Wednesday, 31 January 2018

A Muslim Birajdar Family Devoted to Sanskrit


સંસ્કૃતને આજીવન સમર્પિત મુસ્લિમ બિરાજદાર પરિવાર

Dr.Hari Desai’s Weekly Column in Gujarat Guardian (Surat), Sanj Samachar (Rajkot), Gandhinagar Samachar (Gandhinagar), Sardar Gurjari (Anand), Hamlog (Patan) and Jansetu (Palanpur). You may read the full-text here or on Blog:  haridesai.blogspot.com and comment.

સંસ્કૃતને આજીવન સમર્પિત મુસ્લિમ બિરાજદાર પરિવાર
ડૉ.હરિ દેસાઈ
·         પવિત્ર કુરાનને સંસ્કૃતમાં અનુવાદિત કરનાર ૮૩ વર્ષીય પંડિત ગુલામ દસ્તગીર વેદગ્રંથોના પ્રખર જ્ઞાતા
·         સોલાપુરની બ્રાહ્મણ ગુરુજીની પાઠશાળામાં ભણ્યા પછી પંડિતજી મુંબઈની શાળાના સંસ્કૃતશિક્ષક તરીકે નિવૃત્ત
·         વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા  રાષ્ટ્રીય સંસ્કૃત પ્રચારક નિયુક્ત, સનદી અધિકારીઓને વ્યાખ્યાનો આપતા
·         રિક્ષાવાળો ય સમજે એવી સંસ્કૃતમાં વાત કરનાર ગુલામ સાહેબનાં સંતાનોની લગ્નકંકોતરીઓ સંસ્કૃતમાં જ 

હજુ હમણાંજ શંભાજીનગર (ઔરંગાબાદ)માં રાષ્ટ્રીય વૈદિક સંમેલન મળ્યું.દેશભરના વિદ્વાનો અને રાજનેતાઓ એમાં સહભાગી થયા, પણ ૧૯થી ૨૧ જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાનના આ સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત પંડિત ગુલામ દસ્તગીર બિરાજદાર સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા.મુંબઈમાં અમારા દાયકાઓના નિવાસ દરમિયાન સંસ્કૃતના આ મહાપંડિત સાથે અંતરંગ સંબંધ રહ્યો, પણ છેલ્લાં વર્ષોમાં એમનો સંપર્ક તૂટી ગયો હતો.સામાન્ય રિક્ષાવાળો પણ સમજી શકે એવી સાદી, સરળ અને દંભ વગરની સંસ્કૃત ભાષામાં બોલતા પંડિતજીને સંભાળવા એ લ્હાવો ગણાય.”જન્મભૂમિ” દૈનિકના તંત્રી રહેલા ગુરુવર્ય સ્વ.મનુભાઈ મહેતા પણ આ મહાન હસ્તી વિશે અનેકવાર પોતાનાં લખાણોમાં ઉલ્લેખ કરીને આદર વ્યક્ત કરતા.પંડિતજી એટલે સાવ સાદી વ્યક્તિ.પંડિતાઈનો ભાર લઈને ફરનારા સંસ્કૃતના પંડિતોથી સાવ નોખા પડે એવા સોલાપુરી ટોપી અને લેંઘા-ઝભ્ભામાં કાયમ મળે. પંડિતજીને સંસ્કૃતપ્રેમી સદગત વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ સંસ્કૃતના રાષ્ટ્રીય પ્રચારક નિયુક્ત કરેલા,આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ માટે પ્રત્યેક રાજ્યમાં એમનાં વ્યાખ્યાનો યોજાય.કાશીના વિશ્વ સંસ્કૃત પ્રતિષ્ઠાનના એ મહાસચિવ અને સંસ્કૃત પત્રિકાના સંપાદક પણ રહ્યા.

કાશીનરેશને એમના માટે વિશેષ અનુરાગ.મુંબઈમાં પોદાર હોસ્પિટલ સામેની  ટેકરી પર જતી સીડીઓ ચડીને ટોચ પર આવેલી મઝાર પર પહોંચો એટલે પંડિતજીનું નિવાસસ્થાન મળે.કાશીનરેશ એમને મળવા એમના નિવાસસ્થાને પધારે.આવું સાદું સીધું વ્યક્તિત્વ આજે ૮૩ વર્ષની ઉંમરે પણ સંસ્કૃતની સેવામાં લાગ્યું છે.ઇનામ-અકરામની પરવા  કર્યા વિના, વિદેશોમાં એમનાં વ્યાખ્યાનો ગોઠવવાની ભલામણો મેળવ્યા વિના, માત્ર પોતે જ નહીં , સમગ્રપણે બિરાજદાર પરિવાર સંસ્કૃતની સેવામાં આજે પણ સક્રિય છે.નાણાં ભેગાં કર્યાં નથી, પણ મરાઠી, હિંદી, સંસ્કૃત,અરબી, ફારસી અને અંગ્રેજીના અભ્યાસ થકી સનાતન (હિંદુ) ધર્મ અને ઇસ્લામના પવિત્રગ્રંથોના અભ્યાસ પછી  પંડિતજી એવા તારણ પર જરૂર આવ્યા છે કે “વેદો અને કુરાનનો એક જ સંદેશ છે- માનવજાતનું કલ્યાણ”. એમના પરિવારમાં નિકાહ પઢવાનો શુભ પ્રસંગ આવે ત્યારે લગ્નની કંકોતરીઓ પણ સંસ્કૃતમાં છાપવાની પરંપરા એમનાં સંતાનોનાં સંતાનોનાં લગ્ન વખતે પણ જળવાઈ છે. હજુ ૮ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ એમની ડેન્ટલ સર્જન પૌત્રી  ડૉ.સમીનનાં ડેન્ટલ સર્જન  ડૉ.મુહંમદ ઝમીર રઝવી સાથે લગ્ન લેવાયાં, ત્યારે પણ કંકોતરી તો અન્ય ભાષાઓની સાથે સંસ્કૃતમાં જરૂર લખાઈ એટલુંજ નહીં, એમાં સંસ્કૃતમાં પવિત્ર વેદની ઋચા પણ સામેલ હતી જ ! પંડિતજીના પરિવારમાં એમનાં ૭૭ વર્ષીય પત્ની વહીદા બિરાજદાર અને પુત્ર બદયિરઉજમા તથા બે પરિણીત દીકરીઓ ગ્યાસુનિસ્સા અને કમરુનિસ્સા તેમજ ત્રીજી પેઢીનો વિશાળ પરિવાર છે.પુત્ર સંસ્કૃતના વિદ્વાન છે, પણ રેશનની દુકાન ચલાવે છે. ગ્યાસુનિસ્સા અક્કલકોટ રહે છે અને સંસ્કૃતની સેવા કરે છે.નાની દીકરી કમરુનિસ્સા પોતાના પતિ અને નિવૃત્ત એસીપી ગફુર પાટીલ સાથે ઔરંગાબાદ રહે છે.કમારુનિસ્સાનો ઇજનેર દીકરો દાનીશ શેખ પંડિતજી સાથે મુંબઈમાં રહીને એમના સંસ્કૃત વિષયક કામમાં મદદ કરે છે.

પ્રજાસત્તાક દિવસની સવારે જ પંડિત ગુલામ દસ્તગીર બિરાજદાર સાથે ફોન પર વાત થઇ ત્યારે અમારો પ્રશ્ન હતો કે આપે હાથમાં લીધેલું પવિત્ર કુરાનને સંસ્કૃતમાં અનુવાદિત કરવાનું કામ પૂરું થયું કે? પંડિતજી અમને કહેતા રહ્યાં હતાં કે કુરાન શબ્દ જ સંસ્કૃતનો છે.કુ+રાન એટલે કે પૃથ્વી + ઘોષણા.એટલેકે અલ્લાહની પૃથ્વી પરની ઘોષણા.પંડિતજી  ઉવાચ: “ અનુવાદ તો થઇ ગયો છે.હસ્તલિખિત ૬૦૦ પાનાં હવે પ્રકાશિત કરવાનાં છે.તમે તો જાણો જ છો કે મેં જીવનમાં નાણા ભેગાં કર્યાં નથી.એ છપાવવા માટે નિધિની વ્યવસ્થા થાય એટલે પહેલાં તો મૌલાનાઓ અને પંડિતોના અભિપ્રાય અર્થે એ છપાવીને એમના તરફથી મત જાણી બધું બરાબર છે એ અંકે કર્યા પછી પવિત્ર કુરાન સંસ્કૃતમાં પ્રકાશિત કરાવવાની મારી ઈચ્છા છે.” રાજ્ય અને કેન્દ્ર સરકાર સંસ્કૃત માટે વિશેષ અનુરાગ ધરાવે છે ને? એ કહે છે : “એ વાતો તો ખૂબ કરે છે, પણ નક્કરપણે કંઈક કરે તો જાણું. હમણાં ભાજપનાં ધારાસભ્ય મેધા કુલકર્ણી (ભાજપી સાંસદ કિરીટ સોમૈયાનાં પત્ની) ફોન કરીને મને મળવા આવ્યાં હતાં.હું તો મહારાષ્ટ્ર જ નહીં, સમગ્રપણે દેશભરમાં સંસ્કૃતને ફરજિયાત કરવાનું કહું છું, પણ સરકાર એ વિષે ઉદાસીન છે.સરકાર સંસ્કૃત ફરજિયાત કરે તો સંસ્કૃતનો અભ્યાસ કરનારને નોકરીઓ મળે એટલું જ નહીં, આ ભાષા જીવતી રહે.સંસ્કૃત જેવી સરળ ભાષા બીજી કોઈ નથી.બંધારણ નિર્માતા ડૉ.બાબાસાહેબ આંબેડકરે તો સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવવા બંધારણ સભામાં આગ્રહ કર્યો હતો અને નજીરુદ્દિનએહમદે એને ટેકો આપ્યો હતો.કમનસીબે એ શક્ય ના બન્યું.હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનું નામ ‘હિંદુસ્થાન’ કરવાની સાથે સંસ્કૃતને રાષ્ટ્રીય મોભાનું સ્થાન આપવા પગલાં લેવાની જરૂર છે.માત્ર ઘોષણાઓ નહીં, નક્કર કામ કરીને બતાવે.”

