અમિત શાહ હવે તો વસંત વગડેથી ૧૦, જનપથ વાયા રાજીવ ભવનના તમાશાને જોઈને હરખપદૂડા છે. ગુજરાતમાં ૨૨ વર્ષથી ભાજપ રાજ કરે છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર અનામત, દલિત અને ઓબીસી આંદોલન કાળોતરો થઈને સત્તા પક્ષને નડવાની શક્યતા હતી ત્યાં શંકરસિંહ પોતે જ કૉંગ્રેસમાં યાદવાસ્થળી સરજી  રહ્યા છે.

શંકરસિંહ મોવડીમંડળથી નારાજ છે તો પક્ષમાંથી પછેડી ખંખેરી નાંખીનેનીકળી જવાને બદલે મુદતો પાડી રહ્યા છે. કૉંગ્રેસ ફરી સત્તામાં આવે એવી ધારણા પોતે અને કૉંગ્રેસના આગેવાનો કરી રહ્યા છે, ત્યારે એમની યાદવાસ્થળી ભાજપના હિતમાં જ ચાલવાની હોય એવું વધુ લાગે છે. ૨૪ જૂને બાપુએ ગાંધીનગરમાં આક્રોશ પ્રગટાવ્યો. પોતાના ટેકેદારોને તૈયાર કર્યા, પણ એમાં ભાષણો કરનારા ઘણા એવા પણ હતા કે બાપુ પાર્ટી છોડે તો તેમની સાથે જાય નહીં. બાપુ એકલા પક્ષ છોડવાના મૂડમાં નથી, એમને પક્ષ તગડે એવી પ્રતીક્ષામાં છે. કૉંગ્રેસ મોવડી મંડળ પણ આગને ઠારવા તત્કાળ બંબાવાળાનાં પગલાં લેવાને બદલે આક્રોશને હવા આપે છે. ૨૮ જૂને પક્ષના કાર્યક્રમમાં જવાનું શંકરસિંહે કબૂલ્યું હતું, પણ ત્યાં જઈને પણ એ પક્ષ વિરોધી બફાટ કરે એવા સંજોગોમાં ગુજરાત કૉંગ્રેસે ૨૮ જૂનનો કાર્યક્રમ જ મોકૂફ રાખ્યો. ૨૯મીએ રાજીવ ગાંધી ભવનમાં રાબેતા મુજબ, ઉમેદવારો નક્કી કરવા માટે નિરીક્ષકો મળશે, એવું પક્ષ પ્રવક્તા કહે છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં બાપુ દિલ્હીમાં રાહુલબાબાને મળે એ પછીના ઘટનાક્રમ પર સૌની મીટ મંડાયેલી છે.

સો વાતની એક વાત સ્પષ્ટ છે કે શંકરસિંહ હવે ભારે ઉધામા મારી રહ્યા છે ત્યારે એ ગુજરાત કૉંગ્રેસને જીતાડવાને બદલે ખાડે લઈ જવાનું કામ કરીને ભાજપને મદદ કરી રહ્યાનું કૉંગ્રેસ મોવડીમંડળ માનવા માંડ્યું છે. બાપુને અવગણવા જતાં નુકસાન થવાની ગણતરીઓ એણે માંડી દીધી છે, પણ બાપુના તાલે હવે એ ચાલવા તૈયાર નથી. બાપુની મજબૂરી એમને બેઉ બાજુની પીડા આપી રહી છે. આવતા દિવસોનો  ઘટનાક્રમ રસપ્રદ બનશે.   ઈ-મેઈલ : haridesai@gmail.com

6 comments:

  1. Good one sir cycle yoog thi viman vah itihas na pana kholva badal abhar

    ReplyDelete
  2. Good one sir cycle yoog thi viman vah itihas na pana kholva badal abhar

    ReplyDelete
  3. Very appropriate article as per current political situation.Proud of you my dear.

    ReplyDelete