Wednesday 13 June 2018

A Dedicated Daughter: Maniben Patel-G


Dr. Hari Desai’s weekly column in Gujarat Samachar (London), Sanj Samachar (Rajkot), Hamlog (Patan), Gandhinagar Samachar (Gandhinagar), Sardar Gurjari (Anand) and Gujarat Guardian (Surat). You may read the full text here and comment.
આયખું આખું પિતાને સમર્પિત કરનાર મણિબહેન પટેલ:ડૉ. હરિ દેસાઈ
·         ૩૩ વર્ષની વયે વિધૂર બન્યા છતાં સરદારે  સંતાનો કાજે જ  બીજી વાર લગ્ન કરવાનું ટાળ્યું
·         બારડોલી સત્યાગ્રહ પછી દાંડી કૂચ અને હિંદ છોડોચળવળને પગલે અંગ્રેજ શાસનના પાયા હચમચ્યા  
·         ડૉ. કુરિયને પોતાના પુસ્તકમાં સરદારના સત્તાધીશ સાથીઓ કેવા નગુણા હતા એનો પ્રસંગ નોંધ્યો છે
·         દેશ સરદાર પટેલના પરિવારનો કાયમ ઋણી રહેવાનો કારણ એમના થકી જ ભારતનો નકશો રચાયો
બૅરિસ્ટર તરીકેની ધીકતી પ્રેક્ટિસ હોય પછી દીકરી-દીકરાને ઇંગ્લેન્ડ ભણવા પાઠવવામાં કોઈ અવરોધ આવે જ ક્યાંથી? સરદાર વલ્લભભાઈ પટેલે દીકરી મણિબહેન અને દીકરા ડાહ્યાભાઈને મુંબઈમાં ક્વિન્સ મેરી સ્કૂલમાં મિસ વિલ્સનને ભળાવીને મિડલ ટેમ્પલમાંથી બૅરિસ્ટર થઈ આવ્યા પછી અમદાવાદને પોતાનું કાર્યક્ષેત્ર પસંદ કર્યું. મોટા ભાઈ બૅરિસ્ટર વિઠ્ઠલભાઈ પટેલે મુંબઈને કાર્યક્ષેત્ર બનાવ્યું હતું. નમાયાં બેઉ સંતાનોને કોઈ વાતે ઓછું ના આવે એની સઘળી વ્યવસ્થા વલ્લભભાઈએ કરી હતી. હજુ પેલા ઘઉંમાંથી કાંકરા વીણવાનાઉપદેશ થકી સ્વરાજપ્રાપ્તિના પાઠ ભણાવનારા બૅરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી સાથે વલ્લભભાઈનો ભેટો થયો નહોતો. દોમ દોમ સાહ્યબીમાં એ રમમાણ હતા. ૩૩ વર્ષની વયે વિધૂર બન્યા છતાં સંતાનોને અપરમાનું દુઃખ ના પડે એટલા માટે બીજી વાર લગ્ન કરવાનું ટાળીને વલ્લભભાઈએ વકીલાતની સાથે સાથે જનસેવામાં મન પરોવ્યું.

મણિબહેનની લગ્ન કરવાની અનિચ્છા

નવેમ્બર ૧૯૧૭માં મોટા ભાઈ વિઠ્ઠલભાઈએ મહાત્મા ગાંધી સાથે ગોધરામાં મળેલી ગુજરાત રાજકીય પરિષદમાં આ આપણો વલ્લભ...કહીને ઓળખાણ કરાવી ત્યારથી ચંપારણ સત્યાગ્રહ હાથ ધરનાર આ કોઈ નોખી માટીનો માણસલાગતા ગાંધીજીના અનુયાયી થવાનું ગમવા માંડ્યું. સંતાનો ઘરમાં પણ એકમેકની સાથે અંગ્રેજીમાં વાત કરતાં હતાં અને ફ્રેંચ વિષય ભણતાં હતાં. ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી તેમને  ભણવા ઇંગ્લેન્ડ મોકલવાની અગાઉની હોંશ વિશે પુનર્વિચાર થવા માંડ્યો.
છેવટે દીકરી મણિબહેન ગુજરાતી સાહિત્ય, અંગ્રેજી અને બંગાળી સાથે ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થઈ. ડાહ્યાભાઈ પણ ગૂજરાત વિદ્યાપીઠમાંથી જ સ્નાતક થયા.વલ્લભભાઈને ગાંધીજીનો રંગ લાગ્યો. મણિબહેન અને ડાહ્યાભાઈ બેઉ ગાંધીજીએ વર્ષ ૧૯૨૦માં સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા પછી સ્વદેશી અને ગાંધીના માર્ગે વળ્યાં.ડાહ્યાભાઈનાં ફેબ્રુઆરી ૧૯૨૫માં ગાંધી આશ્રમમાં ગાંધીજીની હાજરીમાં યશોદા સાથે સાદાઈથી લગ્ન થયાં, પણ મણિબહેનના લગ્નનો વિચાર આગળ વધ્યો નહીં. એમ તો જાન્યુઆરી ૧૯૨૪માં જ માતા લાડબાએ મણિબહેનનાં લગ્નની વાત વલ્લભભાઈ સાથે છેડી, પણ વલ્લભભાઈને સંતાનો શું ભણે છે એનીય ખબર નહોતી, પછી લગ્નની વાતમાં રસ ક્યાંથી હોય? મણિબહેન સાથે ઝાઝી વાત થતી નહીં, પણ છેવટે મહાત્મા ગાંધી સાથે અમુક સપ્તાહ આશ્રમમાં રહેવા ગયેલાં મણિબહેને લગ્ન નહીં કરવાની ઈચ્છા વ્યક્ત કર્યાની જાણ વલ્લભભાઈને કરી. વલ્લભભાઈ તો જાહેરજીવન અને સત્યાગ્રહોમાં વ્યસ્ત હતા. ગાંધીજીએ મણિબહેનની ચિંતા નહીં કરવા જણાવ્યું છતાં આખરે બાપનું દિલ કાંઈ માયા થોડી છોડે? બંને વચ્ચે પત્રવ્યવહાર થતો, પણ મન મોકળાશથી વાત નહીં થતી હોવાની પારિવારિક પરંપરા વલ્લભભાઈ અને મણિબહેન વચ્ચે પણ ઝાઝી ચર્ચાને ટાળતી રહી. જોકે લગ્ન નહીં કરવાના એમના નિરધાર સાથે જ પિતાની સેવામાં દિલ પરોવીને એમના સચિવ તરીકેની સઘળી જવાબદારી મણિબહેને સ્વીકારવા માંડી. પિતાજીની જેમ સત્યાગ્રહોમાં ભાગ લેવા અને જેલ જવાનું પણ એમણે કબૂલ્યું.