પવિત્ર કુરાનના સંસ્કૃતમાં અવતરણના પ્રકાશન માટે નિધિની વ્યવસ્થા કરવામાં પ્રયત્નશીલ પંડિત બિરાજદાર પગ વાળીને બેસી રહે તેમ નથી.હવે શું કરવા ઈચ્છો છો? પંડિતજી કહે છે: “અરવિંદ ઘોષે પોતાના ગ્રંથોમાં ૩૦૦૦ જેટલા ગૂઢ અર્થવાળા શબ્દોની વાત કરી છે.કુરાનનો સંસ્કૃતમાં અનુવાદ કરતી વેળા વિવિધ ભાષાના ગ્રંથોનો અભ્યાસ કરતાં મને વૈદિક અને ઇસ્લામિક ગ્રંથોમાં આવા ગૂઢ અર્થવાળા શબ્દોની મુલાકાત થઇ.હવે એનાં રહસ્ય ઉકેલવાની દિશામાં પ્રયત્નશીલ રહેવાનો છું.” સાથે જ વિવિધ અરબી મદરેસાઓમાં વિષય તરીકે સંસ્કૃત દાખલ કરાઈ રહ્યું હોવાથી પંડિત બિરાજદાર એમના માર્ગદર્શક તરીકે સેવાઓ આપવામાં પણ સક્રિય રહેશે.અત્યારે જયારે ભારતભરમાં યુનિવર્સિટીઓ અને કોલેજોમાં  સંસ્કૃતના પ્રાધ્યાપકો પણ સંસ્કૃત ભાષામાં બોલવા કે ભણાવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયના આદેશથી યુજીસીએ અમુક સમયગાળામાં તેમને  સંસ્કૃત બોલવાનું શીખી લેવાનો નિર્દેશ આપવો પડ્યો છે; ત્યારે પંડિત બિરાજદાર જેવા સંસ્કૃતમાં કડકડાટ બોલનાર અને સામાન્ય માણસને પણ સમજાય એવી સરળ ભાષામાં એ બોલતા હોય એને  અજાયબી લેખવી પડે.બાલ્યાવસ્થામાં સોલાપુરની પાઠશાળામાં રાત્રે ભણવા જતા ગુલામ દસ્તગીર બિરાજદાર દિવસ દરમિયાન તો ખેતરોમાં મજૂરીએ જતા હતા.પહેલાં તો લગભગ બધા જ બ્રાહ્મણ વિદ્યાર્થીઓની એ પાઠશાળાની બહાર ઓસરીમાં  બેસીને એકલવ્યની જેમ જ એ સંસ્કૃત શીખતા હતા, પણ એમના બ્રાહ્મણ ગુરુજીના ધ્યાને આવતાં એમણે તેમને પાઠશાળામાં પ્રવેશ આપ્યો હતો.એમણે એ વેળા કલ્પના પણ નહીં કરી હોય કે એક દિવસ એમનો આ વિદ્યાર્થી દુનિયાભરમાં નામ કાઢે એવો સંસ્કૃતનો પંડિત થશે અને વડા પ્રધાન કે રાજાઓ પણ એને મળવામાં ગૌરવ અનુભવશે; અને એ પણ એટલી જ સાદગી અને સહજતા જાળવીને. વિધિની વક્રતા તો જુઓ કે ભારત સરકાર અને દેશભરની સરકારો સંસ્કૃતના નામે કરોડો રૂપિયા ખર્ચે છે, પણ સંસ્કૃતના આ સેવક અને કોમી એખલાસના સાચા અર્થમાં પૂજારીએ પવિત્ર કુરાનને સંસ્કૃતમાં અનુવાદિત કરવાનું અદભુત કામ કર્યા પછી એ પ્રકાશિત કરવવા માટેનાં નાણાંની જોગવાઈ કરવા એમણે ચિંતા કરવી પડે છે.જોકે અમે તો પંડિતજીને ધીરજ બંધાવી હતી કે ભારતભૂમિ બહુરત્ના વસુંધરા છે. દેશ કે રાજ્યોની  સરકાર એમના આ ઐતિહાસિક યોગદાનને જરૂર બિરદાવશે અને નિધિની વ્યવસ્થા કરશે.અન્યથા સંસ્કૃતપ્રેમી દાનશૂરો આગળ આવીને એમના સમાજાભિમુખ ઉપક્રમને સાકાર કરવાનું બીડું જરૂર ઝડપી લેશે. ભારતવર્ષમાં પંડિત ગુલામ દસ્તગીર બિરાજદાર જેવાં મહામૂલાં રત્ન હોય એના  થકી જ ભારતની ભોમકાની શાન વધે છે.

ઈ-મેઈલ : haridesai@gmail.com                                                                                     sHD-PanditBirajdar26-1-2018





Sunday, 28 January 2018

Anandiben Patel Taking over as the Governor of MP and Aftermath

આનંદીબહેનનું મધ્યપ્રદેશના રાજ્યપાલપદે જવું શું સૂચવે છે?
ડૉ. હરિ દેસાઈ વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક
Dr. Hari Desai writes for BBC Gujarati  on Smt. Anandiben Patel  taking over as the Governor of MP and aftermath.
For full text read here or on Blog : haridesai.blogspot.com
આનંદીબહેન પટેલનું મધ્યપ્રદેશના રાજ્યપાલપદે જવું
રાજકીય ઘટનાક્રમો એકાએક જ આકાર લેતા હોય છે : હમણાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના બીજીવાર શપથ લેવાનો સમારંભ યોજાયો.ગુજરાતના પનોતાપુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિવિધ રાજ્યોના ભાજપી અને મિત્રપક્ષોના મુખ્યમંત્રીની ગાંધીનગરમાં પધરામણી થયેલી હતી.મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને ક્યારેક વડાપ્રધાનપદના ઉમેદવાર લેખાયેલા શિવરાજસિંહ ચૌહાણ શપથવિધિમંચ પર પ્રગટ્યા. એકાએક મુખ્યમંત્રી રૂપાણીને ગુલદસ્તો આપીને એ જતા રહ્યા.તાજેતરમાં જ રાજયબહાર જવાની ધરાર ના પાડનાર આનંદીબહેન પટેલ મધ્યપ્રદેશનાં રાજ્યપાલ થયાં.પાટીદાર અનામત આંદોલનના પ્રારંભિક તબક્કામાં અમદાવાદના જીએમડીસી મેદાન પર ફૂટડા યુવા નેતા હાર્દિક પટેલનાં “ફોઈબા” આનંદીબહેન પટેલ ગુજરાતનાં મુખ્યમંત્રી હોવા છતાં એમની અને એમની સરકારના ગૃહરાજ્ય મંત્રી રજની પટેલની જાણબહાર “કોઈ અજ્ઞાત વ્યક્તિના ઈશારે” પોલીસને સૂચનાઓ અપાઈ અને રાજ્યના  પટેલ પરિવારો પર પોલીસ અત્યાચાર થયો.કેટલાક યુવકો શહીદ થયા.મુખ્યમંત્રી આનંદીબહેન અને એમના રાજ્યમંત્રી રજની પટેલે કાને હાથ દીધા. મામલો વણસ્યો અને વધુ વણસતો ગયો.એક દિવસ એકાએક ફેસબુક પર,પોતે ૭૫નાં થયાનું જણાવીને, મુખ્યમંત્રી શ્રીમતી પટેલનું રાજીનામું આવી પડ્યું. એ રાજી થઈને આપ્યા કરતાં નારાજીનામું વધુ જણાતું હતું.

