Wednesday 10 January 2018

BJP known for Discipline is Exposed


શિસ્તબદ્ધ ગણાતા ભાજપની બાંધી મુઠ્ઠી ખૂલી ગઈ
Dr.Hari Desai’s Weekly Column in Gujarat Samachar (London), Gujarat Times(New York), Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand), Sanj Samachar (Rajkot), Gandhinagar Samachar (Gandhinagar), Hamlog( Patan) and  Jansetu (Palanpur). Please read the full text on Blog : haridesai.blogspot.com and do  post your comments.
શિસ્તબદ્ધ ગણાતા સત્તારૂઢ ભાજપની બાંધી મુઠ્ઠી ખુલી ગઈ
 ડૉ. હરિ દેસાઈ
નાયબ મુખ્ય મંત્રી  નીતિન પટેલે ત્રાગું કરીને નાણા ખાતું મેળવ્ય પછી રાજ્ય પ્રધાન પરસોત્તમ
સોલંકીએ નારાજગી વ્યક્ત કરી: મોવડીમંડળનું નીચાજોણું થતાં સમય આવ્યે વારો કાઢી લેવાશે

ગુજરાતમાં ભારતીય જનતા પક્ષની સરકાર આવી તો ખરી, પણ પેલી ફિલ્મ થ્રી ઈડિયટ્સના સંવાદની જેમ આલ ઈઝ નાટ વેલ ઈન બીજેપીએની પ્રતીતિ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની નારાજગીએ પ્રગટ કરી જ દીધી. નીતિનભાઈએ રીતસર ત્રાગું કર્યું.શક્તિપ્રદર્શન પણ આદર્યું.મોવડીમંડળ માટે નીચાજોણું કરવાના સંજોગો સર્જ્યા.રવિવાર,૩૧ ડિસેમ્બરે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વહેલી સવારે ફોન કરીને નાયબ મુખ્યપ્રધાન પટેલને ગાંધીનગર જઈને મંત્રીપદ સંભાળી લેવા જણાવવાની સાથે જ “તમારા મોભાને શોભે એવું ખાતું આજે જ અપાશે”,એવી ખાતરી આપી.. નીતિનભાઈએ આ વાત પહેલાં મીડિયાને જણાવીને, પોતે પક્ષની શિસ્ત જાળવીને મહત્વનું ખાતું મેળવી રહ્યાની ઘોષણા કરતાં, સ્વર્ણિમ સંકુલ-૧ પહોંચીને મંત્રીપદનો અખત્યાર સંભાળ્યો.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોવડીમંડળના આદેશાનુસાર સૌરભ પટેલ પાસેથી નાણા ખાતું લઈને નીતિનભાઈને આપ્યાનો પત્ર રાજભવન પહોંચાડી દીધો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાજપમાં કોઈ ટિકિટ કે મંત્રીપદ માટે લોબિંગ ના કરી શકે એવી સામાન્ય છાપ હતી અને અહીં તો રૂસણે બેસીને ધાર્યું કરાવી શક્યા એનો સંદેશ પક્ષના કાર્યકરોમાં અને ધારાસભ્યોમાં કેવો જાય છે એના  ભણી સૌની મીટ છે.
ગુજરાતીમાં કહેવત છે કે ડોશી મરે એનો વાંધો નહીં પણ જમ ઘર ભાળી જાય એ જરા જોખમી લેખાય.માંડ નીતિનભાઈને ટાઢા પાડ્યા ત્યાં તો રાજ્યની કોળી વોટબેંકને ભાજપ સાથે જોડી રાખનારા રાજ્ય પ્રધાન પરસોત્તમ સોલંકીએ પ્રધાનપદાનો હવાલો તો સંભાળ્યો પણ મીડિયાને કહ્યું કે  “હું પાંચ વાર ચૂંટાયો હોવા છતાં મને માત્ર મત્સ્યોદ્યોગ ખાતું જ અપાયું છે, જયારે મુખ્ય મંત્રી પાસે બાર બાર ખાતાં અને પહેલી-બીજીવાર ચૂંટાયેલા કેટલાકને વધુ ખાતાં મળે ત્યારે મારો સમાજ નારાજ થાય એ સ્વાભાવિક છે.” બંબાવાળા તરીકે નીતિનભાઈને સમજાવવા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને દોડાવાયા હતા, એમ સોલંકીને સમજાવવા પણ ચુડાસમાએ જવું પડ્યું. મુખ્ય મંત્રી રૂપાણીએ મુદત પાડી, પણ પરસોત્તમને નારાજ કરવા જતાં ભાવનગરની લોકસભા બેઠક ખોવાનો વારો આવે એ મોવડીમંડળ પણ જાણે છે.આમ પણ સૌરાષ્ટ્રમાં બહુમતી કોળી ધારાસભ્યો કોંગ્રેસના ચૂંટાયા છે. કેટલાક જિલ્લામાં તો  ભાજપને એકપણ બેઠક નથી મળી ત્યાં આ નવી ઉપાધિ ક્યાં વહોરવી? સ્વયં ભૂપેન્દ્રસિંહને મહેસૂલ ખાતું છીનવાયાનો ગમ છે. વયોવૃદ્ધ આંજણા પટેલ પરબતભાઈ પટેલને કેબિનેટ પ્રધાન થવાની હોંશ હતી અને બીજા ઘણા રહી ગયા અથવા  ઓછા મહત્વનાં ખાતાં ધરાવે છે. ખાતાંની ફાળવણી મોવડીમંડળ દ્વારા થઇ છે એટલે અસંતોષની લાગણી પણ એની સામે જ ઊઠે છે.પ્રતીક્ષા હવે એટલી કરવાની કે મોવડીમંડળ સામે આવાં ત્રાગાં કરવાની વધુ  કોઈ પ્રધાન હિંમત કરે છે કે પછી અસંતુષ્ઠોનો  વારો કાઢી લેવાનો કારસો રચાય છે.