સરદાર પટેલનો પડછાયો બની રહ્યાં

સરદાર પટેલ, એમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ અને મણિબહેન - ત્રણેય બારડોલીના ખેડૂતોને ન્યાય અપાવવાના સત્યાગ્રહમાં સક્રિય રહ્યાં. મણિબહેન મહિલા કાર્યકરો સાથે સતત કાર્યરત રહ્યાં. પિતાજીની કાળજી લેવાને એ પોતાનો ધર્મ સમજવા માંડ્યાં. ૧૯૨૮ના ઓગસ્ટમાં બારડોલી સત્યાગ્રહની સફળતા પછી વલ્લભભાઈનું વ્યક્તિત્વ રાષ્ટ્રીય સ્તરે વિસ્તરતું ગયું. કૉંગ્રેસના સંગઠનાત્મક કામ અને આઝાદીની ચળવળમાં એ વધુને વધુ સક્રિય બનતાં રહ્યાં. બારડોલી સત્યાગ્રહ પછી દાંડી કૂચ અને એ પછી ૧૯૪૨ની હિંદ છોડોચળવળને પગલે અંગ્રેજ શાસનના પાયા હચમચી ગયા. જેમ બને તેમ જલદી ભારતમાંથી ઉચાળા ભરવાનું અંગ્રેજ શાસકોએ નક્કી કરી દીધું.
સરદારની જવાબદારીઓ વધતી ચાલી. મણિબહેન એમના પ્રત્યેક કામમાં સાથ આપતાં રહ્યાં. સરદારના પ્રત્યેક મુલાકાતી વખતે એ હાજર રહે, મહેમાનોની કાળજી રાખે, સરદારની કાળજી રાખે અને નિયમિત ડાયરી રાખવાથી લઈને પત્રવ્યવહાર કરવા સહિતની બાબતોમાં એ સાથસહકાર આપતાં રહ્યાં. સરદાર પટેલ આઝાદીની ચળવળથી લઈને સરકારી હોદ્દે આવ્યા. ત્યાં લગી એમની ભૂમિકા સરદારનો પડછાયો બની રહેવાની રહી.
સરદારની તબિયત કથળી રહી હતી ત્યારે પણ એમની વિશેષ કાળજી લેવાની જવાબદારી મણિબહેનને શિરે આવી. દેશી-વિદેશી મહેમાનો અને મહાનુભાવો સાથેની મુલાકાતોમાં મણિબહેન સરદાર સાથે સતત રહ્યાં, પણ વચ્ચે કયારેય ડબડબ કરવાથી દૂર રહ્યાં. સરદાર નાયબ વડા પ્રધાન, ગૃહ પ્રધાન, માહિતી અને પ્રસારણ પ્રધાનની સાથે જ રિયાસતી ખાતાના પણ પ્રધાન રહ્યા એટલે એમને ત્યાં વાઈસરોયમાંથી ગવર્નર-જનરલ બનેલા લૉર્ડ માઉન્ટબેટનથી લઈને દેશવિદેશી મહેમાનો સતત આવતા રહે. છતાં સાદગીથી જીવવા ટેવાયેલા સરદારના જ આદર્શોને આત્મસાત કરનાર મણિબહેન સાદગી અને અને ચીવટથી પ્રત્યેક કામ કરતાં રહ્યાં.

નેહરુને ૩૫ લાખ રૂપિયાની થેલી સુપરત કરી

૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ સરદાર પટેલનું નિધન થયું. મણિબહેનને સરદારે આપેલી સૂચના મુજબ દિલ્હીમાં વડા પ્રધાન જવાહરલાલ નહેરુને મળવા એ ગયાં. સાથે એક બેગ અને એક નોંધવહી લઈને ગયાં હતાં. એમણે એ બંને વસ્તુ વડા પ્રધાન નેહરુને સુપરત કરી. કહ્યું કે બાપુએ આપને કૉંગ્રેસ પક્ષના આ ૩૫ લાખ રૂપિયા અને કૉંગ્રેસના હિસાબોની વહી પહોંચાડવા કહ્યું હતું. નેહરુએ આભાર માનીને એ લઈ લીધું. પણ પોતાના જૂના સાથીની દીકરીને બીજું કાંઈ કહ્યું નથી.
મણિબહેન પણ મણિબહેન હતા. એ ત્યાંથી ચાલી નીકળ્યાં. શ્વેતક્રાંતિના જનક ડૉ. વર્ગીસ કુરિયને પોતાના પુસ્તકમાં આ પ્રસંગ નોંધીને સરદારના સત્તાધીશ સાથીઓ કેવા નગુણા હતા, એની ટીકા પણ કરી છે. જોકે ૮૬ વર્ષની વયે અમદાવાદમાં મણિબહેને અંતિમ શ્વાસ લીધા ત્યાં લગી એ ખુમારી અને ખુદ્દારીથી જીવ્યાં. ચાર ચાર વાર લોકસભામાં અને એક વાર રાજ્યસભામાં ચૂંટાઈને ગયાં, પણ છેલ્લા દિવસોમાંય એ રિક્ષા કે બસમાં મુસાફરી કરતાં હતાં. એમની પ્રકૃતિ આખરે સરદારની જ વારસ હતી.

ઇન્ડિયા હાઉસમાં બારડોલી દિવસ

ભારતની આઝાદીની ચળવળમાં નિર્ણાયક વળાંક લાવનાર બારડોલી સત્યાગ્રહ સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં ૧૨ ફેબ્રુઆરી ૧૯૨૮ના રોજ શરૂ થયો અને ૬ ઑગસ્ટ ૧૯૨૮ના રોજ એની સફળતાનું એલાન થયું. બારડોલીના ૮૭ હજાર ખેડૂતો સાથે અંગ્રેજ સરકારના અન્યાયી વલણ સામેના આ જંગમાં સફળ થઈને વલ્લભભાઈ સરદાર તરીકે સમગ્ર ભારતમાં છવાઈ ગયા. એટલું જ નહીં, બ્રિટિશ સંસદમાં પણ એમના નામની ગાજવીજ જોવા મળી. સત્યાગ્રહના આયોજનને રાષ્ટ્રીય ફલક પર સુખ્યાત કરવા માટે મહાત્મા ગાંધીએ ૧૨ જૂન ૧૯૨૮ને બારડોલી દિવસતરીકે દેશભરમાં ઉજવવાની હાકલ કરી અને ભારતભરમાં એ ઉજવણીએ ચેતના જગાવી. બારડોલી સત્યાગ્રહને નૈતિક અને આર્થિક સમર્થન પણ પૂરું પાડ્યું.
બારડોલી સત્યાગ્રહને ૯૦ વર્ષ થઈ રહ્યાં છે, ત્યારે યુકેની સરદાર પટેલ સોસાયટી અને ઇન્ડિયા હાઉસ સાથે મળીને ૧૨ જૂન ૨૦૧૮ના રોજ બારડોલી દિવસની ઉજવણી કરવાનો સંકલ્પ કર્યો. એ ગૌરવની વાત છે.ગુજરાતમાં કદાચ બહુ ઓછા લોકો બારડોલી દિવસની ઉજવણીનો વિચાર કરે છે.બારડોલી આશ્રમનાં નિરંજનાબહેન અને સ્વ.મુકુલભાઈ કલાર્થીનાં દીકરી પ્રજ્ઞાબહેન કલાર્થીએ અમને જણાવ્યું હતું કે ગયા વર્ષે બારડોલીના સ્વરાજ આશ્રમમાં બારડોલી દિવસ ઉજવાયો હતો.અપેક્ષા કરીએ કે દર વર્ષે આ દિવસ માત્ર વિધિવિધાન તરીકે ઉજવાય નહીં, પણ ગાંધીજી અને સરદાર પટેલના વિચારોનું સ્મરણ કરીને એમને મૂર્તિમંત કરવા માટે એની યોગ્ય ઉજવણી કરવામાં આવે.સાથે જ પટેલ પરિવારના બીજા બે સભ્યોને પણ યાદ કરવામાં આવે: બૅરિસ્ટર વિઠ્ઠલભાઈ પટેલ અને મણિબહેન પટેલે પણ બારડોલી સત્યાગ્રહમાં યોગદાન કર્યું હતું, એને પણ યાદ કરીને એમને ય અંજલિ અર્પવામાં આવે.સમગ્ર દેશ સરદાર પટેલના પરિવારનો કાયમ ઋણી રહેવાનો છે.એમના થકી જ ભારતનો આજનો નકશો રચાયો. આપણે સૌ પાકિસ્તાનને બદલે ભારતમાં છીએ, કારણ ભોપાલ યોજના મુજબ પાકિસ્તાન સાથે ઇલુ-ઇલુ કરવામાં ભોપાલના નવાબ હમીદુલ્લા ખાન સાથે જ ઇન્દોરના મહારાજા હોલકર,જોધપુરના મહારાજા હણવંતસિંહ અને વડોદરાના મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડ પણ હતા, એ રખે ભૂલીએ.ભોપાલ યોજનાને ફાચર મારવામાં મહારાણા પ્રતાપના વંશજ મેવાડના મહારાણા ભુપાલસિંહનું પણ મહામૂલું યોગદાન હતું જ.
ઈ-મેઈલ: haridesai@gmail.com                                (લખ્યા તારીખ: ૮ જૂન ૨૦૧૮)

1 comment:

  1. GRAT GOOD ARTICAL.COGRUCHALASN ...BKUP ...RIGHT SAM FOR MORJIEBHAI ALL SO AND H.M PATEL

    ReplyDelete