એકાએક મુખ્ય મંત્રીપદેથી રુખસદ મળ્યા પછી આનંદીબહેન મફતલાલ પટેલે ગુજરાતમાં જ રહેવા અને રાજયબહાર નહીં જ જવાના નિર્ણયની ઘોષણા કરી હતી. એમના અનુગામી વિજયભાઈના નેતૃત્વમાં લડાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઝંઝાવાતી પ્રચાર કરનાર વડાપ્રધાન મોદી સાથેના કાર્યક્રમો અને પક્ષની બેઠકોમાં બહેન જાણે કે અનિચ્છાએ ઉપસ્થિત રહેતાં હોય એવો  એમનો ચહેરો સતત ચાડી ખાતો રહ્યો, પણ બહેન સબ સલામતની આહલ્લેક પોકારતાં રહ્યાં.અમદાવાદની માધ્યમિક શાળાનાં કડક આચાર્ય રહેલાં આનંદીબહેને પક્ષનેતા શંકરસિંહ વાઘેલાના નેતૃત્વકાળમાં ભાજપમાં સામેલ થવાનું પસંદ કર્યું હતું, પક્ષના આંતરકલહ અને બળવાના સંજોગોમાં પણ એ પક્ષનાં નિષ્ઠાવંત કાર્યકર રહ્યાં. નરેન્દ્રભાઈના ગુજરાતવટાના સંજોગોમાં પણ  કેશુભાઈ પટેલની સરકારમાં સંભવતઃ તેઓ એકમાત્ર મોદીનિષ્ઠ પ્રધાન રહ્યાં.એટલેજ મુખ્યમંત્રી મોદી જયારે વડાપ્રધાનપદે જઈ રહ્યા હતા ત્યારે બીજા કેટલાક વરિષ્ઠો અને મોદીનિષ્ઠ અમિત શાહની મહેચ્છા છતાં આનંદીબહેન પર મુખ્યમંત્રીપદનો કળશ ઢોળાયો હતો.બંને વચ્ચેના મનદુઃખની વાતો રાજકીય વર્તુળોમાં કાયમ ચર્ચાતી રહી.વિધાનસભાની છેલ્લી ચૂંટણીએ એ ખાઈને ખૂબ પહોળી કરી.પોતાના અનુગામી તરીકે અગાઉ નીતિન પટેલનો બહેને  સેવેલો આગ્રહ  અમાન્ય થયો હતો. તાજી ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવાની બેઠકોમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સતત હાજર રહ્યા એટલુંજ નહીં, આનંદીબહેનની ભલામણો અવગણાઈ.બહેન પક્ષશિસ્તથી બંધાયેલાં મૂકપ્રેક્ષક બની રહ્યાં. પક્ષમાં સક્રિય રાજકીય હોદ્દા માટે ૭૫ વર્ષની વયમર્યાદા નહીં હોવાનું નીરક્ષીર અધ્યક્ષ શાહે જ પ્રગટપણે કર્યું, પણ એ વયમર્યાદાના કારણે હોદ્દો છોડનાર આનંદીબહેન ભવિષ્યને વાંચી શકતાં હોવાથી તેમણે રાજ્યપાલ તરીકે જવાનું સ્વીકારી લીધું.

હવે થશે શું? આવતું આખું વર્ષ ચૂંટણીઓનું છે.મધ્યપ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.પેટા ચૂંટણીઓમાં ભાજપની સ્થિતિ સારી જણાઈ નથી,સામાન્ય ચૂંટણીમાં ગુજરાત જેવું કટોકટ ચૂંટણીચિત્ર ઉપસવાના સંજોગો છે.મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વારાફરતાં સત્તામાં આવવાની લગભગ પરંપરાને ભાજપ થકી વધુ એકવાર તોડવાની છે.રાજ્યમાં કોંગ્રેસનું તંત્ર ગુજરાતની તુલનામાં વધુ મજબૂત છે.વડોદરાના હવેના ભાજપી રાજવી પરિવારના જમાઈ અને કોંગ્રેસના મુખ્યમંત્રીપદના સંભવિત ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયા ગજું કાઢી રહ્યા છે. તેઓ કોંગ્રેસના યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની યુવા બ્રિગેડના અંતરિયાળ સભ્ય પણ છે.ગ્વાલિયર રાજવી પરિવારના આ ચિરાગના ઉજ્જવળ ભવિષ્ય આડે એમની બંને ફોઈઓ ના આવે એ પણ સંભવિત છે.સદગત વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીનાં સખી અને કોંગ્રેસનાં સાંસદમાંથી જનસંઘ અને ભાજપનાં ટોચનાં નેતા બનેલાં જ્યોતિરાદિત્યનાં દાદી રાજમાતા સિંધિયા અને એમના દિવંગત પુત્ર માધવરાવ સિંધિયા વચ્ચે અણબનાવ છતાં રાજવી આમન્યાઓ સદાય જળવાઈ હતી.અત્યારના “મહારાજા” જ્યોતિરાદિત્યનાં એક ફોઈ વસુંધરા રાજે રાજસ્થાનનાં મુખ્યમંત્રી છે.એમનો વિકલ્પ પણ શોધાઈ રહ્યાની ચર્ચા છે.બીજાં ફોઈ યશોધરા રાજે (ભાનુશાળી) મધ્યપ્રદેશમાં મંત્રી છે.વર્તમાન મુખ્યમંત્રી ચૌહાણને ચૂંટણી પહેલાં કે પછી દૂર કરવાની ચર્ચા મોવડીમંડળ કરતું હોવાના સંકેતો ગાંધીનગરમાં બુકે આપીને વિદાય થયેલા શિવરાજસિંહનાં અંતરંગ વર્તુળો આપતાં હતાં.ભાજપનું મોવડીમંડળ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન કરે અથવા ચૂંટણીનું પરિણામ ગુજરાત જેવું કે નકારાત્મક આવે, એવા તબક્કે રાજ્યપાલની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની જાય.વડાપ્રધાનનાં અત્યંત વિશ્વાસુ રાજ્યપાલનું આવા સંજોગોમાં ત્યાં હોવું જરૂરી છે.

મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબહેન કેટલું રહે અથવા તો એ પાછાં સક્રિય રાજકારણમાં આવી શકે કે? આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે.જો મોરારજીભાઈ દેસાઈ ૮૨મા વર્ષે વડાપ્રધાન થઇ શકે તો હજુ તો માંડ ૭૭નાં શ્રીમતી પટેલ રાજ્ય કે રાષ્ટ્રીય રાજનીતિમાં પાછાં ફરી જ  શકે. રાજકારણમાં ભાગ્યેજ કોઈ નિવૃત્ત થવા ઈચ્છે છે.જ્યાં લગી પ્રજા ઈચ્છે અને મોવડીમંડળ કબૂલ રાખે ત્યાં સુધી કોઈ પણ ઉંમરે સક્રિય રાજકારણમાં આવી શકાય.હા, આરોગ્ય સાથ આપે તો.ગુજરાતમાંથી  રાજ્યપાલો તો ઘણા થયા છે,ભલે એ રાજભવનથી મંત્રીપદ ભણી પાછા ના ફર્યા હોય.ભાવનગરના લોકપ્રિય મહારાજા કૃષ્ણકુમારસિંહજી(મદ્રાસ), કનૈયાલાલ માણેકલાલ મુનશી (ઉત્તર પ્રદેશ),જામનગરના રાજવી પરિવારના મેજર જનરલ હિંમતસિંહજી (હિમાચલ પ્રદેશ), સર સી.એમ.ત્રિવેદી (પંજાબ અને આંધ્ર પ્રદેશ), જયસુખલાલ હાથી(પંજાબ),ખંડુભાઈ દેસાઈ, કુમુદબહેન જોશી(આંધ્ર ),કે.કે.શાહ, પ્રભુદાસ પટવારી (તમિલનાડુ),વીરેન શાહ (પશ્ચિમ બંગાળ) અને વજુભાઈ વાળા (કર્નાટક) જેવા ગુજરાતી રાજ્યપાલો દેશને મળ્યા છે.ગુજરાતની વિધાનસભાની આ વખતની ચૂંટણી વખતે વજુભાઈ રાજભવન છોડીને ગાંધીનગરને વહાલું કરે એવી ચર્ચા હતી.

જોકે રાજભવન માત્ર નિવૃત્ત રાજનેતાઓ માટે જ હોવાની માન્યતાને ઘણા રાજ્યપાલોએ ખોટી પાડીને કેન્દ્રમાં મંત્રીપદ કે રાજ્યોનાં મુખ્યમંત્રીપદ સ્વીકાર્યાનાં કેટલાંક ઉદાહરણ છે એટલે વજુભાઈ કે આનંદીબહેન રાજભવનથી સક્રિય રાજનીતિમાં પાછાં ના જ ફરે એવો કોઈ નિયમ નથી.મહારાષ્ટ્રના એકથી વધુ વખત મુખ્યમંત્રી રહેલા વસંતદાદા પાટીલ સદગત વડા પ્રધાન રાજીવ ગાંધીના યુગમાં ૨૦ નવેમ્બર ૧૯૮૫ના રોજ રાજસ્થાનના રાજ્યપાલ થયા તો ખરા, પણ કોંગ્રેસના અખિલ ભારતીય મહામંત્રી તરીકે સેવા આપવા એમણે ૧૦ ઓક્ટોબર ૧૯૮૭ના રોજ રાજ્યપાલપદ છોડીને આઝાદ થવાનું પસંદ કર્યું હતું.જોકે બે જ વર્ષમાં આ સહકારમહર્ષિનું અવસાન થયું એટલે બીજી આસમાની સુલતાની ના થઇ.મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી રહેલાં બે વ્યક્તિત્વોએ રાજ્યપાલ થયા પછી સક્રિય રાજકારણમાં પાછા ફરવાનું પસંદ કર્યું હતું: સુધાકર નાઈક મુખ્યમંત્રી રહ્યા.એ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ(૩૦ જુલાઈ ૧૯૯૪-૧૭ સપ્ટેમ્બર૧૯૯૬) રહ્યા પછી વાશીમ લોકસભા મતવિસ્તારથી ચૂંટણી લડીને સાંસદ બન્યા હતા.સુશીલકુમાર શિંદે મુખ્યમંત્રી રહ્યા.આંધ્ર પ્રદેશના રાજ્યપાલ (૪ નવેમ્બર ૨૦૦૪ – ૨૯ જાન્યુઆરી ૨૦૦૬) રહ્યા અને પછી એ કેન્દ્રમાં ડૉ.મનમોહન સિંહ સરકારમાં ઊર્જા મંત્રી બન્યા.એ પછી કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર આવી ત્યાં લગી કેન્દ્રના ગૃહ મંત્રી રહ્યા.અત્યારે પણ એ કોંગ્રેસ પક્ષમાં સક્રિય છે.શિંદેની જેમ જ મધ્ય પ્રદેશના બબ્બેવાર મુખ્યમંત્રી રહેલા અર્જુન સિંહ પંજાબના રાજ્યપાલ બન્યા(માર્ચ – નવેમ્બર ૧૯૮૫) અને એ પછી ફરીને ૧૯૮૮-૮૯ દરમિયાન મુખ્યમંત્રી બન્યા. એ પછી ૧૯૯૧-૧૯૯૪ અને ૨૦૦૪-૨૦૦૯ દરમિયાન કેન્દ્ર સરકારમાં માનવ સંસાધન મંત્રી રહ્યા.આવી પાર્શ્વભૂમાં  આવતા દિવસોમાં  રાજ્યપાલ વજુભાઈ વાળા કે આનંદીબહેન પટેલ રાજ્ય કે કેન્દ્રમાં કોઈ મહત્વના હોદ્દે આવે તો બહુ આશ્ચર્ય પામવા જેવું કશું નથી.


( લેખક ઇન્ડિયન ઍક્સપ્રેસ જૂથમાં મુંબઈમાં તંત્રી  અને સરદાર પટેલ સંશોધન સંસ્થા સૅરલિપના સંસ્થાપક નિયામક રહ્યા છે
-મેઈલ : haridesai@gmail.com )

Wednesday, 24 January 2018

The Secret of VHP Supremo Dr.Pravin Togadia's Vanishing and Reappearing act

ડૉ.તોગડિયાના અલોપ થવાના બહુચર્ચિત કાંડની રહસ્ય-દીવાલ
અમેરિકાના સાપ્તાહિક “ગુજરાત ટાઈમ્સ”માં ડૉ.હરિ દેસાઈની કલમે ‘કલ, આજ ઔર કલ’ની અંતરિયાળ વાતોની છણાવટ ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ વેબ : www.gujarattimesusa.com Read the Full-Text here or on Blog : haridesai.blogspot.com and comment.

વિહિંપના ડૉ.તોગડિયાના અલોપ થવાના
બહુચર્ચિતકાંડની રહસ્ય-દિવાલ:ડૉ. હરિ દેસાઈ

• હિંદુ શાસકોનાં ઘર ફૂટ્યે ઘર જાયવાળી પરંપરા હજુ અકબંધ હોવાના ખેલનો વરવો અધ્યાય ભજવાયો
• નરેન્દ્ર મોદીની જેમ જ ડૉ.પ્રવીણભાઈ પણ વડા પ્રધાન પદના આકાંક્ષી હતા એટલે બેઉ વચ્ચે ખટરાગ

હાથનાં કર્યાં હૈયે વાગે એવી ગુજરાતી પ્રજાની જાણીતી ઉક્તિ ગુજરાતમાં હિંદુવાદી નેતા ડૉ.પ્રવીણ તોગડિયાના પ્રકરણમાં બરાબર લાગુ પડે છે.આમ પણ ગુજરાતી પ્રકૃતિ સત્તા સાથે રહેવાની પરંપરા સાથે મેળ બેસાડતી રહી છે.એમાં પાછી હિંદુ રાજવીઓના ઇતિહાસની પરંપરા પણ ભળે.ગુજરાતમાં ૧૯૯૫માં વિધાસભામાં ૧૨૧ ધારાસભ્યો સાથે હિંદુવાદી ભાજપની કેશુભાઈ પટેલની સરકાર આવી ત્યારે જે નાટકીય ઘટનાક્રમ રચાયો હતો એ જ અત્યારે જુદા સ્વરૂપે ઝગારા મારે છે.શંકરસિંહ વાઘેલા ભાજપના જ મુખ્ય મંત્રી કેશુભાઈ સામે ખજુરાહોવાળી કરીને નોખો ચોકો કર્યો ત્યારે કેશુભાઈ સાથે વિશ્વ હિંદુ પરિષદ(વિહિંપ)ના ફાયરબ્રાન્ડ નેતા અને કેન્સર સર્જન ડૉ.પ્રવીણ તોગડિયા અને પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી નરેન્દ્ર મોદી હતા. ભારતીય ઇતિહાસની તાસીર જ કાંઇક આવી છે કે હિંદુ શાસકો આંતરકલહમાં રમમાણ રહે અને એમનું ઘર ભેળાઈ જાય.મોદીયુગમાં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના ડબ્બામાં ૫૮ હિંદુને જીવતા સળગાવી દેવાયાની ઘટનાએ ભાજપની કેન્દ્રમાં સત્તાને માટેનો રાજમાર્ગ ખોલી દીધો. સમગ્રપણે સંઘ પરિવારે ભાજપના નેતા જ નહીં સંઘના પ્રચારક નરેન્દ્ર મોદીનાં ઓવારણાં લઈને મુખ્ય મંત્રી મોદીમાંથી ૨૦૧૪માં તેમને વડાપ્રધાન બનાવવા સુધી સક્રિય રહ્યો હતો. એ પછી સત્તામાં ક્યારેક શંકરસિંહે અપેક્ષિત માનેલી ભાગીદારી ડૉ.તોગડિયા પણ ઈચ્છે એમાં ખોટું નહોતું.મોદીની જેમ જ ડૉ.તોગડિયા પણ વડા પ્રધાન પદના આકાંક્ષી હતા એટલે બેઉ વચ્ચેનું ઘર્ષણ વચ્ચે વચ્ચે છમકલાંનાં દર્શન કરાવતું રહ્યું.અંતે મોતી ભાંગ્યું અને એને રેણ કોઈ કામ ના આવે એટલી હદે મામલો બીચક્યો.આવા તબક્કે ડૉ.તોગડિયા સંઘની ટોચની નેતાગીરી અને ભાજપની ટોચની નેતાગીરીની અનિચ્છાએ વિહિંપના વધુ ત્રણ વર્ષ માટે આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ થયા તો ખરા,પણ એ મુદતનો ભોગવટો કરવા વિશે શંકાકુશંકામાંથી જ જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં વરવાં દ્રશ્યો સર્જાયાં. વિહિંપના સુપ્રીમો અનેક રહસ્યો જાણે છે.એ વિશે દસ્તાવેજી પુસ્તક લખ્યાનું પણ તેમણે મીડિયાને કહ્યું. વર્ષ ૨૦૦૨માં ૩૦૦ હિંદુઓ પોલીસ ગોળીબારમાં મરે એ માટે અમુક અધિકારીઓને કોણે, કેમ અને ક્યાં મૂક્યા, એ રહસ્ય સહિત અનેક ધડાકા પણ બે મહિનામાં જ કરવાના હોવાનું કહી બેઠા છે. ડૉ.તોગડિયાને પોલીસ એન્કાઉન્ટરમાં તેમને મોતને ઘાટ ઉતારવાના કારસા ઘડાઈ રહ્યાનું લાગે છે.જોકે અમદાવાદના વિહિંપ કાર્યાલયમાંથી એમના એકાએક અદ્રશ્ય થવાના અને હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં દાખલ થવાના પ્રકરણમાં સમય જતાં સચ્ચાઈ પરથી પરદો ઊંચકાશે કે ઘીના ઠામમાં ઘી પડ્યું રાખીને મામલો રફેદફે કરાશે,એ કહેવું આ તબક્કે વહેલું છે. 

ગુજરાતના જ બીજા સપૂત રાહુલ રાજીવ ફિરોઝ ફરદૂન ગાંધી

દેશનું રાજકારણ એવા તબક્કે ઊલટી દિશા પકડી રહ્યું છે જયારે આ વર્ષે એટલેકે ૨૦૧૮માં આઠ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માથે ઊભી છે. વળી આવતા વર્ષે લોકસભાની ચૂંટણી ડોકું ફાડીને અત્યારથી હાકલાદેકારા કરવા માંડી છે.ગુજરાતના સપૂત નરેન્દ્ર દામોદરદાસ મોદી ફરીને વડા પ્રધાનપદ પર આરૂઢ થવા થનગની રહ્યા છે.અનેક પ્રકારની કશ્મકશો વચ્ચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માંડ જીતાઈ છે. કૉંગ્રેસ સત્તા મેળવવામાં હોઠ અને પ્યાલા વચ્ચેના અંતરથી ચૂકી છે. કોંગ્રેસે હવે મુસ્લિમ તુષ્ટિકરણના મારગને બદલે સર્વસમાવેશક એવી સરદાર પટેલની નીતિને અનુસરીને કથિત સોફ્ટ હિંદુત્વનો સ્વીકાર કર્યો છે એટલે હિંદુ વોટબેંક પર ભાજપની જ મક્તેદારી રહી નથી.ગુજરાતના જ બીજા સપૂત મૂળ ભરૂચના પારસી પરિવારના વંશજ રાહુલ રાજીવ ફિરોઝ ફરદૂન ગાંધી કૉંગ્રેસના અધ્યક્ષપદે આરૂઢ થઇ ચૂક્યા છે.એમનાં દાદી ઇન્દિરા નેહરુ સાથે દાદા ફિરોઝ ગાંધીના લગ્ન વૈદિક વિધિથી થયાં હતાં અને પિતા રાજીવ અને માતા સોનિયા માઈનોનાં લગ્ન પણ વૈદિક વિધિથી થયાની નક્કર ભૂમિકા પર પોતે ભગવાન શિવમાં શ્રદ્ધા ધરાવતા હોવાનું પ્રગટપણે કહે છે.વિહિંપ રાહુલની આ વાતને આવકારે છે. ભરૂચના ફરદૂન ગાંધી પરિવારના જ વંશજ અને ભાજપી સાંસદ ફિરોઝવરુણ સંજય ગાંધી ગમે ત્યારે ઠેકડો મારીને સગ્ગા પિતરાઈ રાહુલની વહેલમાં બેસે એવા સંજોગો આકાર લઇ રહ્યા છે.

૨૦૦ ટ્રસ્ટી-મતદારોમાંથી ૧૫૮ જણાનું સમર્થન

આવા નાજુક તબક્કે જ તમામ હિંદુઓના હિત માટે ૯૨ વર્ષ પહેલાં સ્થપાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)માં રીતસર બળવાના સંજોગો પેદા થયા છે.જોકે સંઘ પરિવારની બોલકી સંસ્થા વિશ્વ હિંદુ પરિષદ(વિહિંપ:વીએચપી)ના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ (સુપ્રીમો)ની સામાન્ય રીતે સર્વાનુમતે થતી ચૂંટણી માટે આ વખતે ૨૯ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ ભુવનેશ્વરમાં મતદાન શરૂ થયું. વર્તમાન સુપ્રીમો ડૉ.પ્રવીણ તોગડિયા સાથે દેશ-વિદેશના ઉપસ્થિત ૨૦૦ ટ્રસ્ટી-મતદારોમાંથી ૧૫૮ જણાનું સમર્થન જોવા મળતાં મતદાન અધવચ્ચે જ અટકાવી દેવાયું. આગામી ત્રણ વર્ષ માટે ૬૨ વર્ષીય ડૉ.તોગડિયાને ફરી વર્તમાન હોદ્દે રાખવા પડ્યા છે.વિહિંપની આ ચૂંટણી માટેની બેઠકમાં સંઘના સરકાર્યવાહ(મહામત્રી) અપેક્ષિત નથી હોતા છતાં સરકાર્યવાહ ભૈયાજી જોશી હાજર રહ્યા અને છેલ્લી ઘડી સુધી ચૂંટણી ટાળવાના પ્રયાસો કરવાની કોશિશ કરી.અગાઉ તેમણે ડૉ.તોગડિયાને મળીને બોકારોના ૭૯ વર્ષના વિહિંપના ઉપાધ્યક્ષ જગન્નાથ સાહીને આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષપદે પ્રસ્તાવિત કરી જોયા. ડૉ.પ્રવીણભાઈએ ખસી જવાને બદલે ચૂંટણી લડવાની ઈચ્છા જાહેર કરી એટલે ચૂંટણી માટે નવું નામ આવ્યું: ઇન્દોરના વિહિંપના ઉપાધ્યક્ષ જસ્ટિસ વી.એચ.કોગજેનું. એ પૂર્વે મુંબઈના વિહિંપના ઉપાધ્યક્ષ અશોક ચૌગુલેનું નામ વિચરણામાં આવ્યું,પણ એમણે ડૉ.તોગડિયા સામે ચૂંટણી લડવાનો નન્નો ભણ્યો. વિહિંપમાં સંઘના લગભગ ૯૦ પ્રચારકો નિયુક્તિ પામે છે.એમાંથી ૨૫ તો ટ્રસ્ટી-મતદાતા હોય છે.વિહિંપમાં નિયુક્તિ પામેલા બહુમતી પ્રચારકો પણ ડૉ.તોગડિયાને પક્ષે હતા. આવતા દિવસોમાં નાગપુરે સમાધાનની કોઈ ફોર્મ્યુલા આગળ કરીને ભાજપની ડૂબતી નૈયાને ૨૦૧૯માં બચાવી લેવા પહેલ કરવી પડશે, અન્યથા આતંકવાદીઓના ટાર્ગેટ રહેવા છતાં પરિષદના કામને નીડરતાથી આગળ વધારી રહેલા અને યુપીએ સરકારના વખતથી ઝેડ-પ્લસ સિક્યોરિટી હેઠળના આ ફાયરબ્રાન્ડ નેતા ડૉ.તોગડિયા કોઈ આસમાની સુલતાનીને જરૂર આકાર આપી શકે છે.

જયચંદ્ર કે મીરજાફર જેવા દગાખોર

ભારતીય ઇતિહાસના અભ્યાસીઓ સુપેરે જાણે છે કે હિંદુ રાજાઓના આપસી સંઘર્ષ કે યાદવાસ્થળીના પ્રતાપે જ સદીઓ સુધી ભારત ગુલામ રહ્યું. સત્તા માટેના સંઘર્ષમાં કોણ ક્યારે જયચંદ્ર કે મીરજાફર જેવા દગાખોર બને એ કહેવું મુશ્કેલ છે. ૧૯૨૫માં કૉંગ્રેસી ક્રાંતિકારી નેતા ડૉ.કેશવ બલિરામ હેડગેવારે સ્થાપેલા હિંદુવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ) થકી ભારતભૂમિના તમામ હિંદુઓના સંગઠને ઐક્યને મજબૂત બનાવવાનો સંકલ્પ કરાયો હતો. એમણે સંઘ કોઈ એક રાજકીય પક્ષની ઝોળીમાં નાંખવાનું પસંદ કર્યું નહોતું. ૧૯૫૧માં સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર(ગુરુજી)ની પ્રેરણાથી હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ રહેલા અને પંડિત જવાહરલાલ નેહરુની કૅબિનેટમાં ઉદ્યોગ પ્રધાન રહેલા ડૉ.શ્યામાપ્રસાદ મુકરજીના અધ્યક્ષપદે ભારતીય જનસંઘની સ્થાપના થઈ હતી. ૧૯૬૪માં ગુરુજી તથા વિવિધ ધર્મના સંતો-મહંતો તેમજ ક. મા. મુનશી જેવા હિંદુવાદી કૉંગ્રેસી નેતાઓના પ્રયાસો થકી મુંબઈમાં સ્વામી ચિન્મયાનંદના પવઇ આશ્રમમાં વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)ની સ્થાપના થઈ. સંઘના પૂર્ણકાલીન પ્રચારકો જનસંઘ- ભાજપ અને વીએચપીમાં નિયુક્ત થતા રહ્યા. સંઘનું વટવૃક્ષ વિકસતુ ગયું.

 હિંદુવાદીઓમાં સત્તાનો કેફ

૧૯૮૦માં જનતા પક્ષમાંથી છૂટા થયેલા સંઘના સ્વયંસેવકો અને બીજા નેતાઓએ ભારતીય જનતા પક્ષ (બીજેપી)ની સ્થાપના કરી. સમયાંતરે સંઘની સાંસ્કૃતિક ઓળખ સાથે ભાજપની રાજકીય ઓળખ એકાકાર થવા લાગી. ૧૯૯૬માં સંઘ પ્રચારક રહેલા ભાજપી નેતા અટલ બિહારી વાજયેપી પહેલી વાર વડા પ્રધાન બન્યા, પણ એ પછીય ૨૦૦૪ લગી ત્રુટક ત્રુટક મિત્રપક્ષોના ટેકાથી એ વડા પ્રધાન રહ્યા. મે ૨૦૧૪માં સંઘના પ્રચારક રહેલા ભાજપી નેતા નરેન્દ્ર મોદી લોકસભામાં ૫૪૩માંથી ભાજપની ૨૮૨ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવીને વડા પ્રધાન બન્યા ત્યારે સમગ્રપણે હિંદુ પરિવાર સમા સંઘ પરિવારમાં ઘેરઘેર લાપસીનાં આંધણ મૂકાયાં હશે. એ પહેલાં ગુજરાત સહિતનાં રાજ્યોમાં ભાજપની સરકારો હતી, પણ મોદીના કેન્દ્રમાં રાજ્યારોહણ પછી તો સમગ્ર દેશમાં ભાજપનો ભગવો લહેરાવા માંડ્યો. જો કે આ બધા પાછળ સંઘ પરિવારનાં પાંચસો સંગઠનોના લાખો નિષ્ઠાવંત કાર્યકરોનું યોગદાન હતું, પણ સત્તાનો કેફ હિંદુવાદીઓમાં આશા-અપેક્ષાનાં વરવા દૃશ્ય સર્જે એ સ્વાભાવિક છે. સત્તામાં સહભાગિતાની સાથે જ અધૂરા રહેતા વચન-અમલીકરણે આજે સમગ્રપણે સંઘ પરિવારમાં ખટરાગ સર્જ્યો છે. અત્યાર લગી શિસ્ત જળવાતી હતી, એની આમન્યા તૂટવા માંડી છે. ભાજપની નેતાગીરીમાં સંઘની આમન્યાની ઔપચારિકતા ભલે જળવાતી હોય, પણ ગમે ત્યારે જ્વાળામુખી ફાટી નીકળે તેવી સ્થિતિ છે.

વિહિંપના નેતા ડૉ.તોગડિયાના ધડાકા

ભાજપ માટે સંઘ પરિવારમાંથી આક્રમક રીતે કામ કરનાર વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)ના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડૉ.પ્રવીણ તોગડિયાએ કેન્સર સર્જન તરીકેની ધીકતી પ્રૅક્ટિસનો વીંટો વાળીને આયખુ સંઘ પરિવારને સમર્પિત કર્યું છે. વીએચપીના ફાયરબ્રાન્ડ નેતા તરીકેની છબિ દેશ અને દુનિયામાં ઉપસાવી છે. છેક ૧૯૯૬ની ૨૦ મેના રોજ એ વેળાના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જાહેર અભિવાદન માટે અમદાવાદમાં સ્ટેડિયમ પર યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના વયોવૃદ્ધ નેતા આત્મારામ પટેલનું ધોતિયું ખેંચી કઢાયાના ઘટનાક્રમ અંગે ડૉ.તોગડિયા સહિત ૩૯ જણા વિરુદ્ધ નૉન-બેલેબલ વૉરંટ નીકળ્યાની ઘટનાએ સંઘ પરિવારના આંતરકલહને એકદમ સપાટી પર લાવી દીધો છે. ડૉ.તોગડિયા મૂળ સૌરાષ્ટ્રના પટેલ છે. ભાજપના મોવડીમંડળના કહ્યાગરા બનીને રહે તેવા નથી. એમને આટલાં વર્ષોમાં કોઈ સમન્સ પાઠવાયું નથી અને સીધું જ નૉન-બેલેબલ વૉરંટ ઈશ્યુ થતાં, એ અદાલતમાં હાજર થયા અને વૉરંટ રદ તો કરાયું. ડૉ.તોગડિયાએ મીડિયાને કહ્યું કે મને જેલમાં નાંખવાના વ્યૂહ પાછળ કોનું કારસ્તાન છે, એ મુખ્યપ્રધાન રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા શોધી કાઢે. એક પ્રકરણ પત્યું નહોતું અને રાજસ્થાન પોલીસ ડૉ.તોગડિયાને એક કેસમાં પકડીને લઇ જવા આવી.દાળમાં કંઈક કાળું લાગતાં ડૉ.તોગડિયા અલોપ થઇ જવાનું પ્રકરણ બન્યું.એ હોસ્પિટલમાં દાખલ થયા.એમના ખબર પૂછવા ભાજપના સાંસદ રહેલા સંઘનિષ્ઠ રાજેન્દ્રસિંહ રાણા સિવાય બીજા નેતાઓ ફરક્યા નહીં.કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયા,પાસના નેતા હાર્દિક પટેલ, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે બહુચર્ચિત ડી.જી.વણઝારા સહિતના આવ્યા.પરિષદના અધ્યક્ષ રાઘવ રેડ્ડી સહિત પરિષદના કાર્યકરો અને અગ્રણીઓ તો હતાજ.ગુજરાતમાં ઠેરઠેર રસ્તા રોકો થયું,પણ પરિષદના આયોજન મુજબ ના થયું.જેમને ડૉ.તોગડિયાએ ઉછેરેલા એવા ભાજપી નેતા અને મંત્રીઓનું વલણ પણ બદલાયેલું લાગ્યું. એક સમયનો સર્વમાન્ય નેતા જાણે કે ઓશિયાળો બની ગયો ! સોશિયલ મીડિયામાં સત્તા સાથે રહેવા ઈચ્છુકોએ તો એમણે કોંગ્રેસી અને પાકિસ્તાની ગણાવવા સુધી જવાની ગુસ્તાખી કરી.આ બધો ઘટનાક્રમ પાછો વડાપ્રધાન મોદી ઇઝરાયલી વડાપ્રધાન નેતાન્યાહુ સાથે અમદાવાદ પધારે એ જ ગાળામાં થાય છે.આવતા દિવસોમાં વધુ ધડાકા અપેક્ષિત છે. ઓછામાં પૂરું ડૉ.તોગડિયા કહે છે કે જીએમડીસી ગ્રાઉન્ડ પર પટેલોની ઐતિહાસિક રેલી પત્યા પછી પોલીસ અત્યાચારોનો આદેશ એ વેળાનાં મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે આપ્યો નહોતો, પણ ઉપરથી આવ્યો હતો. એ જ રીતે પોતાનું મોઢું બંધ કરવા માટેના પ્રયાસોના ભાગરૂપ ધોતિયાકાંડ સંદર્ભે નૉન-બેલેબલ વૉરંટની વ્યવસ્થા થયાનું સ્પષ્ટ કહીને તેમણે ઇશારો ભાજપના મોવડીમંડળ ભણી કર્યો હતો. આવતા બે મહિનામાં ડૉ.તોગડિયાને મનાવી લેવામાં ના આવે તો તેઓ વધુ ધડાકા કરે એવી અપેક્ષા છે.

વચન પાળવા ભીંસ વધારી

વિહિંપ અને ડૉ.તોગડિયા વિરુદ્ધ ભાજપના ‘ગોબેલ્સ’ કામે વળ્યા હોવાની વાત એ કરે છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે વિહિંપ થકી સક્રિયપણે કામ કરવામાં આવ્યા ઉપરાંત ડૉ.તોગડિયાએ સરસંઘચાલક ડૉ.મોહનજી ભાગવત સમક્ષ પોતે પણ ચૂંટણી સભાઓ સંબોધવાની તૈયારી દર્શાવ્યાનું સ્પષ્ટ કર્યું હતું. જોકે જે વચનો આપીને ભાજપ સત્તામાં આવ્યો છે એ વચનોનું પાલન કેમ થતું નથી એવા સવાલો ઊભા કરીને એમણે મોદી સરકાર પર ભીંસ વધારી છે. (૧) બંધારણમાં સમાન નાગરી ધારાના અમલનો નિર્દેશ છે અને સર્વોચ્ચ અદાલતે પણ અનેક ચુકાદાઓમાં એ માટે કેન્દ્ર સરકારને કહેવા છતાં સમાન નાગરી ધારાને બદલે કેન્દ્ર સરકાર ત્રિપલ તલાકને પ્રતિબંધિત કરવાનું અધકચરું પગલું કેમ ભરવા પ્રયત્નશીલ છે? સમાન નાગરી ધારા જેવો સિવિલ કોડ ગોવામાં પોર્ટુગીઝ સમયથી અમલી છે અને એના રાષ્ટ્રીયસ્તરે અમલથી આપમેળે બહુપત્નીત્વ અને ત્રિપલ તલાકનો પ્રશ્ન હલ થઈ જશે. (૨) ભાજપના વચન છતાં લોકસભામાં બહુમતી મળ્યા પછી પણ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે સંસદમાં કાયદો કેમ કરાતો નથી? (૩) જમ્મુ-કાશ્મીર અને કેન્દ્રમાં ભાજપ સત્તામાં હોવા છતાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતોને રાજ્યમાં ફરી વસાવવાની દિશામાં ત્રણ-ત્રણ વર્ષથી કેમ કોઈ પગલાં ભરાતાં નથી? (૪) જમ્મૂ-કાશ્મીરને અલગ રાખનારી બંધારણની કલમ ૩૭૦ને કેમ દૂર કરવામાં આવતી નથી? (૫) દેશમાંના ૨૦ કરોડ બેકારો અને ગુજરાતના ૩૦ લાખ બેકારોને રોજગાર આપવાની દિશામાં પગલાં કેમ લેવાતાં નથી? (૬) ડૉ.એમ. એસ. સ્વામિનાથન્ સમિતિએ સૂચવ્યા મુજબ, ખેડૂતોને ખેતઉત્પાદનના ખર્ચાની દોઢી રકમ ચૂકવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કેમ કાંઈ કરતી નથી? (૭) સંઘના દ્વિતીય સરસંઘચાલક શ્રી માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી)ના સ્વપ્નનો ગોવંશ હત્યાનિષેધ કાયદો કેમ થતો નથી? આ બધા પ્રશ્નોનો મારો વડાપ્રધાન મોદી ભણી છે એ તો સ્પષ્ટ જ છે.જોકે મોદી સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ૨૦૨૨ સુધીમાં બંધ કરવાની હજ માટેની સબસીડી ૨૦૧૮ની હજ પછી બંધ કરવાનો નિર્ણય કર્યો, એને હોસ્પિટલના બિછાનેથી તોગડિયાએ આવકાર્યો ખરો; પણ ભાંગેલા મોતી પર રેણ નિરર્થક હોય છે.          ઈ-મેઈલ : haridesai@gmail.com               (૧૭-૧-૨૦૧૮)