મધોક-શર્માને દરવાજો બતાવનારાઓ વિવશ
 ભાજપ અને એના પૂર્વ અવતાર જનસંઘમાં રૂસણે બેસનાર નેતાઓ પતી જવાની પરંપરા જાણીતી છે. જનસંઘના સંસ્થાપક અને સંઘનિષ્ઠ નેતા બલરાજ મધોક હોય કે મૌલીચંદ્ર શર્માને, નાગપુરના રિમોટથી અધ્યક્ષપદેથી દૂર કરી દેવાયા હતા એટલું જ નહીં પક્ષમાંથી તગેડી મૂકાયા હતા. ક્યારેક પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેલા લાલકૃષ્ણ અડવાણી, ડો. મુરલી મનોહર જોશી અને નીતિન ગડકરીની સંઘનિષ્ઠા છતાં એમની સ્થિતિ દયનીય કરી દેવાયાના સંજોગોમાં ભાજપના કોઈ નેતાઓ હવે શંકરસિંહવાળી કરવાની હિંમત કરવાની સ્થિતિમાં નથી જ નથી. જોકે, હવે ગુજરાતમાં સત્તા અને વિપક્ષ વચ્ચે આસમાની સુલતાની થવા માટે માંડ દસ ધારાસભ્યોની આઘાપાછી જવાબદાર ઠરી શકવાના સંજોગો છે. કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપના હાથમાંથી બાજી હજુ કોઈ છીનવી શકે એની શક્યતા નથી. રાજ્યપાલ પર રિમોટ કેન્દ્રના ગૃહપ્રધાનનો ચાલે છે. ગૃહપ્રધાન રાજનાથ સિંહ પર રિમોટ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ચાલે છે. આવા સંજોગોમાં નાગપુર એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ વિવશતા અનુભવવાની સ્થિતિમાં હોવાથી ગાંધીનગરમાં આરૂઢ વિજય રૂપાણીની સરકારને ઉથલાવવાનું અશક્ય લાગે છે. ખજૂરાહોવાળી કરનાર શંકરસિંહ વાઘેલા પોતે પણ જ્યાં વડા પ્રધાન મોદીના પગમાં પડવાની સ્થિતિએ આવી ગયા હોય ત્યાં અહીં કોઈનો પતંગ ઊડતો નથી કે જેને કોઈ કાપવાની હિંમત કરી શકે. 