Mevani aspiring to be Dr.Ambedkar using Bheem Koregaon Episode as Stepping-stone

ચકલી નાની ને ફૈડકો મોટો : ભીમા કોરેગાંવકાંડથી ડૉ.આંબેડકર થવાની મેવાણીની મહેચ્છા
Dr.Hari Desai’s Weekly Column in Gujarat Samachar (London), Gandhinagar Samachar (Gandhinagar), Sanj Samachar (Rajkot), Sardar Gurjari (Anand), Gujarat Guardian ( Surat), Hamlog (Patan) and Jansetu (Palanpur). Please read the full-text here or on blog : haridesai.blogspot.com and send your comments
ચકલી નાની ને ફૈડકો મોટો : ભીમા કોરેગાંવકાંડથી ડૉ.આંબેડકર થવાની મેવાણીની મહેચ્છા
ડૉ. હરિ દેસાઈ
·         આંદોલનકારી યુવાત્રિપુટીએ ગુજરાતની પ્રજાને ઢંઢોળી, પણ હવે અલોપ થઇ નિદ્રાવશ રાખે તો  ચિંતા
·          હિંદુવાદીઓની નવપેશવાઈને ખતમ કરવાની ઘોષણાઓ અને મોદી વિશે અવિવેકી ભાષાનો ઉપયોગ
·         સમાજના રાષ્ટ્રીય નેતા બનવા માટે બાબાસાહેબની જેમ જ વર્ષો સુધી ચળવળ ચલાવવાની ધીરજ ખપે
·         જીગ્નેશને જીતાડવા ટેકો આપનાર બાળાસાહેબ આંબેડકરને નવનિર્વાચિત ધારાસભ્યની ટીકાનો છોછ નથી

ગુજરાતીમાં એક કહેવત છે: “ઉતાવળે આંબા ના પાકે”. ગુજરાતની યુવા નેતાગીરીને રાતોરાત ટોચ પર પહોંચીને સત્તાપરિવર્તન અને વ્યવસ્થા પરિવર્તનના અભરખા જાગેલા જણાય છે. અનામત દૂર કરો અથવા પાટીદારોને અન્ય પછાત સમાજ(ઓબીસી)માં સમાવી અનામતના લાભ મળે તે માટે સરકારી નોકરી અને શિક્ષણમાં જોગવાઈ કરી આપોએવી માંગણી સાથે હવે ૨૪ વર્ષના થયેલા હાર્દિક પટેલવાળું પાટીદાર આંદોલન શરૂ થયું. ઓબીસી અનામતમાં પટેલો કે અન્ય ઉજળિયાત ભાગ પડાવે એ સામે વિરોધ કરવા ઓબીસી અનામતના સમાજોમાંથી ૪૫ વર્ષીય અલ્પેશ ઠાકોરના નેતૃત્વમાં ઠાકોર સેનાનું આંદોલન પ્રગટ્યું. ઊનામાં દલિતો પરના અત્યાચારના મુદ્દે, થાનગઢ દલિત હત્યાકાંડના અપ્રગટ રહેલા સંજય પ્રસાદ અહેવાલથી અકળાયેલા દલિત સમાજને આગળ કરીને, ડાબેરી વિચારક અને ધારાશાસ્ત્રી એવા ૩૫ વર્ષના જીજ્ઞેશ મેવાણીએ દલિત આંદોલન આરંભ્યું. જોકે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી ટાણે, ૨૨ વર્ષથી સત્તાના ભોગવટાનો આફરો અનુભવતા ભારતીય જનતા પક્ષને પાડી દેવામાટે, આ ત્રણ આંદોલનની યુવાત્રિપુટી મેદાને પડી. વર્ષોના સત્તા વનવાસથી હારેલી-થાકેલી કૉંગ્રેસને લાગ્યું કે આંદોલનત્રિપુટીનો લાભ લઈને એ ગાંધીનગરની સત્તા કબજે કરી લેશે. ડિસેમ્બર ૨૦૧૭ની આ ચૂંટણીનાં પરિણામોએ ભાજપની સાન ઠેકાણે લાવવાની સાથે જ કૉંગ્રેસને સત્તાની ખાસ્સી નજીક લાવી મૂકી.
આંદોલનકારી યુવા ત્રિપુટીએ ગુજરાતની પ્રજાને ઢંઢોળી એ તો કહેવું જ પડે, પણ પ્રજાને કાયમ માટે જાગતી રાખશે કે હવે અલોપ થઇ નિદ્રાવશ રાખશે, એ મહાપ્રશ્ન છે. હાર્દિકની વય ચૂંટણી લડવા માટેની ન્યૂનતમ ૨૫ વર્ષ નહોતી એટલે એ હવે ના ના કરતાં લોકસભાની ચૂંટણી લડે તો નવાઈ નહીં. બીજા બે આંદોલનકારીમાંથી અલ્પેશ કૉંગ્રેસમાં જોડાઈને અને જીજ્ઞેશ કૉંગ્રેસના ટેકે ચૂંટણી લડીને વિધાનસભે પહોંચ્યા છે. હવે એમની અગ્નિપરીક્ષા થવાની છે.
નાછૂટકે જ બંધારણનો ભંગ થાય તેવાં આંદોલન
ચૂંટણી પૂરી થતાં જ આંદોલનોનો ઊભરો શમી ગયો. હવે નવેસરથી આંદોલનની તૈયારીઓ થશે ત્યારે યુવા આંદોલનકારીઓને કેવો પ્રતિસાદ મળશે, એના વિશે શંકા-કુશંકા વ્યક્ત થાય છે.આ જ  સમયગાળામાં વડગામથી કૉંગ્રેસના ટેકે અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને હજુ તો શપથ પણ લીધા નહોતા ત્યાં મેવાણી પોતાને ભારતમાં સામાજિક ન્યાયના પ્રણેતા એવા મહામના બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરનો નવઅવતાર માનવા માંડ્યા લાગે છે.થનગનભૂષણ મેવાણીએ પુણેના શનિવારવાડાની ભીમા કોરેગાંવ યુદ્ધનાં બસ્સો વર્ષની ઉજવણીની જનસભામાં ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને હિંદુવાદીઓની કથિત નવપેશવાઈને ખતમ કરવાની ઘોષણાઓ કરવા માંડી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે અવિવેકી ભાષાનો ઉપયોગ કરીને તેમને પડકારવાની કોશિશો આરંભી. વ્યવસાયે વકીલ હોવાથી કાયદાકીય છટકબારીઓ એ જાણે છે, પરંતુ સમગ્ર દેશના માન્યવર દલિતનેતા બની જવાની આકાંક્ષા સાથે જીજ્ઞેશ હૂંકાર ભણવા માંડે ત્યારે જરા વિનોદ અનુભવાય છે.
મેવાણીનો  દાવો તો એટલે સુધી હતો કે ભાજપને એના ૧૫૦ પ્લસના ઈરાદામાં નિષ્ફળ બનાવીને માત્ર ૯૯ બેઠકોમાં સીમિત કરી દેવા માટે જાણે પોતે જ જવાબદાર છે. ભાજપના કેટલાક નેતાઓ છાસવારે નંબર વનની ઘોષણાઓ અને ગર્જનાઓ કરીને તાળીઓ પડાવે છે, એનું જ અનુસરણ મેવાણી કરતા હોય એવું વધુ લાગે છે. જોકે ભાજપ પાસે તો વિશાળ સભ્યસંખ્યા અને સંઘ પરિવારનું પીઠબળ છે, પણ વડગામ મતવિસ્તારમાં કૉંગ્રેસનો ટેકો અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બહુમતી મુસ્લિમ મત ધરાવતા આ મતવિસ્તાર માટે કાણોદરમાં ચૂંટણી સભા ના કરી હોત તો આ જીજ્ઞેશ મેવાણીનો ગરબો પણ ઘેર જ આવત.
છોટે આંબેડકર બનવા નીકળેલા જીજ્ઞેશ  ડાબેરી
ચકલી નાની ને ફૈડકો મોટોએ કહેવતને સાર્થક કરતા હોય એ રીતે ગુજરાતમાં હજુ કૉંગ્રેસના ટેકે માંડ જીતેલા મેવાણી રાષ્ટ્રીય ફલક પર છવાઈ જવા થનગને છે. ડૉ.આંબેડકર સંગઠિત થાઓ, શિક્ષિત થાઓ અને સંઘર્ષ કરોએ સૂત્ર આપીને બંધારણીય માર્ગે જ પોતાના દલિત સમાજ અને બીજા સમાજોને સામાજિક ન્યાય અપાવવાના પક્ષધર હતા. નાછૂટકે જ ગેરબંધારણીય રસમો અપનાવવાના સમર્થક હતા. કોમ્યુનિસ્ટોના ડાબેરી વિચાર સામે બાબાસાહેબનો વિરોધ હતો. એમણે તો કાયદો તોડીને સત્યાગ્રહ સહિતની ગાંધીજીના નેતૃત્વમાં ચલાવાયેલી ચળવળોનો પણ વિરોધ કર્યો હતો. છોટે આંબેડકર બનવા નીકળેલા જીજ્ઞેશ તો ડાબેરી છે. કોમ્યુનિસ્ટોને હિંસાનો છોછ નથી હોતો.
સમાજના રાષ્ટ્રીય નેતા બનવા માટે ડૉ. આંબેડકરની જેમ જ વર્ષો સુધી ચળવળ ચલાવવાની ધીરજ જોઈએ, માત્ર સોશિયલ મીડિયાના ટેકે ફટાફટ રાષ્ટ્રીય નેતા થઇ જવાનું અશક્ય છે. ગાંધીજી અને આંબેડકર માત્ર વાતોનાં વડાં કરીને લોકોને સત્તાધીશો સામે ઉશ્કેરવાને બદલે વિશદ્ અભ્યાસ પછી તર્કબદ્ધ રજૂઆતથી પ્રશ્નો ઊકેલાવવા માટે જાણીતા હતા. ઓછામાં પૂરું એ વેળા લડત વિદેશી શાસકો સામે હતી.
પૂણેરીવિવાદ પાછળ જમીન હસ્તગત કરવાનું ભેજું
પૂણેના બ્રાહ્મણ પેશવાઈ શાસન દરમિયાન દલિતોની દુર્દશા અને માણસ તરીકે તેમને ગણવાની પણ સત્તાધીશોની તૈયારી નહીં હોવાને કારણે જ દલિતોમાંની માર્શલ રેસના મહાર અંગ્રેજોના લશ્કરમાં જોડવા પ્રેરાયા હતા. ૧૮૧૮ની પહેલી જાન્યુઆરીએ, પેશવાની સેનામાં પણ મહાર અને આરબ સૈનિકો હોવા છતાં, તેમની સામે અંગ્રેજોના ભીમા કોરેગાંવ યુદ્ધમાં બ્રિટિશરોને મહારોના સાથને કારણે જ પેશવાનો પરાજય થયો હતો. વર્ષોથી દલિતો ૧ જાન્યુઆરીને શૌર્ય દિવસ તરીકે મનાવે છે પુણેના ૨૬૩ એકરના વિસ્તારમાં આવેલા વિજયસ્તંભ પર આવીને દલિત-દલિતેતર પોતાના પૂર્વજોની સ્વાભિમાન ખાતર શહીદી અને શૌર્યને વંદન કરે છે. આ વર્ષે એ સ્મૃતિદિનનાં ૨૦૦ વર્ષની ઉજવણી માટે હજારોને બદલે લાખો શ્રદ્ધાળુ આવ્યા. કેટલાકે શૌર્ય દિનની ઉજવણીનો વિરોધ કર્યો અને કેટલીક અથડામણોની કમનસીબ ઘટના બની. સંકેત એવા મળે છે કે આ સ્મારકની મહાર સમાજના ટ્રસ્ટને અધીન વિશાળ જમીન હસ્તગત કરવા અમુક તત્વોએ વિવાદને જન્મ આપ્યો. જોકે શનિવારવાડા પર જે સભા થઇ એમાં કોઈ હિંસક અથડામણ સર્જાઈ નહોતી, પણ મેવાણી સહિતનાએ પોતાની નેતાગીરી ચમકાવવા એ સભાનો ઉપયોગ જરૂર કર્યો.
દલિતોની એકતામાં ફાચર મારતા શરદ પવાર
સ્વતંત્ર ભારતની પ્રથમ નેહરુ સરકારમાં ગાંધીજીના આગ્રહથી ડૉ. આંબેડકરને કાયદા પ્રધાન બનાવાયા. એમણે બંધારણ સભા અને સરકારમાં મહામૂલું યોગદાન કર્યું તો ખરું, પણ છેવટે રાજીનામું આપીને વિપક્ષની પાટલીએ બેઠા. ડૉ. આંબેડકરના સ્વપ્નની રિપબ્લિકન પાર્ટી સ્થાપવાની કલ્પના ૧૯૫૬માં એમના મૃત્યુ પછી છેક ૩ ઓક્ટોબર ૧૯૫૭ના રોજ મુંબઈમાં સાકાર થઇ.મહારાષ્ટ્રમાં રિપબ્લિકન પાર્ટી સમયાંતરે અલગ અલગ ફિરકાઓમાં વિભાજીત થતી રહી. દલિત અને મુસ્લિમોની એકતાનો પ્રયાસ સતત થતો રહ્યો, પણ એ ય દેડકાંની પાંચ શેરી જેવો જ ખેલ રહ્યો. દલિત નેતા કાંશીરામ થકી બહુજન પાર્ટી સ્થાપવામાં આવી, પણ એનાં માયાવતી મુખ્ય પ્રધાન થવા માટે ભાજપ અને મુલાયમની સમાજવાદી પાર્ટી સાથે સમજૂતી કરતાં રહ્યાં. વચ્ચે નામચીન દાણચોર હાજી મસ્તાને પણ દલિત-મુસ્લિમ એકતાના નારા સાથે પક્ષ સ્થાપીને મુંબઈમાં શિવસેના સાથે ગોઠવણ કરી જોઈ. શિવસેનાને મેયરપદ માટે મસ્તાન પાર્ટીના પાંચ નગરસેવકોનો ટેકો મળતો રહ્યો. ૧૯૮૪માં ભાજપ અને શિવસેનાની યુતિ થઇ એ પહેલાં અને પછી કૉંગ્રેસ અને વિપક્ષ વચ્ચે દલિતોને પોતાને પડખે લેવાની સ્પર્ધા ચાલતી રહી.
૧૯૮૯માં મહારાષ્ટ્રમાં દલિતોના વિવિધ ફિરકાઓની રાજકીય એકતા વડા પ્રધાન વી. પી. સિંહ થકી રાજ્યસભે મોકલાયેલા ડો. આંબેડકરના પૌત્ર એડવોકેટ પ્રકાશ ઉર્ફે બાળાસાહેબ આંબેડકરના પ્રયાસોથી સધાઈ તો ખરી, પણ કોંગ્રેસી મુખ્ય પ્રધાન શરદ પવારે રામદાસ આઠવલેને પ્રધાનપદ આપી એમાં ફાચર મારી. ફરીને ૧૯૯૫માં દલિતોનું ઐક્ય જોવા મળ્યું, પણ અહીં ફરી પવાર આઠવલેને ઉપાડી ગયા. આજે આ જ આઠવલે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારમાં રાજ્ય પ્રધાન છે. બિહારના દલિત નેતા રામવિલાસ પાસવાન પણ અગાઉ કૉંગ્રેસ સાથે ઘર માંડીને કેન્દ્રમાં પ્રધાન હતા, આજે ભાજપ સાથે ઘર માંડીને મોદી સરકારમાં પ્રધાન છે. વર્તમાન સંજોગોમાં દલિતોની ૨૨ ટકા જેટલી વોટબેંક અંકે કરવા માટે, અનામત પ્રથા અપાવીને દલિતો અને પછાતોનું કલ્યાણ કરનાર ડૉ. આંબેડકરનું નામ લેવાનું તમામ પક્ષો પસંદ કરે છે, પણ દલિતો ઠેરના ઠેર હોવાનો માહોલ છે. હજુ પ્રકાશ આંબેડકર દલિત રાજકીય એકતા માટે પ્રયત્નશીલ છે. એમણે મેવાણીને વિજયી બનાવવા સમર્થન આપવાનું પણ પસંદ કરેલું, પણ તાજા ઘટનાક્રમમાં મેવાણીના અટકચાળામાં એમને નરી બાલિશતા અનુભવાતાં એની ટીકા કરવાનું પણ એ ચૂક્યા નથી.માત્ર વિવાદાસ્પદ નિવેદનો કરવાથી રાષ્ટ્રીય નેતા ના થઇ જવાય અને પોતાનું ગજું મોટું કરવા માટે સમાજમાં નક્કર યોગદાન કરવા જેટલી પરિપક્વતા કેળવવી પડે એ વાતને મેવાણીએ ગૂંજે બાંધવાની જરૂર ખરી.

ઈ-મેઈલ : haridesai@gmail.com                                            (૧૯ જાન્યુઆરી ૨૦૧૮ )