ઘીના ઠામમાં ઘીનું  પડી રહેવું
રાજકીય પક્ષના ધારાસભ્યો કે નેતાઓ મહત્ત્વાકાંક્ષા લઈને જ રાજકારણમાં આવતા હોય છે. વાતો સેવાની ભલે કરે, વાસ્તવમાં મેવાની અપેક્ષા છતી થયા વિના રહેતી નથી. રાજકારણમાં કોઈ મંજીરા વગાડવા માટે આવતું નથી. ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા બહુમતી ધારાસભ્યો ભાજપના હોવાને કારણે પ્રધાનપદાંની અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે. જોકે, માથે લોકસભાની ચૂંટણી ઊભી હોય અને સત્તાપક્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઝંઝાવાતી પ્રચાર અને વ્યૂહને કારણે માંડમાંડ વિજયી થયો હોય ત્યારે જૂના તમામ પ્રધાનોને ફરી પ્રધાનપદાં આપવાને બદલે લોકસભાની આગામી ચૂંટણી મદદરૂપ થઈ શકે એવાં વ્યક્તિત્વોને પ્રધાનપદાં અપાવાનું સ્વાભાવિક ગણાય.ગુજરાતની વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી વચ્ચેના સમયગાળામાં જે આઠ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એમાંનાં ભાજપશાસિત રાજ્યોમાં પણ મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળમાં ફેરફાર કરવાની અનિવાર્યતા પક્ષનું મોવડીમંડળ પોતે અનુભવી રહ્યું છે. એવા સંજોગોમાં લોકસભાની કુલ ૫૪૫ બેઠકોમાંથી ૫૪૩ બેઠકોની ૨૦૧૯ની ચૂંટણીમાં ફરીને ૨૮૨ બેઠકો પ્રાપ્ત કરવાનું ભાજપ માટે અશક્ય જણાય છે.બે બેઠકો એંગ્લો-ઈન્ડિયન્સ માટે નામનિયુક્ત  હોય છે.
ભાજપની નેતાગીરી અને સંઘની નેતાગીરી વર્તમાનમાં એકાકાર હોવાને કારણે  ભાજપી નેતાઓ માટે સંઘ મુખ્યાલયમાં દાદ-ફરિયાદ કરવા જવાની સ્થિતિ નથી. ઉલટાનું ભાજપના મોવડીમંડળના આદેશની અવગણના કરવા જતાં રાજકીય દૃષ્ટિએ પતી જવાના સંજોગો સર્જાય. એટલે ભાજપમાં અસંતોષનો ચરુ ઊકળતો હોય તો પણ ભાજપમાંથી કોંગ્રેસ તરફ જવાનું નીતિનભાઈ સહિતના માટે જોખમી છે અને સાથે જ કોંગ્રેસ પણ પોતાનું ઘર સાચવીને ધીરગંભીરપણે ભાજપના આક્રમણને ખાળવાની કોશિશમાં છે. એટલે ગુજરાતમાં જે ધારાસભ્યો પ્રધાનપદાથી પહેલા તબક્કામાં વંચિત રહ્યા છે એમણે બીજા તબક્કાના ૭ પ્રધાનની વરણીમાં પોતાની લોટરી લાગે એની પ્રતીક્ષા કર્યા વિના છૂટકો નથી. વળી એમાં પણ નંબર લાગે નહીં તો સંસદીય સચિવ થઈને સચિવાલયમાં કચેરી મેળવ્યાનો હરખ અનુભવો પડે. કારણ બહુ સ્પષ્ટ છે. ભાજપની લોકપ્રિયતાનો જુવાળ શમતો જણાતો હોવા છતાં કમ સે કમ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન મોદી બીજીવાર વિજય પતાકા લહેરાવે એવી વ્યૂહાત્મક સ્થિતિમાં આગેકૂચ કરી રહ્યા છે. આવા તબક્કે કોંગ્રેસમાં જવાનું ભાજપના નેતાઓ માટે આત્મઘાતી લેખાવું સ્વાભાવિક છે.
ગુજરાતમાં તલવારની ધાર પર નર્તન
ગુજરાતમાં ભાજપ સત્તારૂઢ થવા છતાં સરકાર ચલાવવાનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે ખૂબ કપરું કામ બની રહેવાનું છે. પ્રધાનોનાં ખાતાંના વિતરણથી જ અપશુકનની સ્થિતિ નિર્માણ થઈ છે. સામાન્ય રીતે જે દિવસે નવું પ્રધાનમંડળ શપથ ગ્રહણ કરે એ જ દિવસે તમામ પ્રધાનોને પોતપોતાના વિભાગોની વહેંચણી કરી દેવા માટે કેબિનેટની બેઠક મળતી હોય છે. ૨૬ ડિસેમ્બરે વડા પ્રધાન મોદી અને વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનોની ઉપસ્થિતિમાં રૂપાણી કેબિનેટનો શપથવિધિ યોજાયો. નીતિનભાઈએ નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા. બધા પ્રધાનો અને રાજ્ય કક્ષાના પ્રધાનોનો શપથવિધિ પત્યો, પણ કેબિનેટની બેઠક ૨૮ ડિસેમ્બરે રાત્રે યોજાઈ. ૨૭ ડિસેમ્બરે સિમલામાં હિમાચલ પ્રદેશના નવા ભાજપી પ્રધાનમંડળના શપથવિધિમાં મુખ્યપ્રધાન રૂપાણી જવાની અપેક્ષા હતી, પણ ગયા નહીં. ગુરુવાર, ૨૮ ડિસેમ્બરના રોજ સાંજે પાંચ વાગ્યે કેબિનેટ મળવાની હતી, પણ ખાતાંના વિતરણના મુદ્દે નીતિનભાઈએ ગ્રહણટાણે જ સાપ કાઢ્યો એટલે ચાર-ચાર કલાક સુધી બેઠકો ચાલી. મોવડી મંડળ સાથે સંપર્ક થતો રહ્યો. પ્રદેશ ભાજપના અધ્યક્ષ જિતુ વાઘાણી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ વચ્ચે સુમેળ સાધવાના પ્રયાસો થયા. અંતે કેબિનેટમાં ખાતાંની ફાળવણી થઈ. એ પછી અખબાર નવેશોને સંબોધવા માટે મુખ્યપ્રધાન અને પ્રદેશ ભાજપ અધ્યક્ષની સાથે નીતિનભાઈ બેઠા તો ખરા, પણ મૌન રહ્યા. બીજા દિવસે સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે પોતાની કચેરીએ ના ગયા. નારાજગી દર્શાવતા ઘરે રહ્યા એટલે સરકારનું સંચાલન વિકટ બન્યાનું અનુભવાયું. મોતી ભાંગ્યું છે, પણ રેણ ક્યાં લગી ચાલશે એ જોવાનું છે.
ઉત્સવો અને આંદોલનોની પરંપરા
નરેન્દ્ર મોદીના યુગમાં ભાજપ ગુજરાતથી લઈને દિલ્હી લગી સત્તારૂઢ થયો અને ઉત્સવો કરનારા પક્ષ તરીકે એની કીર્તિ રહી છે. જોકે, આ પરંપરા આ વખતે કેટલી અખંડ રહેશે અને ક્યારે ક્યારે ખંડિત થશે એ કહેવું મુશ્કેલ છે. કારણ બહુ સ્પષ્ટ છે. વિપક્ષ મજબૂત બનીને ઉપસ્યો છે. વિધાનસભામાં અને વિધાનસભાની બહાર સત્તાપક્ષ સામે કોંગ્રેસના મજબૂત અને યુવા નેતાઓ નવા પડકાર ઊભા કરશે. સાથે જ આંદોલનત્રિપુટી હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી થકી આંદોલનોની પરંપરા પણ અખંડ રહેશે. વીતેલી વિધાનસભામાં વિપક્ષના કોંગ્રેસી નેતા શંકરસિંહ વાઘેલા ભાજપની બી-ટીમ તરીકે રમતા હતા એવું આ વખતની વિધાનસભામાં નહીં થાય. વિપક્ષ હવે સત્તાપક્ષના દાંત ખાટા કરવા માટે પ્રજાના પ્રશ્નોને આગળ કરીને ઝંપવા નહીં દે. ઉત્સવોમાં લોકોને રમમાણ રાખવાની ભાજપી પરંપરાને બદલે વિપક્ષ તથા આંદોલનકારીઓ નક્કર પરિણામલક્ષી શાસન પૂરું પાડવા વિવશ કરશે. મજબૂત વિપક્ષ વ્યૂહાત્મક રીતે સરકાર સામે ભીડાશે. મોદીની અનુપસ્થિતિ ભાજપને કઠશે.
મોદી-અમિતની જોડીની સફળતા

ભાજપમાં વડા પ્રધાન મોદી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહની જોડીએ વિજયરથને આગળ ધપાવ્યો છે. ભાજપની સત્તા હેઠળ વધુને વધુ રાજ્યો આવતાં ગયાં છે. ભાજપ હવે માત્ર સંઘ પરિવાર સાથે સંકળાયેલા લોકોનો પક્ષ રહ્યો નથી. કોંગ્રેસના જૂના સાથીઓને પણ સમાવીને વિજયપતાકા લહેરાવવામાં સફળતા મળે એ દિશામાં આગળ વધવાનું મોદી-શાહની જોડીએ નિર્ધારિત કર્યું છે. એમાં ક્યારેક આનંદીબહેન પટેલ જેવાં મોદીનિષ્ઠ ભાજપી નેતાનો ભોગ લેવાયો છે, પણ દેશભરમાં આગેકૂચ કરતાં ક્યારેક આવા કટુનિર્ણય લેવામાં આવે એ અનિવાર્ય બની જાય છે. આવતા દિવસોનું  રાજકીય ચિત્ર રસપ્રદ બનતું જશે.                    ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment